Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે વર્ષ 2007-2008થી લઈને 2016 સુધી શુગર મિલોએ ખેડૂતોને જે ભાવ ચૂકવ્યા હતા તેને મંજૂરી આપી દીધી છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતની શુગર મિલો મોલાસિસ, ઇથેનોલ અને વીજ ઉત્પાદન જેવાં કાર્યો કરે છે, જેનાથી વધારાની આવક મેળવવામાં મદદ મળી છે. આ વધારાની આવકના કારણે રાજ્ય સરકાર ખેડૂતોને વધુ વળતર આપી શકી છે.
જિતુ વાઘાણીએ જણાવ્યું કે આ નિર્ણયથી સહકારી ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, કાયદાકીય અને કર સંબંધિત અનિશ્ચિતતાઓમાં ઘટાડો થશે અને ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ મળશે.
સરકારનું માનવું છે કે આ પગલાંથી ગુજરાતની સહકારી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે, ખાંડ સહકારી સંસ્થાઓના ટકાઉપણામાં વધારો થશે અને સમગ્ર રાજ્યના શેરડી ઉત્પાદક ખેડૂતોને વધુ આવકની સુરક્ષા મળશે.
રાજ્ય સરકારનો આ નિર્ણય એટલા માટે ઐતિહાસિક છે કારણકે આ શેરડીના ખેડૂતોને શુગર મિલોએ જે કિંમત ચૂકવી હતી તેના કારણે તેમને આવકવેરાની નોટીસ મળી હતી.
શુગર મિલોને આવકવેરાની નોટિસ કેમ આપવામાં આવી હતી?
ઇમેજ સ્રોત, Getty Images
આ મામલો આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલાં મૂલ્યાંકનોથી શરૂ થયો હતો, જેમાં ગુજરાતની સહકારી ખાંડ મિલો દ્વારા ખેડૂતોને ફૅર ઍન્ડ રૅમ્યુનરેટિવ પ્રાઇસ (FRP) કરતાં વધુ આપવામાં આવેલી ચૂકવણીને કરપાત્ર નફા તરીકે ગણવામાં આવી હતી.
પરિણામે, આશરે કરોડો રૂપિયાની નોટીસો શુગર મિલોને ફટકારવામાં આવી હતી.
અહેવાલો પ્રમાણે ગુજરાતની શુગર મિલો ઉપર એક હજાર અને 500 કરોડ રૂપિયાની રિકવરી કાઢવામાં આવી હતી, જે બાદ શેરડીનાં ખેડૂતો અને શુગર મિલો પર સંકટનાં વાદળો છવાઈ ગયાં હતાં. આ નોટીસો ના કારણે શુગર મિલો પર સંભવિત નવી નાણાકીય જવાબદારી ઊભી થઈ હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ચલથાણ શુગર મિલના પ્રમુખ કેતન પટેલ જણાવે છે કે “આ નોટીસો વર્ષ 2007-08થી લઈને 2016 સુધી ખેડૂતોને પ્રતિ ટન શેરડીના જે ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા હતા તે બદલ આપવામાં આવી હતી.”
“ખેડૂતોને પ્રતિ ટન શેરડી માટે કેન્દ્ર સરકારે દ્વારા જાહેર કરવામાં આવેલી કિંમતથી વધુ કિંમત ચૂકવવામાં આવી હતી. નિયમ પ્રમાણે જ્યારે શેરડીની કિંમત જાહેર કરાયા બાદ ગુજરાત સરકારની મંજૂરી મેળવવાની હોય છે અને તે માટે રાજ્ય સરકાર સર્ટિફિકેટ પણ આપતી હોય છે.”
કેતન પટેલ જણાવે છે, “જે-તે વખતે ગુજરાતમાં આ પ્રકારનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરવા માટે કોઈ કમિટી નહોતી. ગુજરાતમાં મોટાભાગની શુગર મિલો સહકારી ક્ષેત્રની છે એટલે કમિટીની જરૂરિયાત જણાઈ નહોતી. જેના કારણે શુગર મિલોએ જે ભાવ જાહેર કર્યાં હતા તેને નફો ગણીને નોટીસ ફટકારવામાં આવી હતી.”
ઇમેજ સ્રોત, Getty Images
તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની શુગર મિલોને નોટીસ પાઠવવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે દેશની શુગર મિલો પાસેથી 13 હજાર કરોડ રૂપિયાની રિકવરી માટેની નોટીસો આપવવામાં આવી હતી.
વિમલ લાડ ગણદેવી સહકારી શુગર મિલના ફાયનાન્સ વિભાગમાં કામ કરે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે “શુગર મિલોએ વર્ષ 2007-8થી લઈને 2016 સુધી શેરડી પકવતાં ખેડૂતોને જે વળતર આપ્યું હતું તેનો આધાર રાખીને આ નોટીસો પાઠવવામાં આવી હતી. શુગર મિલોએ આવકવેરા વિભાગની નોટીસોને પડકારી હતી.. કેટલાંક મિલ સંચાલકો કોર્ટમાં ગયા હતા, કેટલાક ટ્રિબ્યુનલમાં ગયા હતા અને કેટલાક અપીલમાં ગયા હતા. હજુ પણ આ કેસો અલગ-અલગ સ્ટેજ પર છે.”
ગણદેવી શુગર મિલને 200 કરોડ રૂપિયાનો આવકવેરો ચૂકવવા માટે નોટીસ આપવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે તેમણે આ રકમ નહીં ભરવી પડે.
વિમલ લાડ કહે છે કે “હજુ સુધી એમ ન કહી શકાય કે નોટીસની રકમ નીલ (શૂન્ય) થઈ ગઈ છે. રાજ્ય સરકારે આવકવેરા નોટીસમાં જણાવેલ રકમને નીલ કરવા માટે જે ડૉક્યુમેન્ટ્સ જોઈતાં હતાં તે રાજ્ય સરકારે આપી દીધાં છે.. હવે આવકવેરા વિભાગ તેના પર કામ કરશે અને જ્યારે તેઓ નીલ કરશે ત્યારે શૂન્ય થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ (સીબીડીટી)નો પરિપત્ર છે તે મુજબ હવે આવકવેરા વિભાગ કાર્યવાહી કરશે. હવે માત્ર ઔપચારિકતા બાકી છે.”
શું ભવિષ્યમાં ફરીવાર નોટીસ મળવાની કોઈ શક્યતા ખરી?
તેના જવાબમાં વિમલભાઈ કહે છે કે, “કેન્દ્ર સરકારે કૃષિ ઉપજની એમએસપી નક્કી કરવાની જે સત્તા છે તે રાજ્ય સરકારને આપી દીધી છે. એટલે એમ કહી શકાય હવે આ મુદ્દાનો એક રીતે ઉકેલ આવી ગયો છે.”
કેતન પટેલ કહે છે કે, વર્ષ 2016 પછી ગુજરાતમાં કમિટીની રચના કરવામાં આવી છે જે શુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે તેને મંજૂરી આપે છે. એટલે હવે આ પ્રશ્ન રહેતો નથી.
‘નહીંતર ખાંડ મિલો પાયમાલ થઈ ગઈ હોત’
ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારની આ જાહેરાતને શુગર મિલો અને શેરડી પકવતાં ખેડૂતો સમયસર અને યોગ્ય પગલું ગણાવી રહ્યા છે.
કેતન પટેલ કહે છે કે “ચલથાણ શુગર મિલ પર દોઢસો કરોડ કરતાં વધુ રૂપિયાની રિકવરી કાઢવામાં આવી હતી. હવે આપણી પાસે આટલી માતબર રકમ જ નથી. જો અમારે આ રકમ ભરવાનો વારો આવે તો શુગર મિલ જ વેચવાની નોબત આવી જાય એમ છે. કારણકે કોઈ પણ સંજોગોમાં અમારી પાસે આટલી મૂડી નથી કે આ મોટી રકમ ભરી શકીએ.”
“માત્ર શુગર મિલો જ નહીં પરંતુ સભાસદ ખેડૂતો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા બીજા અનેક લોકોને મોટી અસર થઈ હોત. જો દક્ષિણ ગુજરાતમાં આવેલી શુગર મિલોની વાત કરીએ તો દોઢ લાખથી વધુ ખેડૂત સભાસદો છે અને એટલા જ પ્રમાણમાં અન્ય લોકો ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયલા છે,” એમ કેતન પટેલ જણાવે છે.
વિમલ લાડ પણ સ્વીકારે છે કે જો રાજ્ય સરકારે આ મામલે દરમિયાનગીરી ન કરી હોત આ શુગર મિલોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હોત.
તેઓ કહે છે કે “ગણદેવી શુગર મિલ માટે 200 કરોડ બહુ મોટી રકમ છે. સહકારી ખાંડ ઉદ્યોગ નહીં નફો નહીં નુકસાન’ના સિંદ્ધાત પર કાર્ય કરે છે. એટલે જ અમે આ મામલે કાયદાકિય લડત ચલાવી હતી.”
ખેડૂત આગેવાન જયેશ પટેલ અલગ અભિગમ ધરાવે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે “રાજ્ય સરકારે મદદ કરી એ સારી વાત છે પરંતુ શુગર મિલોની આર્થિક મુશ્કેલી પાછળનાં કારણો અલગ છે. મોટાભાગની મિલોમાં ભાજપના જ નેતાઓ વહિવટ સંભાળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે તેમના પર પણ ધ્યાન આપવું જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




