Source : BBC NEWS

કાનનો મેલ અને બીમારીનાં લક્ષણો

ઇમેજ સ્રોત, Emmanuel Lafont/ BBC

અલ્ઝાઇમરથી લઈને કૅન્સર સુધી, કાનનાં મેલમાં વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેના મૂલ્યવાન સંકેતો હોઈ શકે છે. હવે વૈજ્ઞાનિકો રોગોનું નિદાન કરવાની નવી રીતોમાં એક કાનના મેલનો અભ્યાસ પણ સામેલ થયો છે.

તે નારંગી રંગનો હોય છે, તે ચીકણો છે, અને તે કદાચ છેલ્લી વસ્તુ છે જેના વિશે તમે વાતચીત કરવા માંગતા હોવ. છતાં કાનનો મેલ વધુને વધુ વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે, જેઓ તેનો ઉપયોગ કૅન્સર, હૃદય રોગ અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવા મેટાબૉલિક ડિસઑર્ડર જેવા રોગો અને સ્થિતિઓ વિશે વધુ જાણવા માટે કરવા માંગે છે.

બીબીસી ગુજરાતી ઍક્સપ્લેનર સાથે સમજો

આ ચીકણા પદાર્થનું યોગ્ય નામ સેરુમેન છે, અને તે બે પ્રકારની ગ્રંથીઓનાં સ્ત્રાવનું મિશ્રણ છે જે બાહ્ય કાનની નળીમાં જોવા મળે છે; સેરુમિનસ અને સેબેસીયસ ગ્રંથીઓ. પરિણામે આ ચિકણો પદાર્થ વાળ, મૃત ત્વચાના ટુકડા અને અન્ય શારીરિક કચરો સાથે મિશ્રિત થાય છે ત્યાં સુધી કે તે મીણ જેવી સ્થિરતાએ ન પહોંચે, આપણે બધા જાણીએ છીએ પણ તેના અંગે વિચારવાથી બચતા રહીએ છીએ.

કાનની નળીમાં બન્યા પછી, પદાર્થનું પરિવહન એક પ્રકારના કન્વેયર બેલ્ટ જેવી મિકેનિઝમથી થાય છે, જે કાનની અંદરથી બહારની તરફ જતા ત્વચાના કોષો સાથે ચોંટી જાય છે – તેઓ દરરોજ લગભગ એક મિલીમીટરના 20મા ભાગની ઝડપે ગતિ કરતા હોય છે.

કાનના મેલનો પ્રાથમિક હેતુ ચર્ચાનો વિષય છે, પરંતુ તેનું સૌથી સંભવિત કાર્ય કાનની નળીને સ્વચ્છ અને ચીકણી રાખવાનું છે. જો કે, તે એક અસરકારક જાળ તરીકે પણ કામ કરે છે, જે બૅક્ટેરિયા, ફૂગ અને અન્ય અણગમતા મહેમાનો જેમ કે જંતુઓને આપણા માથામાં પ્રવેશતા અટકાવે છે. અત્યાર સુધી તેના અપ્રિય દેખાવને કારણે, શારીરિક સ્ત્રાવની વાત આવે ત્યારે સંશોધકોએ કાનના મેલ તરફ બહુ ધ્યાન નથી આપ્યું.

જોકે હવે આશ્ચર્યજનક વૈજ્ઞાનિક શોધોને કારણે તેમાં બદલાવ આવી રહ્યો છે. પહેલું એ કે વ્યક્તિના કાનનો મેલ ખરેખર તેમના વિશે તુચ્છ અને મહત્ત્વપૂર્ણ એવી બંને પ્રકારની આશ્ચર્યજનક માહિતી આપી શકે છે.

ઉદાહરણ તરીકે, યુરોપિયન અથવા આફ્રિકન વંશના મોટાભાગના લોકોમાં કાનમાં ભીનો મેલ હોય છે, જે પીળો અથવા નારંગી રંગનો અને ચીકણો હોય છે. અને 95 ટકા પૂર્વ એશિયાઈ લોકોમાં કાનમાં સૂકો મેલ હોય છે, જે રાખોડી કે ચીકણો નથી હોતો. ભીનો કે સૂકો મેલ ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન ABCC11 કહેવાય છે, જે વ્યક્તિની બગલમાં દુર્ગંધ આવે છે કે નહીં તે માટે પણ જવાબદાર હોય છે. લગભગ બે ટકા લોકો – મોટાભાગે સૂકા મેલની શ્રેણીના લોકો – પાસે આ જનીનનું એક સંસ્કરણ છે જેનો અર્થ એ છે કે તેમની બગલમાંથી ગંધ આવતી નથી.

જોકે, સૌથી ઉપયોગી મેલ સંબંધિત શોધો આપણા કાનમાં રહેલી ચીકણી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય વિશે શું કહી શકે છે તેનાથી સંબંધિત છે.

કાનના મેલ અને બીમારીને શું સંબંધ છે?

1971માં યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોના મેડિસિનના પ્રોફેસર નિકોલસ એલ પેટ્રાકિસને જાણવા મળ્યું કે યુએસએમાં કોકેશિયન, આફ્રિકન-અમેરિકન અને જર્મન મહિલાઓ, જેમના કાનમાં “ભીનો મેલ” હતો, તેમનામાં “શુષ્ક” મેલ ધરાવતી જાપાની અને તાઇવાનની મહિલાઓ કરતાં સ્તન કૅન્સરથી મૃત્યુ પામવાની શક્યતા લગભગ ચાર ગણી વધારે હતી.

તાજેતરમાં 2010 માં ટોક્યો ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના સંશોધકોએ ગંભીર સ્તન કૅન્સર ધરાવતી 270 મહિલા દર્દીઓ અને નિયંત્રણ તરીકે કામ કરતી 273 મહિલા સ્વયંસેવકોના લોહીના નમૂના લીધા હતા. તેમણે શોધી કાઢ્યું હતું કે સ્તન કૅન્સર ધરાવતી જાપાની મહિલાઓમાં સ્વસ્થ સ્વયંસેવકો કરતાં ભીના કાનના મેલ માટે જનીન કોડિંગ થવાની શક્યતા 77 ટકા વધુ હતી.

તેમ છતાં આ શોધ વિવાદાસ્પદ રહી છે, અને જર્મની,ઑસ્ટ્રેલિયા અને ઇટાલીમાં મોટા પાયે થયેલા અભ્યાસોમાં ભીના અને સૂકા કાનના મેલ ધરાવતા લોકો વચ્ચે સ્તન કૅન્સરના જોખમમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી.

જોકે આ દેશોમાં સૂકા કાનના મેલ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે.

વધુ સ્થાપિત બાબત એ છે કે કેટલીક પ્રણાલીગત બીમારીઓ અને કાનના મેલમાં જોવા મળતા પદાર્થો વચ્ચેનો સંબંધ છે. મેપલ સિરપ મૂત્ર રોગની વાત કરીએ, આ એક દુર્લભ આનુવંશિક વિકાર છે જે શરીરને ખોરાકમાં જોવા મળતા ચોક્કસ એમિનો એસિડને તોડતા અટકાવે છે. આ લોહી અને પેશાબમાં અસ્થિર સંયોજનોના સંચય તરફ દોરી જાય છે, જેનાથી પેશાબને મેપલ સિરપ જેવી વિશિષ્ટ ગંધ મળે છે.

આ મીઠા ગંધવાળા મૂત્ર માટે જવાબદાર પરમાણુ સોટોલોન છે, અને તે આ સ્થિતિ ધરાવતા લોકોના કાનના મેલમાં પણ જોઈ શકાય છે. આનો અર્થ એ થયો કે આ સ્થિતિનું નિદાન ફક્ત કોઈના કાનના મેલનો સ્વેબ લઈને કરી શકાય છે, જે આનુવંશિક પરીક્ષણ કરતાં ઘણી સરળ અને સસ્તી પ્રક્રિયા છે. જોકે આવા પરીક્ષણની જરૂર પણ ન ઊભી થઈ શકે.

લ્યુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીના પર્યાવરણીય રસાયણશાસ્ત્રી રબી એન મુસાહ કહે છે કે, “કાનના મેલની ગંધ વાસ્તવમાં મેપલ સિરપ જેવી હોય છે, તેથી બાળકના જન્મના 12 કલાકની અંદર જ્યારે તમે આ વિશિષ્ટ અને ગંધ અનુભવો છો ત્યારે તમને ખબર પડે છે કે તેનામાં ચયાપચયની જન્મજાત ત્રુટી છે.”

કાનનો મેલ કેવી રીતે બીમારીઓ વિશે સૂચવી શકે છે

કોવિડ-19 ક્યારેક કાનનાં મેલમાંથી પણ શોધી શકાય છે, અને વ્યક્તિનાં કાનનો મેલ તમને એ પણ કહી શકે છે કે તેમને ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસ છે કે નહીં.

પ્રારંભિક શોધ સૂચવે છે કે તમે કોઈના કાનના મેલથી હૃદય રોગનો ચોક્કસ પ્રકાર જાણી શકો છો. જોકે રક્ત પરીક્ષણો દ્વારા આ સ્થિતિનું નિદાન કરવું હજુ પણ સરળ છે.

મેનિયર પણ એક રોગ છે, જે આંતરિક કાનની સ્થિતિ છે જેના કારણે લોકોને ચક્કર આવે છે અને ઓછું સંભળાય છે.

મુસાહ કહે છે, “આ લક્ષણો ખૂબ જ દુર્બળ કરનારા હોઈ શકે છે.” “તેમાં ગંભીર ઊબકા અને ચક્કરનો સમાવેશ થાય છે. જેના લીધે વાહન ચલાવવું અથવા અન્ય સ્થળોએ જવું અશક્ય બની જાય છે. આખરે તમે સંપૂર્ણ શ્રવણશક્તિ ગુમાવો છો.”

મુસાહ તાજેતરમાં એક ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે મેનિઅર રોગના દર્દીઓના કાનના મેલમાં સ્વસ્થ નિયંત્રણ કરતા ત્રણ ફૅટી એસિડનું સ્તર ઓછું હોય છે. આ પહેલી વાર બન્યું છે જ્યારે કોઈએ આ સ્થિતિ માટે બાયોમાર્કર શોધી કાઢ્યું છે, જે સામાન્ય રીતે બાકીની બધી બાબતોને બાકાત રાખીને નિદાન કરવામાં આવતું હોય છે – આ એક એવી પ્રક્રિયા છે જેમાં વર્ષો લાગી શકે છે. આ શોધ એવી આશા જગાડે છે કે ડૉકટરો ભવિષ્યમાં આ સ્થિતિનું નિદાન વધુ ઝડપથી કરવા માટે કાનના મેલનો ઉપયોગ કરી શકશે.

કાન, મેલ, રોગ, સ્વાસ્થય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Emmanuel Lafont/ BBC

કાનનો મેલ,

મુસાહ કહે છે, “રોગના રિપોર્ટર તરીકે કાનના મેલમાં અમારી રુચિ એવી બીમારીઓ પર કેન્દ્રિત છે જેનું નિદાન લોહી અને પેશાબ અથવા મગજના કરોડરજ્જુના પ્રવાહી જેવા લાક્ષણિક જૈવિક પ્રવાહીનો ઉપયોગ કરીને કરવું ખૂબ મુશ્કેલ બને છે, અને જેનું નિદાન લાંબો સમય લે છે કારણ કે તે દુર્લભ રોગો છે.”

પરંતુ કાનના મેલમાં એવું તો શું છે જે તેને સ્વાસ્થ્ય અંગેની માહિતીનો ખજાનો બનાવે છે? તે તારણ આપે છે કે, શરીરની અંદર થતી આંતરિક રાસાયણિક પ્રતિક્રિયાઓ – વ્યક્તિના ચયાપચયને પ્રતિબિંબિત કરવાની મેલના સ્ત્રાવની ક્ષમતા મુખ્ય છે.

બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી ઑફ ગોઇઆસના રસાયણશાસ્ત્રના પ્રોફેસર નેલ્સન રોબર્ટો એન્ટોનિયોસી ફિલ્હો કહે છે, “જીવંત જીવોમાં ઘણા રોગો મેટાબૉલિક હોય છે, જેઓ ડાયાબિટીસ, કૅન્સર, પાર્કિન્સન અને અલ્ઝાઇમર રોગને ઉદાહરણ તરીકે સૂચિબદ્ધ કરે છે.”

તેઓ આગળ જણાવે છે કે, “આ કિસ્સાઓમાં, માઇટોકૉન્ડ્રિયા – લિપિડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનને ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે જવાબદાર કોષ ઑર્ગેનેલ્સ – સ્વસ્થ કોષોમાં રહેલા લોકો કરતા અલગ રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે. તેઓ વિવિધ રાસાયણિક પદાર્થો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને અન્યનું ઉત્પાદન કરવાનું પણ બંધ કરી શકે છે.”

ઍન્ટોનિયોસી ફિલ્હોની પ્રયોગશાળાએ શોધી કાઢ્યું છે કે કાનના મેલમાં જૈવિક પ્રવાહી પદાર્થોની વિવિધતા લોહી, પેશાબ, પરસેવો અને આંસુ કરતાં વધુ હોય છે.

ફિલાડેલ્ફિયા સ્થિત એક સંશોધન સંસ્થા, મોનેલ કેમિકલ સેન્સ સેન્ટરના રાસાયણિક ઇકોલૉજિસ્ટ બ્રૂસ કિમબોલ કહે છે, “આ ખૂબ જ અર્થપૂર્ણ છે કારણ કે કાનના મેલમાં બહુ બદલાવ નથી આવતા.”

કાનના મીણમાંથી કૅન્સરનું નિદાન કેવી રીતે થશે

આને ધ્યાનમાં રાખીને, ઍન્ટોનિયોસી ફિલ્હો અને તેમની ટીમ “સેરુમેનોગ્રામ” વિકસાવી રહ્યા છે – એક નિદાનનું સાધન જેનો તેઓ દાવો કરે છે કે તે વ્યક્તિને તેમના કાનના મેલના આધારે ચોક્કસ પ્રકારના કૅન્સરની આગાહી તે ચોક્કસ રીતે કરી શકે છે.

2019 ના એક અભ્યાસમાં, ઍન્ટોનિયોસી ફિલ્હોની ટીમે 52 કૅન્સર દર્દીઓ પાસેથી કાનના મીણના નમૂના એકત્રિત કર્યા હતા જેમને લિમ્ફોમા, કાર્સિનોમા અથવા લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું.

સંશોધકોએ 50 દર્દીઓના કાનના મેલ પણ લીધા. ત્યાર બાદ તેમણે એક પદ્ધતિનો ઉપયોગ કરીને નમૂનાઓનું વિશ્લેષણ કર્યું જે અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs) – રસાયણો જે હવામાં સરળતાથી બાષ્પીભવન થાય છે – ની હાજરીને સચોટ રીતે શોધી શકે છે.

સંશોધકોએ કાનના મીણમાં રહેલા 27 સંયોજનો ઓળખ્યા જે કૅન્સરના નિદાન માટે એક પ્રકારના “ફિંગરપ્રિન્ટ” તરીકે કામ કરે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, ટીમ આ 27 અણુઓની સાંદ્રતાના આધારે 100 ટકા ચોકસાઈ સાથે કહી શકે છે કે કોઈને કૅન્સર (લિમ્ફોમા, કાર્સિનોમા અથવા લ્યુકેમિયા) છે કે નહીં. રસપ્રદ વાત એ છે કે, આ પરીક્ષણ વિવિધ પ્રકારનાં કૅન્સર વચ્ચે ભેદ પાડી શક્યું નહીં, જે સૂચવે છે કે પરમાણુઓ આ બધા પ્રકારનાં કૅન્સરના કોષો દ્વારા અથવા તેના પ્રતિભાવ તરીકે જ ઉત્પન્ન થાય છે.

“જોકે કૅન્સર સેંકડો પ્રકારનાં હોય છે, મેટાબૉલિક દૃષ્ટિકોણથી કૅન્સર એક જૈવરાસાયણિક પ્રક્રિયા છે, જે ચોક્કસ VOCs ના મૂલ્યાંકન દ્વારા કોઈપણ તબક્કે શોધી શકાય છે,” ઍન્ટોનિયોસી ફિલ્હો કહે છે.

કાન, કેન્સર,બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Emmanuel Lafont/ BBC

2019 માં ટીમે 27 VOCs ઓળખ્યા હતા, તેઓ હાલમાં આમાંથી થોડી સંખ્યા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે ફક્ત તેમના અનન્ય ચયાપચયના ભાગ રૂપે કૅન્સર કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. હજુ સુધી અપ્રકાશિત આ શોધમાં, ઍન્ટોનિયોસી ફિલ્હો કહે છે કે તેમણે એ પણ દર્શાવ્યું છે કે સેરુમેનોગ્રામ પૂર્વ-કૅન્સર તબક્કામાં થતી મેટાબૉલિક વિક્ષેપોને શોધી કાઢવામાં સક્ષમ છે. જ્યાં કોષો અસામાન્ય ફેરફારો દર્શાવે છે જે સંભવિત રીતે કૅન્સર તરફ દોરી શકે છે, પરંતુ તે હજુ સુધી કૅન્સરગ્રસ્ત નથી.

ઍન્ટોનિયોસી ફિલ્હો કહે છે, “મેડિસિન સૂચવે છે કે સ્ટેજ 1 પર નિદાન કરાયેલા મોટાભાગના કૅન્સરનો ઉપચાર દર 90 ટકાથી વધુ સુધીનો હોય છે, તો કલ્પના કરી શકાય છે કે પૂર્વ-કૅન્સર તબક્કાના નિદાન સાથે સારવારમાં સફળતા ઘણી વધારે હશે.”

સંશોધન જૂથ એ પણ અભ્યાસ કરી રહ્યું છે કે શું પાર્કિન્સન અને અલ્ઝાઇમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગોની શરૂઆતથી થતા મેટાબૉલિક ફેરફારો પણ આ ઉપકરણ દ્વારા શોધી શકાય છે, જોકે આ શોધ પ્રારંભિક તબક્કામાં છે.

તેઓ આગળ કહે છે કે, “ભવિષ્યમાં, અમે આશા રાખીએ છીએ કે સેરુમેનોગ્રામ એક નિયમિત ક્લિનિકલ પરીક્ષા બનશે, જે દર છ મહિને કરાશે, જે કાનના મેલના નાના ભાગ સાથે, ડાયાબિટીસ, કૅન્સર, પાર્કિન્સન અને અલ્ઝાઇમર જેવા રોગોનું એકસાથે નિદાન કરવા તેમજ અન્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિઓથી થતા મેટાબૉલિક ફેરફારોનું મૂલ્યાંકન કરવાની અનુમતિ આપે છે.”

ઍન્ટોનિયોસી ફિલ્હો અનુસાર બ્રાઝિલમાં, અમરલ કાર્વાલ્હો હૉસ્પિટલે તાજેતરમાં કૅન્સરની સારવાર માટે નિદાન અને દેખરેખ તકનીક તરીકે સેરુમેનોગ્રામ ઉપયોગ કર્યો છે.

મુસાહને પણ આશા છે કે તેમનું સંશોધન એક દિવસ મેનિઅર રોગથી પીડિત લોકોને મદદ કરશે, એક એવી સ્થિતિ જેનો હાલમાં કોઈ ઇલાજ નથી.

મુસાહ કહે છે, “અમે હાલમાં એક ટેસ્ટ કીટ વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ જે તમને કોવિડ-19 પરીક્ષણ માટે ખરીદી શકાય તેવી ઓવર-ધ-કાઉન્ટર પ્રકારના કિટ હશે.”

કાનના મેલ અને લોહીના ટેસ્ટમાં શું તફાવત છે.

મુસાહ સમજાવે છે કે સામાન્ય કાનના મેલની તુલનામાં ત્રણ ફૅટી એસિડ ખૂબ ઓછા છે તે નિરીક્ષણ પણ કેટલાક સંકેતો પ્રદાન કરી શકે છે જેની વધુ તપાસ કરી શકાય છે. “તે આપણને રોગનું કારણ શું છે તે સમજવામાં મદદ કરી શકે છે, અથવા કદાચ તેની સારવાર કેવી રીતે કરી શકાય તે પણ સૂચવી શકે છે.

મુસાહ કહે છે કે સામાન્ય, સ્વસ્થ કાનના મેલની રાસાયણિક રૂપરેખાને સમજવા માટે હજુ પણ ઘણું પાયાગત કાર્ય કરવાની જરૂર છે – અને તે વિવિધ રોગની સ્થિતિમાં કેવી રીતે બદલાય છે. પરંતુ તેને આશા છે કે એક દિવસ તેનું નિયમિત રીતે હૉસ્પિટલોમાં વિશ્લેષણ કરીને રોગોનું નિદાન કરવામાં આવશે, લોહીની જેમ જ.

યુકેમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી અને માસ સ્પેક્ટ્રોમેટ્રીના પ્રોફેસર, પેર્ડિટા બેરન, કાનના મેલનો ખાસ અભ્યાસ કરતા નથી, પરંતુ જૈવિક અણુઓનું વિશ્લેષણ કરે છે અને તપાસ કરે છે કે તેનો ઉપયોગ રોગોનું નિદાન કરવા માટે થઈ શકે છે કે કેમ. તે સંમત થાય છે કે સૈદ્ધાંતિક આ પદાર્થ બીમારીના ચિહ્નો શોધવા માટેની એક સારી જગ્યા હશે.

“લોહીમાં તમને જે સંયોજનો મળે છે તે પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે કાનનો મેલ ખૂબ જ લિપિડ-સમૃદ્ધ પદાર્થ છે, અને લિપિડ્સને પાણી ગમતું નથી,” બેરન કહે છે. “તેથી જો તમે ફક્ત લોહીનો અભ્યાસ કરો છો, તો તમને ફક્ત અડધું ચિત્ર જ મળે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS