Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
સાત વર્ષમાં પહેલી વાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાઈ રહેલી બ્રિક્સ શિખર બેઠકમાં ભાગ લેવા શી આવી રહ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે શી જિનપિંગ બ્રિક્સની વાર્ષિક શિખર બેઠક માટે દિલ્હીમાં હાજર રહેશે, પરંતુ તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી.
આ પહેલાં વર્ષ 2019માં શી જિનપિંગ ચેન્નાઈ નજીક મામલ્લપુરમમાં યોજાયેલી અનૌપચારિક શિખર બેઠક માટે ભારત આવ્યા હતા.
આ મુલાકાતને એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની કોશિશો અને બ્રિક્સના સહયોગને પણ અસર થઈ શકે છે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સ્થિતિ જટિલ છે. સાથોસાથ ભારતની ઊર્જા સુરક્ષા પર પણ અસર પડી છે.
જોકે, એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને મોટા પાડોશી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તાજેતરના દિવસોમાં આવેલા સુધારાને શી જિનપિંગની આ મુલાકાતથી વધુ વેગ મળશે.
બ્લૂમબર્ગે ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત અંગે લખ્યું, “2019 પછી શી જિનપિંગની પહેલી ભારત મુલાકાત, મોદી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો.”
જોકે, રૉયટર્સે લખ્યું છે કે બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં સુધારાની આશા રાખવી ઉતાવળભર્યું ગણાશે. બંને દેશોના વેપારીઓ હજુ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ગલવાન પછી સંબંધોમાં આવેલો તણાવ ઓછો થશે?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
વર્ષ 2020માં ભારત-ચીન સરહદ નજીક ગલવાનમાં થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મોત થયાં હતાં. ત્યાર બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. ચીને દાવો કર્યો હતો કે આ સંઘર્ષમાં પોતાના માત્ર ચાર સૈનિકો માર્યા ગયા હતા.
જોકે, તાજેતરનાં વર્ષોમાં બંને દેશોના સંબંધોમાં સુધારો થયો છે. ખાસ કરીને ગયા વર્ષે ચીનના તિયાનજિનમાં યોજાયેલી એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદીએ ચીનની મુલાકાત લીધી હતી.
ત્યાં રશિયા અને ચીનના નેતાઓ સાથેની તેમની મુલાકાતે ઘણી ચર્ચા જગાવી હતી. વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી.
તેનું એક કારણ એ પણ હતું કે એ સમયે અમેરિકાએ ભારત પર 50 ટકા ટૅરિફ લાદ્યો હતો, જે ભારતીય અર્થતંત્ર માટે મોટો આંચકો હતો.
આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર અને દિલ્હીસ્થિત ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ના ઉપાધ્યક્ષ હર્ષ વી. પંતનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય નીતિઓને કારણે બંને દેશોને પોતાના મતભેદો કરતાં સહિયારાં હિતો અંગે વાતચીત કરવા માટે એક મંચ મળ્યું છે.
હર્ષ પંતે બીબીસી ન્યૂઝ હિંદી સાથેની વાતચીતમાં કહ્યું, “બંને પાડોશી દેશોને એકબીજાની જરૂર છે અને આ જ કારણે તાજેતરના દિવસોમાં સરહદ વિવાદ બાબતે બંને તરફથી નરમાશ જોવા મળી છે.”
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ જ અઠવાડિયે પહેલી વખત વરિષ્ઠ સૈન્ય કમાન્ડર સ્તરની ફ્લૅગ મિટિંગ યોજાઈ હતી. છ સપ્ટેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદ તરફ વાચા ખાતે અને સાત સપ્ટેમ્બરે ચીની સરહદ તરફ દમાઈ ખાતે આ બેઠક યોજાઈ હતી.
ગયા વર્ષે ભારત અને ચીને સીધી હવાઈ સેવા ફરી શરૂ કરી હતી અને ભારતે ચીનના વ્યાપારી વ્યાવસાયિકો માટેની વિઝા પ્રક્રિયામાં પણ છૂટ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા ચીનના તિયાનજિન પહોંચ્યા હતા, જ્યાં તેમની શી જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી.
વર્ષ 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સની શિખર બેઠક યોજાઈ હતી. તેમાં વડા પ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે લગભગ પાંચ વર્ષ બાદ મુલાકાત થઈ હતી. બંને નેતાઓએ એલએસી પરથી સૈનિકોને પાછા હટાવવા અને 2020માં શરૂ થયેલા વિવાદને ઉકેલવા માટે થયેલા કરારનું સ્વાગત કર્યું હતું.
એ સમયે એવું લાગ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં જામી ગયેલો બરફ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે.
જોકે, હર્ષ પંતનું કહેવું છે કે સરહદ વિવાદ આટલી ઝડપથી સમાપ્ત થવાનો નથી અને તેને પાછળ છોડીને આગળ પણ વધી શકાય તેમ નથી.
તેઓ કહે છે, “બંને તરફથી હવે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે સમસ્યા વધુ ન વકરે. વર્ષ 2020 જેવી ઘટના ફરી ન બને અને સરહદ સંબંધોમાં વિશ્વાસ જળવાઈ રહે. આ માટે વાંગ યી અને ભારતના એનએસએ અજિત ડોભાલ વચ્ચે બેઠક પણ થઈ છે. ત્યાર પછી કમાન્ડરોની બેઠક પણ થઈ છે.”
ભારત અને ચીન વચ્ચેના બે મોટા મુદ્દા
ઇમેજ સ્રોત, AFP via Getty Images
હર્ષ પંત કહે છે કે બંને દેશોના સંબંધોએ ચોક્કસપણે નવો વળાંક લીધો છે, પરંતુ હજુ પણ બંને દેશો વચ્ચે ટ્રસ્ટ ડેફિસિટ (વિશ્વાસની ઊણપ) અને ટ્રેડ ડેફિસિટ (વેપાર ખાધ) બે મહત્ત્વના મુદ્દા છે.
તેમના મતે, “મીડિયાના અહેવાલો અનુસાર, શી જિનપિંગ આ મુલાકાત દરમિયાન 400 પ્રતિનિધિઓનું મોટું પ્રતિનિધિમંડળ લઈને આવી રહ્યા છે, જેમાં મોટા ભાગના લોકો વ્યાપાર અને વાણિજ્ય સાથે જોડાયેલા છે.”
“આનું એક કારણ એ છે કે ગલવાન પછી ભારતે સ્પષ્ટપણે કહી દીધું હતું કે સરહદ પર કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની અસર તમામ સંબંધો પર પડશે, ખાસ કરીને વ્યાપારી ભાગીદારી પર પણ.”
અને એમ જોવા મળ્યું છે કે સરહદ પર તણાવ ઘટાડવાના પ્રયાસો થયા ત્યારથી આર્થિક સંબંધોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.
આ જ વર્ષે માર્ચમાં ભારતે ચીની રોકાણ પર મૂકવામાં આવેલા કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપી હતી. ગલવાનમાં થયેલી અથડામણો પછી આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.
રૉયટર્સ અનુસાર, આ પ્રતિબંધોમાં ઇલેક્ટ્રોનિક્સ, કૅપિટલ ગુડ્સ અને સોલર સેલ ક્ષેત્રો વગેરેનો સમાવેશ થતો હતો. ભારત કેટલાક ઉદ્યોગોમાં ભારતીય અને ચીની કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસોને ઝડપથી મંજૂરી આપવાનું પણ વિચારી રહ્યું છે.
તાજેતરમાં નવી દિલ્હીએ કેટલીક મહત્ત્વની યોજનાઓને મંજૂરી પણ આપી છે. તેમાં ભારતની ડિક્સન ટેક્નૉલૉજીસ અને ચીની સ્માર્ટફોન ઉત્પાદક વીવો મોબાઇલ વચ્ચે સ્માર્ટફોનના ઉત્પાદન સાથે સંકળાયેલું સંયુક્ત સાહસ પણ સામેલ છે.
પરંતુ હજુ પણ કેટલાંક મોટાં રોકાણો અને યોજનાઓમાં અવરોધો યથાવત્ છે.
રૉયટર્સે ભારત સરકારના એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે બીવાયડી અને ગ્રેટ વૉલ મોટર જેવી અગ્રણી ચીની કંપનીઓ માટે આ છૂટ પૂરતી નથી. નવી દિલ્હીએ તપાસ વધુ કડક કરતાં આ વાહન ઉત્પાદકોએ ભારતમાં રોકાણ કરવાની પોતાની યોજનાઓ પડતી મૂકી હતી.
ચીનના વિદેશ મંત્રાલયે રૉયટર્સને જણાવ્યું કે આ જ મહિને કિર્ગિઝસ્તાનમાં એક પ્રાદેશિક મંચ પર શી અને મોદી થોડા સમય માટે મળ્યા હતા. બંનેએ કહ્યું હતું કે બંને દેશો ‘હરીફ નહીં, ભાગીદાર છે અને એકબીજાના વિકાસ માટે ખતરો નહીં, પરંતુ તક છે.’
હકીકતમાં, બંને દેશો અમેરિકા સાથે બગડતા સંબંધોનો સામનો કરી રહ્યા છે.
હર્ષ પંત કહે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકા સાથે ચીનના સંબંધો ઝડપથી બગડ્યા છે. એટલું જ નહીં, યુરોપે પણ ચીન સાથે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. ચીન મુખ્યત્વે નિકાસ આધારિત અર્થતંત્ર છે અને તેને બજારોની જરૂર છે. ભારત તેના માટે એક મોટું બજાર સાબિત થઈ શકે છે.”
તેમના મતે, “ભારત તરફથી એક મોટી સમસ્યા ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાધ છે, જે 100 અબજ ડૉલરને વટાવી ગઈ છે. ભારતને ચીનમાં પોતાની ચીજવસ્તુઓ માટે બજારમાં પ્રવેશ મળતો નથી. બીજી તરફ, મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે ભારત વ્યૂહાત્મક ક્ષેત્રોને બાદ કરતાં અન્ય ક્ષેત્રોમાં આર્થિક ભાગીદારી વધારવા માગે છે. સાથે સાથે ટૅક્નૉલૉજી ટ્રાન્સફર પણ થાય, જેથી વૅલ્યુ ચેઇનમાં ભારત આગળ વધી શકે.
તેઓ કહે છે કે શીની દિલ્હી મુલાકાત દરમિયાન કદાચ બંને પક્ષો વચ્ચે આ તમામ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.
ચીન શું ઇચ્છે છે?
ઇમેજ સ્રોત, Getty Images
શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાના નિષ્ણાત અને નવી દિલ્હીસ્થિત ચીની દૂતાવાસના ભૂતપૂર્વ રાજદ્વારી લિન મિનવાંગે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, “ચીન ચોક્કસપણે સંબંધોમાં સુધારો ઇચ્છે છે, પરંતુ અમે એ જોવા માગીએ છીએ કે ભારત ખરેખર આ સંબંધોને સુધારવા કેટલે અંશે તૈયાર છે.”
જોકે, તેમણે સંકેત આપ્યો હતો કે કોઈ મોટા ફેરફારની શક્યતા ઓછી છે.
હર્ષ પંત કહે છે, “ચીન પાસે આર્થિક તાકાત છે અને તેનો ઉપયોગ કરીને વિશ્વસનીય ભાગીદાર બનવાની તેની પાસે સારી તક છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બંને દેશો અમેરિકાની વેપાર નીતિઓથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે.”
તેમના મતે, “આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું બંને પક્ષોના હિતમાં છે, પરંતુ આ એટલું સરળ નથી. વ્યાપાર ખાધ ઉપરાંત બજારમાં પ્રવેશ, રોકાણ અને વ્યાપાર પ્રતિબંધો અંગેનું વલણ સ્પષ્ટ કરવું પડશે. બંને પક્ષો આ સમસ્યાઓને કેટલી હદ સુધી ઉકેલી શકે છે, તે મહત્ત્વનું છે.”
ચીનના સરકારી મીડિયા ‘ગ્લોબલ ટાઇમ્સે’ ગયા મંગળવારે પ્રકાશિત કરેલા એક લેખમાં 18મી બ્રિક્સ શિખર બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધોમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે.
અખબારે લખ્યું, “નાણાકીય વર્ષ 2025-26માં બંને દેશો વચ્ચેનો વેપાર 151.1 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ચીન ફરી એક વાર ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર બન્યું છે. દ્વિપક્ષીય સંબંધોમાં ઉતાર-ચઢાવ છતાં, આ ઉત્સાહજનક આંકડો બંને દેશોના સંબંધોમાં સતત થઈ રહેલા સુધારા અને બંને અર્થતંત્રોની સતત મજબૂત થઈ રહેલી વૃદ્ધિ દર્શાવે છે.”
“બંને દેશોએ સાથે મળીને દ્વિપક્ષીય વેપારને વધુ વિસ્તૃત અને બહેતર બનાવવા માટે એક મજબૂત પાયો તૈયાર કર્યો છે.”
વ્યાપારી અવરોધો દૂર કરવા પડશે
ઇમેજ સ્રોત, AFP via Getty Images
જોકે, સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો હોવા છતાં, બંને દેશો વચ્ચે આર્થિક મોરચે કેટલાક અવરોધો હજુ પણ યથાવત્ છે.
રૉયટર્સે ગયા અઠવાડિયે અહેવાલમાં જણાવ્યું હતું કે નવી દિલ્હીએ ચીનના ઍન્ટ ગ્રુપ સાથે સંકળાયેલી કંપની અલીપેની એક દરખાસ્તને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. આ દરખાસ્ત હેઠળ અલીપેને ભારતની તાત્કાલિક ચુકવણી પ્રણાલી સાથે જોડવાની હતી. ભારતે આ નિર્ણય માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓનો હવાલો આપ્યો હતો.
રૉયટર્સના અન્ય એક અહેવાલ અનુસાર, ભારત સરકાર ચીનની મોબાઇલ ફોન ઉત્પાદક કંપની શાઓમી સામે તપાસ કરવાની ભલામણ પર પણ વિચાર કરી રહી છે. આ ભલામણ સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે કરી હતી.
તેમાં ભારતમાં કંપનીના કારોબારમાં કથિત અનિયમિતતાઓ અને વિદેશી રોકાણના કાયદાના ઉલ્લંઘનની તપાસ કરવાની વાત જણાવવામાં આવી છે. જોકે, શાઓમીએ કાયદાનું પાલન કરવાની વાત કહી છે.
બીજી તરફ, ચીન તરફથી પણ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
રૉયટર્સે ભારતીય સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ચીની અધિકારીઓએ પોતાની કંપનીઓને પૉર્ટનાં સાધનો, સોલર પેનલ અને મોબાઇલ ઉત્પાદનનાં સાધનો સહિતની મહત્ત્વપૂર્ણ ટૅક્નૉલૉજી અને માળખાકીય સુવિધાઓને લગતો સામાન ભારતને ન વેચવા કહ્યું છે.
સમાચાર એજન્સીએ એવો પણ દાવો કર્યો છે કે સોલર ઍનર્જી અને ઇલેક્ટ્રૉનિક્સ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં જરૂરી સાધનો અને પાર્ટ્સને ચીનના કસ્ટમ્સ વિભાગમાં અટકાવી રાખવામાં આવ્યા છે.
રૉયટર્સે એક સરકારી અધિકારીને ટાંકીને એવો પણ દાવો કર્યો છે કે કેટલીક મોટી સુરંગ ખોદતાં મશીનોને ચીને એક વર્ષ કરતાં વધુ સમયથી અટકાવી રાખ્યાં છે.
હર્ષ પંત કહે છે, “કેટલાક પ્રતિબંધોમાં બંને તરફથી ઘટાડો થઈ શકે છે. પરંતુ તાત્કાલિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જાય એવું લાગતું નથી. ભારત ઇચ્છશે કે ચીનની આર્થિક તાકાતનો તેને લાભ મળે. ભારતમાં ચીનના રોકાણને કઈ રીતે લાવવું જોઈએ તે અંગે પણ ચર્ચા થતી રહી છે.”
તેઓ કહે છે, “ચીને દેખાડવું પડશે કે તે ભારત સાથેના આર્થિક મુદ્દાઓ બાબતે ગંભીર છે. તેનું એક ઉદાહરણ ભારતને ચીનના બજારમાં પ્રવેશ આપવાનું હોઈ શકે.”
ગ્લોબલ ટાઇમ્સે પણ પોતાના લેખમાં લખ્યું છે, “ભારતની કૃષિ પેદાશો, ખનિજ સંસાધનો અને ખાસ ઉપભોક્તા ચીજવસ્તુઓ માટે ચીનના બજારમાં પ્રવેશની ઘણી સંભાવનાઓ છે. ભારત-ચીન વચ્ચેના વ્યાપારી સહયોગનો લાભ ભારતના સ્થાનિક મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને થશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




