Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
તમારી કારની ટાંકીમાં ખરેખર કેટલું પેટ્રોલ છે અને કેટલું ઇથેનોલ?
શું હકીકતમાં ઇથેનોલ તમારી કારની માઇલેજ ઘટાડી રહ્યું છે?
શું ભવિષ્યમાં માત્ર ઇથેનોલ પર ચાલતી જ કારો હશે?
શું તમારા મનમાં આજકાલ તમારા મનમાં પણ ઉપરોક્ત સવાલ આવ્યો છે? કારણ કે આ જ વાત આખા દેશમાં આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
પરંતુ ઇથેનોલ આખરે શું છે? ‘શેરડીનો રસ ઇથેનોલ છે,’ શું મજાકમાં આ વાત કહેવી યોગ્ય હશે?
કયા વાહન ઇ85 ઈંધણનો ઉપયોગ કરી શકે છે? અને આજકાલ ઇ100 અંગે આટલી ચર્ચા કેમ થઈ રહી છે?
આવો આવા જ દસ પ્રશ્નોના જવાબ શોધીએ, એ પણ સરળ શબ્દોમાં…

ઇથેનોલ શું છે?
ઇમેજ સ્રોત, ANI
ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહૉલ છે. આ શબ્દ ઇથાઇલ આલ્કોહૉલ પરથી જ બન્યો છે. તેનું રાસાયણિક સૂત્ર C2H5OH છે.
આ પ્રવાહી પદાર્થનો કોઈ રંગ નથી, તેમજ તે પારદર્શી હોય છે.
ઇથેનોલનું ઉત્પાદન શેરડી અને મકાઈ વડે થાય છે. જ્વલનશીલ હોવાને કારણે સરકાર તેને પેટ્રોલમાં ભેળવીને ઈંધણ સ્વરૂપે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. આ મિશ્રણને બ્લેન્ડિંગ કહેવાય છે.
ઈંધણનું નામ તેમાં ભેળવાયેલા પ્રમાણ પર આધારિત હોય છે. એટલે કે, જો પેટ્રોલમાં દસ ટકા ઇથેનોલ ભેળવવામાં આવે તો એ ઇ10 હોય છે, જો તેમાં 20 ટકા ભેળવવામાં આવે તો એ ઇ20 હોય છે.

ઇથેનોલ બ્લેંડિંગ કેમ કરાય છે?
માત્ર લાભ કમાવવાના ઉદ્દેશથી દૂધમાં પાણી ભેળવવામાં આવે તો એ ભેળસેળ કહેવાય.
તેમજ જ્યારે કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે જાણીજોઈને અને પરીક્ષણ બાદ ભેળવવામાં આવે છે, તો તેને બ્લેંડિંગ કે મિશ્રણ કહેવામાં આવે છે.
સરકારનું કહેવું છે કે ઇથેનોલનું મિશ્રણ સાવધાનીપૂર્વક અને સમીક્ષા બાદ કરાઈ રહ્યું છે, સરકારે આનાં કેટલાંક કારણ જણાવ્યાં છે.
ભારતમાં ક્રૂડઑઇલ આયાત કરાય છે અને તેની ચુકવણી ડૉલરમાં કરવી પડે છે. જો ઈંધણમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે તો એટલા જ પ્રમાણમાં શુદ્ધ પેટ્રોલ અને ક્રૂડઑઇલની જરૂર ઓછી થઈ જશે, જેથી ડૉલરની બચત થશે.
મકાઈ અને શેરડીથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. તેથી, કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર પણ આ ઉત્પાદનમાં યોગદાન આપી રહ્યાં છે.
કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, જૂન 2026 સુધી સમગ્ર દેશનાં શેરડી અને મકાઈ ખેડૂતોએ આનાથી 1.58 લાખ કરોડ રૂપિયાની આવક રળી છે.
પેટ્રોલની સરખામણીએ ઇથેનોલ સળગે તો ઓછો ધુમાડો પેદા કરે છે, અને સરકારનું અનુમાન છે કે આનાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગૅસોના કુલ ઉત્સર્જનમાં 61 ટકા સુધીની કમી લાવવામાં મદદ મળી શકે છે.

ઇથેનોલ બ્લેંડિંગ માટે સરકારનું લક્ષ્ય શું છે?
ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
ભારત સરકારે 2014માં પેટ્રોલમાં 1.5 ટકા ઇથેનોલ ભેળવવાની શરૂઆત કરી હતી.
દસ ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય જૂન 2022 સુધી હાંસલ કરી લેવાયું અને બાદમાં 2023માં તેને વધારીને 20 ટકા કરી દેવાયું.
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે 2025 સુધી આખા દેશમાં ઇ20 બ્લેંડિંગના લક્ષ્યને હાંસલ કરવામાં સફળ રહી છે.
આ પહેલાં, તેના માટે 2030 સુધીનો સમય નક્કી કરાયો હતો.
આજે ભારતમાં વેચાતાં પેટ્રોલ વાહન જે બીએસ6 ઉત્સર્જન માપદંડોનું પાલન કરે છે, તેમાં ઇ20 એટલે કે 20 ટકા ઇથેનોલયુક્ત પેટ્રોલનો ઉપયોગ કરવાની પરવાનગી છે. તેનાથી વધુ ઇથેનોલ પ્રમાણવાળું ઈંધણ વાહનો માટે યોગ્ય નથી.

શું ઇથેનોલ મિશ્રિત ઈંધણ કારની માઇલેજ ઘટાડે છે?
પેટ્રોલની સરખામણીએ ઇથેનોલમાં ઊર્જા ઓછી હોય છે. આ જ કારણે તમારાં બાઇક કે કારની માઇલેજ ઘટી હોઈ શકે.
નિષ્ણાતોના મતે, ગાડીના એન્જિનમાં કેટલાક તકનીકી બદલાવ કર્યા પછી અને થોડા વધુ સ્પેરપાર્ટ લગાવીને સુધારી કરી શકાય છે, પરંતુ હાલ આ તકનીક દરેક સ્થળે ઉપલબ્ધ નથી.
ભારત સરકારનો દાવો છે કે ઇ20 ઈંધણથી વાહનોની માઇલેજ માત્ર બેથી છ ટકા ઘટે છે.
પરંતુ ઉપયોગકર્તાઓની ફરિયાદ છે કે વાહનની સરેરાશ માઇલેજ 30-50 ટકા ઘટી ગઈ છે.

ઇ85 શું છે?

જે પ્રકારે 20 ટકા ઇથેનોલયુક્ત પેટ્રોલને ઇ20 કહેવામાં આવે છે, એવી જ રીતે 85 ટકા ઇથેનોલયુક્ત પેટ્રોલને ઇ85 કહેવામાં આવે છે.
દેશમાં ઇ85 ઈંધણ 5 જૂન, 2026ના રોજ લૉન્ચ કરાયું હતું, જેની કિંમત નિયમિત ઇ20 પેટ્રોલ કરતાં 20 રૂપિયા પ્રતિ લીટર ઓછી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, “કેટલાક મામલામાં તો ઇ85 બહેતર છે, પરંતુ કૅલોરિફિક વૅલ્યૂ (ઈંધણની ઊર્જા સંગ્રહ ક્ષમતા) વગેરેને ધ્યાને લઈ, ઈંધણની શક્તિ ઘટશે, પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે કિંમત અંગે જે વળતર મળી રહ્યું છે, એ શક્તિ કે ઊર્જાની કમીને પૂરી કરી શકે.”
એટલે કે, ભલે આ ઈંધણ 20 ટકા સસ્તું હોય, પરંતુ ના તો ઈ85 ઈંધણ દરેક સ્થળે ઉલબ્ધ છે અને ન તેના પર ચાલતાં વાહન.
3 જૂનના રોજ હીરો મોટોકૉર્પે ફ્લેક્સ ફ્યૂઅલ તકનીકથી ચાલતાં બે ટૂ-વ્હીલર સ્પ્લેન્ડર અને એચએફ ડીલક્સ લૉન્ચ કર્યાં.
એ બાદ 4 જૂનના રોજ મારુતિ સુઝુકીએ પણ વેગન-આર કારનો ફ્લેક્સ ફ્યૂઅલ અવતાર બજારમાં ઉતાર્યો.
માહિતી માટે જણાવી દઈએ કે ફ્લેક્સ ફ્યૂઅલ વેગન-આર કારની કિંમત વેગન-આરના રેગ્યુલર પેટ્રોલ (ઇ20) કરતાં 86,000 વધુ છે.

જો સામાન્ય કારોમાં ઇ85 ઈંધણ ભરવામાં આવે તો શું થશે?

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઇ85 ઈંધણમાં ખૂબ ઝાઝું ઇથેનોલ હોય છે, જેથી પેટ્રોલ કે ઇ20 માટે ડિઝાઇન કરાયેલાં એન્જિનોમાં સમસ્યાઓ પેદા થઈ શકે છે.
આ સિવાય, ઇથેનોલ ભેજ શોષી લેનારો પદાર્થ છે, એટલે કે હવામાંથી ભેજ અવશોષિત કરે છે.
તેથી ઇથેનોલયુક્ત ઈંધણ એન્જિનના સ્પેરપાર્ટ્સ, ઈંધણ લાઇનો, ઈંધણ ટાંકી, પાઇપો, ટૅન્ક સીલ વગેરેને નુકસાન પહોંચાડી શકે છે કે તેને તોડી શકે છે.
આના કારણે આ વાહનોની સર્વિસિંગ અને મેન્ટેનન્સનો ખર્ચ વધી જાય છે, જેનો બોજો અજાણતા ગ્રાહકો પર પડે છે.
તેથી, હાલની કારોમાં, પેટ્રોલ ટૅન્કનાં ઢાંકણાં પર ઇથેનોલની વધુમાં વધુ માત્રા અંગે જાણકારી અપાય છે.

શું ઇથેનોલના ઉપયોગથી કાર વીમો અમાન્ય થઈ જાય છે?
ઇમેજ સ્રોત, ICICI Lombard Blog
હાલમાં જ, કેટલીક જગ્યાએ એવા સમાચાર પણ આવ્યા છે કે કેટલીક વીમા કંપનીઓ ઇ20 ઈંધણના ઉપયોગ વડે થનારા નુકસાનને કવર નહીં કરે.
9 જૂનના રોજ પ્રકાશિત એક બ્લોગમાં, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ઇન્સ્યૉરન્સે કહ્યું, “જો તમે ઇ20 ઈંધણ માટે બનેલાં વાહનોમાં ઇ20 ઈંધણનો ઉપયોગ કરો,તો તમારો વીમો માન્ય રહેશે અને તમારા વીમાના દાવા પર કોઈ અસર નહીં પડે…”
“પરંતુ જો તમે તમારાં વાહનમાં એવા કોઈ ઈંધણનો ઉપયોગ કરો જે તમારા વાહન માટે નથી બનેલું, તો તેને દુરુપયોગ કે બેદરકારી માનવામાં આવશે.”
આ બ્લોગ પોસ્ટ પર થયેલા વિવાદ બાદ, કંપનીએ અંતે સ્પષ્ટ કર્યું કે, “વાહન વીમા દુર્ઘટનાઓ કે ચોરી જેવી કટોકટીવાળી સ્થિતિ માટે છે. તેનો વાહનમાં ઉપયોગમાં લેવાતા ઈંધણના પ્રકાર સાથે કોઈ લેવાદેવા નથી.”
“તેથી, પરંપરાગત ઈંધણના ઉપયોગ માટે સ્વીકારાતો કોઈ પણ દાવો ઇ20 ઈંધણના ઉપયોગ માટે પણ સ્વીકારી શકાય છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા ઈંધણના આધારે કોઈ પણ દાવો નહીં નકારે.”
12 ઑગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકારે પણ આવી અફવાઓનું ખંડન કર્યું અને સ્પષ્ટતા કરી કે ઇ20 ઈંધણના ઉપયોગથી વાહનના વીમા પર કોઈ અસર નથી થતી.

શું ડીઝલ કારોમાં ઇથેનોલનો પણ ઉપયોગ કરી શકાય છે?
ઇમેજ સ્રોત, ICICI Lombard
હાલ ઇથેનોલનું ઉત્પાદન માત્ર પેટ્રોલમાં ભેળવવામાં કરવામાં આવે છે.
તેથી એવું કહી શકાય કે ડીઝલ હજુ પણ ઘણું શુદ્ધ છે.
જોકે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે આ આધારે આઇસોબ્યૂટેનૉલ નામક એક અન્ય આલ્કોહૉલને ડીઝલમાં ભેળવી શકાય છે, જેના પર વિચારણા ચાલી રહી છે.

ઇ100 શું છે?
ઇ100નો સીધો અર્થ છે 100 ટકા ઇથેનોલ.
તેમાં કોઈ પણ અન્ય ઈંધણ સાથે ભેળસેળ થતી નથી.
10 જૂનના રોજ નાગપુરમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમની સરકારે 100 ટકા ઇથેનોલ પર ચાલતાં વાહનોને મંજૂરી આપી દીધી છે, અને જલદી જ મારુતિ સુઝુકી, એમજી, હ્યુંડાઈ અને ટોયોટા જેવી કંપનીઓ પોતાની કારોનાં ઇ100 વર્ઝન લૉન્ચ કરશે.
એવું પણ શક્ય છે કે ઈંધણ ઇ85 કરતાં પણ ઓછી કિંમતે ઉપલબ્ધ હોય, પરંતુ આના માટે જરૂરી વાહનોનો ખર્ચ તેમ છતાં વધુ હોઈ શકે છે.

એક લીટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી લાગે?
ઇમેજ સ્રોત, Jwala Kotesh/NurPhoto via Getty Images
ઇથેનોલ મકાઈ અને શેરડીમાંથી બનાવાય છે. દુનિયામાં જ્યાં પણ આ બંને પાકોની મોટા પાયે ખેતી થાય છે ત્યાં ઇથેનોલનું ઉત્પાદન પણ મોટા પાયે થાય છે, ઉદાહરણ તરીકે, અમેરિકા અને બ્રાઝીલ જેવા દેશોમાં.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ઇથેનોલના વપરાશ સંબંધિત એક આધિકારિક દસ્તાવેજ અનુસાર, એક ટન શેરડીથી 100 કિલોગ્રામ ખાંડ અને 40 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી શકાય છે. એક લીટર ઇથેનોલ માટે લગભગ 3000 હજાર લીટર પાણીની જરૂર હોય છે.
દસ્તાવેજમાં એવું પણ કહેવાયું છે કે મકાઈને સરખામણીએ ઓછાં પાણી (લગભગ 2,570 લીટર)ની જરૂર હોય છે, જેથી એ અન્ય અનાજો વડે ઇથેનોલની ઉત્પાદનની સરખામણીએ વધુ સસ્તું હોય છે.
દસ્તાવેજમાં એવું પણ જણાવાયું છે કે વર્ષ 2016માં એક અભ્યાસના આધારે, ચોખા અને ઘઉંમાંથી એક લીટર ઇથેનોલ ઉત્પાદન કરવા માટે લગભગ 4,480 લીટરથી 4,900 લીટર પાણી લાગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




