Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
53 મિનિટ પહેલા
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જી-7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રણ આપ્યું તેના એક અઠવાડિયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૅનેડા જવા રવાના થઈ ગયા છે.
પીએમ મોદી કૅનેડા પહોંચે તે અગાઉ ત્યાં કેટલાંક શીખ અલગાવવાદી સંગઠનો તેમની વિરુદ્ધ પ્રદર્શનોની તૈયારી કરી રહ્યાં છે. તેઓ પીએમ મોદીને અપાયેલા આમંત્રણનો વિરોધ કરી રહ્યાં છે.
અગાઉ શનિવારે ઓટાવામાં શીખ સમુદાયના કેટલાક લોકોએ સંસદ સામે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં.
પરંતુ જાણકારો કહે છે કે મોદીની આ મુલાકાતથી ભારત અને કૅનેડાના સંબંધોમાં સુધારો આવી શકે છે, તથા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધો પણ સુધરી શકે છે.
કૅનેડા પહોંચતા પહેલાં પીએમ મોદી 15 અને 16મી જૂના સાઇપ્રસમાં રહેશે. ત્યાર પછી મોદી કૅનેડાના અલ્બર્ટા પ્રાંતમાં સ્થિત કૅનેનાઇસ્કિસ જશે. અહીં તેઓ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે અને 18 જૂને ક્રોએશિયા જવા રવાના થશે. પીએમ મોદીની વિદેશયાત્રા અંગે આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારત જી-7નો સભ્ય દેશ નથી. જી-7 સમૂહમાં બ્રિટન, કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા સામેલ છે. પરંતુ 2019થી ભારતને જી-7 શિખર સંમેલનોમાં આમંત્રિત કરવામાં આવે છે.
વર્ષ 2015 પછી વડા પ્રધાન મોદીનો આ પ્રથમ કૅનેડા પ્રવાસ હશે. એવું માનવામાં આવે છે કે મોદીની સાથે સાથે માર્ક કાર્ની માટે પણ આ કૂટનીતિક પરીક્ષા હશે.
2015થી અત્યાર સુધીમાં 10 વર્ષમાં ભારત અને કૅનેડા વચ્ચે ઘણું બદલાઈ ગયું છે. 2023માં કૅનેડામાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.
કૅનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ તેમાં ભારત સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. ભાજપે આ આરોપો ફગાવ્યા હતા.
હવે કૅનેડામાં જસ્ટિન ટ્રૂડો પીએમ નથી રહ્યા. જોકે, ટ્રૂડોની પાર્ટી સત્તા પર છે અને આ વર્ષે સામાન્ય ચૂંટણી પછી માર્ક કાર્ની કૅનેડાના વડા પ્રધાન બન્યા છે.
કૅનેડામાં શીખ સંગઠનોનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જી-7 માટે આમંત્રણ મળ્યા પછી કૅનેડાનાં કેટલાક શીખ સંગઠનો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
સ્થાનિક મીડિયા ઓટાવા સિટિઝન મુજબ, શનિવારે શીખ સમુદાયના કેટલાક લોકોએ પાર્લામેન્ટ હિલમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમાંથી ઘણા લોકોના હાથમાં ખાલિસ્તાન સમર્થક ઝંડા હતા.
ગયા અઠવાડિયે આ શીખ સંગઠનોએ માર્ક કાર્નીને અપીલ કરી હતી કે તેઓ મોદીને જી-7 માટે અપાયેલું આમંત્રણ રદ કરે.
વર્લ્ડ શીખ ઑર્ગેનાઇઝેશન કૅનેડા અને શીખ ફેડરેશન કૅનેડા જેવાં જૂથના પ્રતિનિધિઓનું કહેવું છે કે ભારત જ્યાં સુધી નિજ્જર મામલે તપાસમાં સહયોગ ન આપે અને કૅનેડાની બાબતોમાં દખલગીરી તથા કૅનેડામાં શીખોને નિશાન બનાવવાનું બંધ ન કરે, ત્યાં સુધી પીએમ મોદીને અપાયેલું આમંત્રણ પાછું ખેંચી લેવું જોઈએ.
જોકે, ભારત સરકારે ભૂતકાળમાં આ પ્રકારના આરોપોનો સતત ઇન્કાર કર્યો છે.
જૂન 2023માં કૅનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો કે કૅનેડામાં શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની 18 જૂન, 2023ના રોજ થયેલી હત્યામાં ભારત સામેલ હતું. ત્યાર પછી કૅનેડા અને ભારતના સંબંધોમાં તણાવ સર્જાયો.
ભારત સરકારે નિજ્જરની હત્યામાં પોતે સામેલ હોવાનો ઇન્કાર કર્યો છે.
ભારતે કૅનેડા પર શીખ અલગતાવાદીઓને આશરો આપવાનો આરોપ લગાવ્યો છે. ભારતે 2020માં હરદીપસિંહ નિજ્જરને ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ શીખ ફેડરેશન કૅનેડાના પ્રવક્તા મોનિંદરસિંહનું કહેવું છે કે પીએમ મોદીને અપાયેલા આમંત્રણમાં કેટલીક શરતો રાખવી જોઈએ.
તેમનું કહેવું છે કે, “તેમની સાથે કોઈ પણ મિટિંગ એ શરતે થવી જોઈએ કે તેઓ અને તેમની સરકારે અત્યાર સુધીમાં જે બહાર આવ્યું છે તેની જવાબદારી લેશે કે નહીં.”
બ્રિટિશ કોલંબિયાના સરૅસ્થિત ગુરુદ્વારાના સભ્યોએ વડા પ્રધાન કાર્નીને પત્ર લખીને કૅનેડા સરકારને અનુરોધ કર્યો છે કે તેઓ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આગામી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે અપાયેલું આમંત્રણ રદ કરી દે.
2023માં હરદીપસિંહ નિજ્જરની જ્યાં હત્યા કરવામાં આવી હતી તે ગુરુ નાનક શીખ ગુરુદ્વારાએ કહ્યું કે તે આ આમંત્રણથી નિરાશ અને ચિંતિત છે.
તેમના પત્રમાં કહેવામાં આવ્યું છે, “શીખ સમુદાય આ કૂટનીતિક કાર્યવાહીને ન્યાય, નાગરિક સુરક્ષા અને રાષ્ટ્રની સંપ્રભુતા પ્રત્યે કૅનેડાની પ્રતિબદ્ધતાને નબળી કરનાર માને છે, જે સંભવતઃ રાજ્ય દ્વારા પ્રાયોજિત હિંસા અને વિદેશી હસ્તક્ષેપ પ્રત્યે સહિષ્ણુતાનો સંકેત આપે છે.”
કૅનેડાના સમય પ્રમાણે અહીં લોકો અને કાર્યકર્તાઓ વિરોધપ્રદર્શનની યોજના ઘડી રહ્યા છે.
કૅનેડાની સરકારી ન્યૂઝ ચૅનલ સીબીસી મુજબ શનિવારે અલ્બર્ટાના કેલેગરી શહેરમાં સામાજિક કાર્યકર્તા એકઠા થયા હતા અને રવિવારે થનારા પ્રદર્શનો માટે ‘પીપલ્સ ફોરમ’નું આયોજન કર્યું હતું.
કૅનેડા શીખ ફેડરેશનના પ્રવક્તા મોનિંદરસિંહે કહ્યું કે, “પીએ મોદી દેશ બહાર જતા ન રહે, ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવે તે ચર્ચાનો વિષય રહ્યો હતો.”
‘મોદીનો પ્રવાસ વિશ્વાસ સ્થાપવાનો અવસર’

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની દ્વારા વડા પ્રધાન મોદીને અપાયેલા આમંત્રણને ઘણા લોકો એક મહત્ત્વની રાજકીય પહેલ અને ભારત-કૅનેડાના સંબંધોમાં એક નવી સંભાવના તરીકે જુએ છે.
મોન્ટ્રીયલસ્થિત ઇન્ડિયા કૅનેડા ઑર્ગેનાઇઝેશન (આઈસીઓ)ના ઉપાધ્યક્ષ હરજીતસિંહ સંધુએ જણાવ્યું કે, “અમે આપનું (મોદી) કૅનેડામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમારા આગમનથી ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા રાખીએ છીએ.”
હરપ્રીતસિંહનું કહેવું છે કે, “અમારા વડા પ્રધાન માર્ક કાર્નીએ વડા પ્રધાન મોદીને આમંત્રણ આપ્યું તે આવકાર્ય પગલું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત અને કૅનેડા વચ્ચે કેટલાક મુદ્દા હતા અને મને આશા છે કે આ બેઠક દરમિયાન પ્રશ્નો ઉકેલાશે, એક નવો રસ્તો પસંદ કરવામાં આવશે જેથી બંને દેશો વિકસીત અને સમૃદ્ધ બનશે. આપણે વેપાર, ટૅકનૉલૉજી અને રોકાણમાં વધુ સારા સંબંધ સ્થાપવાની જરૂર છે. ભારત અને કૅનેડા બંને સમૃદ્ધ બની શકે છે.”
કૅનેડાના વિરોધપક્ષ ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીના નેતા અને વેનકુંવર ઇસ્ટનાં સાંસદ જેની ક્વાને કાર્ની સરકારના નિર્ણયની ટીકા કરી છે.
તેમણે ઍક્સ પર લખ્યું છે, “મોદી માટે લાલ જાજમ પાથરવી યોગ્ય નથી, કારણ કે ભારત કૅનેડાના અધિકારીઓને સહયોગ નથી આપતું અને હત્યાઓની જવાબદારી લેવાનો ઇન્કાર કરે છે. આ પગલું આપણા દેશમાં હસ્તક્ષેપ અને હિંસા માટે વિદેશી શક્તિઓને જવાબદાર ઠરાવવાના પ્રયાસોને નબળું બનાવે છે.”
ન્યૂ જર્સીમાં ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા ઍલાયન્સના વડા એચ. એન. પાનેસરે આ પ્રવાસને બિરદાવતા કહ્યું કે, “ભારત-કૅનેડાના સંબંધોને ફરીથી સ્થાપિત કરવા અને પુનઃનિર્માણ માટે એક મહત્ત્વની ક્ષણ” છે.
પાનેસરે એએનઆઈને જણાવ્યું કે, “જૂન 2025 સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જી-7 શિખર મંત્રણામાં ભાગીદારીને ભારતીય પ્રવાસી અને દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરમાં આવેલા તણાવને દૂર કરવાના અને સુધારવાની એક મહત્ત્વની તક તરીકે જોવામાં આવે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
મોદીની કૅનેડા યાત્રાથી ઘણી અપેક્ષાઓ
ગયા મહિને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને કૅનેડાનાં વિદેશ મંત્રી અનીતા આનંદે ફોન પર વાત કરી હતી.
બંને વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહકાર વધારવા અને સમાન પ્રાથમિકતાઓને આગળ વધારવા વિશે વાત થઈ હતી.
ભારત અને કૅનેડાના વડા પ્રધાનોની જી-7 કૅનેડા શિખર સંમેલન દરમિયાન મુલાકાત વિશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન પણ બહાર આવ્યું છે.
રણધીર જયસ્વાલે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, “બંને વચ્ચે આગામી બેઠકમાં પરસ્પર સન્માન, સમાન હિત અને એકબીજાની ચિંતા પ્રત્યે સંવેદનશીલતાના આધારે સંબંધોને ફરીથી સ્થાપિત કરવાના રસ્તા શોધવામાં મદદ મળશે.”
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે ભારત અને કૅનેડાએ આતંકવાદ અને અપરાધ વિશે ગુપ્ત માહિતીનું આદાનપ્રદાન કરવા સમજૂતી કરી છે.
રિપોર્ટ પ્રમાણે “કૅનેડા અને ભારતની સરકારો સરહદે અપરાધ વિશે માહિતીની આપ-લે માટે એક નવી વ્યવસ્થા બનાવવા જઈ રહી છે. સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આ નવું પગલું છે.”
આ રિપોર્ટમાં ઓળખ જાહેર ન કરવાની શરતે અધિકારીઓને ટાંકીને જણાવાયું હતું કે, “બંને દેશની કાનૂની એજન્સીઓ સામેલ છે તેવી નવી વ્યવસ્થાના કારણે આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને સિન્ડિકેટેડ, આતંકવાદ અને કટ્ટરપંથી ગતિવિધિઓ પર માહિતીની આપ-લે કરી શકાશે.”
ભારત અને કૅનેડાના સંબંધો સુધરશે?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરના જી-7 શિખર સંમેલનને ભારત અને કૅનેડા વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે, પરંતુ નિજ્જરની હત્યાની તપાસનો મુદ્દો હજુ ઉકેલાયો નથી.
ભારત પછી દુનિયામાં શીખોની સૌથી વધારે વસતી કૅનેડામાં છે. અહીં લગભગ આઠ લાખ શીખ વસે છે જેઓ કુલ વસ્તીના 2.1 ટકા છે. 2021ની વસતી ગણતરી મુજબ શીખ અને કૅનેડામાં ચોથા ક્રમે સૌથી મોટો ધર્મ છે.
શીખ સમુદાયમાં કેટલાક ખાલિસ્તાન તરફી ઍક્ટિવિસ્ટ પણ સામેલ છે જેઓ ભારતથી અલગ એક અલગ શીખ ખાલિસ્તાનની માંગણી કરે છે.
ભારતે આ માંગણીનું સમર્થન કરનારા લોકો સામે સખત કાર્યવાહીની માંગણી કરી છે. જ્યારે કૅનેડાનો આરોપ છે કે ભારત કૅનેડાની ધરતી પર શીખ કાર્યકરોને નિશાન બનાવીને વ્યાપક અભિયાન ચલાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડેવિડ મેકિનને જર્મન બ્રૉડકાસ્ટર ડીડબલ્યૂએ જણાવ્યું કે, “કૅનેડામાં ખાસ કરીને લિબરલ પાર્ટીની અંદર આ નિર્ણયની રાજનીતિ સરળ ન હતી, પરંતુ કાર્નીએ યોગ્ય નિર્ણય લીધો. અહીં એ યાદ અપાવવું જરૂરી છે કે વિપક્ષના નેતા પિયરે પોલિવિયરે પણ તેનું તરત સ્વાગત કર્યું હતું.”
જોકે, મેકિનને કહ્યું કે બંને પક્ષ વચ્ચે બધું સામાન્ય થઈ ગયું છે તેમ કહેવું હજુ વધારે પડતું વહેલું ગણાશે.
કૅનેડાના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ઉજ્જલ દોસાંજનું માનવું છે કે, “જી-7 ભારત અને કૅનેડાના તણાવપૂર્ણ સંબંધોને ફરીથી સ્થાપિત કરવાનો એક બહુ મહત્ત્વનો અવસર આપે છે. ખાસ કરીને ખાલિસ્તાનના મુદ્દે લાંબા સમયથી ચાલતા તણાવના કારણે.”
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં દોસાંજ કહે છે, “નેતાઓને ખબર છે કે કોઈ દેશ સાથે સમસ્યા થાય તો પણ તેના મહત્ત્વને નજરઅંદાજ નહીં કરી શકાય. તેઓ અંદરોઅંદર બહાલ કરવાના રસ્તા શોધી લે છે. એવું લાગે છે કે કાર્ની પણ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે.”
વિદેશ નીતિના વિશ્લેષક માઇકલ કુગલમૅન કહે છે કે દ્વિપક્ષીય સંબંધોને સુધારવાથી જ ખાલિસ્તાનના મુદ્દાને સંભાળી શકાય છે.
ફૉરેન પૉલિસી મૅગેઝિન માટે લખેલા લેખમાં માઇકલ કુગલમૅન કહે છે, “ખાલિસ્તાનનો મુદ્દો નિશ્ચિત રીતે નડતરરૂપ છે અને શીખ કાર્યકરો વિરોધપ્રદર્શનો દ્વારા મોદીની યાત્રાને બગાડવાનો પ્રયાસ કરશે, તો તે ફરીથી ભડકી શકે છે. પરંતુ બીજા ક્ષેત્રોમાં સંબંધ સુધરે તો તેને સંભાળવાનું કામ આસાન થઈ શકે છે.”
કુગલમૅનનું માનવું છે કે બંને દેશો પાસે દ્વિપક્ષીય વ્યાપારને વધારવા માટે મજબૂત કારણો છે કારણ કે અમેરિકાની ટેરિફ નીતિ ભારત અને કૅનેડા બંનેને અસર કરી શકે છે.
સ્વસ્તિ રાવ આંતરરાષ્ટ્રીય સંબંધોનાં નિષ્ણાત છે અને મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ સાથે સંકળાયેલાં છે.
જી-7 અને કૅનેડાના સંબંધો વિશે બીબીસી સાથે વાત કરતાં સ્વસ્તિ રાવે કહ્યું કે, “જસ્ટિન ટ્રૂડો સ્થાનિક રાજનીતિમાં અટવાયેલા હતા, હવે માર્ક કાર્ની આવ્યા છે. તેઓ સારી રીતે જાણે છે કે ભારત વગર દુનિયામાં કોઈ મોટી આર્થિક યોજનાને આકાર આપી શકાય તેમ નથી.”
“માર્ક કાર્ની ફટાફટ કંઈ બદલી નહીં શકે. તેઓ પણ સ્થાનિક રાજનીતિને જોઈને પગલાં લેશે, પરંતુ ભારત માટે આ સારી તક છે. આપણે પણ ધીમે-ધીમે સંબંધોને આગળ વધારીને વાતચીતનો ક્રમ સ્થાપિત કરીશું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS