Source : BBC NEWS

વિમાન દુર્ઘટનાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, લક્ષ્મી પટેલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,
  • 17 જૂન 2025, 18:06 IST

    અપડેટેડ એક મિનિટ પહેલા

અમદાવાદમાં 12 જૂને ઍર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું બૉઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રૅશ થઈ ગયું હતું.

વિમાનમાં 230 મુસાફરોએ 12 ક્રૂ મેમ્બર સાથે ઉડાન ભરી હતી. જોકે થોડી સેકન્ડોમાં જ વિમાન રનવેથી અંદાજે બે કિમી દૂર બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકો પૈકી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત હૉસ્ટેલની મેસમાં જમી રહેલા, ત્યાં કામ કરતા અને નજીકમાં રહેતા કેટલાક લોકોનાં પણ મોત થયાં હતાં.

બીજે મેડિકલ કૉલેજનાં ડીન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ દુર્ઘટનમાં ચાર એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બે અને બીજા વર્ષમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. તેમજ બે વિદ્યાર્થીઓ લાપતા છે. 13 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી.

જે વિદ્યાર્થીઓ જમીને નીકળી રહ્યા હતા કે જમવા ગયા ન હતા તેવા વિદ્યાર્થીઓએ બચી ગયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જોકે તેમના મિત્રો કે સાથીઓનાં મૃત્યુ પર તેમણે ખૂબ જ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ દુર્ઘટનામાં મુસાફરો અને હૉસ્ટેલના ડૉક્ટરો સિવાય અન્ય કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

જ્યાં વિમાન પડ્યું હતું તે હૉસ્ટેલ તેમજ તેની પાછળ આવેલી એમબીબીએસની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે બીબીસી ગુજરાતીની ટીમે સંપર્ક કર્યો હતો. આ વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે વાત કરી હતી.

તેમનું કહેવું હતું કે તેમને કોઈ સાથે વાત કરવા અંગે ઑથોરિટી દ્વારા મનાઈ કરવામાં આવી છે. આ અંગે મૅડિકલ કૉલેજનાં ડીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વાત કરવાની મનાઈ નથી. માત્ર આંકડાઓ અંગે વાત કરવાની ના પાડવામાં આવી છે.

પ્રથમ વર્ષ અને બીજા વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીઓ મેસમાં વધારે હતા

વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તે  મેડિકલ હૉસ્ટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થઈને પડ્યાં ત્યાં કૅન્ટીનમાં ઓછામાં ઓછા 35 લોકો હોવાની માહિતી સામે આવી છે. કેટલાકે ભોજન લઈ લીધું હતું અને તેઓ આરામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય પોતાનો જમવાનો વારો આવવાની રાહ જોતા કતારમાં ઊભા હતા.

જે હૉસ્ટેલ પર વિમાન પડ્યું હતું તે હૉસ્ટેલ એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જમવાની મેસ છે.

આ મેસની જગ્યા નાની છે જેથી આ મેસમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના તેમના ભણવાના વર્ષ મુજબ સમય નક્કી કરવામાં આવ્યો છે.

એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપેલી માહિતી અનુસાર કૅન્ટીનમાં જમવા સૌપ્રથમ ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ આવે છે. ત્યાર બાદ ક્રમશઃ ત્રીજા વર્ષ ફાઇનલ, ત્રીજા વર્ષ, બીજા વર્ષના અને ત્યાર બાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જમવા માટે આવે છે. જે સમયે વિમાન દુર્ઘટના ઘટી હતી તે સમયે એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જમવાનો સમય પૂરો થવામાં હતો અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જમવાનો સમય શરૂ થઈ રહ્યો હતો.

નોંધનીય છે કે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ચાર વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થી પ્રથમ વર્ષ એમબીબીએસ અને બે વિદ્યાર્થીઓ બીજા વર્ષ એમબીબીએસના અભ્યાસ કરતા હતા. તેમજ ઈજા પામાનાર વિદ્યાર્થીઓમાં પણ પ્રથમ વર્ષ અને બીજા વર્ષ એમબીબીએસના વિદ્યાર્થી વધારે છે.

મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. મીનાક્ષી પરીખે આપેલી માહિતી મુજબ “ફર્સ્ટ યરમાં બે વિદ્યાર્થીનાં મોત થયાં છે, ત્રણ ગંભીર છે અને 11ને સામાન્ય ઈજા થઈ છે. એમબીબીસીએના બીજા વર્ષના 249 વિદ્યાર્થીઓમાંથી બેનાં મૃત્યુ થયાં છે અને બે ગંભીર રીતે ઘાયલ છે તથા ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. તેમજ ત્રીજા વર્ષ ફાઇનલના બે વિદ્યાર્થીઓનો સંપર્ક થઈ શક્યો નથી.”

‘અમે બચી ગયા ગયાની ખુશી પણ અમારા સાથીઓને ગુમાવ્યાનું દુઃખ’

વિમાન જે હૉસ્ટેલ પર ક્રેશ થયુ તે હૉસ્ટેલ મેસમાં  એમબીબીએસના વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

એમબીબીએસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “વિમાન દુર્ઘટના થઈ તે જગ્યા અમારી જમવાની મેસ છે. અમારા રહેવાની હૉસ્ટેલ તેની પાછળની જગ્યા પર છે અમારી હૉસ્ટેલને કંઈ નુકસાન થયું નથી.”

“હું મેસમાં જમીને અમારી હૉસ્ટેલના દરવાજા સુધી પહોંચ્યો હતો ત્યારે જ મેં ધડાકો સાંભળ્યો. જોકે શરૂઆતમાં તો કંઈ જ દેખાતું ન હતું. મને સમજાયું જ નહીં કે શું થયું.કાનમાં ધાક પડી જાય તેવા ધડાકાનો અવાજ આવ્યો હતો.”

એમબીબીએસના વિદ્યાર્થીઓએ જમવાની મેસમાં વિદ્યાર્થીઓના ગ્રૂપ બનાવ્યાં છે. જેમાં દરેક ગ્રૂપના એક રસોઈયા હોય છે જેથી વિદ્યાર્થીઓનો સમય ન બગડે અને દરેક સમયસર સારી રીતે જમી શકે.

અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, “12 તારીખે અમારા ગ્રૂપનું જમવાનું બનાવનાર માસી ગેરહાજર હતાં એટલે અમે મેસમાં જમવા ગયા હતા. હું મારી પરિશ્રમ હૉસ્ટેલ ખાતે મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક એક ધડાકો સંભળાયો અને સાથે બધું ધ્રૂજવા પણ લાગ્યું. અમે સમજી ન શક્યા કે શું થયું.”

“મેં ઊભા થઈને જોયું તો મારા રૂમની બારીમાંથી ધુમાડાના ગોટેગોટા જોયા. હું તરત જ નીચેની તરફ દોડ્યો. મારા અન્ય મિત્રો અને અમે બધાં ગાદલાં અને ફાયર ઍક્સ્ટિન્ગ્વિશર લઈને દોડ્યા હતા.”

વિદ્યાર્થીએ જણાવ્યું કે, “શરૂઆતમાં અમે અમારા મિત્રોને બાઇક અને ઍક્ટિવા પર લઈને દોડ્યા હતા. પોલીસની વૅન સૌથી પહેલી ઘટનાસ્થળ પર પહોંચી હતી. કેટલાક ઘાયલોને પોલીસ વૅનમાં પણ હૉસ્પિટલ લઈને ગયા હતા. આસપાસના કેટલાક લોકોએ અમને ખૂબ જ મદદ કરી હતી. જોકે અમે લોકો અને આસપાસના લોકો મદદ માટે દોડધામ કરતા હતા ત્યારે કેટલાક લોકો વીડિયો બનાવતા હતા અને ભીડ કરતા હતા.”

એક વિદ્યાર્થીએ વાત કરતાં થોડો લાગણીસભર થઈને કહ્યું કે, “અમે બચી ગયા એની ખુશી તો છે પરંતુ અમારા સાથીઓ ગુમાવ્યાનું ખૂબ જ દુઃખ છે. જે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. “

સોમવારથી શરૂ થતી વિદ્યાર્થીઓની પરીક્ષા હાલ મોકૂફ

દુર્ઘટના બાદ હૉસ્ટેલમાં રહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અન્ય હૉસ્ટેલમાં ખસેડવામાં આવ્યા હતા. એમબીબીએસના વિદ્યાર્થીઓની હૉસ્ટેલને નુકસાન થયું નથી. તેમની જમવાની મેસને નુકસાન થયું છે.

બીજે મેડિકલ કૉલેજનાં ડીન ડૉ.મીનાક્ષી પરીખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જમવાની મેસ તૂટી ગઈ છે. જેથી એમબીબીએસના વિદ્યાર્થીઓની જમવાની વ્યવસ્થા કૉલેજ તરફથી કરવામાં આવશે.”

ડૉ.મીનાક્ષી પરીખે વધુમાં જણાવ્યું કે, “દુર્ઘટના બાદ એમબીબીએસમાં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓને ઘરે જવું હતું તેમને ઘરે જવા દેવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ ઘરે ગયા હતા તે પરત આવવા લાગ્યા છે. સોમવારથી વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષા શરૂ થવાની હતી. જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS