Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 7 મિનિટ પહેલા
ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સહમતિ બની છે પરંતુ છતાં સરહદ પાસેના વિસ્તારમાં પસાર થઈ રહેલાં વિમાનો માટે વિવિધ વિમાન કંપનીઓએ નવી ઍડવાઇઝરી બહાર પાડી છે.
ઍર ઇન્ડિયાએ મંગળવારે એટલે કે 13મી મેના રોજ આઠ પ્રમુખ શહેરોથી આવનારી અને જનારી ફ્લાઇટ્સ દર કરવાનું ઍલાન કર્યું છે. ઍર ઇન્ડિયાએ સુરક્ષાનાં કારણોને લઈને આ ફ્લાઇટ્સ રદ કરી હોવાનું જણાવ્યું છે.
ઍર ઇન્ડિયાએ આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
જેમાં જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટનો સમાવેશ થાય છે. ઍર ઇન્ડિયા કંપનીએ જણાવ્યું છે કે સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તેઓ આ મામલે અપડેટ કરશે.
ઇન્ડિગોએ પણ મંગળરાર એટલે કે 13મી મેના રોજ જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ માટે તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પ્રમાણે, “અમે જાણીએ છીએ કે તમારી મુસાફરીની યોજના કેવી રીતે પ્રભાવિત થઈ રહી છે. તમને પડેલી અસુવિધા માટે અમને ખેદ છે. અમારી ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે. સમય પર અપડેટ આપવામાં આવશે. કૃપા કરીને ઍરપૉર્ટ આવવા પહેલાં તમે અમાવી વેબસાઇટ કે ઍપ પર ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરો. કોઈ પણ સહાયતા માટે અમે હંમેશાં તૈયાર છીએ.”
ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે કયા મુદ્દે થઈ વાતચીત?

ઇમેજ સ્રોત, ANI
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ રોકવા પર બનેલી સહમતિ બાદ સોમવારે સાંજે પાંચ વાગ્યે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે વાતચીત થઈ.
ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ વાતચીતમાં બંને તરફથી એક પણ ગોળી ન ચલાવવા અથવા કોઈ પણ પ્રકારની આક્રમકતા શરૂ ન કરવા તથા અન્ય ઘણા મુદ્દે વાતચીત થઈ.
સૂત્રો પ્રમાણે, એ વાત પર સહમતિ બની કે બંને પક્ષ બૉર્ડર વિસ્તાર તથા અગ્રીમ મોરચા પર સૈનિકોની સંખ્યા ઘટાડવા પર સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવવા પર વિચાર કરવામાં આવે.
તેના પહેલાં સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જીડીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે એવી કોઈ તક નહોતી કે પાકિસ્તાન ઍરફૉર્સ ભારતના મલ્ટીટિયર્ડ ડિફેન્સને પાર કરીને ભારતીય ઍર ફિલ્ડ્સ કે લૉજિસ્ટિક ઇન્સ્ટૉલેશન્સને ટાર્ગેટ કરી શકે.
આ વાતચીત વચ્ચે ભારતીય સેનાએ સોમવાર રાત્રે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં કેટલાંક સંદિગ્ધ ડ્રૉન દેખાયાં હતાં.
હકીકતમાં પહલગામમાં થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ થયો હતો. ત્યાર બાદ 10મી મેના રોજ સંઘર્ષવિરામ પર સહમતિ બની હતી.
ભારતીય સેનાએ કહ્યું- જમ્મુ-કાશ્મીરના સાંબામાં દેખાયાં ડ્રૉન

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ સોમવારે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં કેટેલાંક સંદિગ્ઘ ડ્રૉન દેખાયાં છે. પરંતુ તેને નિષ્ક્રિય કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
જોકે, સેનાએ એ નથી જણાવ્યું કે ડ્રૉન કઈ તરફથી આવ્યાં છે. હકીકતમાં પહલગામમાં થયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ બાદ 10મી મેના રોજ સંઘર્ષવિરામ પર સમજૂતી બની હતી.
સહમતિ બન્યાના થોડા કલાકોમાં જ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
IPL : 17મી મેથી ફરી શરૂ થશે આઈપીએલ, ત્રણ જૂને થશે ફાઇનલ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) 17મી મેથી ફરી શરૂ થશે. આ સિઝનની ફાઇનલ મૅચ ત્રણ જૂને રમાશે.
આઈપીએલએ ઍક્સ પર તેની માહિતી આપી હતી. આઠ મેના રોજ પંજાબ કિંગ્સ તથા દિલ્હી કૅપિટલ્સ વચ્ચે જે મૅચ રદ થઈ હતી ત્યાર પછી આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આઈપીએલમાં પંજાબ અને દિલ્હીની મૅચ ચાલી રહી હતી ત્યારે વચ્ચે જ સ્ટેડિયમમાં બ્લૅકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને મૅચને રદ કરી દેવામાં આવી હતી.
ભારતીય સંરક્ષણ મંત્રાલય અનુસાર આઠ મેની રાત્રે પાકિસ્તાન તરફથી ભારતમાં ઘણી જગ્યાએ ડ્રૉન અને મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS