Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિખિલ ઇનામદાર અને અર્ચના શુક્લા
- પદ, બીબીસી ન્યૂઝ, લંડન અને મુંબઈ
-
15 મે 2025, 20:20 IST
અપડેટેડ એક કલાક પહેલા
ગત અઠવાડિયે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ પાકિસ્તાનને બેલઆઉટ પૅકેજનો એક અબજ ડૉલરનો હપ્તો મંજૂર કર્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ થયેલા સીઝફાયર પહેલાં, સૈન્ય સંઘર્ષ વધવા લાગ્યો હતો. ભારતે આઇએમએફના આ પગલાનો ખૂબ વિરોધ કર્યો હતો.
ભારતના વિરોધ છતાં આઇએમએફ બોર્ડે સાત અબજ ડૉલરના દેવાનો બીજો હપ્તો એવું કહીને મંજૂર કરી દીધો કે પાકિસ્તાન આર્થિક રિકવરી માટે આઇએમએફના કાર્યક્રમને લાગુ કરવામાં તત્પરતા દાખવી રહ્યું છે.
આઇએમએફે એવું પણ કહ્યું કે તેઓ ‘પર્યાવરણીય જોખમો અને પ્રાકૃતિક આપત્તિઓ’ સામે ઝઝૂમવા માટે પાકિસ્તાનના પ્રયત્નોનું સમર્થન ચાલુ રાખશે. આઇએમએફે સંકેત આપ્યો કે ભવિષ્યમાં 1.4 અબજ ડૉલરનો પ્રથમ હપ્તો પાકિસ્તાનને મળશે.
ભારતે શું કહ્યું?

આ નિર્ણય વિરુદ્ધ ભારતે કડક શબ્દોમાં નિવેદન જાહેર કરીને સવાલ ઊભા કર્યા અને બે કારણોનો હવાલો આપ્યો.
ભારતે સુધારાત્મક ઉપાયોને લાગુ કરવામાં પાકિસ્તાનના ‘ખરાબ રેકૉર્ડ’ને જોતા આ પ્રકારના બેલઆઉટ ‘અસરકારક’ હોવા સામે સવાલ ઉઠાવ્યા.
પરંતુ તેના કરતાં પણ મહત્ત્વપૂર્ણ એ સવાલ ઉઠાવ્યો કે આ ફંડનો ઉપયોગ ‘સરકાર પ્રાયોજિત સીમાપાર આતંકવાદ’ માટે થઈ શકે છે. આ આરોપને પાકિસ્તાન સતત ખારિજ કરતું રહ્યું છે.
ભારતનું કહેવું છે કે આઇએમએફ પોતાની અને પોતાના દાતાઓની ‘પ્રતિષ્ઠાને જોખમ’માં મૂકી રહ્યું છે અને ‘વૈશ્વિક મૂલ્યોની મજાક’ ઉડાડી રહ્યો છે.
ભારતના આ પક્ષ અંગે બીબીસીએ આઇએમએફ પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો જવાબ ન મળ્યો.
અહીં સુધી કે પાકિસ્તાની નિષ્ણાતો પણ કહે છે કે દિલ્હીના પ્રથમ સવાલના જવાબમાં થોડો દમ છે.
પાકિસ્તાન આઇએમએફ પાસેથી સતત મદદ માગતું રહ્યું છે. 1958થી તેને 24 વખત આઇએમએફ બેલઆઉટ પૅકેજ મળી ચૂક્યું છે, જ્યારે આ દરમિયાન ના તો કોઈ અર્થપૂર્ણ સુધાર જોવા નથી મળ્યો કે ના લોક વહીવટમાં બદલાવ.
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ બીબીસીને કહ્યું, “આઇએમએફમાં જવું એ આઇસીયુમાં જવા જેવું છે. જો કોઈ દર્દી 24 કે 25 વખત આઇસીયુમાં જાય છે, તો તેનો અર્થ એ છે કે માળખાગત પડકારો અને ચિંતાઓ સામે ઝઝૂમવાની જરૂર છે.”
સીમાપાર આતંકવાદ વિશે ભારતનો સવાલ ખૂબ જટિલ છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ઇસ્લામાબાદને બેલઆઉટનો નવો હપ્તો મળવાથી રોકવાના પ્રયત્નો કરવાનો ભારતનો નિર્ણય કોઈ નક્કર પરિણામની તેની ઇચ્છા કરતાં પ્રચારાત્મક વધુ હતો.
ભારતની ખુદની ટિપ્પણીઓ અનુસાર, આઇએમએફ પાસે દેવાના સંબંધમાં કંઈક કરી શકવાની ક્ષમતા સીમિત હતી અને આ ‘પ્રક્રિયા સંબંધી અને તકનીકી ઔપચારિકતા’ સાથે જોડાયેલ મુદ્દો હતો.
આઇએમએફના નિર્ણયમાં ભારતની કેટલી ભૂમકિા છે?

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM/AFP via Getty Images
ભારત આઇએમએફ બોર્ડના 25 સભ્યો પૈકી એક છે અને આ ફંડ પર તેનો પ્રભાવ સીમિત છે. એ શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભૂતાન સહિત ચાર દેશોના ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પાકિસ્તાન સેન્ટ્રલ એશિયા ગ્રૂપનો ભાગ છે, જેનું પ્રતિનિધિત્વ ઈરાન કરે છે.
સંયુક્ત રાષ્ટ્રથી ઊલટું, જ્યાં એક દેશ પાસે એક મત હોય છે, આઇએમએફ બોર્ડમાં સભ્યોના વોટિંગ અધિકાર દેશના આર્થિક આકાર અને તેના યોગદાન પર આધારિત હોય છે. જોકે, આ કારણે જ આ સિસ્ટમની એવી ટીકામાં સતત વધારો જોવા મળ્યો છે કે તે વિકાસશીલ દેશોની સરખામણીએ ધનિક પશ્ચિમી દેશોને પ્રાથમિકતા આપે છે.
ઉદાહરણ તરીકે, અમેરિકા પાસે 16.49 ટકાના સૌથી વધુ વોટિંગ શૅર છે, જ્યારે ભારત પાસે માત્ર 2.6 ટકા વોટિંગ શૅર છે.
આઇએમએફ નિયમ અમુક પ્રસ્તાવ વિરુદ્ધ વોટ કરવાનો અધિકાર નથી આપતા તેથી બોર્ડના સભ્યો કાં તો વોટના પક્ષમાં વોટ આપી શકે છે, કાં તો ગેરહાજર રહી શકે છ અને જે નિર્ણય થાય છે એ બોર્ડમાં સામાન્ય સંમતિના આધારે કરાય છે.
એક અર્થશાસ્ત્રીએ નામ ન જાહેર કર્યા વગર બીબીસીને જણાવ્યું કે, “આનાથી ખબર પડે છે કે તાકતવર દેશોનાં નિહિત હિત કેવી રીતે નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે.”
વર્ષ 2023માં જી-20 દેશોની અધ્યક્ષતા ભારત પાસે આવી તો તેની તરફથી આઇએમએફ અને અન્ય બહુપક્ષીય ડોનર્સ માટે સુધારાની જે ભલામણો અપાઈ હતી, તેમાં આ અસંતુલનને દૂર કરવું એ પ્રમુખ વાત હતી.
ભારતના ભૂતપૂર્વ વહીવટી અધિકાર એનકે સિંહ અને અમેરિકન નાણામંત્રી લૉરેન્સ સમર્સે પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે, ‘ગ્લોબલ નૉર્થ’ અને ‘ગ્લોબલ સાઉથ’ બંનેના નિષ્પક્ષ પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે આઇએમએફમાં વોટિંગ અધિકાર અને નાણાકીય યોગદાનને અલગ કરવાં જોઈએ.
આઇએમએફે ખુદ નિયમ બદલ્યા?

આ સિવાય, સંઘર્ષમાં રહેતા દેશોને ફંડ આપવા અંગે આઇએમએફના ખુદના નિયમોમાં બદલાવ પણ આ મુદ્દાને વધુ જટિલ બનાવે છે.
2023માં યુક્રેનને આઇએમએફ દ્વારા અપાયેલ 15.6 અબજ ડૉલરનું દેવું, જંગ લડી રહેલા કોઈ દેશને અપાયેલ પ્રથમ આઇએમએફ દેવું હતું.
દિલ્હીના થિંકટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના મિહિર શર્માએ બીબીસીને જણાવ્યું કે, “યુક્રેનને ભારેભરખમ લોન પૅકેજ આપવા માટે તેણે પોતાના જ નિયમોનો છેદ ઉડાડી દીધો, જેનો અર્થ એ છે કે તે આ બહાને પાકિસ્તાનને પહેલાંથી અપાઈ રહેલ દેવું બંધ ન કરી શકે.”
હક્કાનીનું કહેવું છે કે, “જો ભારત પોતાની ફરિયાદોનું ખરું સમાધાન ઇચ્છતું હોય તો તેના માટે યોગ્ય ફોમ યુનાઇટેડ નૅશન્સ એફએટીએફ (ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ) છે.”
એસટીએફ ‘આતંકવાદના નાણાકીય પોષણ’સામે ઝઝૂમવાની નિગરાણી કરે છે.
આ ટાસ્ક ફોર્સ નક્કી કરે છે કે ક્યા દેશોને ગ્રે કે બ્લૅક લિસ્ટમાં સામેલ કરાય, જેથી તેમને આઇએમએફ કે વર્લ્ડ બૅન્ક જેવી સંસ્થાઓ પાસેથી ફંડ લેવાથી રોકી શકાય.
હક્કાનીએ કહ્યું, “આઇએમએફમાં ભારતનું વલણ કામ ન આવ્યું અને ના એ કારગત નીવડ્યું. જો કોઈ દેશ એસએટીએફની યાદીમાં હોય તો તેને આઇએમએફ પાસેથી દેવું મેળવવામાં પડકારોનો સામનો કરવો પડશે, જેવું પાકિસ્તાન સાથે પહેલાં થઈ ચૂક્યું છે.”
આઇએમએફમાં સુધારાની માગ અને ભારતની બીક

ઇમેજ સ્રોત, Getty Images
આજની તારીખમાં, પાકિસ્તાનને 2022ની એફએટીએફની ગ્રે લિસ્ટથી આધિકારિકપણે કાઢી નખાયું છે.
આ સિવાય, નિષ્ણાત ચેતવતાં કહે છે કે આઇએમએફની ફંડ આપવાની પ્રક્રિયા અને વીટો પાવરમાં આમૂલ પરિવર્તન લાવવાની ભારતની માગ બેધારી તલવાર સાબિત થઈ શકે છે.
મિહિર શર્મા કહે છે કે ‘આ પ્રકારના સુધારાથી દિલ્હીના સ્થાને બેઇજિંગને વધુ તાકત મળે તેવી સંભાવના છે.’
હક્કાની પણ આ વાત સાથે સંમત છે. તેઓ કહે છે કે ‘ભારતે દ્વિપક્ષીય વિવાદો માટે ‘બહુપક્ષીય મંચો’નો ઉપયોગ કરવામાં સાવધાન રહેવું જોઈએ.’
હક્કાની કહે છે કે ભૂતકાળમાં ઘણી વાર ચીને ભારત વિરુદ્ધ આવા ફોરમમાં વિટોનો ઉપયોગ કર્યો છે.
તેઓ ઉદાહરણ આપે છે કે ભારતે અરુણાચલ પ્રદેશ માટે એડીબી (એશિયન વિકાસ બૅન્ક) પાસેથી દેવું માગ્યું હતું, પરંતુ ચીને આ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સીમા વિવાદનો હવાલો આપીને તેના પર વિટો ક્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS