Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
19 મિનિટ પહેલા
ભારતમાં જાતિ આધારિત વસ્તીગણતરીની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. વિરોધ પક્ષ લાંબા સમયથી તેની માંગણી કરી રહ્યો હતો.
જાતિ આધારિત વસ્તીગણતરી શું છે? તે રાબેતા મુજબની વસ્તીગણતરીથી કેવી રીતે અલગ છે? જાતિ આધારિત વસ્તીગણતરી કરવાથી શું પ્રાપ્ત થશે? સૌથી અગત્યનું એ કે અનામતની 50 ટકાની મર્યાદામાં વધારો કરી શકાશે? આ સવાલોના જવાબો આપણે આ લેખમાં મેળવીશું.
વસ્તીગણતરીનો મૂળ અર્થ દેશમાં વસતા લોકોની સંખ્યાની ગણતરી એવો થાય છે. અંગ્રેજીમાં તેને સેન્સસ (Census) કહેવામાં આવે છે, જ્યારે જાતિ આધારિત વસ્તીગણતરી એટલે Caste Census. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં માત્ર જનસંખ્યાની જ નહીં, પરંતુ અન્ય બાબતોને ગણતરી પણ કરવામાં આવે છે.
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન વાઇસરોય લૉર્ડ મેયોએ 1871માં વસ્તીગણતરીની શરૂઆત કરાવી હતી. એ પછી 1931 સુધી અંગ્રેજો વસ્તીગણતરી કરતા હતા ત્યારે પણ તેમાં જાતિઓ વિશેની માહિતી નોંધવામાં આવતી હતી.

સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તીગણતરી 1951માં હાથ ધરવામાં આવી હતી. એ સમયે સામાજિક વિભાજન તથા ભેદભાવમાં વધારો ટાળવા માટે જાતિની વિગતો એકઠી કરવામાં આવી ન હતી.
માત્ર અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને ઓપન કૅટેગરી મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
ભારત સરકારે ત્યારથી જ જાતિ આધારિત વસ્તીગણતરી બંધ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે “કાયદા મુજબ જાતિવાર વસ્તીગણતરી કરી શકાય નહીં, કારણ કે બંધારણ લોકસંખ્યાને માન્યતા આપે છે, જાતિ કે ધર્મને નહીં.”
વસ્તીગણતરીના પ્રક્રિયા કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના દેશના રજિસ્ટ્રાર જનરલ ઍન્ડ સેન્સસ કમિશનર હાથ ધરે છે.

ઇમેજ સ્રોત, ANI
દેશમાં સામાન્ય રીતે દર દસ વર્ષે આવી વસ્તીગણતરી કરવામાં આવે છે, પરંતુ 2011થી તે કરવામાં આવી નથી. 2011ની વસ્તી ગણતરી કોવિડ રોગચાળાને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
સામાજિક, આર્થિક અને જાતિગત વસ્તીગણતરી 2011માં હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમાં મળેલી માહિતી જાહેર કરવામાં આવી નથી.
2015મા જાતિવાર વસ્તીગણતરી કરવામાં આવી હતી, પરંતુ તેના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે વસ્તીગણતરીની તે પ્રક્રિયામાં ખામીઓ હતી અને ડેટા ખોટો હતો. તેથી તે નકામો હતો.

વસ્તીગણતરી દરમિયાન દરેક નાગરિકની વય, લિંગ, શિક્ષણ, ધર્મ, ભાષા, એસસી/ એસટી અને વ્યવસાય વિશેની માહિતી નોંધવામાં આવે છે.
જાતિવાર વસ્તીગણતરીમાં આ માહિતી ઉપરાંત સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગો (SEBC), અન્ય પછાત વર્ગો (OBC) અને અન્ય જાતિઓના આંકડા પણ નોંધવાના રહેશે.
જાતિવાર વસ્તીગણતરીમાં કઈ વિગત એકત્રિત કરવામાં આવશે અને તેને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવશે, તેની સ્પષ્ટ વિગત તાજેતરની જાહેરાતમાં કરવામાં આવી નથી.
સવાલ એ છે કે આ જાતિવાર વસ્તીગણતરીમાં શું થશે? આપણે અત્યારે એ નથી જાણતા કે ભારતમાં કઈ જાતિના લોકોની કેટલી વસ્તી છે.
હાલ રજૂ કરવામાં આવી રહેલો ‘અંદાજ’ 1931ની જાતિવાર વસ્તીગણતરી અને 2011ની વસ્તીગણતરીને ડેટા પર આધારિત છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેથી જાતિવાર વસ્તીગણતરીથી આપણને વિવિધ જાતિઓની વસ્તી અને તેમની શૈક્ષણિક-સામાજિક-આર્થિક સ્થિતિની સમજ પ્રાપ્ત થશે. આવા ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં ઘણા નીતિગત નિર્ણયો લેવા માટે કરી શકાશે.
હાલ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ છે. તેનું વર્ગીકરણ ક્વોટા અને સબ-ક્વોટા સ્વરૂપે છે.
જાતિવાર વસ્તીગણતરીના આંકડાના આધારે કઈ જાતિની વસ્તી કેટલી છે તે મુજબ પેટા-વર્ગીકરણ કરવામાં આવશે. આર્થિક માપદંડોના આધારે કઈ જાતિઓને અનામત આપવી જોઈએ તે પણ નક્કી કરી શકાશે.
કઈ જાતિ અને જનજાતિને કેટલી અનામત મળવી જોઈએ, એ બાબતે હાલ સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે.
આમાં મહત્ત્વનો એક મુદ્દો સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મહત્તમ અનામતની 50 ટકાની મર્યાદા છે. સુપ્રીમ કોર્ટે ઇન્દ્રા સહાની કેસમાં 50 ટકા મહત્તમ અનામતની મર્યાદા નક્કી કરી હતી.

જાતિવાર વસ્તીગણતરીના ચોક્કસ આંકડા બહાર આવ્યા પછી 50 ટકા મહત્તમ અનામતની મર્યાદામાં વધારો કરી શકાશે?
આ બાબતે બીબીસી સાથે વાત કરતાં પ્રોફેસર સુખદેવ થોરાટે કહ્યું હતું, “આ નિર્ણય ન્યાયાલયને આધીન હોય એવું મને લાગે છે. તમે દરેકને સમાન ભાગીદારી આપવા ઇચ્છતા હો, તમે અનામતને એક માધ્યમ માનતા હો, તમામ જાતિઓને, મહિલાઓને તેમનો યોગ્ય હિસ્સો આપવા ઇચ્છતા હો તો તમે મર્યાદા કેવી રીતે લાદી શકો?”
“આ મેરિટનો મુદ્દો છે. બંધારણમાં લખ્યું છે કે ‘Reservation is subject to merit’ (અનામત યોગ્યતાને આધિન છે) દરેકને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ.”
“તેથી 50 ટકાની મર્યાદા કેવી રીતે હોઈ શકે? ફક્ત ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યા જ 60-65 ટકાથી વધારે છે. એટલે એ મર્યાદા દૂર કરવી પડશે.”

ઇમેજ સ્રોત, Getty Images
જાતિગત વસ્તીગણતરીથી રાજકીય ગણિત પણ બદલાશે. એ ઉપરાંત તે ડેટા લોકસભા મતવિસ્તારોની પુનર્રચના માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
કોઈ એક પ્રદેશની લોકસંખ્યામાં ફેરફાર જોવા મળશે તો કઈ બેઠકો અનામત રાખવી કે ઓપન રાખવી તેનો નિર્ણય પણ લઈ શકાશે.
મહારાષ્ટ્રના નાંદેડની સ્વામી રામાનંદ તીર્થ યુનિવર્સિટીના પ્રોફેસર દિલીપ ચવ્હાણે કહ્યું હતું, “આપણે આપણા દેશમાંથી પછાતપણું દૂર કરવા માંગતા હોઈએ તો તેની ગણતરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”
“અન્ય પછાત વર્ગોના કિસ્સામાં આ સ્પષ્ટ છે અને બિહારના આંકડા પણ દર્શાવે છે કે અન્ય પછાત વર્ગોના લોકોની સંખ્યા આપણા અંદાજ કરતાં વધારે છે.”
પ્રોફેસર ચવ્હાણે ઉમેર્યું હતું, “આપણે અનામત વિશેની નીતિ ઘડવાની છે તે જાતિવાર વસ્તીગણતરીના ડેટા પરથી નક્કી કરી શકાશે. સૅમ્પલ સર્વેમાં આ સ્પષ્ટ ન હતું, પરંતુ જાતિવાર વસ્તીગણતરીથી તે સ્પષ્ટ થશે.”

ઇમેજ સ્રોત, Getty Images
“અનુસૂચિત જાતિ અને જનજાતિના પુનઃવર્ગીકરણની સમસ્યાનું નિવારણ પણ આ ડેટા વડે કરી શકાશે. આર્થિક માપદંડો પર આધારિત અનામતનો મુદ્દો પણ ઉકેલી શકાશે. તેવી જ રીતે, સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાને દૂર કરવામાં જાતિવાર વસ્તીગણતરીનો ડેટા મદદરૂપ થશે.”
“સામાન્ય રીતે 80-85 ટકા સમુદાયને અનામતનો લાભ આપવો હોય તો કેન્દ્ર સરકાર જાતિવાર વસ્તીગણતરીના આંકડાને આધારે તે મર્યાદા બદલવા માટે દલીલ કરી શકે છે.”
કેન્દ્ર સરકારે અત્યાર સુધી જાતિવાર વસ્તીગણતરી કરી નથી, પરંતુ રાજ્ય સરકારોને આવી વસ્તીગણતરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કર્ણાટક, તેલંગાણા અને બિહાર એમ ત્રણ રાજ્યો જાતિવાર વસ્તીગણતરી હાથ ધરી ચૂક્યાં છે.
બિહારમાં 2023માં નીતિશકુમારના મુખ્ય મંત્રીપદ હેઠળ આવી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી હતી અને તેના આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેલંગાણાની કૉંગ્રેસ સરકારે ફેબ્રુઆરી 2024માં જાતિવાર વસ્તીગણતરીના આંકડા પ્રકાશિત કર્યા હતા.
કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2015માં આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ એપ્રિલ 2025માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મંત્રીમંડળમાં રજૂ કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. સુખદેવ થોરાટે કહ્યું હતું, “જાતિવાર વસ્તીગણતરીથી જાતિગત ભેદભાવમાં વધારો નહીં થાય. તેનાથી વિપરીત રીતે ઘટાડો થશે. આપણે વસ્તીગણતરી વડે અસામનતા ઘટાડી શકીએ તો એકતા મજબૂત બની શકે છે.”
“આપણે જોયું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલી અનામતને કારણે ભેદભાવ ઘટ્યો છે. આ વર્ગોના સાંસદો સંસદમાં અન્ય વર્ગોના સાંસદો સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે.”
“વસ્તીગણતરી કરીને આપણે યોગ્ય નીતિઓ બનાવી શકીએ અને અસમાનતા ઘટાડી શકીએ તો સમાજમાં એકતા વધુ મજબૂત બની શકે છે.”

સરકારે આ વસ્તીગણતરીમાં ઉતાવળ ન કરવી જોઈએ. વસ્તીગણતરી અને જાતિવાર વસ્તીગણતરીમાં ફરક હોય છે, એવી તાકીદ તેમણે કરી હતી.
તેમણે ઉમેર્યું હતું, “દરેક જાતિની સામાજિક તથા આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી શકાય એટલા માટે જાતિવાર વસ્તીગણતરી કરવામાં આવે છે. આવા મુદ્દાઓને વસ્તીગણતરીની પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ.”
“જાતિ વ્યવસ્થામાં સૌથી મોટી સમસ્યા ભેદભાવ છે અને નવી વસ્તીગણતરીમાં સંબંધિત પ્રશ્નો હોવા જોઈએ. તેમાં નવા પ્રશ્નોનો સમાવેશ કરવો પડશે. નિષ્ણાતોની સમિતિ બનાવીને આ કામ કરવું પડશે.”
“આપણા દેશમાં હજારો પેટાજાતિઓ છે. સરકારે પેટાજાતિઓના નામ નક્કી કરવા જોઈએ, જેથી આ કામ કરવાનું સરળ બને,” એમ પણ ડૉ. થોરાટે કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS