Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન: કરાચીનું હિંદુ જિમખાના, જેને ઝિયા-ઉલ-હક તોડી પાડવા માગતા હતા

પાકિસ્તાન: કરાચીનું હિંદુ જિમખાના, જેને ઝિયા-ઉલ-હક તોડી પાડવા માગતા હતા

3
0

Source : BBC NEWS

પાકિસ્તાનના લશ્કરી શાસક ઝિયા-ઉલ-હકના શાસનકાળ દરમિયાન હિન્દુ જિમખાનાની ઇમારત વેચવાનો અને તેને તોડી પાડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Rana Tahir

કરાચીમાં હિંદુ જિમખાનાની ઐતિહાસિક ઇમારત પાસેથી પસાર થતી કોઈ વ્યક્તિ તેની પર નજર નાખ્યા વિના આગળ વધી જાય, એ શક્ય જ નથી.

આ ઇમારતમાં એવું આકર્ષણ છે, જે દરેકને પોતાની તરફ ખેંચે છે.

તેને જોતાં જ મન મુઘલકાળ તરફ ચાલ્યું જાય છે.

આ જ કારણસર પૂરેપૂરા વિશ્વાસપૂર્વક કહેવાય છે કે કરાચીની આ પહેલી એવી ઇમારત હતી, જે મુઘલ શૈલીમાં બનાવવામાં આવી હતી.

હિંદુ જિમખાનાનું સ્થાપત્ય કેવું છે?

કહેવાય છે કે હિન્દુ જિમખાનાની ઇમારતનો નકશો આગ્રામાં આવેલા એતમાદ-ઉદ્-દૌલાના મકબરાથી પ્રેરાઈને તૈયાર કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Rana Tahir

હિંદુ જિમખાનાનું નિર્માણ આગા અહમદ હુસૈને તૈયાર કરેલા નકશાના આધારે કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે તેઓ કરાચીના પહેલા મુસ્લિમ સ્થપતિ હતા.

કરાચીની બીજી એક ઐતિહાસિક ઇમારત, મોહટ્ટા પૅલેસનો નકશો પણ તેમણે જ તૈયાર કર્યો હતો.

કહેવાય છે કે હિંદુ જિમખાનાનો નકશો આગ્રામાં આવેલા એતમાદ-ઉદ્-દૌલાના મકબરાથી પ્રેરાઈને તૈયાર કરવામાં આવ્યો હતો.

દીવાલોના નિર્માણ માટે પથ્થરો બીજાપુરથી મંગાવવામાં આવ્યા હતા. ઇમારતની છતના બહારના ભાગમાં બનાવવામાં આવેલી ગુંબજ જેવી છત્રીઓ મુઘલ બાદશાહ અકબરે બંધાવેલા ફતેહપુર સિક્રીથી પ્રેરિત છે.

પાકિસ્તાનમાં હિન્દુ જિમખાના

ઇમેજ સ્રોત, Rana Tahir

સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્ર

ઇમારતની છતના બહારના ભાગમાં બનાવવામાં આવેલી ગુંબજ જેવી છત્રીઓ મુઘલ બાદશાહ અકબરે બંધાવેલા ફતેહપુર સિક્રીથી પ્રેરિત છે.

ઇમેજ સ્રોત, Rana Tahir

બ્રિટિશ સરકારે 1921માં હિંદુ જિમખાના માટે 100 વર્ષની લીઝ પર જમીન આપી હતી. તેની ઇમારતનું નિર્માણ 1925માં પૂર્ણ થયું હતું.

હિંદુ જિમખાનાનું નિર્માણ હિંદુ સમુદાયે કરાવ્યું હતું. તેમાં શેઠ રામગોપાલ ગોવર્ધનદાસ મોહટ્ટાની મુખ્ય ભૂમિકા હતી. આ જ કારણે તેનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેમનું નામ આજે પણ આ ઇમારત પર દેખીતી રીતે જોવા મળે છે.

શેઠ ગોપાલ ગોવર્ધનદાસ મોહટ્ટાના દાદા શિવરતન ચંદ્રરતન મોહટ્ટાએ કરાચીમાં ઐતિહાસિક મોહટ્ટા પૅલેસ બંધાવ્યો હતો. ત્યાં હવે એક સંગ્રહાલય છે.

હિંદુ જિમખાનાના નિર્માણનો મુખ્ય હેતુ એ સમયના હિંદુ સમુદાયને એવી જગ્યા પૂરી પાડવાનો હતો, જ્યાં તેઓ પોતાની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે.

એ સમયે હિંદુ જિમખાના કરાચીના ઉચ્ચ વર્ગના હિંદુઓ માટે એક ક્લબ જેવું હતું.

જોકે, એ સમયે હિંદુ જિમખાનાના સભ્યોની સંખ્યા કેટલી હતી તે અંગે કોઈ આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ ઇતિહાસનાં પુસ્તકોમાં એ જરૂર નોંધાયું છે કે એ સમયે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તે અગ્રેસર હતું.

કરાચીના હિંદુ ભારતીય ટેસ્ટ ક્રિકેટરો

મુઘલ બાદશાહ અકબરના સમયગાળામાં પ્રચલિત સ્થાપત્ય શૈલીની વિશેષતાઓ આ જિમખાનાના નિર્માણમાં જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, Rana Tahir

સ્થાપના પછી હિંદુ જિમખાના કેવળ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહોતું. તે સમયે રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ તે ઘણું સક્રિય હતું.

એ સમયે તેનું પોતાનું મેદાન હતું. ત્યાં વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાતી હતી.

જોકે, આ મેદાન પર કદી ફર્સ્ટ ક્લાસ મૅચ રમાઈ નહોતી. એ સમયે કરાચીમાં ફર્સ્ટ ક્લાસ મૅચ કરાચી જિમખાનામાં રમાતી હતી.

પરંતુ હિંદુ જિમખાનાના મંચ પરથી ક્રિકેટરોને સતત પ્રોત્સાહન મળતું હતું. તેમાં નાઓમલ જિયોમલનું નામ પણ સામેલ છે.

પાકિસ્તાન બન્યું એ પહેલાં કરાચીમાં જન્મેલા ઘણા હિંદુ ક્રિકેટરો એ સમયગાળામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા.

પરંતુ એવા ચાર હિંદુ ક્રિકેટરો હતા, જેઓ પાકિસ્તાન બન્યું એ પહેલાં કરાચીમાં જન્મ્યા હતા અને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા. તેમાંના એક ભારતીય ટીમના કપ્તાન પણ બન્યા હતા.

અદાલતોમાં રજૂ કરવામાં આવેલા સરકારી રેકૉર્ડ અનુસાર, હિન્દુ જિમખાનાનું મૂળ ક્ષેત્રફળ 39,178 ચોરસ વાર હતું. જે હવે ઘટીને માત્ર 4,816 ચોરસ વાર રહી ગયું છે.

ઇમેજ સ્રોત, Rana Tahir

નાઓમલ જિયોમલ

17 એપ્રિલ 1904ના રોજં કરાચીમાં જન્મેલા નાઓમલ જિયોમલને 1932માં લૉર્ડ્સમાં ભારતની પ્રથમ ટેસ્ટ મૅચ રમનારી ટીમના ઓપનર હોવાનું સન્માન પ્રાપ્ત થયેલું છે.

એ પ્રવાસમાં રમાયેલી ફર્સ્ટ ક્લાસ મૅચોમાં તેમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સી.કે. નાયડુ પછી તેમણે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, તેઓ પોતાની કારકિર્દીમાં માત્ર ત્રણ ટેસ્ટ મૅચ જ રમી શક્યા.

તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત એમ.સી.સી. સામે કરાચી જિમખાનામાં રમાયેલી મૅચથી કરી હતી.

યોગાનુયોગે તેમની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મૅચ પણ કરાચીના એ જ મેદાન પર રમાઈ હતી.

નાઓમલે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં સાત સદી ફટકારી હતી.

કરાચી પ્રત્યે તેમનો ઘેરો લગાવ હંમેશાં જળવાયેલો રહ્યો. તેનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય છે કે પાકિસ્તાન બન્યા પછી પણ તેમણે કરાચી છોડવાનું યોગ્ય માન્યું નહોતું.

તેઓ કરાચીમાં જ કોચિંગ આપતા રહ્યા અને પસંદગીકાર પણ રહ્યા.

આ ઉપરાંત તેમણે પાકિસ્તાનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ કાયદે-આઝમ ટ્રૉફીની પાંચ મૅચોમાં અમ્પાયરિંગ પણ કર્યું હતું.

તેઓ 1971માં ભારત ગયા હતા. ત્યાં 18 જુલાઈ 1980ના રોજ 76 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

તેમના પુત્ર હરિ નાઓમલે પણ કરાચી અને કરાચી યુનિવર્સિટીઝ તરફથી ત્રણ ફર્સ્ટ ક્લાસ મૅચ રમી હતી.

રસપ્રદ વાત એ છે કે જે મૅચમાં હરિ નાઓમલે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત કરી હતી, તે મૅચમાં એક અમ્પાયર તેમના પિતા નાઓમલ જિયોમલ હતા.

હરિ નાઓમલ હાલ 86 વર્ષની ઉંમરે રાજસ્થાનના મુનાબાવમાં રહે છે.

1932માં લૉર્ડ્સના મેદાન પર ભારત સામે બૅટિંગ કરી રહેલા ઇંગ્લૅન્ડના કપ્તાન ડગ્લસ જાર્ડિન

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images

પન્નનમલ પંજાબી

કરાચીમાં જન્મેલા પન્નનમલ પંજાબી પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો શરૂઆતનો હિસ્સો કરાચીમાં રમ્યા હતા. પછી તેઓ ભારત જતા રહ્યા હતા.

તેમના માટે એ ક્ષણ ખૂબ ભાવુક હતી, જ્યારે તેઓ 1954-55માં વિનુ માંકડની ટીમ સાથે પાકિસ્તાન આવ્યા હતા. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ પણ કરાચીમાં જ રમી હતી.

ગોગુમલ કિશનચંદ

ગોગુમલ કિશનચંદે ભારત તરફથી પાંચ ટેસ્ટ મૅચ રમી હતી. કરાચીની સ્કૂલ ક્રિકેટમાં પોતાની શાનદાર બૅટિંગને કારણે તેમની ઓળખ ઊભી થઈ હતી.

તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 સદી ફટકારી હતી. પાકિસ્તાન બન્યું એ પહેલાં તેઓ ભારત જતા રહ્યા હતા. 1997માં બરોડા (હવે વડોદરા)માં તેમનું અવસાન થયું હતું.

કિશનચંદને એક ખાસ કારણસર યાદ કરવામાં આવે છે. 1947-48માં સિડનીની ચાર દિવસની મૅચમાં સર ડૉન બ્રૅડમેને તેમની બૉલિંગમાં એક રન લઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની 100મી સદી પૂરી કરી હતી.

ગુલાબરાય રામચંદ

કરાચીમાં જન્મેલા આ ચાર હિંદુ ટેસ્ટ ક્રિકેટરોમાં ગુલાબરાય રામચંદને ટેસ્ટ ક્રિકેટમાં ભારતના કપ્તાન બનવાનું સન્માન પણ મળ્યું હતું.

તેમણે બાકીના ત્રણ ક્રિકેટરોની સરખામણીમાં વધુ, એટલે કે 33 ટેસ્ટ મૅચ રમી હતી.

તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆત ડિસેમ્બર 1945માં કરાચીમાં કરી હતી. જોકે, પછી તેઓ ભારત જતા રહ્યા હતા.

તેઓ 1954-55માં પાકિસ્તાનના પ્રવાસે આવેલી ભારતીય ટીમનો હિસ્સો હતા. આ શ્રેણીની છેલ્લી ટેસ્ટ કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ મૅચમાં રામચંદે પોતાની ટેસ્ટ કારકિર્દીની શ્રેષ્ઠ બૉલિંગ કરીને છ વિકેટ લીધી હતી.

હિંદુ જિમખાના તોડી પાડવાનો આદેશ

બ્રિટિશ સરકારે 1921માં હિન્દુ જિમખાના માટે 100 વર્ષની લીઝ પર જમીન આપી હતી, તેની ઇમારતનું નિર્માણ 1925માં પૂર્ણ થયું હતું.

ઇમેજ સ્રોત, Rana Tahir

પાકિસ્તાન બન્યા પછી મોટી સંખ્યામાં હિંદુઓ ભારત જતા રહ્યા હતા. તેથી હિંદુ જિમખાનાનું નિયંત્રણ પણ પાકિસ્તાન સરકાર પાસે આવી ગયું હતું.

સમય જતાં તેની જમીન અલગ અલગ હેતુઓ માટે વિવિધ સંસ્થાઓને અપાતી રહી.

1960ના દાયકામાં ભગવાનદાસ ચાવલા, શેઠ મોતીનદાસ અને ખૂબચંદ ભાટિયાએ હિંદુ જિમખાના હિંદુ સમુદાયને સોંપવા માટે આંદોલન પણ ચલાવ્યું હતું.

અદાલતોમાં રજૂ કરવામાં આવેલા સરકારી રેકૉર્ડ અનુસાર, હિંદુ જિમખાનાનું મૂળ ક્ષેત્રફળ 39,178 ચોરસ વાર હતું. જે હવે ઘટીને માત્ર 4,816 ચોરસ વાર રહી ગયું છે.

આ દરમિયાન પોલીસ વિભાગને 27,346 ચોરસ વાર જમીન આપવામાં આવી. ફેડરલ સર્વિસ કમિશનને 6,700 ચોરસ વાર જમીન આપવામાં આવી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ઓલ્ડ બૉયઝ ઍસોસિયેશનને 4,164 ચોરસ વાર જમીન આપવામાં આવી.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ઓલ્ડ બૉયઝ ઍસોસિયેશને આ માટે કાયદેસર ચુકવણી કરી હતી.

એટલું જ નહીં, લશ્કરી શાસક ઝિયા-ઉલ-હકના શાસનકાળ દરમિયાન હિંદુ જિમખાનાની ઇમારત વેચવાનો અને તેને તોડી પાડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

તેનું કારણ એવું જણાવવામાં આવ્યું હતું કે ઇમારતની હાલત ખરાબ થઈ ગઈ છે. તેથી તેને તોડી પાડવી જોઈએ.

હિંદુ જિમખાનાનું નામોનિશાન મટી જાય એ પહેલાં જ હેરિટેજ ફાઉન્ડેશને સમયસર દરમિયાનગીરી કરી. આ રીતે ઇમારતને તોડી પડાતી બચાવી લેવામાં આવી.

ત્યાર પછી હિંદુ જિમખાનાની ઇમારત તો યથાવત રહી, પરંતુ તેનો માલિકી હક અને તેને કોને સોંપવી તે અંગે વિવાદ ઊભો થયો.

આ મામલો આજે પણ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

હિન્દુ જિમખાનાની ઇમારતની માલિકી બાબતે વિવાદ યથાવત છે.

ઇમેજ સ્રોત, Rana Tahir

કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં આવેલી શ્રીરત્નેશ્વર મહાદેવ વેલ્ફેર સેવા મંડળી સમિતિના ઉપાધ્યક્ષ અશોક મોટવાણીએ બીબીસી ન્યૂઝ હિંદી સાથે વાતચીતમાં જણાવ્યું, “2005માં જનરલ પરવેઝ મુશર્રફના શાસનકાળમાં ઝિયા મોહિઉદ્દીન પર વિશેષ કૃપા કરતાં હિંદુ જિમખાનાની મૂળ સ્થિતિ ખતમ કરી દેવામાં આવી. ત્યાં નૅશનલ ઍકેડેમી ઑફ પરફૉર્મિંગ આર્ટ્સ સ્થાપવામાં આવી અને તેમને આ ઍકેડેમીના વડા બનાવવામાં આવ્યા.”

એ જણાવવું જરૂરી છે કે આ ઍકેડેમીમાં થિયેટર અને સંગીતનું શિક્ષણ ત્રણ વર્ષના ડિપ્લોમા કોર્સ હેઠળ આપવામાં આવે છે.

હાલ આ ઍકેડેમીમાં 111 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ડૉ. અશોક મોટવાણી કહે છે, “2007માં અમે સિંધ હાઈ કોર્ટમાં હિંદુ જિમખાના હિંદુઓને સોંપવા અને ઍકેડેમીને અહીંથી ખસેડવા માટે અરજી કરી હતી. ત્યાર પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો.”

“2014થી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. અમારી અરજી એવી હતી કે હિંદુ જિમખાના જે હેતુ માટે બનાવવામાં આવ્યું હતું, એ માટે જ તેનો ઉપયોગ થવો જોઈએ.”

એ પણ જણાવવું જરૂરી છે કે 2008માં સિંધ સરકારે નૅશનલ ઍકેડેમી ઑફ પરફૉર્મિંગ આર્ટ્સ, જેને સંક્ષેપમાં ‘નાપા’ કહેવામાં આવે છે, તેને નોટિસ મોકલી હતી.

નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે તે ઇમારત ખાલી કરે, કારણ કે તેણે કથિત રીતે ઇમારતની અંદર બાંધકામનું કામ કરાવ્યું છે, જેની કરાર હેઠળ મંજૂરી નહોતી.

નાપાએ ઇમારતમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો.

અદાલતે 2018માં નાપાને કોઈ બીજી જગ્યાએ ખસેડવાનો આદેશ પણ આપ્યો હતો. જોકે, તેનો અમલ થઈ શક્યો નહોતો.

ઑક્ટોબર 2021માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદે હિંદુ જિમખાનાને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ઍકેડેમીને કોઈ વૈકલ્પિક જગ્યા મળી ન જાય ત્યાં સુધી તે ત્યાં જ કામ કરતી રહે.

પરંતુ અદાલતે નાપાને ખસેડવામાં થઈ રહેલા વિલંબ અંગે ભારે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

2021માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે હિન્દુ જિમખાનાને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, Rana Tahir

સુપ્રીમ કોર્ટે 2021ની બીજી એક સુનવણીમાં એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે હિંદુ જિમખાના હિંદુ સમુદાયને સોંપવામાં આવે, તો કોને સોંપવામાં આવે?

ડૉ. મોટવાણી કહે છે, “અમે આ અંગે સુપ્રીમ કોર્ટને કેટલાંક સૂચનો પણ આપ્યા હતા. અમે કહ્યું હતું કે જે કંઈ બચ્યું છે તે હિંદુ સમુદાયને આપી દેવામાં આવે, જેથી અમે અમારી સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકીએ.”

“સરકાર ઇચ્છે તો પોતાનો એક પ્રતિનિધિ પણ તેમાં સામેલ કરી શકે છે. અમે માત્ર હિંદુ જિમખાનાને તેના મૂળ સ્વરૂપમાં ફરી જોવા માગીએ છીએ. અમે પણ પાકિસ્તાનના નાગરિક છીએ. અમે આ ધરતી છોડી નથી અને અહીં જ રહી ગયા છીએ.”

ડૉ. મોટવાણી કહે છે, “સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ અમે લોકો અમારા વિશેષ તહેવારોના પ્રસંગે નાપાની ઇમારતમાં કાર્યક્રમો યોજતા રહીએ છીએ. તેના માટે અમારે સિંધ સરકારને અરજી કરીને મંજૂરી લેવી પડે છે.”

ઉલ્લેખનીય છે કે ખાનગી સભ્યો માટે કરાચીમાં અત્યારે કરાચી જિમખાના અને કરાચી ક્લબ નામનાં બે મોટાં કેન્દ્રો અસ્તિત્વમાં છે.

આ બંને સંસ્થાઓ સામાજિક, સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ છે.

આ બંને ક્લબોમાં મોટી સંખ્યામાં હિંદુ સભ્યો છે. તેઓ ત્યાં યોજાતી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

પરંતુ અફસોસની વાત એ છે કે આ બધું કરવા માટે તેમની પાસે પોતાની કોઈ અલગ અને ખાનગી જગ્યા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS