Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
6 મિનિટ પહેલા
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈએ ઍક્સ પર પોસ્ટ કરી કે ‘ઈરાન ક્યારેય ઇઝરાયલ સાથે સુલેહ નહીં કરે.’
એક અન્ય પોસ્ટમાં લખ્યું કે ‘યુદ્ધ શરૂ થઈ ગયું છે.’
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, વર્તમાન સંઘર્ષ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા કરવાની ઇઝરાયલની યોજનાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નકારી કાઢી હોવાનું કહેવાય છે અને “આ વિચાર સારો ન હોવાનું” જણાવ્યું છે.
ઈરાને ઇઝરાયલ પરના તાજેતરના હુમલામાં તેની પરમાણુ ક્ષમતાનો ઉપયોગ કર્યો છે અને તે ઇઝરાયલના અસ્તિત્વ પર ખતરો હોવાથી તેનો નાશ કરવાના જાહેર ધ્યેય ઉપરાંત ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે ઇઝરાયલના હુમલાઓનું પરિણામ ઈરાનમાં શાસન પરિવર્તન હોઈ શકે છે.
તેમણે અગાઉ ઈરાની લોકોને સીધી અપીલ કરી હતી અને તેમના નેતાઓનો વિરોધ કરવાની વિનંતી કરી હતી.
આ તબક્કે સવાલ થાય કે ઈરાનના સર્વોચ્ચ નેતા કોણ છે? દેશમાં તેમની પાસે કેટલી શક્તિ છે અને દેશના રાજકારણમાં તેમનો પરિવાર શું ભૂમિકા ભજવે છે?
આયતુલ્લાહ અલી ખામેનેઈના પિતા શું કરતા હતા?
1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી આયતુલ્લાહ અલી ખામેનેઈ દેશના બીજા સર્વોચ્ચ નેતા છે. તેઓ 1989થી ટોચના પદ પર છે. યુવા ઈરાનીઓ તેમના વિનાના જીવનની કલ્પના કરી શકતા નથી.
તેમનું સ્થાન સ્પર્ધાત્મક શક્તિ કેન્દ્રોના જટિલ નેટવર્કની ટોચ પર છે. સરકારી નીતિના કોઈ પણ મુદ્દાને તેઓ વીટો કરી શકે છે અને સરકારી પદો માટેના ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
દેશના વડા અને ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) સહિતના લશ્કરના કમાન્ડર-ઇન-ચીફનું પદ તેમને સર્વશક્તિમાન બનાવે છે.
તેમનો જન્મ 1939માં ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો.
ધાર્મિક પરિવારનાં આઠ સંતાનોમાં તેમનો ક્રમ બીજો છે. તેમના પિતા ઈરાનમાંના પ્રબળ સંપ્રદાય ઇસ્લામની શિયા શાખાના મધ્યમ કક્ષાના મૌલવી હતા.
તેમના શિક્ષણમાં કુરાનના અભ્યાસનું પ્રભુત્વ હતું અને તેમણે 11 વર્ષની વય સુધીમાં જ મૌલવી બનવાની લાયકાત પ્રાપ્ત કરી લીધી હતી.
એ સમયના ઘણા ધાર્મિક નેતાઓની માફક તેમનું કાર્ય જેટલું આધ્યાત્મિક હતું તેટલું રાજકીય પણ હતું.
અસરકારક વક્તા ખામેનેઈ ઈરાનના શાહના ટીકાકારોની પંગતમાં ભળ્યા હતા. ઈરાનના શાહને ઇસ્લામિક ક્રાંતિ દ્વારા આખરે ઊથલાવી દેવામાં આવ્યા હતા.
તેઓ વર્ષો સુધી ભૂગર્ભમાં અથવા તો જેલમાં રહ્યા હતા. શાહની પોલીસે તેમની છ વખત ધરપકડ કરી હતી. તેમણે યાતના અને આંતરિક દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો.
બાગકામ, કવિતા અને ધૂમ્રપાન

ઇમેજ સ્રોત, Getty Images
1979ની ઇસ્લામિક ક્રાંતિના એક વર્ષ પછી આયતુલ્લાહ રુહોલ્લાહ ખામેનેઈએ તેમની નિમણૂક રાજધાની તહેરાનમાં શુક્રવારની નમાજના નેતા તરીકે કરી હતી.
ખામેનેઈ 1981માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને આયતુલ્લાહ ખામેનેઈ 86 વર્ષની વયે અવસાન પામ્યા પછી 1989માં ધાર્મિક વડાઓએ તેમને ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા.
અલી ખામેનેઈ ભાગ્યે જ વિદેશ જાય છે અને અહેવાલો મુજબ, તેઓ મધ્ય તહેરાનમાંના એક સ્થળે તેમનાં પત્ની સાથે સાદાઈભર્યું જીવન જીવે છે.
તેમને બાગકામ અને કવિતાનો શોખ હોવાનું કહેવાય છે. તેઓ યુવાનીમાં ધૂમ્રપાન પણ કરતા હતા, જે ઈરાનમાં ધાર્મિક વ્યક્તિ માટે અસામાન્ય બાબત છે.
1980ના દાયકામાં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ હુમલામાં તેમણે તેમનો જમણો હાથ ગુમાવ્યો હતો.
તેમને અને તેમનાં પત્ની મન્સૂરેહ ખોજેસ્તેહ બાકરઝાદેહને ચાર દીકરા અને બે દીકરી એમ છ સંતાનો છે.
ખામેનેઈ પરિવાર જાહેરમાં અથવા મીડિયામાં ભાગ્યે જ દેખાયા છે. તેમનાં સંતાનોના અંગત જીવન વિશેની સત્તાવાર તથા આધારભૂત માહિતી મર્યાદિત છે.
ખામેનેઈનાં સંતાનો કોણ છે?
તેમના ચાર પુત્રો પૈકીના બીજા પુત્ર મોજતબા તેમના પ્રભાવ અને તેમના પિતાનાં આંતરિક વર્તુળોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાને કારણે સૌથી વધારે જાણીતા છે.
મોજતબાએ તહેરાનની અલાવી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ઇસ્લામિક રિપબ્લિકના વરિષ્ઠ અધિકારીઓનાં સંતાનો પરંપરાગત રીતે અલાવી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં હોય છે.
મોજતબાનાં લગ્ન ગુલામ અલી હદ્દાદ અદેલનાં પુત્રી સાથે થયાં છે. તેઓ મૌલવી પણ બન્યા ન હતા અને કોમની મદરેસામાં અભ્યાસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે ગુલામ અલી હદ્દાદ અદેલ પ્રખ્યાત રૂઢિચુસ્ત વ્યક્તિ હતા.
તેમણે ઈરાનની સૌથી પ્રખ્યાત શિયા મદરેસા કોમ સેમિનરીમાં 30 વર્ષની વયે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો હતો.
બંને દીકરા યુદ્ધમોરચે સક્રિય રહ્યા

2000ના દાયકાની મધ્ય સુધીમાં રાજકીય ક્ષેત્રે મોજતબાનો પ્રભાવ વધુ સ્પષ્ટ થયો હતો. જોકે, મીડિયામાં આ હકીકત ભાગ્યે જ સ્વીકારવામાં આવી છે.
2004ની રાષ્ટ્રપતિપદની વિવાદાસ્પદ ચૂંટણી પછી મોજતબા ચર્ચામાં આવ્યા હતા. એ સમયે એક અગ્રણી ઉમેદવાર મહેદી કરૌબીએ તેમના પર મહમૂદ અહમદીનેજાદની તરફેણમાં પડદા પાછળથી દખલ કરવાનો જાહેર આક્ષેપ કર્યો હતો.
આયતુલ્લાહ ખામેનેઈને લખેલા એક ખુલ્લા પત્રમાં તેમણે એ આક્ષેપ કર્યો હતો.
2010ના દાયકાથી તેમને ઈરાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ પૈકીના એક વ્યાપકપણે ગણવામાં આવે છે. કથાઓ સૂચવે છે કે ખામેનીએ તેમના ઉત્તરાધિકારી તરીકે મોજતબાને પસંદ કર્યા છે. જોકે, કેટલાંક સત્તાવાર સૂત્રોએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે.
અલી ખામેનેઈ રાજા નથી અને તેમના પુત્રને રાજગાદી સોંપી શકે તેમ નથી. તેમ છતાં મોજતબા તેમના પિતાનાં કટ્ટરપંથી વર્તુળોમાં નોંધપાત્ર વગ ધરાવે છે. તેમાં બંધારણીય સંસ્થાઓથી પણ ઉપર ગણવામાં આવતા શક્તિશાળી સર્વોચ્ચ નેતાની ઑફિસનો પણ સમાવેશ થાય છે.
મુસ્તફા ખામેની પરિવારના સૌથી મોટા પુત્ર છે. તેમનાં પત્ની અઝીઝોલ્લાહ ખોશવઘટનાં પુત્રી છે. અઝીઝોલ્લાહ એક પરંપરાગત કટ્ટર રૂઢિચુસ્ત ધર્મગુરુ છે.
મુસ્તફા અને મોજતબા બંનેએ 1980ના દાયકના ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન યુદ્ધમોરચે સેવા આપી હતી.
અલી ખામેનેઈના ત્રીજા પુત્ર મસૂદનો જન્મ 1972માં થયો હતો. મસૂદનાં લગ્ન સુસાન ખરાઝી સાથે થયાં છે. સુસાન ખરાઝી કોમ સેમિનરીના રૂઢિચુસ્ત શિક્ષકોના સંગઠન સાથે સંકળાયેલા જાણીતા ધર્મગુરુ મોહમ્મદ ખરાઝીનાં પુત્રી અને સુધારાવાદી વલણ ધરાવતા ભૂતપૂર્વ રાજદ્વારી મોહમ્મદ સદેગ ખરાઝીનાં બહેન છે.
મસૂદ ખામેનેઈ રાજકીય વર્તુળોથી દૂર રહ્યા છે અને તેમના વિશે લોકો બહુ જ ઓછું જાણે છે.
તેઓ અગાઉ તેમના પિતાનું કામકાજ સંભાળતા કાર્યાલયનું વડપણ સંભાળતા હતા. આ કાર્યાલય આયાતુલ્લાહ ખામેનેઈની એક મુખ્ય પ્રચાર શાખા તરીકે પણ કામ કરે છે. મસૂદ ખામેનેઈએ તેમના પિતાના જીવનચરિત્ર અને સંસ્મરણોનું સંકલન પણ કર્યું છે.
સૌથી નાના પુત્ર મેયસમનો જન્મ 1977માં થયો હતો. મોટા ત્રણ ભાઈઓની માફક તેઓ પણ એક મૌલવી છે.
બે દીકરીઓ શું કરે છે?

ઇમેજ સ્રોત, AFP
મેયસમનાં પત્નીના નામનો ઉલ્લેખ મીડિયામાં મળતો નથી. મેયસમનાં પત્ની મહમૂદ લોલાચિયન નામના એક શ્રીમંત અને વગદાર વેપારીનાં દીકરી છે. મહમૂદ લોલાચિયન 1979ની ક્રાંતિ પહેલાં ક્રાંતિકારી મૌલવીઓને નાણાકીય પીઠબળ આપવા માટે જાણીતા છે.
મેયસમ તેમના ભાઈ મસૂદની સાથે તેમના પિતાનાં કાર્યોની જાળવણી અને પ્રકાશનના કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે.
બુશરા અને હોદા આ પરિવારનાં સૌથી નાના સભ્યો છે. બંનેનો જન્મ 1979ની ક્રાંતિ પછી થયો હતો.
બુશરાનો જન્મ 1980માં થયો હતો અને તેમનાં લગ્ન મોહમ્મદ જાવાદ મોહમ્મદી ગોલપેયગા સાથે થયાં છે. મોહમ્મદ જાવાદ મોહમ્મદી ગોલપેયગા ખામેનીની ઑફિસમાં ચીફ ઑફ સ્ટાફ ગુલામહુસેન મોહમ્મદી ગોલપેયગાના પુત્ર છે.
સૌથી નાનાં દીકરી હોદાનો જન્મ 1981માં થયો હતો. હોદાનાં લગ્ન મેસ્બાહ અલ-હોદા બાઘેરી કાની સાથે થયાં છે. મેસ્બાહે માર્કેટિંગનો અભ્યાસ કર્યો હતો અને ઈમામ સાદિક યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર હતા.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS