Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
નવોદિત કૅપ્ટન શુભમન ગિલના નેતૃત્વ હેઠળની યુવા અને ઓછો અનુભવ ધરાવતી ભારતીય ટેસ્ટ ટીમની આ અઠવાડિયે સૌથી મુશ્કેલ પરીક્ષા છે – હેડિંગ્લીથી શરૂ થતી ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની શ્રેણી.
આ ચોથી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ની શરૂઆત અને તેંડુલકર-ઍન્ડરસન ટ્રૉફી જેવા નવા નામ સાથેની પહેલી સ્પર્ધા છે, આમાં ભરપૂર નાટકીયતા અને કઠિન પડકારો બંને હશે.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મૅચ 20 જૂનથી 24 જૂન વચ્ચે રમાશે.
ઇંગ્લૅન્ડ ક્યારેય WTC ફાઇનલમાં પ્રવેશ્યું નથી. ભારત પ્રથમ બેમાં પહોંચ્યું હતું પરંતુ 2021માં ન્યૂઝીલૅન્ડ સામે અને 2023માં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. વિજય સાથેની શરૂઆત બંને ટીમોના નવા અભિયાનને આગળ ધપાવશે.
ભારતે તેમની છેલ્લી સિરીઝમાં ઇંગ્લૅન્ડને 4-1થી હરાવ્યું હતું, પરંતુ તે ઘરઆંગણે સ્પિનને અનુકૂળ પિચો પર હતી. ઇંગ્લૅન્ડમાં જે પરિસ્થિતિઓ અનુકૂલનક્ષમતા, તકનીક અને માનસિક દૃઢતાની કસોટી કરશે – ખાસ કરીને બૅટ્સમૅન માટે.
દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ

ઇમેજ સ્રોત, Getty Images
બેન સ્ટોક્સ અને બ્રૅન્ડન મૅક્કુલમના નેતૃત્વ હેઠળના ઇંગ્લૅન્ડના બેઝબૉલ યુગ અંગેના અભિપ્રાયો વિભાજિત છે, પરંતુ પરિણામો સાથે દલીલ કરવી મુશ્કેલ છે: 2022 થી તેઓ એકપણ ઘરેલુ શ્રેણી હાર્યા નથી અને મોટાભાગની ટેસ્ટ જીતી છે.
તેનાથી વિપરીત ભૂતકાળના રેકૉર્ડ – હાલનાં ફૉર્મ, નિવૃત્તિ, ઈજાઓ અને ફિટનેસની ચિંતાઓથી ઘેરાયેલા – ભારત માટે આ સિરીઝને એક ગંભીર પડકાર બનાવે છે.
1932 માં લૉર્ડ્સમાં તેમના ટેસ્ટ ડેબ્યૂ પછી ભારતે 18 વખત ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો છે. જેમાંથી ફક્ત ત્રણ વાર શ્રેણી જીતી છે – 1971, 1986 અને 2007 – જ્યારે ચાર વ્હાઇટવૉશનો ભોગ બન્યા છે.
હાલમાં ટીમનું ફૉર્મ જોઈએ તો આ ઐતિહાસિક અસંતુલન વધ્યું છે: ભારત છેલ્લી આઠ ટેસ્ટમાંથી છમાં હારી ગયું છે. આ ઉપરાંત તે WTC ફાઇનલમાં ચૂકી ગયું છે અને દિગ્ગજ ખેલાડીઓ જેમ કે આર. અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીને તેમની અચાનક નિવૃત્તિથી ગુમાવ્યા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી શ્રેણીની અધવચ્ચે જ અશ્વિન ટીમમાંથી બહાર થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી થાય તે પહેલાં જ શર્મા અને કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી.
બુમરાહની ફિટનેસ અંગે ચિંતા કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરિસ્થિતિ વધુ ખરાબ ત્યારે થઈ જ્યારે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને બહાર કરવામાં આવ્યા છે, કારણ કે BCCI ડૉકટરોએ સર્જરી અને પુનર્વસન પછી પણ તેમને રેડ-બૉલ ક્રિકેટ માટે મંજૂરી આપી નથી.
આનાથી ભારત ચાર પ્રભાવશાળી ખેલાડીઓથી વંચિત રહ્યું જેમણે ટેસ્ટ ક્રિકેટમાં સુવર્ણ યુગને આકાર આપ્યો હતો. શર્માના જવાથી નેતૃત્વ પરિવર્તનની પણ ફરજ પડી.
હવે શુભમન ગિલનો વારો છે. ઉપ-કપ્તાન જસપ્રીત બુમરાહના સ્થાને તેમની નિમણૂક તીવ્ર આંતરિક ચર્ચા પછી થઈ. બુમરાહને વિશ્વાસ નહોતો કે તેઓ આ ઉનાળામાં ઇંગ્લૅન્ડમાં પાંચેય ટેસ્ટ મૅચ રમી શકશે.
બુમરાહની ફિટનેસ હવે સૌથી મોટી ચિંતા છે. સંપૂર્ણ તાકાત સાથે, તેઓ કદાચ વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બૉલર છે, એક એવો ખેલાડી જે એકલા હાથે મૅચનો માર્ગ બદલી શકે છે. પરંતુ વર્કલોડ કે ઈજાને કારણે તેમની બૉલિંગમાં કોઈ પણ વિક્ષેપ ભારતનું સંતુલન બગાડી શકે છે.
ભારતની ફાસ્ટ બૉલિંગમાં મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને નીતિશ રેડ્ડી જેવા ખેલાડીઓ છે, પરંતુ બુમરાહની બરોબરી કોઈ કરી શકતું નથી. સ્પિન બૉલિંગમાં, જાડેજા-કુલદીપ જોડીને વૉશિંગ્ટન સુંદરનો ટેકો છે.
જ્યારે ટીમની બૅટિંગ વધુ અનિશ્ચિત છે
રોહિત અને કોહલીની નિવૃત્તિ બાદ – જેમણે ભેગા 190 ટેસ્ટ રમી હતી – ભારત અનુભવના અભાવ કરતાં પણ મોટી કમીનો સામનો કરી રહ્યું છે.
યશસ્વી જયસ્વાલ સૌથી તેજસ્વી આશા તરીકે ઊભરી આવ્યા છે અને કેએલ રાહુલ એક સક્ષમ મૅચ-વિનર છે.
ઘરેલુ ક્રિકેટમાં પ્રભાવશાળી રન-સ્કોરિંગને કારણે સાઈ સુદર્શન અને અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળ્યું છે, અને કરુણ નાયર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા છે.
આ બધાને ટૉપ ઑર્ડરમાં સ્થાન મળવાની અપેક્ષા છે. પરંતુ ભારતની બૅટિંગ મૅચ જિતાડશે જો રન ઋષભ પંત અને ખાસ કરીને ગિલના બૅટમાંથી આવે.
ટેસ્ટ ક્રિકેટમાં કૅપ્ટનશિપથી માત્ર અપાર શક્તિ જ નથી મળતી પરંતુ તે તમને ચકાસે પણ છે. ગિલનું મૂલ્યાંકન ફક્ત પ્રદર્શનના આધારે જ નહીં, પરંતુ તે બદલાતી ટીમને કેવું નેતૃત્વ અને પ્રેરણા આપે છે તેના આધારે પણ કરવામાં આવશે. ગઈ સિઝનમાં ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની મોટી હાર બાદ કોચ ગૌતમ ગંભીર પણ દબાણમાં છે.
ભારતીય ક્રિકેટ એક મહત્ત્વપૂર્ણ વળાંક પર છે. ગિલ એક અસ્થિર ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આગળનો રસ્તો મુશ્કેલ છે, પણ અજાણ્યો નથી.
1971માં ભારતને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
પસંદગી સમિતિના તત્કાલીન અધ્યક્ષ વિજય મર્ચન્ટે ભારતીય ક્રિકેટને પુનર્જીવિત કરવાના હેતુથી મોટા ફેરફારો કર્યા – તેમણે પોતાના કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરીને વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડના બેવડા પ્રવાસ માટે મન્સૂર અલી ખાન પટૌડીના સ્થાને અજિત વાડેકરને કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યા.
ભારતે બંને દેશોમાં પહેલી મૅચ જીતી. ગિલ પાસે હવે આ વિજયની સિક્વલની પટકથા લખવાની તક છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS