Source : BBC NEWS

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, યુદ્ધ, જમ્મુ-કાશ્મીર, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યાના જવાબમાં ભારતે 6 અને 7 મે વચ્ચેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘણાં સ્થળોએ હવાઈહુમલા કર્યા.

પાકિસ્તાને પણ જવાબી હુમલા શરૂ કરી દીધા અને એવું લાગ્યું કે સ્થિતિ વધારે બગડી શકે છે. આ દરમિયાન ઘણા લોકો બૉમ્બમારામાં ફસાઈ ગયા, ઘણા લોકોનાં મૃત્યુ થયાં અને આ કારણે ઘણી તારાજી પણ થઈ.

જોકે, ચાર દિવસના સંઘર્ષ પછી અચાનક થયેલા યુદ્ધવિરામે બધું અટકાવી દીધું.

સંઘર્ષ દરમિયાન બીબીસીનાં રિપોર્ટર બંને દેશોના સરહદી વિસ્તારોમાં પહોંચ્યાં અને તેમણે ચાર દિવસ દરમિયાન જે કંઈ હકીકત જોઈ તેને વર્ણવી.

પ્રથમ દિવસ: 7 મે, બુધવાર

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, યુદ્ધ, જમ્મુ-કાશ્મીર, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ભારત:

અડધી રાત વીતી ગયાની થોડી વાર પછી અમારા ફોનની ઘંટડી વાગવા લાગી. સોશિયલ મીડિયા પર ‘ઑપરેશન સિંદૂર’ વિશે ચર્ચા થવા લાગી હતી.

રાત્રે લગભગ 2 વાગ્યે ભારત સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ‘આતંકવાદીઓ’ના બેઝને નિશાન બનાવીને નવ સ્થળોએ હુમલા કર્યા છે. આ એ જગ્યાઓ હતી, જ્યાંથી ભારત વિરુદ્ધ ‘આતંકવાદી’ હુમલાની યોજના બનાવવામાં આવી અને નિર્દેશ આપવામાં આવ્યા.

એમ કહેવાયું કે એપ્રિલમાં પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ પછી જવાબી કાર્યવાહી કરીને ઑપરેશન સિંદૂર લૉન્ચ કરવામાં આવ્યું છે.

થોડાક કલાકો પછી એક પ્રેસ કૉન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત પાસે ‘પાકિસ્તાન-સ્થિત આતંકવાદી મૉડલ’ના બીજા હુમલા પણ પાર પાડવાની યોજનાની ગોપનીય માહિતી છે.

જોકે, તે સમયે ઘણાં શહેરોમાં લોકોની સુરક્ષા માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, તેથી અમે શક્ય એટલી ઝડપથી શ્રીનગર પહોંચવાનો નિર્ણય કર્યો.

પરંતુ, ઘણી ભારતીય એરલાઇન્સે શ્રીનગર માટેની પોતાની ફ્લાઇટ્સ કૅન્સલ કરી દીધી હતી. થોડી વાર પછી જમ્મુ અને શ્રીનગર એરપૉર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યાં.

બીબીસીની એક ટીમ રેલવે સ્ટેશને પહોંચી, જ્યારે બાકીના લોકોએ દિલ્હીથી જમ્મુની 12 કલાકની મુસાફરી માટે ટૅક્સીની વ્યવસ્થા કરી.

બંને દેશને અલગ પાડતી લાઇન ઑફ કંટ્રોલ પર ભારે બૉમ્બમારાના સમાચાર પહેલાંથી જ આવી રહ્યા હતા.

બીબીસીની એક ટીમે કુપવાડાથી પહેલો રિપોર્ટ કર્યો અને તેમાં ઘરોની સાથોસાથ સંપત્તિને થયેલા નુકસાનને બતાવ્યું.

જેમ જેમ દિવસ વીત્યો, ભારતીય સેના સાથે સંકળાયેલાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ભારતમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે.

બીજી ટીમે, શ્રીનગરની નજીક બારામૂલા જિલ્લાની હૉસ્પિટલમાં ઘણા ઘાયલો જોયા. બીબીસીની ટીમ ઉરી જિલ્લાના એ ગામમાં પણ પહોંચી જ્યાં થોડાક કલાકો પહેલાં હુમલો થયો હતો અને ઘરોમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો.

તે દિવસની કેટલીક વાતો ઘણા દિવસ પછી સ્પષ્ટ થઈ, જેમ કે, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણની પ્રતિક્રિયા, જેમાં તેમણે પાકિસ્તાન દ્વારા ભારતીય યુદ્ધવિમાનો તોડી પડાયાં તે વિશે જણાવ્યું.

તાજેતરમાં જ બ્લૂમબર્ગ ટીવીને અપાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પુષ્ટિ કરી કે, “સાત મેએ નુકસાન થયું હતું.” જોકે, તેમણે કહ્યું કે, “આંકડા મહત્ત્વના નથી; મહત્ત્વનું એ છે કે આ નુકસાન શા માટે થયું, અને અમે તે વિશે શું કર્યું.”

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, યુદ્ધ, જમ્મુ-કાશ્મીર, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન:

પહલગામ હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનમાં હુમલાની આશંકાને લીધે ડર હતો. જોકે, એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત, પાકિસ્તાનનાં શહેરોની એટલી અંદર જઈને હુમલા નહીં કરે. પાકિસ્તાનની સેના હાઈ એલર્ટ પર હતી.

ભારતે નવ સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. તે રાત્રે મુઝફ્ફરાબાદ સિટી સેન્ટર, રાવલકોટની આસપાસના વિસ્તારો અને પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરના કોટલી પર હુમલા થયા. આ ઉપરાંત, પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટમાં પણ હુમલા થયા.

મિસાઇલ હુમલાની થોડી વાર પછી બીબીસીની ટીમ ઇસ્લામાબાદથી મુઝફ્ફરાબાદ માટે રવાના થઈ અને સવારે શહેરના કેન્દ્રમાં રહેલી મસ્જિદ પાસે પહોંચી. થોડાક કલાક પહેલાં જ મિસાઇલ હુમલા થયા હતા.

પહેલો હુમલો એ મસ્જિદ પર થયો, જેને સૈયદના બિલાલ કહેવામાં આવે છે. જે સમયે હુમલો થયો તે સમયે મસ્જિદની આસપાસનાં ઘરોમાં લોકો ગાઢ નિદ્રામાં સૂતા હતા.

એક પછી એક થયેલા વિસ્ફોટોના અવાજથી લોકો આઘાત પામ્યા, ડર અનુભવ્યો અને ગુસ્સામાં આવી ગયા.

સવારના સમયે ત્યાં અફરાતફરીનો માહોલ હતો. સેનાના જવાનોને તહેનાત કરી દેવાયા હતા અને મોટી સંખ્યામાં પોલીસદળ પણ હાજર હતાં. મસ્જિદ તરફ જતી સડક બંધ કરી દેવામાં આવી હતી અને મીડિયા સહિત કોઈને પણ અંદર જવાની મંજૂરી નહોતી.

હુમલામાં મસ્જિદ નષ્ટ થઈ ગઈ હતી અને આસપાસનાં ઘરોની દીવાલો તથા બારીઓને પણ નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જેવો પહેલો ધડાકો થયો, લોકો ઉઘાડા પગે જ ત્યાંથી ભાગવા લાગ્યા. અમે જોયું કે લોકો કેટલું નુકસાન થયું છે તે જોવા અને પોતાનાં ઘરોને બંધ કરવા માટે મસ્જિદ તરફ આવી રહ્યા હતા.

શહેરમાં ડરનું વાતાવરણ છવાઈ ગયું હતું અને સ્કૂલો-કૉલેજો બંધ કરી દેવામાં આવી હતી. લોકોએ કહ્યું કે તેમણે શહેરમાં મિસાઇલ હુમલો થશે એવી કલ્પના નહોતી કરી.

બીબીસીની બીજી ટીમોએ મુરીદકે અને બહાવલપુરથી રિપોર્ટ કર્યા. પાકિસ્તાનના સૌથી મોટા રાજ્ય પંજાબમાં થયેલા મિસાઇલ હુમલામાં એવાં સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જેના વિશે સ્થાનિક લોકોનું કહેવું હતું કે, તે ક્યારેક ચરમપંથી સમૂહોનાં કેન્દ્ર હતાં, પરંતુ હવે તે વર્ષોથી નિષ્ક્રિય છે અથવા તો સત્તાવાર રીતે બંધ થઈ ચૂક્યાં છે.

મુરીદકેમાં એક ઇમારત પર હુમલો થયો, જેને પહેલાં આતંકવાદી સમૂહ જમાત-ઉદ-દાવાના આઇડિયોલૉજિકલ સેન્ટર તરીકે ઓળખવામાં આવતી હતી. જોકે, પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો કે ભારતે એવી ઇમારતોની નિશાન બનાવી, જેમાં લોકો રહેતા હતા.

સેનાના પ્રવક્તાએ કહ્યું કે પાંચ શહેરોમાં 12 બાળકો અને મહિલાઓ સહિત કુલ 31 લોકોનાં મૃત્યુ થયાં. તેમણે કહ્યું કે, ભારતનો એ દાવો કે તેણે આતંકવાદી શિબિરોને નિશાન બનાવી છે, તે ‘સંપૂર્ણ નિરાધાર’ છે.

બપોર સુધીમાં પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (સીએએ)એ પૂર્વી અને ઉત્તર-પશ્ચિમી હવાઈક્ષેત્ર બંધ કરી દીધાં. વિમાનો માટે ચેતવણીની નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી. લાહોર, રાવલપિંડી અને કરાચીની ઉપર યુદ્ધવિમાન ઊડતાં જોવા મળ્યાં. સેનાનાં વાહનોની અવરજવર પણ જોવા મળી.

વડા પ્રધાન શહબાઝ શરીફે એક ઇમરજન્સી બેઠક બોલાવી, જેમાં સેના અને સરકારના ટોચના અધિકારીઓ હાજર રહ્યા. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વડા પ્રધાને સશસ્ત્રદળોને ‘ભારતની ઉશ્કેરણી વિરુદ્ધ જવાબી કાર્યવાહી’ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે.

સાંજ ઢળતાં જ લાઇન ઑફ કંટ્રોલની નજીક સૈન્ય ચોકીઓ અને રહેણાક વિસ્તારોમાં ભારે બૉમ્બમારાના સમાચાર આવવા લાગ્યા.

બીજો દિવસ: 8 મે, ગુરુવાર

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, યુદ્ધ, જમ્મુ-કાશ્મીર, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત:

સીમા પારથી થયેલા બૉમ્બમારાના કારણે ભય ફેલાયો હતો. ગુરુવારે સવારે અમે જે સીમાવર્તી ગામોમાં ગયા, ત્યાં બધું જ ખાલી દેખાતું હતું. કેમ કે, લોકો સુરક્ષિત સ્થાનોની શોધમાં નીકળી ગયા હતા.

ભારતે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેણે, બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે પાકિસ્તાન દ્વારા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘણાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવાના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા છે.

નિવેદનમાં આગળ દાવો કરવામાં આવ્યો કે “વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે.”

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ભારત, પહલગામ હુમલા માટે પાકિસ્તાન-સ્થિત આતંકવાદી સમૂહ લશ્કર-એ-તૈયબાની એક શાખા ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)ને જવાબદાર માને છે, જેને સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

તેમણે પુષ્ટિ કરી કે, ભારતમાં સીમા પારથી થયેલા ગોળીબારમાં 16 લોકો માર્યા ગયા છે. મોડી સાંજ સુધીમાં અમારી એક ટીમ પૂંછ જિલ્લામાં પહોંચી ગઈ અને ત્યાં લોકોને મળી. તેમણે પાકિસ્તાની બૉમ્બમારા વિશે વાત કરી અને ગઈ રાતને ‘કયામતની રાત‘ કહી.

રાત થતાં જ સીમા પારથી સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં હવાઈહુમલાની સાઇરનો વાગવા લાગી. ઘણા વિસ્તારોમાં બ્લૅકઆઉટ થઈ ગયો.

ભારત સરકારે પુષ્ટિ કરી કે, પાકિસ્તાને ત્રણ સૈન્યથાણાં જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર પર હુમલા કર્યા હતા અને બધા જ હુમલાને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાન:

સવારે ક્ષેત્રનું પહેલું ડ્રોન યુદ્ધ શરૂ થયું. અલગ અલગ શહેરો, ખાસ કરીને લાહોરના લોકોએ આકાશમાં ડ્રોન ઊડતાં જોયાં.

ડીજી આઇએસપીઆરએ દાવો કર્યો કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમે ભારતના બે ડઝન કરતાં વધારે ડ્રોન તોડી પાડ્યાં છે.

લાહોર, ગુજરાંવાલા, ચકવાલ, રાવલપિંડી અને કરાચી જેવાં શહેરોમાં ડ્રોન તૂટી પડતાં જોવા મળ્યાં. કેટલીક જગ્યાએ સ્થાનિક નિવાસીઓએ સાઇરન વાગતી પણ સાંભળી.

પ્રેસ કૉન્ફરન્સમાં, પાકિસ્તાને પહલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની વાત કરી.

રાવલપિંડીમાં એક ડ્રોન ક્રિકેટ સ્ટેડિયમની નજીક પડ્યું અને તેના કારણે પાકિસ્તાન સુપર લીગની મૅચ રદ કરી દેવામાં આવી. ક્રિકેટ બોર્ડે લીગની બાકીની મૅચો યુએઈમાં રમાડવાનો નિર્ણય કર્યો.

પાકિસ્તાનના સુરક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, જો વર્તમાન પરિસ્થિતિને રોકવામાં નહીં આવે, તો પરમાણુ યુદ્ધનું જોખમ ‘એક વાસ્તવિક અને વર્તમાન જોખમ’ બની જશે.

મુઝફ્ફરાબાદની નજીકનાં સેક્ટરોમાં આખી રાત બૉમ્બમારો ચાલુ રહ્યો. બૉમ્બમારો એટલો જોરદાર હતો કે અમે જે હોટલમાં રોકાયા હતા ત્યાંથી પણ તેને જોઈ શકતા હતા. હોટલમાં મીડિયાની કેટલીક ટીમોને બાદ કરતાં બીજા કોઈ નહોતા.

ત્રીજો દિવસ: 9 મે, શુક્રવાર

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, યુદ્ધ, જમ્મુ-કાશ્મીર, પહલગામ હુમલો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MARIA KHAN

ભારત

પૂંછમાં સવાર સુધી ભારે બૉમ્બમારો થતો રહ્યો અને અમારી ટીમે બંકરમાં જઈને સંતાવું પડ્યું. જ્યારે લોકો બંકરમાંથી બહાર આવ્યા ત્યારે ચારેતરફ તારાજીનાં દૃશ્યો હતાં.

એક છોકરીના પિતા વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. એ છોકરીએ અમને કહ્યું, “આ ઑપરેશન પહલગામના ચરમપંથી હુમલામાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાવવા માટે હતું. પરંતુ, હવે મારા પિતા માટે શું કરવામાં આવશે? મને કઈ રીતે ન્યાય મળશે?”

ઘણા પરિવારોએ સમયસર એલર્ટ નહીં મળ્યાની ફરિયાદ કરી.

એક મહિલા મારિયા ખાનનાં ભત્રીજો અને ભત્રીજી, જે જોડકાં હતાં અને જેમની ઉંમર 12 વર્ષ હતી તેઓ, હુમલામાં માર્યા ગયાં. તેમણે કહ્યું, “જો ભારત સરકારના હુમલા શરૂ કરતાં પહેલાં અમને અહીંથી બહાર કાઢી લેવાયાં હોત, તો કદાચ અમારાં બાળકો જીવતાં હોત.”

જેમ જેમ રાત થતી ગઈ, સરહદની આસપાસના વિસ્તારોમાં બ્લૅકઆઉટ લાગુ કરી દેવાયો. ડ્રોન દેખાવાં લાગ્યાં અને વિસ્ફોટોના અવાજો ફરીથી સંભળાવા લાગ્યા.

પાકિસ્તાન

ડ્રોન વૉર ચાલુ રહ્યાની વચ્ચે ઇસ્લામાબાદમાં સૈન્ય સૂત્રોએ પત્રકારોને કહ્યું કે, ઍર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી લેવામાં આવી છે અને પારંપરિક સૈન્ય ઉપકરણોને પણ ઍક્ટિવ કરી દેવામાં આવ્યાં છે.

ડીજી આઇએસપીઆર લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફે પ્રેસ કૉન્ફરન્સ કરી. તેમાં તેમણે સાત મેની રાત્રે થયેલા ભારતીય હુમલાનું વિવરણ આપ્યું અને જણાવ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ એ રાત્રે કઈ રીતે ભારતીય વિમાનોને તોડી પાડ્યાં.

બીબીસીનાં ઘણાં સૂત્રોએ માહિતી આપી કે, કતર અને સંયુક્ત અરબ અમીરાત રાજદ્વારી અને ઇન્ટેલિજન્સ સોર્સના માધ્યમથી બંને દેશના સંપર્કમાં છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ફરીથી પાકિસ્તાન સાથે ફોન પર વાત કરી.

ચોથો દિવસ: 10 મે, શનિવાર

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત

શનિવારનો દિવસ સૌથી નાટકીય રહ્યો. પાકિસ્તાનના હુમલાની અસર જમ્મુ અને રાજોરી સહિત એવા વિસ્તારો પર થઈ જ્યાં લોકો રહે છે.

જમ્મુમાં રહેતી એક છોકરીએ અમને જણાવ્યું, “અમારા બેડરૂમમાં ખૂબ જ ધુમાડો ભરાઈ ગયો હતો. અમે ખૂબ જ મુશ્કેલીથી બહાર નીકળ્યાં અને જોયું કે અમારા ઘરની છતનો એક ભાગ તૂટી ગયો હતો.”

એક વ્યક્તિ, જે પોતાનાં બાળકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા, તેમના સહિત બે લોકો માર્યા ગયા. રાજોરીમાં થયેલા એક વિસ્ફોટમાં એક સરકારી અધિકારીનું મૃત્યુ થયું.

પંજાબના ગુરદાસપુર અને પઠાનકોટમાં બીબીસીની ટીમોએ, સવાર સવારમાં થયેલા હુમલાના કારણે ખેતરોમાં પડેલા ખાડા જોયા. ભારત સરકારે કહ્યું કે, અમૃતસર શહેરની ઉપર ઘણાં બધાં હથિયારબંધ ડ્રોન નિષ્ક્રિય કરી દેવામાં આવ્યાં છે.

દરેકે દરેક બીજી એક તણાવપૂર્ણ રાત્રિની તૈયારી કરતા હતા, પરંતુ સાંજે અચાનક યુદ્ધવિરામની ઘોષણા કરી દેવામાં આવી. એક વિશેષ બ્રીફિંગમાં, ભારતીય વિદેશ સચિવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતની પુષ્ટિ કરી.

પરંતુ, જેવું અંધારું થયું કે અમે આકાશમાં ડ્રોન ઊડતાં જોયાં અને ફરીથી વિસ્ફોટોના અવાજ સાંભળ્યા. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહ સહિત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ જ પ્રકારના રિપોર્ટ શેર કર્યા.

પછીથી, રાત્રે, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાન દ્વારા ‘અન્ડરસ્ટેન્ડિંગના ઉલ્લંઘન’ની પુષ્ટિ કરી. બીજા દિવસે સવારે અસ્થાયી શાંતિમાં ઘણા લોકો લાઇન ઑફ કંટ્રોલની નજીક આવેલાં પોતાનાં ગામોમાં પાછા ફર્યા.

તંગધારમાં બીબીસીની એક ટીમ એક એવા પરિવારને મળી જે પોતાના ઘરે પાછો ફર્યો હતો, પરંતુ તેમણે જોયું કે હુમલાએ તેમના ઘરને કાટમાળમાં ફેરવી દીધું છે અને તેમનું હવે પછીનું ભવિષ્ય અનિશ્ચિત છે.

પાકિસ્તાન

ભારતીય અધિકારીઓએ દાવો કર્યો કે પંજાબમાં ઘણા એરબેઝ પર ‘હાઈ-સ્પીડ મિસાઇલ એટૅક’ જોવા મળ્યા.

મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે ભારતે નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું, જે રાવલપિંડીની નજીક ચકલાલામાં મોટી સૈન્ય છાવણીનો ભાગ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના નિવાસીઓ પણ જાગી ગયા.

નૂર ખાન એરબેઝ પર થયેલો હુમલો, 9 અને 10 મેની મધ્યરાત્રીએ ભારત તરફથી કરાયેલા 11 હુમલામાંનો એક હતો.

આ હુમલા પછી પાકિસ્તાને મોટું સૈન્ય ઑપરેશન લૉન્ચ કર્યું, જેને ‘ઑપરેશન બુનયાન અલ મરસૂસ’ નામ આપ્યું. તેના હેઠળ ભારતના જમ્મુ, ઉધમપુર, પઠાનકોટમાં સૈન્યથાણાં પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા.

પાકિસ્તાની સૈન્ય સૂત્રોએ દાવો કર્યો કે વડા પ્રધાન શહબાઝ શરીફે નૅશનલ કમાન્ડ ઑથોરિટીની બેઠક બોલાવી છે, જે પાકિસ્તાનનાં પરમાણુ હથિયારોની દેખરેખ રાખે છે.

જોકે, પછીથી સુરક્ષામંત્રી ખ્વાજા આસિફે એવી કોઈ બેઠકનો ઇનકાર કરી દીધો.

ત્યાર પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપ પછી બંને દેશના ડીજીએમઓ વચ્ચે કૉમ્યુનિકેશન પણ સ્થપાઈ ગયું.

જોકે, યુદ્ધવિરામ પછી તરત જ ઉલ્લંઘનના સમાચારો પણ આવવા લાગ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS