Home તાજા સમાચાર gujrati વૈભવ સૂર્યવંશી : આજે ઇંગ્લૅન્ડની સામે બીજી ટી20 મૅચમાં ‘Baby Boss’ને મળશે...

વૈભવ સૂર્યવંશી : આજે ઇંગ્લૅન્ડની સામે બીજી ટી20 મૅચમાં ‘Baby Boss’ને મળશે તક કે પછી હજુ જોવી પડશે રાહ?

5
0

Source : BBC NEWS

વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયા, vaibhav Sooryavanshi, બીબીસી ગુજરાતી, ભારત-ઇંગ્લૅન્ડ ટી 20 મૅચ, મૅન્ચેસ્ટર

ઇમેજ સ્રોત, Oli SCARFF / AFP via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયા માટે ક્યારે રમશે? ક્રિકેટ જગતમાં સૌ આ જ સવાલ પૂછી રહ્યા છે.

ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડ સામે ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને રમાડવા અંગે ચર્ચા ચાલી રહી છે, જેમાં કેટલાક પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોએ વૈભવ સૂર્યવંશીને ન રમાડવા માટે ટીમ ઇન્ડિયાના નેતૃત્વની ટીકા પણ કરી છે.

હવે ભારત અને ઇંગ્લૅન્ડની બીજી ટી20 મૅચ રવિવારે મૅન્ચેસ્ટરમાં રમાશે. સૌની નજર આ મૅચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવન પર છે. જોકે ટીમ ઇન્ડિયાના બૉલિંગ કોચ મોર્ને મોર્કેલે સંકેત આપ્યા છે કે વૈભવ સૂર્યવંશી આ ‘મૅચમાં પણ નહીં રમે’.

મોર્ને મોર્કેલે કહ્યું કે ટૉપ ઑર્ડર બૅટ્સમૅન (સંજુ સૅમસન, અભિષેક શર્મા અને ઇશાન કિશન)માંથી કોઈને પણ ડ્રૉપ નહીં કરવામાં આવે. તેમણે કહ્યું કે જે ખેલાડીઓ છેલ્લા કેટલાક મહિનાથી ટીમ માટે સારું કરી રહ્યા છે, તેમની પર ભરોસો રાખવો ખૂબ જરૂરી છે.

મોર્ને મોર્કેલે કહ્યું કે , “સંજુ સૅમસન ટીમ20 વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા. તેમના માટે આઈપીએલની આ સિઝન પણ સારી રહી. કોચિંગ સ્ટાફની નજરે જોઈએ તો પોતાના ખેલાડીઓ પર ભરોસો રાખવો ખૂબ જરૂરી છે. એક યુવાન ખેલાડી અવસરની રાહ જોઈ રહ્યો છે અને ખૂબ રસપ્રદ છે પરંતુ અમારે માત્ર ટૉપ ઑર્ડર નહીં પૂરી ટીમ વિશે વિચારવું પડશે. “

મોર્ને મોર્કેલે જણાવ્યું કે તેમણે વૈભવને નેટ્સમાં અભ્યાસ કરાવ્યો છે, જ્યાર બાદ તેઓ 15 વર્ષીય ખેલાડીથી ઘણા પ્રભાવિત થયા છે. વૈભવે અન્ય ખેલાડીઓ સાથે સારી રીતે તાલમેળ બેસાડી લીધો છે અને જ્યારે તેમને આ મોકો મળશે તો આશા રહેશે કે તેઓ શાનદાર પ્રદર્શન કરી શકશે.

ટી20 સિરીઝની વાત કરો તો પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ. હવે બીજી મૅચ ચાર જુલાઈના મૅન્ચેસ્ટરમાં રમાશે. આ ટી20 સિરીઝમાં કુલ પાંચ મૅચ રમાશે.

આ મૅચ પહેલાં વૈભવ સૂર્યવંશીની એક પોસ્ટે હલચલ મચાવી દીધી છે.

એક તરફ ભારતીય ક્રિકેટ જગતમાં આજકલ માત્ર એક જ નામ છવાયેલું છે- વૈભવ સૂર્યવંશી. ત્યારે સવાલ એ છે કે શું આજે વૈભવને મૅચ રમવાની તક મળશે, શું તેનું આજે ડૅબ્યૂ થશે?

આ મૅચ પહેલાં વૈભવની સોશિયલ મીડિયામાં એક પોસ્ટને કારણે ચર્ચા છેડાઈ છે કે શું આજે વૈભવનો ડૅબ્યૂ થશે કે નહીં?

વૈભવે માત્ર બે શબ્દો એક ફોટોગ્રાફ સાથે પોસ્ટ કર્યા છે, જેમાં તેમણે લખ્યું છે, ‘New Chapter’. જોકે, આ પોસ્ટ દ્વારા કોઈ અણસાર નથી મળી રહ્યા કે તે ખરેખર કયું નવું ચૅપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. તેથી આ રહસ્યમય પોસ્ટ વિશે સ્પષ્ટતા મેળવવા ટૉસ થવા સુધી રાહ જોવી પડશે કારણકે ટૉસ વેળાએ જ ટીમ ઇલેવનની જાહેરાત થશે.

‘વૈભવ સૂર્યવંશીને આયર્લૅન્ડ સામે મોકો મળવો જોઈતો હતો’- એ. બી. ડિવિલિયર્સ

AB de Villiers, એ બી ડિવિલિયર્સે વૈભવ સૂર્યવંશી, બીબીસી ગુજરાતી, ભારત-ઇંગ્લૅન્ડ ટી20 મૅચ

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

વૈભવ સૂર્યવંશીને હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઇન્ડિયામાં ડૅબ્યૂનો મોકો ન મળવા પર સતત ટીમ મૅનેજમેન્ટની ટીકા થઈ રહી છે. તેમાં હવે દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ કૅપ્ટન એ. બી. ડિવિલિયર્સ પણ જોડાઈ ગયા છે.

ત્યારે પૂર્વ ક્રિકેટર એ બી ડિવિલિયર્સે પોતાની યુટ્યૂબ ચૅનલ પર વૈભવ સૂર્યવંશીએ કહ્યું, “તેઓ ક્યારે રમશે? હું માનું છું કે આયર્લૅન્ડ સિરીઝ વૈભવ સૂર્યવંશી માટે એક પર્ફેક્ટ અવસર હતો જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ લઈ શક્યા હોત.”

“દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમને મોકો મળ્યો જ નહીં. હું (ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ) રાયન ટેન ડોસચઍટની એ વાતથી અલગ મત ધરાવું છું જેમાં તેમણે કહ્યું કે સૂર્યવંશીને અન્ય ખેલાડીઓની જેમ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.”

“આઈપીએલમાં જેમ તેઓ રમ્યા છે, તે જોતાં આ જ સમય હતો કે તેમને મેદાનમાં ઉતારવા જોઈતા હતા ખાસ કરીને આયર્લૅન્ડ જેવી લો રૅન્કિંગ ટીમ સામે, જેથી તેમને થોડો અનુભવ મળ્યો હતો. “

કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોસચએટે કહ્યું કે,”તેઓ (વૈભવ સૂર્યવંશી) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે બિલ્કુલ તૈયાર છે; તેમાં કોઈ શંકા નથી. પરંતુ, સંજુ સૅમસન એ ખેલાડી છે જેમણે ત્રણ મહિના પહેલાં વર્લ્ડકપ જિતાડવામાં મોટો ફાળો આપ્યો હતો.”

ભારતીય ટીમ આયર્લૅન્ડ સામે ટી20 સિરીઝમાં 2-0થી હારી ગઈ હતી. ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટી20 મૅચ ધોવાઈ ગઈ હતી.

એ. બી. ડિવિલિયર્સે કહ્યું કે, “ટીમ ઇન્ડિયાએ થોડું કામ કરવાનું છે. તેમણે યુકેમાં રમવા માટેની રીત નક્કી કરવાની જરૂરી છે.”

તેમણે કહ્યું કે યુકેમાં રમવું સરળ નથી, “ત્યાં આઈપીએલમાં જેટલો સ્કોર બને છે તેવી પરિસ્થિતિ નથી. ત્યાં તમે 250 અને 260 જેટલા રન નથી બનાવી શકતા.”

એબી ડિવિલિયર્સે કહ્યું કે, “ત્યાં 140 અથવા 160 જેટલા રન બને છે અને ત્યાં સ્ટ્રૅટેજી અને યુક્તિની જરૂર છે.”

વૈભવ સૂર્યવંશીને ટીમમાં ન લેવા માટે ટીમ મૅનેજમેન્ટની ટીકા થઈ

ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને આયર્લૅન્ડ સામે ન રમાડવા માટે પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો ટીમ મૅનેજમેન્ટની ટીકા કરી ચૂક્યા છે.

સુનિલ ગાવસ્કર, રવિ શાસ્ત્રીથી લઈને મોહમ્મદ કૈફ જેવા અનુભવી ખેલાડીઓએ વૈભવ સૂર્યવંશીને ટીમમાં ન રમાડવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું આયર્લૅન્ડ સામે વૈભવ સૂર્યવંશીને મળવો જોઈતો હતો, તેમણે કહ્યું હતું કે તેમને સૂર્યવંશીને જલદીમાં જલતી ટીમમાં સામેલ કરી લેવા જોઈએ.

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “તેણે આઈપીએલમાં સૌની પિટાઈ કરી છે. કયા ફાસ્ટ બૉલરને છોડ્યો છે? અને તેમ અહીં તેને બેન્ચ પર બેસાડો છો.”

તેમણે કહ્યું હતું કે, “તે માત્ર 15 વર્ષનો છે. તેને કોઈ ડર નથી. જો તે 2-3 ઓવર પણ જતો રહ્યો તો એવી શરૂઆત આપે છે કે મિડલ ઑર્ડર તેની શરૂઆતનો લાભ લઈ શકે. તેના માટે જગ્યા બનાવવી જ પડશે.”

ત્યારે ઇંગ્લૅન્ડના હાલના કૅપ્ટન હૅરી બ્રુક પણ વૈભવથી ઘણા પ્રભાવિત દેખાયા.

મૅચ પહેલાં તેમણે કહ્યું કે, “તેઓ જબરદસ્ત પ્લેયર છે. 15 વર્ષની ઉંમરમાં તેમણે જે કર્યું તે કમાલ છે. અમે તેમની સામે રમવા માટે ઉત્સુક છીએ. જો તેઓ રમશે તો અમારી પાસે યોજના છે. અમારે પડદા પાછળ કામ કરતા રહેવું પડશે જેથી અમને જીતવાનો મોકો મળે.”

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ઇંગ્લૅન્ડ સામે પહેલી ટી-20 મૅચ પહેલાં એક પૉડકાસ્ટમાં કહ્યું હતું, “આપણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ચયનકર્તાઓની પૂછવું જોઈએ કે એ બાળકને આયર્લૅન્ડ સામે કેમ ન રમાડવામાં આવ્યો?”

તેેમની સાથે બેઠા ઇંગ્લૅન્ડના પૂર્વ ક્રિકેટર એલિસ્ટર કુકે કહ્યું કે, “હું તો કાલે એક ફૅન તરીકે તેની રમત જોવા જઈશ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS