Home તાજા સમાચાર gujrati ભારતમાં આ જગ્યાએ ડૉક્ટરો સર્જરી પહેલાં દર્દીની જાતિ કેમ પૂછે છે?

ભારતમાં આ જગ્યાએ ડૉક્ટરો સર્જરી પહેલાં દર્દીની જાતિ કેમ પૂછે છે?

6
0

Source : BBC NEWS

ડૉક્ટર, જાતિ, જનીન ઍનેસ્થેશિયોલૉજિસ્ટ સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર બીબીસી ન્યૂઝ અપડેડ

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ સર્જરી પહેલાં ડૉક્ટરો દર્દીને સામાન્ય રીતે તેમની તબિયત, દવાની ઍલર્જી છે કે નહીં એ વિશે અથવા તો તેમની મેડિકલ હિસ્ટ્રી વિશે પૂછે છે.

જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક પરિસ્થિતિઓમાં ઍનેસ્થેશિયોલૉજિસ્ટ માટે એ જાણવું જરૂરી થઈ જાય છે કે દર્દી કઈ જાતિ કે સમુદાયના છે.

તેની પાછળ એક મહત્ત્વપૂર્ણ ચિકિત્સકીય કારણ છે.

દક્ષિણ ભારતનાં રાજ્યો જેવા કે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમા રહેતા તેલુગુભાષી આર્ય વૈશ્ય અને કોમુટ્ટી ચેટ્ટિયાર કે વૈશ્ય ચેટ્ટી સમુદાયોની કેટલીક વ્યક્તિઓમાં ‘સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ’ નામના એક ઍન્ઝાઇમની જનીનીય ખામી જોવા મળે છે.

સર્જરી દરમિયાન દર્દીની માંસપેશીઓને આરામ આપવા માટે ‘સ્કૉલિન’ નામની દવા આપવામાં આવે છે. જે લોકોમાં આવી કમી હોય છે તેમને આ દવાની અસર સામાન્ય કરતાં ઘણા કલાકો વધારે સુધી રહે છે. તેનાથી જટિલતાઓ પેદા થઈ શકે છે.

બૅંગ્લુરુની હૉસ્મત હૉસ્પિટલમાં ઍનેસ્થેશિયોલૉજિસ્ટ ડૉ. સંતોષ ચિપ્રેએ બીબીસીને જણાવ્યું કે, “સ્કૉલિન એક એવી દવા છે જે ઑપરેશન પહેલાં જ દર્દીઓને બેહોશ કરવા માટે આપવામાં આવે છે. તેના લીધે દર્દીનો શ્વાસ પણ કેટલીક પળો માટે રોકાઈ જાય છે.”

“આ દરમિયાન દર્દીને કૃત્રિમ શ્વાસ આપવા માટે શ્વાસનળી આપવામાં આવે છે. સામાન્ય રીતે દર્દી 10 મિનિટની અંદર શ્વાસ લેવા લાગે છે પણ જેમના શરીરમાં સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ નામના ઍન્ઝાઇમની ઉણપ હોય છે તેમને સ્વાભાવિક રીતે શ્વાસ લેવામાં ઘણી કલાકો થઈ શકે છે.”

સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ હકીકતમાં શું છે?

ડૉ. સંતોષ ચિપ્રે

તેમણે આગળ જાણકારી આપતા કહ્યું કે, “સ્કૉલિન એ સીધી રીતે જાનલેવા નથી. પરંતુ જ્યાં સુધી દર્દી ખુદ શ્વાસ લેવામાં સક્ષમ ન થઈ જાય ત્યાં સુધી તેને વૅન્ટિલેટર પર રાખવા પડે છે. આવો કોઈ રિવર્સલ ડૉઝ કે દવા ઉપલબ્ધ નથી જે દર્દીના શ્વાસને તરત જ ફરીવાર શરૂ કરી શકે. કેટલાક કલાકો પછી દર્દી સ્વાભાવિક રીતે જ શ્વાસ લેવા લાગે છે.”

ડૉ. સંતોષ ચિપ્રએ જણાવ્યું હતું કે તેલુગુભાષી વૈશ્ય ચેટ્ટી સમુદાયના ઘણા લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. એટલે ડૉક્ટર ઍનેસ્થેશિયા આપતાં પહેલાં દર્દીની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે પૂછે છે.

જોકે, તેનો મતલબ એવો નથી કે સમાજના દરેક વ્યક્તિમાં આ પ્રકારની કમી હશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની પૂછપરછનો કોઈ ખોટો અર્થ ન કાઢવો જોઈએ.

સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ એ એક ઍન્ઝાઇમ છે જે લિવરમાં બને છે. તે રક્તપ્રવાહ સાથે શરીરમાં ફરે છે. સર્જરી દરમિયાન દર્દીઓને આપવામાં આવતી માંસપેશીઓને આરામ આપતી દવાઓ જેવી કે સક્સિનિલકૉલિન અને મિવાક્યૂરિયમને એ પચાવવાનું કે તોડવાનું કામ કરે છે.

જો આ ઍન્ઝાઇમ પૂરતા પ્રમાણમાં શરીરમાં ન હોય કે સરખી રીતે કામ ન કરતો હોય તો આ દવાઓની અસર શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને તેના ફળસ્વરૂપે માંસપેશીઓની ગતિ રોકાઈ જાય છે. તેનાથી શ્વાસ લેવામાં વધુ સમય લાગે છે.

રોજબરોજના જીવનમાં આ ઍન્ઝાઇમની કમીનાં કોઈ લક્ષણ જોવા મળતાં નથી. પરંતુ જ્યારે કોઈ દર્દીને સર્જરી માટે પહેલી વાર ઍનેસ્થેશિયા આપવામાં આવે છે કે કોઈ દવાઓ આપવામાં આવે છે ત્યારે આ આનુવંશિક કમી સામે આવી જાય છે.

‘ઑપરેશન પૂરું થયા પછી પણ દર્દીને હોશ ન આવ્યો’

ડૉક્ટર, જાતિ, જનીન ઍનેસ્થેશિયોલૉજિસ્ટ સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર બીબીસી ન્યૂઝ અપડેડ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટરો અનુસાર, જો આ પ્રકારની આનુવંશિક કમીવાળા રોગીઓને સ્કૉલિન આપવામાં આવે તો તેમને સંપૂર્ણપણે ભાન આવતા છથી 24 કલાક લાગે છે.

ચિદમ્બરમ ગવર્મેન્ટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પ્રોફેસર અને ઍનેસ્થેશિયોલૉજિસ્ટ ડૉ. એમ. મહેન્દ્રને બીબીસીને તેમનો પ્રત્યક્ષ અનુભવ જણાવ્યો હતો.

તેમણે કહ્યું, “અમે એક પૂર્વ નૌસેના અધિકારીને પિત્તાશયની પથરી કાઢવા માટે એક ઑપરેશન કર્યું હતું. એ સમયે અમને બિલ્કુલ અંદાજ ન હતો કે તેઓ કોઈ વિશેષ સમુદાય સાથે જોડાયેલા છે. ઑપરેશન અડધા કલાકમાં જ થઈ ગયું હતું અને દર્દીએ સમય થયો પણ આંખો ન ખોલી અને તેને હોશ ન આવ્યો.”

તેમણે આગળ કહ્યું કે, “જ્યારે અમે દર્દીના પરિવારવાળાને પૂછપરછ કરી તો એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ એ વિશેષ સમુદાયથી સંબંધિત હતા. અમને એ વાતનો સંદેહ હતો કે તેમના શરીરમાં આ ઍન્ઝાઇમની કમી હોઈ શકે છે. તેમને લગભગ છ કલાક સુધી વૅન્ટિલેટર પર રાખવા પડ્યા હતા અને એ પછી તેમણે આપોઆપ શ્વાસ લેવાનું શરૂ કરી દીધું.”

ઑપરેશન કરનારા સર્જન ડૉ. રાજા મહેન્દ્રને જણાવ્યું કે, “દર્દીના પરિવારને જાતિ વિશે પૂછવું એ થોડું અટપટું લાગી શકૈ છે. પરંતુ જો આ જાણકારી આપ્યા વગર સ્કૉલિન આપવામાં આવે તો મામૂલી ઑપરેશન પછી પણ દર્દીને ઘણા કલાકો સુધી વૅન્ટિલેટર પર રાખવા પડશે.”

“આવી સ્થિતિ અચાનક ઉત્પન્ન થવા પર પરિવાર ભયભીત અને ભ્રમિત થઈ જાય છે અને પછી સારવારનો ખર્ચ વધી જાય છે. એટલે અમે ઍનેસ્થેશિયા આપ્યા પહેલાં સાચી દવાને પસંદ કરવા માટે આ બૅકગ્રાઉન્ડ ચૅક કરીને સાવધાની રાખીએ છીએ.”

સ્કૉલિનનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

ડૉ. એમ મહેન્દ્રન

આજના આધુનિક ચિકિત્સા યુગમાં ‘રૉકુરોનિયમ’ અને ‘વેકુરોનિયમ’ જેવા સુરક્ષિત માંસપેશી શિથિલકો વ્યાપકપણે ઉપલબ્ધ છે. જોકે, ડૉ. એમ. મહેન્દ્રને જણાવ્યું હતું કે કેટલીક પરિસ્થિતિઓમાં સ્કૉલિન હજુ પણ જરૂરી છે અને તેનું મહત્ત્વ છે.

તેમણે કહ્યું, “ઑપરેશન દરમિયાન દર્દીની માંસપેશીઓ સંપૂર્ણપણે શિથિલ થઈ જાય છે અને શરીર હલનચલન બંધ કરી દે છે. આથી, દર્દીને દવા આપવામાં આવી છે.”

“સ્કૉલિન એ દર્દીઓ માટે વિશેષપણે ઉપયોગી નીવડે છે જેમને મોઢાંનું કૅન્સર હોય અને જેમણે કિમોથૅરેપી કરાવી હોય. જેમની મોઢાંની સર્જરી થઈ હોય છે તેમને જડબાની સંરચનાને કારણે શ્વાસનળીમાં નળી નાખવી મુશ્કેલ પડે છે.”

તેમણે આગળ કહ્યું કે, “હાલમાં સ્કૉલિનનો ઉપયોગ ઓછો થઈ ગયો છે અને ડૉક્ટરો વૈકલ્પિક દવાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે. પરંતુ કેટલીક ઇમરજન્સી પરિસ્થિતિઓમાં આ વૈકલ્પિક દવાઓ સ્કૉલિનની જેમ જલદી પ્રભાવી પરિણામો આપી શકતી નથી.”

અભ્યાસ શું કહે છે?

જર્નલ ઑફ ફાર્મસી પ્રૅક્ટિસ ઍન્ડ કૉમ્યુનિટી મેડિસિનમાં પ્રકાશિત ‘સ્યૂડોકૉલિનેસ્ટેરેઝ ડેફિસિઅન્સી ઇન એન ઇન્ડિયન કૉમ્યુનિટી ‘ શીર્ષક હેઠળનો 2017નો અભ્યાસ દર્શાવે છે કે આ ઉણપ ભારતના આર્ય વૈશ્ય સમુદાયમાં વધુ પ્રચલિત છે.

અભ્યાસ સૂચવે છે કે આર્ય વૈશ્ય સમુદાયમાં હોમોઝાયગસ મ્યુટેશનની ઘટનાઓ 2 થી 4 ટકાની વચ્ચે હોઈ શકે છે.

હોમોઝાયગસ મ્યુટેશનનો અર્થ એ છે કે માતા અને પિતા તરફથી ચોક્કસ જનીનની બંને નકલોમાં સમાન મ્યુટેશન હોય છે. આનો અર્થ એ છે કે જો માતા અને પિતા બંને એક જ ખામીયુક્ત જનીન બાળકને પસાર કરે છે, તો વ્યક્તિમાં હોમોઝાયગસ મ્યુટેશન હશે. પછી તે આનુવંશિક ખામી તરીકે થવાની શક્યતા વધારે છે.

હેટરોઝાયગસ મ્યુટેશનનો અર્થ એ છે કે એક જનીનમાં બે અલગ અલગ ફેરફારો થાય છે.

ડૉ. એમ. મહેન્દ્રને કહ્યું કે, “જે વ્યક્તિએ શસ્ત્રક્રિયા કરાવી હતી, તે નૌકાદળનો અધિકારી હતો, તેને કદાચ હેટરોઝાયગસ મ્યુટેશન હતું. તેથી, ગ્રંથિની ખામીની અસર તેનામાં સંપૂર્ણપણે પ્રગટ થઈ ન હોય, પરંતુ ફક્ત આંશિક રીતે જ થઈ હોય. તેથી, તેણે લગભગ છ કલાક પછી, થોડા સમય પછી, પોતાની મેળે શ્વાસ લેવાનું શરૂ કર્યું.”

જર્નલ ઑફ ફાર્માકૉલોજિકલ પ્રૅક્ટિસ ઍન્ડ કૉમ્યુનિટી મેડિસિનમાં પ્રકાશિત થયેલા 2017ના લેખમાં જાણવા મળ્યું છે કે કોયમ્બતુરમાં જેમના પર અભ્યાસ થયો તેવા 22 લોકોમાંથી નવ લોકોને સ્યૂડોકૉલિનેસ્ટેરેઝની ઉણપ હોવાનું નિદાન થયું હતું.

અભ્યાસમાં જણાવાયું છે કે સાયલન્ટ ફેનોટાઇપ (સ્યૂડોકૉલિનેસ્ટેરેઝની ગંભીર ઉણપ), જે અમેરિકન વસ્તીમાં ખૂબ જ દુર્લભ છે, તે વૈશ્ય સમુદાયની 24 માંથી એક વ્યક્તિમાં થઈ શકે છે.

આ અભ્યાસમાં, અગાઉના આનુવંશિક અભ્યાસોએ સૂચવ્યું છે કે પેઢીઓથી આંતરલગ્નોને કારણે વૈશ્ય સમુદાયમાં ચોક્કસ બીસીએચઈ જનીન પરિવર્તનો ચાલુ રહેવાની શક્યતા વધુ છે.

ડૉ. મહેન્દ્રન કહે છે. “જોકે, હાલમાં, આંતર-સમુદાય લગ્નો વધી રહ્યા છે. તેથી આ સ્યૂડોકૉલિનેસ્ટેરેઝની ઉણપનો વ્યાપ ધીમે ધીમે ઘટવા લાગ્યો છે,”

શું દુનિયાના બીજા લોકોમાં પણ આવી ઉણપ જોવા મળે છે?

આ ઉણપ ફક્ત તેલુગુભાષી આર્ય વૈશ્ય અથવા તામિલનાડુમાં જોવા મળતા કોમુતી ચેટ્ટી/વૈશ્ય ચેટ્ટી સમુદાય પૂરતું મર્યાદિત નથી. યુનાઇટેડ સ્ટેટ્સ નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના મેડલાઇનપ્લસ ડેટાબેઝ અનુસાર, આર્ય વૈશ્ય સમુદાયની જેમ, પર્શિયન યહૂદીઓ, અલાસ્કાના મૂળ નિવાસીઓના કેટલાક વર્ગો અને યુરોપિયન વંશના કેટલાક લોકોમાં પણ સ્યૂડોકૉલિનેસ્ટેરેઝની ઉણપ જોવા મળે છે.

તેને એક દુર્લભ આનુવંશિક સ્થિતિ માનવામાં આવે છે, જે વિશ્વભરમાં 3,200થી 5,000 વ્યક્તિએ લગભગ એક વ્યક્તિને અસર કરે છે.

આ ઍન્ઝાઇમની હાજરી એક સરળ રક્ત પરીક્ષણ દ્વારા શોધી શકાય છે. જોકે, આ પરીક્ષણ નિયમિતપણે શસ્ત્રક્રિયા પહેલાં દરેક વ્યક્તિ પર કરવામાં આવતું નથી. જો કોઈ પારિવારિક ઇતિહાસ અથવા તબીબી શંકા હોય તો જ તેની ભલામણ કરવામાં આવે છે.

ડૉ. મહેન્દ્રને જણાવ્યું કે, “જંતુનાશકોથી વિષાક્ત થયેલા દર્દીઓને સ્નાયુઓમાં લકવો થાય છે. કેટલાક ઍનેસ્થેટિક્સ સ્યૂડોકૉલિનેસ્ટેરેઝની ઉણપ ધરાવતા લોકોમાં સમાન લક્ષણો પેદા કરી શકે છે. તેથી, જંતુનાશકોથી વિષક્ત દર્દીઓની સારવાર કરતી વખતે, અમે વૈકલ્પિક દવાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે આ ઍન્ઝાઇમના સ્તરનું પણ પરીક્ષણ કરીએ છીએ. “

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS