Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના ન્યૂ ફ્રૅન્ડસ કૉલોની વિસ્તારમાં રહેતાં 95 વર્ષીય ડૉક્ટર સ્નેહ ભાર્ગવને 31 ઑક્ટોબર 1984ની એ સવાર આજે પણ યાદ છે, જ્યારે એમ્સમાં ડાયરેક્ટર તરીકે તેમનો પહેલો દિવસ હતો અને અચાનક વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ગોળીઓથી ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.
ડૉક્ટર સ્નેહ ભાર્ગવ કહે છે, “31 ઑક્ટોબર 1984 એક સામાન્ય વ્યસ્ત સવાર હતી. હું રેડિયોલૉજી વિભાગમાં એક મહત્ત્વપૂર્ણ કેસ અંગે ચર્ચા કરતી હતી. પરંતુ, એક રેડિયોગ્રાફર દોડતા આવ્યા અને કહ્યું કે વડાં પ્રધાન કૅઝ્યુલ્ટી (ઇમર્જન્સી)માં આવ્યાં છે. મને લાગ્યું કે વડાં પ્રધાન સુરક્ષા અને સૂચના વગર આવી શકે નહીં. આ પ્રોટોકૉલ નથી. મને લાગ્યું કે કંઈક ગરબડ છે.”
“હું ઇમર્જન્સી વિભાગ બાજુ ભાગી. ત્યાં બે યુવા ડૉક્ટર બેઠા હતા, જેઓ ગભરાયેલા લાગતા હતા. મેં પૂછ્યું કે વડાં પ્રધાન ક્યાં છે, અને તેમણે એ ટ્રૉલી તરફ ઇશારો કર્યો જેના પર ઇંદિરા ગાંધી ચાદર વિના સૂતેલાં હતાં.”
ઘટનાના લગભગ ચાર દાયકા પછી ડૉક્ટર સ્નેહ ભાર્ગવે તાજેતરમાં પોતાનાં સ્મરણોનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ‘ધ વુમન હૂ રૅન એમ્સ’ નામે પ્રકાશિત થયું છે.
‘ઇંદિરા ગાંધી લોહીથી લદબદ હતાં’

1930માં પંજાબના ફિરોઝપુરમાં જન્મેલાં ડૉક્ટર સ્નેહ ભાર્ગવ 1984થી 1990 સુધી એમ્સનાં પહેલાં મહિલા ડાયરેક્ટર હતાં.
તે દિવસને યાદ કરતાં ડૉક્ટર સ્નેહ કહે છે, “ઇંદિરા ગાંધી લોહીથી લદબદ હતાં. મેં તેમનો ચહેરો જોયો. મેં તેમના થોડા સફેદ વાળ જોયાં, જે તેમની હેર સ્ટાઇલ હતી, વડાં પ્રધાનની હાલત આ હતી. ટ્રૉલી પર પણ ગોળીઓ પડી હતી.”
ભારતીય સેનાએ જૂન 1984માં શીખોના મુખ્ય ધાર્મિક સ્થળ શ્રી દરબારસાહિબ, અમૃતસર પર સૈન્ય અભિયાન ચલાવ્યું હતું, જેને ઑપરેશન ‘બ્લૂ સ્ટાર’ કહેવામાં આવ્યું.
ભારત સરકાર અનુસાર, જરનૈલસિંહ ભિંડરાવાલે અને તેમનાં હથિયારોથી સજ્જ સાથીઓને દરબારસાહિબમાંથી બહાર કાઢવા માટે એક સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
ઑપરેશન ‘બ્લૂ સ્ટાર’ના પાંચ મહિના પછી, 31 ઑક્ટોબર 1984એ તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને દિલ્હીમાં આવેલા તેમના આવાસ ખાતે તેમના શીખ અંગરક્ષકોએ ગોળીઓ મારી દીધી.
ગોળી વાગ્યા પછી ઇંદિરા ગાંધીને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં લઈ જવામાં આવ્યાં.
ઇંદિરા ગાંધીની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરા ગાંધી ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં પુત્રી હતાં.
તેમણે જૂન 1975થી માર્ચ 1977 સુધી 21 મહિના માટે કટોકટી લાગુ કરી હતી.
1970ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં દમદમી ટંકશાળના પ્રમુખ જરનૈલસિંહ ભિંડરાવાલે શીખ મુદ્દાને મુખરતાથી ઉઠાવવાના કારણે રાજનીતિનું કેન્દ્રબિંદુ બની ગયા હતા.
વર્ષ 1984માં ઇંદિરા ગાંધીએ અમૃતસરમાં શીખોના ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિરમાં જરનૈલસિંહ ભિંડરાવાલે અને તેમના સાથીઓ વિરુદ્ધ એક મોટા સૈન્ય અભિયાનનો આદેશ આપ્યો.
ઑપરેશન બ્લૂ સ્ટારના નામથી ચર્ચિત આ સૈન્ય અભિયાનમાં સૈનિકો અને શ્રદ્ધાળુઓ સહિત લગભગ 400 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
શીખ સમુદાય આ આંકડા અંગે વિવાદ કરે છે અને દાવો કરે છે કે આ અભિયાનમાં હજારો લોકો માર્યા ગયા હતા.
આ કાર્યવાહીના થોડાક જ મહિના પછી ઇંદિરા ગાંધીની તેમના શીખ સુરક્ષાકર્મીઓએ હત્યા કરી નાખી હતી.
એમ્સના ડૉક્ટરોએ શી કોશિશ કરી?

ઇમેજ સ્રોત, Doctor Sneh Bhargava
ડૉક્ટર સ્નેહ ભાર્ગવનું કહેવું છે કે બે મિનિટમાં બે સર્જનોને બોલાવવામાં આવ્યા અને તેમણે ઇંદિરા ગાંધીને તપાસ્યાં.
તેઓ કહે છે, “મને જણાવવામાં આવ્યું કે અત્યારે તો નાડી નથી ધબકતી, પરંતુ જો તેમને હાર્ટ-લંગ મશીન પર રાખવામાં આવે, તો કદાચ કંઈક થઈ શકે છે. મેં કહ્યું કે તો પછી રાહ જોવાનો શો મતલબ, દોડો. અમે બધાં ઝડપથી વડાં પ્રધાનને ઑપરેશન થિયેટરમાં લઈ ગયાં અને સર્જનને સોંપી દીધાં.”

ઇમેજ સ્રોત, Juggernaut
ડૉક્ટર સ્નેહ જણાવે છે કે ઇંદિરા ગાંધીનું બ્લડ ગ્રૂપ બી-નૅગેટિવ હતું. જે ખૂબ દુર્લભ છે. તેમની પાસે રેફ્રિજરેટરમાં ખૂબ ઓછી બૉટલ્સ હતી. એ સ્થિતિમાં ડૉક્ટર ઓ-નૅગેટિવનો ઉપયોગ કરે છે.
તેઓ આગળ કહે છે, “મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે દિલ્હીની બધી હૉસ્પિટલો પાસેથી લોહી એકત્ર કરવાનું શરૂ કરી દીધું. તેઓ તેમને ગળાની એક બાજુથી લોહી આપી રહ્યા હતા, જે નીચેથી નીકળી રહ્યું હતું.”
સોનિયા ગાંધીની હાલત કેવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ઇંદિરા ગાંધીને ગોળી મારવામાં આવી, તે સમયે તેમના પુત્ર રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા.
જ્યારે ઇંદિરા ગાંધીને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધી અને તેમનાં બાળકો પણ ત્યાં પહોંચ્યાં.
ડૉક્ટર સ્નેહ ભાર્ગવ કહે છે, “રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સોનિયા ગાંધીની સાથે એમ્સ આવ્યાં હતાં, પરંતુ પછીથી બંને બાળકોને તેજી બચ્ચનના ઘરે મોકલી દેવાયાં અને સોનિયા ગાંધી ત્યાં જ રહ્યાં. સોનિયા ગાંધીને અસ્થમાનો ઊથલો આવ્યો. પછી તેમને દવા આપીને ઠીક કરવામાં આવ્યાં. તેમને ઑપરેશન થિયેટરની બહારના રૂમમાં બેસાડી દેવામાં આવ્યાં.”
તેઓ કહે છે, “સોનિયાને જોવાની (સંભાળવાની) મારી જવાબદારી હતી. સમાચાર ફેલાયા પછી લોકો સતત આવી રહ્યા હતા. હું સોનિયાને પૂછતી રહેતી હતી કે કોને અંદર આવવા દેવાના છે અને કોને નહીં.”
શું મૃત્યુ વિશે જાણ કરવામાં વિલંબ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર ભાર્ગવ જણાવે છે કે તે સમયે દેશના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ વિદેશમાં હતા.
રાજીવ ગાંધી સહિત કોઈ પણ વરિષ્ઠ નેતા દિલ્હીમાં નહોતા. જોકે, ઇંદિરા ગાંધીના અંગત સચિવ આરકે ધવન અને રાજકીય સલાહકાર માખનલાલ ફોતેદાર હૉસ્પિટલમાં હાજર હતા.
ડૉક્ટર ભાર્ગવ કહે છે, “આરોગ્યમંત્રી (બી શંકરાનંદ) અને કૉંગ્રેસના અન્ય નેતા અંદરોઅંદર ચર્ચા કરતા રહ્યા. પછીથી અમને જણાવવામાં આવ્યું કે, શૂન્યાવકાશ પેદા ન થાય તેથી તમારે એવી ઘોષણા ન કરવી જોઈએ કે તેમનું મૃત્યુ થઈ ગયું છે.”
‘જ્ઞાની ઝૈલસિંહ ડરેલા હતા’

ઇમેજ સ્રોત, Doctor Sneh Bhargava
ઇંદિરા ગાંધીના મૃત્યુના સમાચારથી દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં શીખવિરોધી વાતાવરણ ઊભું થઈ ગયું.
આ ઘટના સમયે રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ યમનના પ્રવાસે હતા. તેઓ ભારતના પહેલા શીખ રાષ્ટ્રપતિ હતા. ઇંદિરા ગાંધીનાં મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ તરત ભારત પાછા આવી ગયા.
ડૉક્ટર ભાર્ગવે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્ઞાની ઝૈલસિંહ સાંજે લગભગ 5:20 વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા. તે સમયે તેઓ ખૂબ આઘાત પામેલા અને ડરેલા લાગતા હતા.
તેઓ કહે છે, “ઝૈલસિંહ પણ ડરેલા હતા, કેમ કે સમાચાર ફેલાઈ ગયા હતા કે શીખ સુરક્ષાકર્મીઓએ ગોળીઓ મારી છે. તેઓ થોડીક વાર રોકાયા અને રાજીવ ગાંધીને આવવા દો, કહીને ચાલ્યા ગયા.”
રાજીવ ગાંધીની સ્થિતિ કેવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આ પુસ્તકમાં સ્નેહ ભાર્ગવ લખે છે કે જ્યારે રાજીવ ગાંધી હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે થોડી વાર માટે તેઓ સોનિયા ગાંધીને મળ્યા.
તેઓ રાજીવ ગાંધીની સ્થિતિ વિશે લખે છે, “તેઓ આઘાતમાં હતા, પરંતુ શાંત હતા. પછીથી, તેમણે મને જણાવ્યું કે તેમણે પોતાનાં માતાને તેમના એક સુરક્ષા ગાર્ડ વિશે ચેતવ્યાં હતાં, કેમ કે, તે સંદિગ્ધ લાગતો હતો. તેઓ પોતાનાં માતાના મૃતદેહ પાસે વધુ સમય સુધી રોકાયા નહીં.”
એમ્સમાં શીખ કર્મચારીઓની સ્થિતિ કેવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરા ગાંધીના મૃત્યુ પછી દિલ્હીમાં શીખવિરોધી તોફાનો શરૂ થઈ ગયાં.
શીખવિરોધી તોફાનોની તપાસ માટે સરકારે નાણાવટી પંચની રચના કરી હતી. તેના અનુસાર, આ તોફાનોમાં 2,733 શીખ માર્યા ગયા હતા. જોકે, સરકારી આંકડા અને શીખ સંગઠનોના દાવામાં ફરક છે.
ડૉક્ટર ભાર્ગવ પોતાના પુસ્તકમાં લખે છે કે આગના કારણે ઘણા લોકોને બળેલી હાલતમાં પણ એમ્સ લાવવામાં આવ્યા હતા.
તેમનું કહેવું છે કે ઇંદિરા ગાંધીનાં મૃત્યુને કારણે એમ્સમાં કામ કરતા શીખ કર્મચારી પણ ગભરાઈ ગયા હતા.
તેઓ કહે છે, “એક ટેક્નિશિયન, જે મદદ કરતા હતા, તે પણ શીખ હતા. જ્યારે તેમને ખબર પડી કે શીખોએ ઇંદિરા ગાંધીને મારી નાખ્યાં છે, ત્યારે તે ગભરાઈ ગયા અને તરત ઑપરેશન થિયેટરમાંથી ભાગી ગયા. મારા મુખ્ય રેડિયોગ્રાફર પણ શીખ હતા. મેં આઇજી પોલીસને એમ્સમાં પોલીસ તહેનાત કરવા માટે કહ્યું, જેથી અમારો સ્ટાફ પોતાને સુરક્ષિત અનુભવી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS