Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કોટેરુ શ્રાવણી
- પદ, બીબીસી સંવાદદાતા
-
27 એપ્રિલ 2025, 15:57 IST
અપડેટેડ એક કલાક પહેલા
ગુજરાતમાં એસીનો ઉપયોગ ઝડપથી વધતો જાય છે. હવે નાનાં-મોટાં શહેરોની સાથેસાથે ગામડાંમાં પણ એસીનું ચલણ વધી રહ્યું છે.
ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો માત્ર પંખા અને કૂલરનો ઉપયોગ નથી કરતા, પરંતુ એસી પણ વાપરે છે. જેના કારણે તેનું વેચાણ વધી ગયું છે.
જોકે, એસી જૂનું થવા લાગે તેમ તેમ તેની કાર્યક્ષમતા ઘટવા લાગે છે. તેનાથી વીજળીનો વપરાશ વધી જાય છે અને ઊંચું બિલ આવે છે.

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર જૂના એસી બદલવા માટે એક નવી યોજના શરૂ કરવાની છે. જોકે, આ સમાચાર ખોટા નીકળ્યા છે. સરકારે સ્પષ્ટતા કરી કે તેની આવી કોઈ યોજના નથી.
કેટલાક સમાચાર રિપોર્ટ પ્રમાણે સંબંધિત અધિકારીઓએ કહ્યું છે કે પીએમ મોદી એસી યોજનાને જૂના એસી પાછા આપીને નવા 5-સ્ટાર રેટેડ મૉડલ મેળવવા પ્રોત્સાહક યોજના તરીકે રજૂ કરવામાં આવશે.
તેમણે એ રિપોર્ટને ફગાવી દીધા કે કેન્દ્ર સરકાર ‘પીએમ મોદી એસી યોજના 2025’ નામે એક નવી યોજના હેઠળ મફતમાં 5-સ્ટાર રેટેડ એસી આપશે અને 1.5 કરોડ એસી પહેલેથી તૈયાર થઈ ગયાં છે.
આમ છતાં સવાલ એ છે કે એસી વાસ્તવમાં કેટલો સમય કામ કરી શકે છે? આપણે એસીને કઈ રીતે રેટિંગ આપીએ છીએ? એસીનો ઉપયોગ કરતી વખતે કેવી કાળજી રાખવી તે જાણીએ.

વોલ્ટાસ કંપનીએ પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે રેગ્યુલર સર્વિસ કરવામાં આવે તો 3-સ્ટાર અને 5-સ્ટાર એસી 10થી 15 વર્ષ સુધી ચાલી શકે છે.
ક્રોમાએ પોતાના બ્લૉગ પર એક લેખમાં કહ્યું છે કે એસીનું આયુષ્ય વધારવા માટે તેને યોગ્ય રીતે મેન્ટેન કરવામાં આવે તે જરૂરી છે.
એસીના ફિલ્ટરોને નિયમિત બદલવા જોઈએ અને તેની કૉઈલ સાફ કરવી જોઈએ. એસી જેમ જેમ જૂનું થવા લાગે, તેમ તેમ વીજળીની ખપત વધી જાય છે અને તેનું કૂલિંગ પણ બરાબર કામ નથી કરતું.
એસી અવાજ કરવા લાગે, પાણી ટપકવા લાગે ત્યારે આ બધી ચેતવણીના આધારે સમજી જવું જોઈએ કે આપણા એસીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.
અર્બન કંપનીના એસી મેન્ટેનન્સ સર્વિસ વિભાગના એમ. રિહાને બીબીસીને જણાવ્યું કે વર્ષમાં કમસે કમ એક વખત એસીની સર્વિસ થવી જોઈએ, કારણ કે તેનાથી તેની કાર્યક્ષમતા વધી જાય છે.
આપણે નિયમિત રીતે ફિલ્ટર અને કૉઇલને સારસંભાળ પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણે વીજળીના બિલનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
ક્રોમાએ પોતાના બ્લૉગમાં કહ્યું છે કે તે જરૂરિયાત પડે ત્યારે ગુણવત્તાવાળા વિભાગો પર ખર્ચ કરશે.
સમયાંતરે એસીના કૂલિંગ ફેનની પણ તપાસ થવી જોઈએ. તેમાં કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક તેને રિપૅર કરાવવું જોઈએ.

ઊર્જાના વપરાશમાં એસી કેટલું કાર્યક્ષમ છે તે જાણવા માટે રેટિંગ મહત્ત્વનું હોય છે.
- આ રેટિંગ ઍનર્જી ઍફિસિયન્સી બ્યૂરો (બીઇઇ) દ્વારા આપવામાં આવે છે
- બીઇઇ આ રેટિંગ એસીની વાર્ષિક ઊર્જા ખપત (એઈસી)ના આધારે આપે છે
- વોલ્ટાસે કહ્યું કે તે પોતાની વાર્ષિક વીજળીની ખપત અને કૂલિંગ ક્ષમતાના આધારે એઈસીને માપે છે
- 3-સ્ટાર એસીની તુલનામાં 5-સ્ટાર એસી વધારે ઊર્જા કાર્યક્ષમ હોય છે
- 3-સ્ટાર એસીની તુલનામાં 5-સ્ટાર એસી 10થી 15 ટકા વધારે વીજળી બચાવે છે
તેથી વીજળીનું બિલ પણ ઓછું આવશે.
જોકે, ઘણા વપરાશકારો પોતાના એસીના ઉપયોગના આધારે 3-સ્ટાર અને 5-સ્ટાર રેટિંગવાળા એસી પસંદ કરે છે.
જે લોકો દિવસમાં માત્ર અમુક કલાક પૂરતા એસીનો ઉપયોગ કરે છે, તેઓ સામાન્ય રીતે 3-સ્ટાર એસીનો વિકલ્પ પસંદ કરે છે.
એક એસી કંપનીએ પોતાના બ્લૉગમાં જણાવ્યું કે સામાન્ય હવામાનમાં, ક્યારેક જ ઉપયોગ કરનારાઓ માટે આર્થિક રીતે આ લાભદાયક વિકલ્પ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે અત્યંત ગરમી પડતી હોય તેવા ક્ષેત્રોમાં 5-સ્ટાર એસી એવા લોકો માટે સારો વિકલ્પ છે જેઓ દિવસમાં કેટલાય કલાકો સુધી એસીનો ઉપયોગ કરે છે.
જે લોકો રોજના માત્ર ત્રણ કે ચાર કલાક એસીનો ઉપયોગ કરતા હોય તેઓ 3-સ્ટાર એસી પસંદ કરી શકે છે. જો તેના કરતાં વધારે ઉપયોગ કરતા હોય તો ફાઇવ-સ્ટાર રેટિંગવાળા એસીનો ઉપયોગ કરીને વીજળીની બચત કરી શકે છે.
તેઓ કહે છે કે, “તમારે રૂમની સાઇઝ પ્રમાણે એસીની પસંદગી કરવાની રહેશે. જો રૂમનું ક્ષેત્રફળ 120થી 140 ચોરસ ફીટ સુધી હોય તો એક ટનનું એસી પૂરતું છે. 150થી 180 ચોરસ ફૂટ સુધી 1.5 ટનનું એસી સારું રહે છે.”
એસી સર્વિસિંગના નિષ્ણાત એમ. રિહાને બીબીસીને જણાવ્યું કે, “આનાથી વધારે ક્ષેત્રફળ હોય, એટલે કે 180 ચોરસ ફૂટ કરતાં વધુ હોય તો બે ટનનું એસી પસંદ કરવું જોઈએ.”
એક નાનકડા રૂમ માટે વધુ ટન ક્ષમતાનું એસી ખરીદવાથી વીજળીનું બિલ વધી જશે. એવી જ રીતે મોટા રૂમ માટે ઓછી ક્ષમતાના એસી યોગ્ય નથી. તેથી સૌથી પહેલા ઘરના આકારને ધ્યાનમાં રાખીને એસીની પસંદગી કરવી જોઈએ.

કેટલીક વખત વધારે પડતી ગરમીના કારણે એસી ફાટતાં હોય છે. આઇઆઇટી બીએચયુના મિકેનિકલ વિભાગના પ્રોફેસર જાહર સરકારે બીબીસીને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું હતું.
પ્રોફેસર જાહર સરકારે કહ્યું કે કોઈ પણ રૂમને એસી દ્વારા ઠંડું કરવામાં આવે ત્યારે તેના કૉમ્પ્રેસરની આસપાસનું તાપમાન તેના કન્ડેન્સરના તાપમાન કરતાં લગભગ 10 ડિગ્રી નીચું હોવું જોઈએ.
“ભારતમાં સામાન્ય રીતે ઉપયોગ થતા એસીના કન્ડેન્સરનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. જો બહારનું તાપમાન કન્ડેન્સરના તાપમાન કરતાં વધુ હશે તો એસી કામ કરવાનું બંધ કરી દેશે. આવામાં કન્ડેન્સર પર દબાણ વધી જાય છે. આવામાં કન્ડેન્સર ફાટવાની શક્યતા વધી જાય છે.”
નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું કે કૉઇલ જ્યારે ગંદી હોય અને ધૂળ છવાઈ જાય ત્યારે ગૅસના સપ્લાયમાં સમસ્યા પેદા થઈ શકે છે. તેનાથી કન્ડેન્સર અત્યંત ગરમ થઈ શકે છે અને આગ પણ લાગી શકે છે. તેથી કહેવાય છે કે કૉઇલ્સને નિયમિત રીતે સાફ રાખવી જોઈએ.
વારંવાર વોલ્ટેજમાં ઉતાર-ચઢાવથી પણ કૉમ્પ્રેસરને અસર થઈ શકે છે અને દુર્ઘટના થવાની શક્યતા રહે છે.
નિષ્ણાતો કહે છે કે એસી પર સૂરજનો સીધો તડકો પડે તો ઓરડાને ઠંડું કરવાની એસીની ક્ષમતા ઘટી જાય છે. સૂર્યના તડકાના કારણે રૂમને ઠંડું કરવામાં વધુ સમય લાગે છે. તેથી વીજળીની ખપત વધી જાય છે.

તાપમાન બહુ વધારે હોય ત્યારે તમારા એસીનું કૉમ્પ્રેસર છાંયડામાં હોય તે જરૂરી છે.
કૉમ્પ્રેસર અને કન્ડેન્સર યુનિટ આસપાસ પૂરતું વેન્ટિલેશન હોવું જોઈએ. પૂરતા પ્રમાણમાં હવા વહેતી હશે તો યુનિટ વધારે ગરમ નહીં થાય.
આ ઉપરાંત એસીનું નિયમિત સર્વિસિંગ થવું જોઈએ.

સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એન્વાયર્ન્મેન્ટ (સીએસઇ)ના વરિષ્ઠ સંશોધનકર્તા અવિકલ સોમવંશી કહે છે કે એસીને ક્યારેય ચોવીસે કલાક ચાલુ રાખવું ન જોઈએ. તેના માટે ટાઇમરનો ઉપયોગ થવો જોઈએ.
“હાલમાં લગભગ તમામ એસીમાં ટાઇમર લગાવેલા હોય છે. આપણે એ જોવું જોઈએ કે આપણો રૂમ કેટલા સમયમાં ઠંડો થઈ જાય છે અને તે સમય માટે ટાઇમર સેટ કરી દેવું જોઈએ. એટલે કે એસીને ચોવીસે કલાક ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. આમ કરવાથી વીજળીની બચત થશે.”
તેઓ કહે છે, “આપણે જ્યારે એસીને વચ્ચે બંધ કરી દઈએ ત્યારે તેના બધા ઘટકો ઠંડા થઈ જાય છે. તેથી એસીને ફરી ચાલુ કરીએ ત્યારે તે વધુ સારી રીતે કામ કરે છે. એસીમાં ઍનર્જી સેવર મોડ હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS