Source : BBC NEWS

સોનમ રઘુવંશી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, UP POLICE

મેઘાલયનો પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાથી એક હજાર કિલોમીટરથી વધુ દૂર છે.

ઇંદોરના રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂનના રોજ પૂર્વ ખાસી હિલ્સમાંથી મળી આવ્યો હતો અને એક અઠવાડિયા પછી તેમનાં ગુમ થયેલાં પત્ની સોનમ રઘુવંશી ગાઝીપુરમાંથી મળી આવ્યાં હતાં. અને આ કેસમાં, ત્રણેય રાજ્યો – મેઘાલય, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની પોલીસના અલગ અલગ દાવા છે.

ઇંદોરનું દંપતી – રાજા અને સોનમ તેમના હનીમૂન માટે મેઘાલય ગયાં હતાં અને પછી તેમના ગુમ થવાના સમાચાર આવ્યા.

હવે સોનમ રઘુવંશી પોલીસ કસ્ટડીમાં છે. મેઘાલય પોલીસ તેમના પર હત્યામાં સંડોવણી હોવાનો આરોપ લગાવી રહી છે પરંતુ સોનમનો પરિવાર તેમને ‘નિર્દોષ’ ગણાવી રહ્યો છે.

જોકે કેટલાક પ્રશ્નોના જવાબ હજુ સુધી મળ્યા નથી.

ઉદાહરણ તરીકે, સોનમ સેંકડો કિલોમીટર દૂર મેઘાલયથી યુપીના ગાઝીપુર કેવી રીતે પહોંચ્યાં, અને પોલીસ સોનમ સુધી કેવી રીતે પહોંચી જે ઘણા દિવસોથી ગુમ હતાં?

મેઘાલય પોલીસ હવે સોનમની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે.

23 મેથી ગુમ થયેલા રાજાનો મૃતદેહ તારીખ બીજી જૂનના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સમાં વેઈસાડોંગ ધોધ નજીક 150 ફૂટ ઊંડી ખાડીમાંથી મળી આવ્યો હતો.

પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) વિવેક સિયેન્મે પત્રકારોને જણાવ્યું હતું કે, “એકવાર (મેઘાલય પોલીસ) ટીમ ત્યાં (ગાઝીપુર) પહોંચશે, પછી તેઓ તેમની (સોનમ રઘુવંશી) ધરપકડ કરશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લેશે.”

યુપી પોલીસે એમ પણ કહ્યું છે કે સોનમને મેઘાલય પોલીસને સોંપવામાં આવશે.

શું આ હત્યામાં સોનમની કોઈ ભૂમિકા છે?

આ પ્રશ્નના જવાબમાં, એસપી વિવેક સ્યામ કહે છે, “હા, એવું લાગે છે. મેઘાલય પોલીસની બે ટીમો મધ્યપ્રદેશમાં છે અને એક ટીમ સોનમની ધરપકડ કરવા માટે ઉત્તર પ્રદેશ જઈ રહી છે.”

સોનમના પિતા દેવી સિંહે મેઘાલય પોલીસ પર તેમને ‘ગેરમાર્ગે દોરવાનો’ આરોપ લગાવ્યો છે અને તેમની પુત્રીને ‘નિર્દોષ’ કહી છે.

દરમિયાન, મેઘાલય પોલીસનો દાવો છે કે જ્યારે આ કેસમાં ‘ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી’ ત્યારે સોનમ ‘સામે આવ્યાં’ જે ઘણું બધું કહી દે છે’.

સોનમ રઘુવંશીનો પરિવાર આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે.

સોનમ સુધી કેવી રીતે પહોંચી પોલીસ?

રાજા રઘુવંશી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Vishnukant Tiwar

સોનમ રઘુવંશીની શોધ છેલ્લા 17 દિવસથી ચાલી રહી હતી. મેઘાલય પોલીસને રાજાના મૃતદેહ પાસે લાલ અને કાળો રેઇનકોટ મળ્યો. આ રેઇનકોટ અને હોટલની બહારના સીસીટીવી ફૂટેજ સિવાય, સોનમ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી.

સોનમના પિતા દેવી સિંહે કહ્યું, “8 જૂનની મોડી રાત્રે, સોનમના ભાઈ ગોવિંદ સિંહને ઉત્તર પ્રદેશથી ફોન આવ્યો. સોનમે ગાઝીપુરના એક ઢાબા પરથી ફોન કર્યો હતો. ત્યારબાદ, અમે પોલીસને જાણ કરી. એ ઢાબા પરથી પોલીસ લઈ આવી છે. બે વાગ્યા હતા અને મારી દીકરીએ ફક્ત ગોવિંદ સાથે વાત કરી છે.”

કાશી ઢાબા ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નૅશનલ હાઇવે પર આવેલું છે. ગાઝીપુર પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે સોનમની ધરપકડ કરી હતી.

ગાઝીપુરના પોલીસ અધિક્ષક ડૉ. ઇરજ રાજાએ પત્રકારોને જણાવ્યું હતું કે , “સોનમના ફોન પછી સોનમના પરિવારે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી હતી. આ પછી, મધ્યપ્રદેશ પોલીસે ગાઝીપુર પોલીસનો સંપર્ક કર્યો અને ત્યારબાદ સોનમ ઢાબામાંથી મળી આવ્યાં અને વન સ્ટૉપ સેન્ટર લઈ જવામાં આવ્યાં.”

કાશી ઢાબાના સંચાલક સાહિલ યાદવનો દાવો છે કે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

મીડિયા સાથે વાત કરતા સાહિલ યાદવે કહ્યું, “સોનમે તેમના પરિવારને ફોન કરવા માટે મારો ફોન માંગ્યો હતો. ફોન પર તેમના પરિવાર સાથે વાત કરતી વખતે તેઓ રડવા લાગ્યાં. થોડા સમય પછી, તેમના ભાઈએ મને ફોન કરીને સ્થાનિક પોલીસને જાણ કરવા કહ્યું. પોલીસ અહીં આવી અને રાત્રે લગભગ 2:30 વાગ્યે તેમને લઈ ગઈ.”

સાહિલ કહે છે કે જ્યારે તેમણે સોનમને પૂછ્યું કે તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યાં, તો સોનમે કોઈ જવાબ આપ્યો નહીં.

ઇંદોરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) રાજેશ દંડોટિયાએ બીબીસીને જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે શિલૉંગ પોલીસ દ્વારા માહિતી મળી હતી કે ગાઝીપુર પોલીસે સોનમ રઘુવંશીને શોધી કાઢ્યાં છે. શિલૉંગ પોલીસે ઇંદોરનો સંપર્ક કર્યો અને ત્રણ શંકાસ્પદોની જાણ કરવામાં આવી. ઇંદોર પોલીસ અને શિલૉંગ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને ત્રણેયની ધરપકડ કરી.”

હવે શિલૉંગ પોલીસ કસ્ટડીમાં લેવાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.

દરમિયાન, મેઘાલયના ડીજીપી આઈ નોંગરાંગે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “ઈંદોરના પુરુષની હત્યાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેમનાં પત્નીનો પણ સમાવેશ થાય છે. હનીમૂન દરમિયાન, પત્નીએ કથિત રીતે હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપવા માટે અન્ય લોકોની મદદ લીધી હતી.”

‘મેઘાલય સરકાર મારી દીકરીને ફસાવી રહી છે’

રાજા, સોનમ, સીબીઆઈ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Vishnukant Tiwari

સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પુત્રી સોનમ રઘુવંશી નિર્દોષ છે અને તેમને તેમની પુત્રી પર પૂરો વિશ્વાસ છે કે તે આવું કંઈ નહીં કરે.

દેવી સિંહે કહ્યું, “લગ્ન બંને પરિવારો અને બંનેની સંમતિથી થયાં હતાં. ત્યાંની સરકાર (મેઘાલય) પહેલા દિવસથી જ ખોટું બોલી રહી છે. દીકરી ગાઝીપુર ગઈ અને ઢાબા પરથી પોતે ફોન કર્યો. પોલીસ ઢાબા પર પહોંચી અને તેને ત્યાંથી લઈ આવી. મેં સોનમ સાથે વાત કરી નથી.”

દેવી સિંહ આગળ કહે છે, “છોકરી હત્યા શું કામ કરાવે? જો એવું હોત તો તેઓ ફરવા કેમ ગયાં હોત? હું અમિત શાહજીને અપીલ કરું છું કે આની સીબીઆઈ તપાસ કરવામાં આવે. મેઘાલય પોલીસે વાર્તા ઉપજાવી કાઢી છે.”

રાજાનો મૃતદેહ મળ્યા પછી, તેના પરિવારે તેના ઘરની બહાર એક મોટું બોર્ડ લટકાવ્યું હતું જેના પર લખ્યું હતું કે ” સોનમ રઘુવંશી કી યહી પુકાર, કબ દેખેંગે ઘર કા દ્વાર”

હવે સોનમના સામે આવ્યા પછી, રાજાના પરિવારમાં ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાય છે. મેઘાલય પોલીસના સોનમ વિશેના દાવા પછી, રાજાના પરિવારે સોનમના ફોટા બાળીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

બીબીસી સાથે વાત કરતાં રાજાનાં માતા ઉમા રઘુવંશીએ કહ્યું, “બધું બંને પરિવારો વચ્ચે પરસ્પર સંમતિથી થયું. બંને ખુશ હતાં. લગ્ન પછી કોઈ જૂના સંબંધની જેમ સોનમ અમારી સાથે રહેતી હતી. અમને વિશ્વાસ નથી આવતો કે સોનમ આવું કરી શકે છે”.

રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ પણ આ સંબંધ માટે સંમતિ આપી અને કહ્યું, “બધું બરાબર હતું. પણ અમે અમારા ભાઈને ગુમાવ્યો. આ માટે જે કોઈ જવાબદાર છે તેને સૌથી કડક સજા મળવી જોઈએ”.

રાજ્યનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે: મેઘાલય પોલીસ

મેઘાલય પોલીસે જણાવ્યું હતું કે ગુના પછી, સોશિયલ મીડિયા પર રાજ્ય વિરુદ્ધ નફરતભરી ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી હતી, જેનાથી રાજ્યના લોકોનું અપમાન થયું હતું.

એક પ્રશ્નના જવાબમાં, પોલીસ અધિકારીએ કહ્યું, “રાજ્યના લોકોને નિશાન બનાવતી નફરતથી ભરેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નોંધ લેવામાં આવી છે. જવાબદારો સામે FIR નોંધવામાં આવી રહી છે.”

ગૃહમંત્રી પ્રેસ્ટોન ટાઇનસોંગે મેઘાલય વિરુદ્ધ ‘નકારાત્મક વાર્તા’ ન બનાવવાની અપીલ કરી હતી.

તેઓ કહે છે, “હું ભારતમાં અને ભારતની બહારના દરેકને અપીલ કરવા માંગુ છું કે કૃપા કરીને મેઘાલયની નકારાત્મક છબી ન બનાવો. પછી ભલે તે સોશિયલ મીડિયા પર હોય કે મુખ્ય પ્રવાહના મીડિયામાં. કારણ કે તેમાં કોઈ તથ્યો નથી. મેઘાલય સુરક્ષિત છે.”

મેઘાલય સરકારે આ કાર્યવાહીને સાંપ્રદાયિક ઉશ્કેરણી સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ ગણાવી છે.

શું છે આખો મામલો?

રાજા રઘુવંશી, મેઘાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC

ઇંદોરના સાકર નગરના રહેવાસી 29 વર્ષીય રાજા રઘુવંશી અને 27 વર્ષીય સોનમ, તેમના હનીમૂન માટે મેઘાલય ગયાં હતાં. પરંતુ 23 મેના રોજ તેઓ ગુમ થઈ ગયાં.

11દિવસ પછી, તારીખ બીજી જૂનના રોજ, રાજાનો મૃતદેહ પૂર્વ ખાસી હિલ્સમાં વેઈસાડોંગ ધોધ નજીક 150 ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવ્યો, પરંતુ સોનમ હજુ પણ ગુમ હતાં.

રાજા રઘુવંશીનો મૃતદેહ તારીખ ચાર જૂન, બુધવારે સાંજે મેઘાલયથી તેમના ઘરે પહોંચ્યો હતો.

આ દંપતી 23 મેના રોજ ગુમ થયાના એક દિવસ પહેલાં મેઘાલયના નોંગરિયાટ પહોંચ્યા હતા અને છેલ્લે શિપારા હોમસ્ટેથી ચેકઆઉટ કરતા જોવા મળ્યા હતા.

પોલીસ સ્થાનિક લોકો અને ટુરિસ્ટ ગાઇડની પૂછપરછ કરીને કેસની તપાસ કરી રહી હતી પરંતુ કોઈ ક્લુ નહોતા મળી રહ્યા.

એ સમયે, ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) વિવેક સ્યેમે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, “આ હત્યા હતી તેમાં કોઈ શંકા નથી. અમે ગુનામાં વપરાયેલ ‘દાઓ’ (મોટી તીક્ષ્ણ છરી) પણ જપ્ત કરી છે.”

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS