Source : BBC NEWS

ઇમેજ સ્રોત, FB/Gopal Italia
અપડેટેડ 2 મિનિટ પહેલા
કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે.
ચૂંટણીપંચની પ્રેસ રિલીઝ પ્રમાણે, ગુજરાતની કડી અને વીસાવદર ઉપરાંત કેરળ (નિલંબુર), પંજાબ (લુધિયાણા-પશ્ચિમ) તથા પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાશે.
19મી જૂનના રોજ મતદાન થશે તથા 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે.
ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, સોમવારે આને માટે અધિસૂચના બહાર પાડવામાં આવશે, આ સાથે જ ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ જશે. બીજી જૂન સુધી ઉમેદવારી કરી શકાશે.
એ પછી ત્રીજી જૂને ઉમેદવારીપત્રક ચકાસવામાં આવશે. પાંચમી જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી અગાઉ વીસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરેલા છે.
સર્વદળીય પ્રતિનિધિમંડળ સાથે ન્યૂ યૉર્ક પહોંચેલા શશિ થરૂરે પાકિસ્તાન વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હુમલો તથા એ પછી ભારતે કરેલી કાર્યવાહી અંગે માહિતી આપવા માટે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદોનું એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું છે.
ન્યૂયૉર્કસ્થિત 9/11 સ્મૃતિ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ શશિ થરૂરે કહ્યું, “આ અમારા માટે ખૂબ જ માર્મિક ક્ષણ છે, પરંતુ તેનો હેતુ દૃઢ સંદેશ આપવાનો પણ છે.”
તેમણે કહ્યું, “આ એક એવું શહેર છે કે જેના પર આતંકવાદીઓના ક્રૂર હુમલાનાં નિશાન જોવાં મળે છે. અમે પણ અમારા દેશમાં તાજેતરમાં એક આતંકવાદી હુમલો વેઠ્યો છે.”
થરૂરે કહ્યું, “અમે એ યાદ અપાવવા માટે આવ્યા છીએ કે આ બધાની અને વૈશ્વિક સમસ્યા છે. આપણે તેની સામે એકસંપ થઈને લડવું પડશે. અમે પીડિતોની સાથે છીએ અને તેમાં ભારતીયો પણ સામેલ છે.”
પહલગામ હુમલા અંગે શશિ થરૂરે કહ્યું, “આ હુમલાના એક કલાકની અંદર જ ટી.આર.એફ.એ (ધ રેઝિસટન્સ ફ્રન્ટ) આ હુમલાની જવાબદારી લીધી હતી. જે આતંકવાદી સમૂહ તરીકે વિખ્યાત છે.”
વાણિજ્ય દૂતાવાસમાં વાતચીત દરમિયાન કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, “તમે બધા જાણો છો કે હું સરકાર નહીં, વિપક્ષ માટે કામ કરું છું, છતાં મેં એક લેખ લખ્યો હતો કે હવે સમજણપૂર્વક આકરા પ્રહાર કરવાનો સમય આવી ગયો છે.”
તેમણે ઉમેર્યું, “હવે અમે કૃતનિશ્ચયી છીએ કે આ મામલે નવો રસ્તો શોધવો જોઈએ. અમે ડૉઝિયર, ફરિયાદ અને બધું અજમાવી લીધું. પાકિસ્તાને સતત ઇનકાર જ કર્યો છે.”
થરૂરે ઉમેર્યું, “પાકિસ્તાને ન તો કોઈને દોષિત ઠેરવ્યા કે ન તો કોઈ ઉપર ગંભીર ફોજદારી કેસ ચલાવ્યા. તેણે આતંકવાદી માળખાને ખતમ કરવા માટે કોઈ પ્રયાસ ન કર્યા તથા ત્યાં સુરક્ષિત આશરો આપ્યો.”
થરૂરે કહ્યું, “જો પાકિસ્તાન આવું કરશે તો અમે ફરી આ પ્રકારના ચોક્કસાઈપૂર્વકનાં ઑપરેશન કરી શકીએ છીએ. આતંકવાદીઓને સજા મળવી જોઈ અને અમે તેમની શોધખોળ ચાલુ રાખીશું, પરંતુ આપણે એ વિચારવું રહ્યું કે આ લોકો ક્યાં રહે છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે તેમને તાલીમ, હથિયાર અને નાણાં ક્યાંથી મળે છે.”
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે યુવકનું મૃત્યુ, ગુજરાતમાં કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં કોવિડ-19ને કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. ઠાણે મહાનગર પાલિકાએ તેની પુષ્ટિ કરી છે.
બીબીસી મરાઠીના જણાવ્યા પ્રમાણે, ઠાણેમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુવકની ઉંમર 21 વર્ષ હતી. ડાયાબિટીસને કારણે તેમને 22મી મેના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, હાલ દેશમાં કોરોનાના 257 ઍક્ટિવ કેસ છે. જેમાં કેરળમાં સૌથી વધુ 95, તામિલનાડુમાં 66 અને મહારાષ્ટ્રમાં 56 કેસ છે.
ગુજરાતમાં સાત ઍક્ટિવ કેસ છે. 12મી મેના રોજ આ સંખ્યા એકની હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય શ્રીવાસ્તવે શનિવારે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના લોકોને સામાન્ય લક્ષણ જોવાં મળ્યાં છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી તથા ઘરોમાં જ તેમની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારત સહિત એશિયાઈ દેશોમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેના માટે JN.1 વૅરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS