Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ યુક્રેન પર બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રૉન વડે મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાં છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે જો યોગ્ય સંખ્યામાં ઇન્ટરસેપ્ટર મિસાઇલો ઉપલબ્ધ હોત, તો ઘણા લોકોનો જીવ બચાવી શકાયો હોત.
રાજધાની કિએવ અને તેની આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ઘાતક હુમલો થયો, અહીં 17 લોકોનાં મોતની ખબર છે, ત્યાં ખાર્કિએવમાં અને દોનેત્સ્કમાં થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા.
યુક્રેન લાંબા સમયથી પોતાના સહયોગી દેશોને રશિયાની બૅલિસ્ટિક મિસાઇલોને રોકવા માટે અમેરિકામાં બનેલી પૅટ્રિયેટ ઍર ડિફેન્સ સિસ્ટમની ઇન્ટરસેપ્ટર મિસાઇલોની માગ કરે છે.
જોકે, યુક્રેને આ હુમલા દરમિયાન કોઈ પણ બૅલિસ્ટિક મિસાઇલોને તોડી પાડ્યાનો દાવો કર્યો નથી.
ઝેલેન્સ્કીએ કહ્યું કે સહયોગી દેશોથી ઍન્ટિ-બૅલિસ્ટિક સિસ્ટમ મળવામાં મોડું થઈ રહ્યું હોવાથી ભારે જાનહાનિ અને તબાહી થઈ રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે સહયોગી દેશોથી મળનારી ઇન્ટરસેપ્ટર મિસાઇલોની આપૂર્તિમાં પણ ઘટાડો થયો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેણે કિએવ અને તેની આસપાસ આવેલાં લૉજિસ્ટિક્સ હબ અને સૈન્ય આપૂર્તિ કેન્દ્રોને નિશાન બનાવ્યાં હતાં.
બાંગ્લાદેશ છોડ્યાં બાદ પહેલી વખત શેખ હસીનાની પ્રેસ કૉન્ફરન્સ, પરત ફરવા પર શું બોલ્યાં?
ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં મીડિયા સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં કહ્યું છે કે તેમણે છેલ્લાં બે વર્ષમાં પોતાના ‘પ્યારા બાંગ્લાદેશને તકલીફ વેઠી રહેલો’ જોયો છે.
તેમણે કહ્યું, “આ એ બાંગ્લાદેશ નથી જેને અમે બનાવ્યો હતો. આ એ બાંગ્લાદેશ નથી, જેને માટે 1971માં 30 લાખ લોકોએ બલિદાન આપ્યું હતું.”
જુલાઈ-ઑગસ્ટ 2024ના આંદોલનને લઈને શેખ હસીનાએ કહ્યું, “સત્ય એ છે કે એ કોઈ શાંતિપૂર્ણ વિદ્યાર્થીઓનું આંદોલન નહોતું. શરૂઆતથી જ મારી સરકારે વાતચીત, કાયદાકીય પ્રક્રિયા અને ધીરજ મારફતે આ મુદ્દાના શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરી હતી.”
તેમણે આરોપ લગાવ્યો કે સુધારાની માંગ પાછળ કેટલાંક સંગઠિત જૂથો કામ કરી રહ્યાં હતાં. જે વિદ્યાર્થીઓની માંગોને એક હિંસક રાજનીતિક હથિયારમાં બદલવા માંગતાં હતાં.
પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું, “હું એવી વ્યક્તિ તરીકે બોલી રહી છું, જેણે પોતાની જિંદગી બાંગ્લાદેશના લોકો સાથે વિતાવી છે. જેને પોતાના દેશથી દૂર જવા મજબૂર થવું પડ્યું, પરંતુ હું ક્યારેય પોતાના લોકોથી અલગ નથી થઈ.”
શેખ હસીનાએ આ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાની પાર્ટી આવામી લીગથી લઈને બાંગ્લાદેશ પરત ફરવાના મુદ્દે વાત કરી હતી.
તેમણે ફરી એક વખત કહ્યું કે તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે કહ્યું,
“હું મારા લોકો પાસે ફરીથી જઈશ.”
સાથે તેમણે એમ પણ કહ્યું કે યોગ્ય સમયે તેઓ પાતાના બાંગ્લાદેશ પરત ફરવાના કાર્યક્રમ અને અન્ય વિગતોની જાણકારી આપશે.
એવું મનાતું હતું કે આ પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ વીડિયો મારફતે વર્ચ્યુઅલી સંબોધન કરશે પરંતુ તેમણે માત્ર ઑડિયો મારફતે જ પોતાની વાત પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. તેમણે પત્રકારોના સવાલોના જવાબો પણ આપ્યા.
સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે એ સ્પષ્ટ નથી કે શેખ હસીના વીડિયો મારફતે સંબોધન કરવા કેમ ન આવ્યાં? જોકે, આ દરમિયાન તેમની પાર્ટીના સાથી અને તેમના પુત્ર વીડિયો પર જોવા મળ્યા હતા.
પીએમ મોદીના વીડિયો વિવાદ બચ્ચે ઝુકરબર્ગે યૌન શોષણ સાથે જોડાયેલી જાહેરાતો બદલ માગી માફી
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીને સૂત્રોએ પુષ્ટિ કરી છે કે માર્ક ઝુકરબર્ગે સીએસએએમ કન્ટેન્ટ, ડીપફેક કન્ટેન્ટ અને પ્લૅટફૉર્મ ચલાવવામાં થયેલી ભૂલો બદલ માફી માગી છે.
માર્ક ઝુકરબર્ગની માફી એવા સમયે આવી છે જ્યારે સુચના પ્રૌદ્યોગિકી સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી પીએમ મોદીનો એક વીડિયો કેટલાક સમય માટે હઠાવી લેવા માટે માફીની માંગ કરી હતી.
ગત મહિને બીબીસી-આઈની તપાસમાં જાણવા મળ્યું હતું કે મેટાના સ્વામિત્વ ધરાવતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ ભારતમાં પૈસા લઈને એવી જાહેરાત ચલાવી રહ્યું છે, જેના મારફતે બાળકોનાં યૌનશોષણ સાથે જોડાયેલી સામગ્રી (સીએસએએમ)નો પ્રસાર થઈ રહ્યો છે. આ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને મેટા પાસે સ્પષ્ટીકરણ માગવા અને તેને બોલાવવાનો નિર્દેશ આપ્યો હતો.
બીબીસીને આ જાણકારી સૂત્રોના હવાલેથી મળી હતી.
બીજી તરફ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હઠાવવાના મામલામાં મેટાના મુખ્ય વૈશ્વિક મામલાના અધિકારી જોએલ કપલાનના નેતૃત્વમાં કંપનીના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન સાથે મુલાકાત કરી હતી.
ચંદ્ર સાથે ટકરાયો સ્પેસઍક્સના રૉકેટનો કાટમાળ, નાસાએ શું જણાવ્યું?
ઇમેજ સ્રોત, Reuters
સ્પેસઍક્સના ફાલ્કન 9 રૉકેટનો એક બેકાર ઉપરી ભાગ ચંદ્રમા સાથે ટકરાઈ ગયો છે. જોકે, વૈજ્ઞાનિક હાલ આ ટક્કરની આધિકારીક પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.
હાલ ટક્કરની તસવીર સામે નથી આવી. કારણકે તે સમયે ચંદ્રમાની પરિક્રમાં કરી રહેલા કોઈ પણ અંતરિક્ષ યાનની સ્થિતિ એવી નહોતી કે તે ઘટનાને રેકૉર્ડ કરી શકે.
વૈજ્ઞાનિક હવે ચંદ્રમાની સપાટીની પહેલાંની અને બાદની તસવીરોની સરખામણી કરશે, જેથી ટક્કરથી બનેલા નવા ખાડા કે નિશાનની ભાળ મળી શકે. આ પ્રક્રિયામાં કેટલોક સમય લાગી શકે છે.
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું છે કે ટક્કરથી પૃથ્વીને કોઈ જોખમ નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઘટનાને કારણે ચંદ્રમા સાથે જોડાયેલો નવો વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવા તથા અંતરિક્ષમાં ઉપસ્થિત વસ્તુઓ પર નજર રાખવાની તકનીકને બહેતર બનાવવામાં મદદ મળશે.
ચંદ્ર સાથે ટકરાઈ શકે છે સ્પેસઍક્સના રૉકેટનો એક ભાગ
ઇમેજ સ્રોત, Getty Images
સ્પેસ ઍક્સનું એક રૉકેટ ચંદ્ર સાથે ટકરાઈ શકે છે. આ ટુકડો લગભગ 2.43 કિલોમીટર પ્રતિ સેકંડની ઝડપે ઑર્બિટમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
આ ફાલ્કન 9 સ્પેસક્રાફ્ટનો ઊપલો ભાગ છે જે લગભગ પાંચ માળની ઇમારત જેટલો મોટો છે અને આનું વજન ઓછામાં ઓછું 4,000 કિલોગ્રામ છે.
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા અનુસાર આ ટક્કર લગભગ 7:35 BST (બપોરે 12:35 વાગ્યે ભારતીય સમય અનુસાર) થઈ શકે છે.
જાણકારો કહે છે કે આ પૃથ્વી પરથી કોઈ ઉપકરણ વિના નહીં જોઈ શકાય પરંતુ જેમની પાસે હાઈ ક્વૉલિટી ટેલિસ્કોપ છે તેઓ કદાચ ચંદ્રની સપાટીથી નીકળતી ચમક જોઈ શકે છે.
આ ટક્કરને ખતરનાક નથી માનવામાં આવી રહી પરંતુ વૈજ્ઞાનિકો આને એક અનોખા અવસર તરીકે જુએ છે. જેનું અધ્યયન કરી શકાય જ્યારે કોઈ વસ્તુ ચંદ્ર સાથે ટકરાય તો શું થાય છે.
રશિયાના યુક્રેનની રાજધાની પર ભીષણ મિસાઇલ હુમલા, 14 લોકનું મોત અને કેટલાક ઈજાગ્રસ્ત
ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનની રાજધાની કિએવ પર રશિયાએ મિસાઇલથી હુમલા કર્યા છે. આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
યુક્રેનના અધિકારીઓએ આની માહિતી આપી છે. યુક્રેનના સૈન્ય તંત્રના પ્રમુખ તિમુર તકાચેંકોએ કહ્યું કે, “દુશ્મન એક વખત ફરી કિએવ પર જબરદસ્ત હુમલા કરી રહ્યુંછે.”
મંગળવાર મોડી રાત્રે થયેલા હુમલા દરમિયાન કલાકો સુધી સાયરન વાગતાં રહ્યાં. શહેરની અંદર અને બહારના વિસ્તારોમાં કેટલીક મિસાઇલો પડી હતી.
તકાચેંકોએ કહ્યું કે બોરિસ્પિલ જિલ્લામાં નવ, બુચા જિલ્લામાં ચાર અને ફાસ્ટિવ જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. અધિકારીઓ અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
યુક્રેનની સેનાનો આરોપ છે કે રશિયાએ જાણીજોઈને સામાન્ય લોકો અને રહેણાક વિસ્તારને નિશાન બનાવ્યા છે.
જોકે, આ હુમલા પર રશિયા તરફથી હજી સુધી કોઈ નિવેદન જારી નથી કરવામાં આવ્યું.
ગુજરાતમાં પાસપૉર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં શું નવા સુધારા કરાયા?
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં પાસપૉર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
નવા નિયમો પ્રમાણે હવે પાસપૉર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.
ગુજરાતના માહિતી વિભાગની પ્રેસ રિલીઝ અનુસાર, પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ‘ગુનાહિત ઇતિહાસ’ની જ ચકાસણી કરવાની રહે છે, અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી.
ગુજરાતના પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
પાસપૉર્ટ વેરિફિકેશનના સુધારાની વાત કરીએ તો હવે પાસપૉર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપૉર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.
પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ‘ગુનાહિત ઇતિહાસ’ની જ ચકાસણી કરવાની રહે છે.
નવા સુધારા પ્રમાણે, પોલીસે પાસપૉર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી.
એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જોકે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવા જરૂરી નથી.
યમન પાસે હુમલામાં ભારતીય ધ્વજવાળું જહાજ ડૂબ્યું, 13 ભારતીય નાવિકનો બચાવ
ઇમેજ સ્રોત, AFP via Getty Images
અધિકારીઓએ જણાવ્યું કે યમનના તટ પાસે એક પ્રોજેક્ટાઇલની ઝપેટમાં આવ્યા બાદ ભારતીય ધ્વજવાળું એક જહાજ પલટી ગયું અને ડૂબી ગયું.
ભારતના શિપિંગ અને પોર્ટ્સ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે એમએસવી ફૅઝ નૂરે ઓલિયા પર સવાર બધા 14 લોકોને સુરક્ષિત બચાવી લીધી છે. તેમાં 13 ભારતીય નાગરિક હતા.
સોનોવાલે આ ‘ઉશ્કેરણી વિના કરેલા હુમલા’ની નિંદા કરી છે અને કહ્યું કે ક્ષેત્રમાં નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાશે.
જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હુમલો કોણે કર્યો છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાન તરફથી હોર્મુઝ સામુદ્રધુનીને બંધ કર્યા બાદ કેટલાંક જહાજો આ વૈકલ્પિક દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યાં છે.
ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદન જારી કરીને ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાને ‘ઊંડી ચિંતાનો વિષય’ ગણાવ્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, “ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુરૂપ ક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં મુક્ત અને નિર્બાધ નૌવહન અને વેપારને જલદી શરૂ કરવો જોઈએ.”
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ક્ષેત્રમાં અનેક દરિયાઈ વેપારી માર્ગો પ્રભાવિત થયા છે.
સાઉદી અરેબિયાથી ઑઇલ લઈને આવતાં કેટલાંક જહાજો લાલ સાગરના વૈકલ્પિક રસ્તેથી પસાર થઈ રહ્યાં હતાં, પરંતુ હાલમાં યમનના હુતી લડાકુઓ દ્વારા સાઉદી ટૅન્કરો પર કરેલા હુમલા બાદ આ વિસ્તારમાં જોખમ વધી ગયું છે.
‘ગજની’ અને ‘મહાભારત’ ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન
ઇમેજ સ્રોત, Getty Images
બોલીવૂડના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, તેમનું નિધન મંગળવારે મુંબઈમાં થયું છે. પ્રદીપ રાવતને કૅન્સર હતું.
પ્રદીપ રાવતે ‘ગજની’ અને ‘લગાન’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તેમણે બીઆર ચોપડાની જાણીતી સિરિયલ મહાભારતમાં પણ અશ્વત્થામાની ભૂમિકા નિભાવી હતી.
‘લગાન’ ફિલ્મના કો-સ્ટાર યશપાલ શર્માએ સોશિયલ મીડિયામાં તેમના મિત્રને શ્રદ્ધાજંલિ આપતાં તેમના નિધનના સમાચાર આપ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




