Source : BBC NEWS

બીબીસી ગુજરાતી જમ્મુ કાશ્મીર પહલગામ ભારત પાકિસ્તાન મૉક ડ્રિલ સિંધુ જળસંધિ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ

ઇમેજ સ્રોત, ani

6 મે 2025, 12:02 IST

અપડેટેડ 9 મિનિટ પહેલા

ભારત સરકારના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાતમી મેએ મૉક ડ્રિલ કરવાના નિર્દેશ આપ્યા છે. પહલગામમાં થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતા તણાવ વચ્ચે આ મહત્ત્વનું પગલું ગણાય છે.

બીબીસી પાસે ગૃહ મંત્રાલયે જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ ઍન્ડ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડાયરેક્ટોરેટ જનરલને પાંચમી મેએ મોકલાયેલા નિર્દેશની નકલ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને આ નિર્દેશ મોકલવામાં આવ્યા છે.

તેમાં સરકારે દેશભરમાં 244 લિસ્ટેડ સિવિલ ડિફેન્સ જિલ્લામાં સિવિલ ડિફેન્સના અભ્યાસ અને રિહર્સલ માટે નિર્દેશ આપ્યા છે.

સિવિલ ડિફેન્સના કાયદા પ્રમાણે ગૃહ મંત્રાલય પાસે રાજ્યોને ચોક્કસ પ્રકારની મૉક ડ્રિલ માટે નિર્દેશ આપવાના અધિકાર હોય છે.

મૉક ડ્રિલમાં શું શું કરવામાં આવશે?

બીબીસી ગુજરાતી જમ્મુ કાશ્મીર પહલગામ ભારત પાકિસ્તાન મૉક ડ્રિલ સિંધુ જળસંધિ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ

ઇમેજ સ્રોત, ani

સામાન્ય રીતે મૉક ડ્રિલમાં એ જોવામાં આવે છે કે ઇમરજન્સીની સ્થિતિમાં લોકો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. તેના માટે ચુનંદા લોકો અને વૉલન્ટિયર્સને તાલીમ અપાય છે.

સામાન્ય રીતે કોઈ પણ હુમલો, દુર્ઘટના અથવા આગજની જેવી ઇમરજન્સીની સ્થિતિ માટે કેવી તૈયારી છે તે જાણવા માટે મૉક ડ્રિલ કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલયના પત્ર પ્રમાણે 7 મેની મૉક ડ્રિલ શહેરથી લઈને ગ્રામીણ સ્તરે હશે.

આ મૉક ડ્રિલમાં અનેક પ્રકારના અભ્યાસ કરાવવામાં આવશે. તેમાં હવાઈ હુમલાની ચેતવણી કેટલી સાચી છે તે જાણવું, કન્ટ્રોલ રૂમના કામકાજને જોવું, સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને હુમલા દરમિયાન કામની તાલીમ આપવી વગેરે સામેલ છે.

આ દરમિયાન લોકોને કેટલાક સમય માટે ઘર અથવા સંસ્થાની તમામ લાઇટ સંપૂર્ણ બંધ રાખવાના નિર્દેશ આપી શકાય છે.

આ મૉક ડ્રિલમાં એ પણ જોવામાં આવે છે કે લાઇટ સાવ બંધ થઈ જાય તો તેવી સ્થિતિમાં શું કરી શકાય છે.

આ ઉપરાંત ઇમરજન્સીની સ્થિતિમાં સિવિલ ડિફેન્સની પ્રતિક્રિયા, કોઈ ખાસ જગ્યાએથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની તાલીમ વગેરે સામેલ હોય છે.

આ નિર્દેશ પ્રમાણે મૉક ડ્રિલમાં ડિસ્ટ્રિક્ટ કન્ટ્રોલર, જિલ્લાના જુદા-જુદા અધિકારી, સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, હોમગાર્ડ, એનસીસી, રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)ના વૉલન્ટિયર્સ, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓની ભાગીદારીની આશા વ્યક્ત કરવામાં આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ

બીબીસી ગુજરાતી જમ્મુ કાશ્મીર પહલગામ ભારત પાકિસ્તાન મૉક ડ્રિલ સિંધુ જળસંધિ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

પહલગામ હુમલામાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન બંને દેશના નેતાઓ સતત નિવેદન આપી રહ્યા છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવાર સાંજે કહ્યું કે તેઓ સેનાની સાથે મળીને દેશ પર આંખ ઉઠાવનારા લોકોને જડબાતોડ જવાબ આપે તે જોવું તેમની જવાબદારી છે.

તેમની સાથે રક્ષામંત્રીએ કોઈ પણ સંકેત આપ્યા વગર એક કાર્યક્રમમાં દર્શકોને જણાવ્યું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે જે ઇચ્છો છો, એવું થશે.”

દિલ્હીમાં રવિવારે સાંજે સનાતન સંસ્કૃતિ જાગરણ મહોત્સવ દરમિયાન રાજનાથસિંહે ભાષણ આપ્યું હતું. તેમાં તેમણે પાકિસ્તાન કે પહલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યા વગર ઈશારામાં જ વાત કરી હતી.

પાકિસ્તાનના રક્ષામંત્રી સહિત ઘણા નેતાઓ ભારત તરફથી સૈન્યકાર્યવાહીની આશંકા વ્યક્ત કરે છે. ભારતમાં પણ ઘણાં એવાં નિવેદન આવ્યાં છે જેમાં પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.

ગયા અઠવાડિયે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક ખાનગી સમાચાર ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, “ભારત પાકિસ્તાનને મળતું પાણી અટકાવે અથવા તેની દિશા બદલવા માટે કોઈ માળખું બનાવશે તો તેને નષ્ટ કરવામાં આવશે.”

આ ઉપરાંત પાકિસ્તાને પણ કાશ્મીરમાં એલઓસી નજીકના વિસ્તારમાં ઘણી મદરેસાઓ ખાલી કરાવી છે.

અત્યાર સુધીમાં ભારતે કેવાં પગલાં લીધાં?

બીબીસી ગુજરાતી જમ્મુ કાશ્મીર પહલગામ ભારત પાકિસ્તાન મૉક ડ્રિલ સિંધુ જળસંધિ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ

ઇમેજ સ્રોત, ani

પહલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.

પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા નિર્ણયો લીધા છે. સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી છે તથા ભારતે પાકિસ્તાનમાંથી સામાનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

ડાયરેક્ટરેટ જનરલ ઑફ શિપિંગે આદેશ આપ્યો છે કે પાકિસ્તાનનાં જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશ નહીં મળે.

ડાયરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ બીજી મેએ એક નોટિફિકેશનમાં જણાવ્યું કે, “પાકિસ્તાનથી તમામ પ્રકારના પ્રત્યક્ષ, પરોક્ષ આયાત પર આગામી આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”

પાકિસ્તાને પણ ભારત સામે કેટલાંક પગલાં જાહેર કર્યાં છે. જેમ કે, પાકિસ્તાને ભારતની તમામ ઍરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે.

આ ઉપરાંત વાઘા સરહદને પણ બંધ કરવામાં આવી છે.

પાકિસ્તાને શીખ યાત્રાળુઓને બાદ કરીને સાર્ક વિઝામુક્તિ કાર્યક્રમ હેઠળ તમામ ભારતીય નાગરિકોને અપાયેલા બધા વિઝા રદ કરી દીધા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS