Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ઉનાળામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે ઘરમાં પણ ખૂબ ગરમી રહેતી હોય છે.
જો તમે જૂના માટીના ઘરમાં રહેતા હોવ તો તમને એટલી બધી ગરમી નહીં લાગે. પરંતુ જો તમે સિમેન્ટ કૉંક્રિટથી બનેલા ઘરમાં રહો છો, અને તે પણ શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં, તો આવા ઘર ઉનાળામાં ખૂબ ગરમ થઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં મનમાં ઝડપથી વિચાર આવશે કે આપણે એસી ચાલુ કરી દેવું જોઈએ જેથી 15 મિનિટમાં ઘર ઠંડું થઈ જાય. પરંતુ AC ની ઘણી આડઅસરો પણ છે. આના કારણે પર્યાવરણનું તાપમાન અને વીજળીનું બિલ બંને વધે છે.
કેટલાક વિસ્તારોમાં વૉટર કુલરનો ઉપયોગ થાય છે, પરંતુ ભેજવાળી આબોહવામાં તે બહુ ઉપયોગી નથી.
આવા સમયમાં તમારા ઘરને ઠંડું રાખવાની કેટલીક કુદરતી રીતો છે. ઘર બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ફાયદાકારક નીવડે છે. પરંતુ જો તમે પહેલાથી જ બનેલા ઘરમાં રહેતા હોવ તો પણ કેટલાક ઉકેલો અપનાવી શકાય તેવા છે.

ઘરનાં ધાબા અથવા છત પર પ્રયોગ
ધાબુ અથવા છત એ કોઈપણ ઇમારતનો સૌથી ગરમ રહેતો ભાગ છે. કારણ કે આ એકમાત્ર એવો ભાગ છે જ્યાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી સીધો સૂર્યપ્રકાશ પડતો હોય છે.
મોટાભાગની ઇમારતોનાં ધાબા સિમેન્ટ કૉન્ક્રિટનાં બનેલાં હોય છે અને સૌથી ઉપર આવેલો માળ સૌથી વધુ ગરમ થાય છે. આ ગરમી ઘટાડવા માટે કેટલાક ઉકેલો છે.
સૌથી સહેલો રસ્તો એ છે કે ઘરની છતને સફેદ રંગ લગાડો. સફેદ રંગ પરાવર્તક હોય છે, એટલે કે તે સૂર્યપ્રકાશને વધુ પરાવર્તિત કરે છે. આનાથી ઘર ઓછું ગરમ થાય છે અને સાંજે ઝડપથી ઠંડું થાય છે.
આનાથી કેટલો ફાયદો થઈ શકે છે તે જાણવા માટે, નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિશ્વેશ્વરૈયા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (VNIT) ના આર્કિટેક્ચર વિભાગે શહેરના પૂર્વ ભાગમાં એક પ્રયોગ શરૂ કર્યો છે.
અહીં 30 ઘરોની છત સફેદ રંગથી રંગાયેલી છે, જ્યારે બાકીનાં 30 ઘરોની છત સફેદ રંગથી રંગાયેલી નથી. બંને જૂથોનાં ઘરોમાં તાપમાન કેટલું ઊંચું કે નીચું છે તે નોંધવામાં આવશે.
VNIT ના આર્કિટેક્ટ ડૉ. રાજશ્રી કોથલકર આ વિશે માહિતી આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images
“નાગપુર જેવાં ઘણાં શહેરોમાં ઉનાળા દરમિયાન 24 કલાક ભઠ્ઠીમાં રહેતા હોય તેવું લાગે છે. પહેલાં ફક્ત બપોરે ગરમી રહેતી હતી અને રાત્રે તાપમાન ઘટે ત્યારે ઠંડી લાગતી હતી.”
ડૉ. કોથલેકર કહે છે, “પરંતુ હવે રાત્રિનું તાપમાન પણ વધી ગયું છે. સિમેન્ટનાં ઘરો દિવસ દરમિયાન શોષાયેલી ગરમી રાત્રે હવામાં મુક્ત કરે છે. તેથી ઘરને અને ખાસ કરીને છતને સફેદ રંગવાથી ફરક પડે છે.”
પરંતુ કોંકણ જેવાં સ્થળોએ જ્યાં ભારે વરસાદ પડે છે ત્યાં છત પર જાડા છાપરા પણ બનાવવામાં આવે છે જેથી વરસાદી પાણીને ઘરમાં ટપકતું અટકાવી શકાય.
ધાતુ સિમેન્ટ કરતાં સૂર્યપ્રકાશને વધારે પરાવર્તિત કરે છે, પરંતુ તેના પર પરાવર્ત રંગ લગાવવાથી પણ ફાયદો થઈ શકે છે.
કોઈ પણ સંજોગોમાં આવાં ઘરોની છત પર સૂર્યના કિરણો સીધા પડતા નથી, અને છત પ્રમાણમાં ઠંડી રહે છે.
મૂળભૂત રીતે જો તમે ઘર બનાવતી વખતે છત પર પડતા સૂર્યપ્રકાશને ધ્યાનમાં રાખશો તો ઘણી બધી બાબતો સરળ થઈ જશે.
ઘરની છત પર માટીની ટાઇલ્સ અથવા રૂફ ટાઇલ્સ પણ લગાવી શકાય છે. અનુભવ કહે છે કે છત ભલે સિમેન્ટની બનેલી હોય પણ તે માટીની ટાઇલ્સ કે રૂફ ટાઇલ્સથી ઢંકાયેલી હોય તો ઘર પ્રમાણમાં ઠંડુ રહે છે.
છત પર મોઝેક ટાઇલ્સ અથવા તૂટેલી ટાઇલ્સથી બનેલી પરત રાખવી ફાયદાકારક છે. ડૉ. કોથલકર કહે છે કે આવી ટાઇલ્સ પ્રકાશને પ્રતિબિંબિત કરતી હોવાથી છત ગરમ થતી નથી.
ઘર માટે છત બનાવતી વખતે માટીના પાઈપો અથવા કુંડાનો ઉપયોગ કરીને એક પોલાણ બનાવવામાં આવે છે. આવા પોલાણમાં હવા ઠંડી રહેતી હોવાથી ઘર ઠંડુ રહી શકે છે. એટલે કે ઘર બહારની ગરમીથી અલગ અથવા અવાહક હોય છે.
ડૉ. કોથલેકર કહે છે, “પરંતુ આ ગેપ ઘરમાં જમા થયેલી ગરમ હવાને દૂર કરી શકતો નથી, અને તેથી છત માટે આ ઉકેલનો વિચાર ન કરવો તે જ વધુ સારું છે.”

ઊંચાં ટાવરોની દીવાલો પર સીધો પડતો સૂર્ય
છત અથવા ધાબાનાં આ ઉકેલો ઓછી અથવા મધ્યમ ઊંચાઈ ધરાવતાં ઘરો માટે ફાયદાકારક હોય છે.
આનું કારણ એ છે કે આવાં ઘરોની દીવાલનો અમુક ભાગ ઘણીવાર છાયામાં પણ રહેતો હોય છે અને ફક્ત છતનો ભાગ જ ગરમ થતો હોય છે.
પરંતુ ઊંચી ઇમારતો અને ઊંચા ટાવરોમાં દીવાલો છત કરતાં વધુ સૂર્યપ્રકાશ શોષી શકે છે. કારણ કે આ દીવાલો ઘણીવાર માટીની ઈંટોથી નહીં પણ સિમેન્ટ કૉન્ક્રિટથી બનેલી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. કોથલેકર કહે છે, “પાતળી દીવાલો ગરમીને ઘરમાંથી ઝડપથી પસાર થવા દે છે. તેથી, જાડી દીવાલો વધુ ફાયદાકારક છે.”
માટીનાં વાસણો અથવા સિરામિક્સનો ઉપયોગ કરીને દીવાલોમાં હવાની જગ્યાઓ બનાવી શકાય છે, અથવા દીવાલોની અંદર કુદરતી પથ્થરની ટાઇલ્સ લગાવી શકાય છે.

બારીઓનો ઉકેલ
ઘર માટે સૂર્યપ્રકાશ જરૂરી છે પરંતુ ઉનાળામાં જ્યારે વધુ પડતો સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘરની અંદરનું તાપમાન પણ વધારે છે.
રાત્રે અને સવારે જ્યારે તાપમાન પ્રમાણમાં ઓછું હોય ત્યારે ઘરની બારીઓ થોડો સમય ખુલ્લી રાખવાથી અને ઉનાળાના દિવસોમાં તેને બંધ રાખવાથી અથવા સૂર્યપ્રકાશને રોકવા માટે જાડા પડદાથી ઢાંકવાથી ઘરનું તાપમાન ઘટાડવામાં મદદ મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ ઉપાયો ક્યારેક સુકા વાતાવરણમાં લાગુ પડતું નથી, જ્યાં દિવસ દરમિયાન તાપમાન 40-45 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
તેથી તમે બારીઓને ઠંડી રાખવાનું વિચારી શકો છો. આ માટે તમે નાના બ્લાઇંડ્સ અથવા પ્રતિબિંબિત કાંચનો ઉપયોગ કરી શકો છો જેથી સૂર્યના કિરણો સીધા બારી પર ન પડે.
પૂર્વ અને પશ્ચિમ તરફની બારીઓ પર જ્યાં વધારે સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં લીલા પળદા લગાવી શકાય છે.

હવાનું પરિભ્રમણ જાળવી રાખો

ઇમેજ સ્રોત, Getty Images
ઘરમાં હવાનું પરિભ્રમણ કેવી રીતે જાળવી રાખવું તે વિશે તમારે વિચારવાની જરૂર પડશે.
જો ઘરની બારીઓ પવનની દિશામાં બનાવવામાં આવે તો પવન આવતો રહે છે અને સૂર્યની ગરમી થોડી ઓછી થાય છે.
ઘર બનાવતી વખતે ઘરમાં ‘ક્રૉસ વેન્ટિલેશન’ કેવી રીતે જાળવવું તે ધ્યાનમાં લેવું જોઈએ. ક્રૉસ વેન્ટિલેશન એ એક માપ છે જે બારી કે દરવાજામાંથી આવતી હવાને બીજી બાજુથી બહાર જવા દેશે. આના કારણે ઘરમાં હવાનો પ્રવાહ જળવાઈ રહે છે અને તાપમાનમાં વધુ વધારો થતો નથી.
પરંતુ હવે શહેરમાં ઘરો પ્લૉટ મુજબ બનાવવામાં આવે છે. તેથી ક્યારેક બારીઓ ક્યાં મૂકવી જોઈએ અથવા ઘર કઈ દિશામાં હોવું જોઈએ તેના પર આપણું કોઈ નિયંત્રણ નથી હોતું.
વધુમાં ફ્લેટ સિસ્ટમમાં ક્રૉસ વેન્ટિલેશનની સુવિધા આપતી બારીઓ હોતી નથી. જ્યારે ઉનાળા દરમિયાન બારીઓ બંધ હોય છે.
આવી સ્થિતિમાં આપણે પંખાની મદદથી ઘરમાં હવાનું પરિભ્રમણ ચાલુ રાખી શકીએ છીએ.

પંખાનો યોગ્ય ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણીવાર રસોડામાં અથવા બાથરૂમમાં ગરમ હવા બહાર કાઢવા માટે એક નાનો પંખો – એક્ઝૉસ્ટ ફૅન – લગાવવામાં આવે છે. આ પ્રકારના પંખાનો ઉપયોગ ઘરમાં ક્રૉસ વેન્ટિલેશન માટે થઈ શકે છે.
છત ઉપર સીલિંગ ફૅન હોવા છતાં ઘણી વાર ગરમી લાગતી હોય છે. આવી સ્થિતિમાં પંખાના પાંખીયા સાફ છે કે નહીં તે તપાસો. ધૂળવાળા પાંખીયા ભારે હોય છે અને હવાને યોગ્ય રીતે ફરવા દેતા નથી.
સીલિંગ ફૅનની દિશા પણ મહત્ત્વપૂર્ણ છે. આનો અર્થ એ થાય કે જો તે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે છતની નજીકની ગરમ હવા જ નીચે ફેંકશે. તેથી તપાસો કે છતનો પંખો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે કે નહીં.
ક્યારેક મોટા ઓરડામાં છતવાળા પંખા કરતાં ટાવર પંખા (ઊભા પંખા) વધુ ફાયદાકારક રહે છે કારણ કે તે દૂરથી પણ આખા રૂમમાં હવાનું પરિભ્રમણ જાળવી શકે છે.
છતના પંખા નીચે બરફ અથવા ઠંડા પાણીની ડોલ રાખવાથી પણ ઘરમાં ઠંડી હવાનો પ્રવાહ જળવાઈ રહે છે. જો તમે ઉભા પંખા (ટાવર ફૅન) અથવા ટેબલ ફૅનનો ઉપયોગ કરી રહ્યા છો તો તેની સામે બરફનો બાઉલ મૂકી શકો છો.
અલબત્ત આ સૌલ્યુશન પંખા પાસે બેઠેલા લોકો માટે વધુ ફાયદાકારક રહે છે અને ભેજવાળા હવામાનમાં ઘણીવાર તે વધુ મદદ કરતું નથી.

રસોડાનું તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images
ઉનાળામાં ગીઝર અને ગરમ પાણી જેવા ઉપકરણોનો ઉપયોગ ઓછો થઈ જાય છે તેથી બાથરૂમનું તાપમાન વધારે વધતું નથી.
પરંતુ મોટાભાગના ઘરોમાં રસોડું સૌથી ગરમ સ્થળ હોય છે. આ માટે રસોડાની બારીઓ અને ત્યાંથી હવા દૂર કરતા એક્ઝોસ્ટ ફેનની દિશા મહત્વપૂર્ણ બને છે.
ઉનાળામાં રસોડામાં કંઈપણ રાંધતી વખતે પાણી ગરમ કરતી વખતે કે ઉકાળતી વખતે પણ વરાળને કારણે ગરમી વધી શકે છે.
તેથી આ એક્ઝોસ્ટ ચાલુ રાખવું જરૂરી છે, કારણ કે તે ઘરમાં ગરમ હવા એકઠી થવા દેતું નથી. આ પંખો યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં તેની ખાતરી કરવા માટે સમયાંતરે તેને તપાસો અને તેને સાફ રાખો.

વિદ્યુત ઉપકરણો

ઇમેજ સ્રોત, Getty Images
ઘરનાં બધા જ વિદ્યુત ઉપકરણો જેવા કે સામાન્ય લાઇટ બલ્બથી લઈને મોબાઇલ ફોન સુધી વધારાની ગરમી ઉત્પન્ન કરે છે.
તમારા ઘરમાં રહેલા લાઇટ બલ્બ ફક્ત તમારા ઘરના તાપમાનને જ નહીં, પરંતુ વિશ્વના તાપમાનને પણ અસર કરી શકે છે. આ જ કારણ છે કે હેલોજન બલ્બ કરતાં LED લાઇટનો ઉપયોગ વધુ ફાયદાકારક છે, કારણ કે હેલોજન બલ્બ વધુ ગરમી શોષી લે છે.
LED લાઇટ ઓછી વીજળી વાપરે છે અને ઓછી ગરમી ઉત્પન્ન કરે છે. જરૂર ન હોય ત્યારે આવી લાઇટ બંધ કરવાથી પણ ગરમી ઓછી થાય છે. તમારા ઘરમાં લગાવેલા લાઇટના વોટેજ પણ તપાસો.
અન્ય ઘરગથ્થુ ઉપકરણો બંધ કરો અને જરૂર ન હોય ત્યારે તેને અનપ્લગ રાખો. તમે તમારા ઘરમાં વીજળી અને ઊર્જાનો વપરાશ જેટલો મર્યાદિત કરશો, તેટલું જ તે તમારા ઘરને ઠંડું રાખવામાં મદદ કરશે.

ફર્નિચર

ઇમેજ સ્રોત, Getty Images
ઘરનું તાપમાન ઘરનું ફર્નિચર શેનું બનેલું છે તેના પર પણ આધાર રાખે છે.
ખાસ કરીને જ્યારે તમે ગાદલું, પલંગ અને ધાબળા પર સૂતા હોવ ત્યારે વિચારો કે તે શેના બનેલા છે.
ઉનાળામાં સુતરાઉ કપડાં વધુ ફાયદાકારક હોય છે. પોલિએસ્ટર જેવાં કેટલાંક કાપડ પર્યાવરણ અને આપણા શરીરમાંથી ગરમી શોષી લે છે. તેથી પૉલિએસ્ટર જેવા કાપડમાંથી બનેલી અન્ય વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.
જો આ શક્ય ન હોય તો ઓછામાં ઓછા હળવા રંગના કપડાંમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરો. રાત્રે તમે જે રૂમમાં સૂવાના છો તે રૂમમાં યોગ્ય વેન્ટિલેશન છે કે નહીં તે ધ્યાનમાં લો. કારણ કે આપણે તે રૂમમાં દિવસમાં લગભગ આઠ કલાક વિતાવતા હોઈએ છે.

ઘરનો વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા ઘરને ઠંડું રાખવું એ તમારા ઘરની આસપાસના વાતાવરણ પર પણ આધાર રાખે છે.
જો ઘરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે કૉન્ક્રિટનો હોય તો ગરમી વધશે. કારણ કે કૉન્ક્રિટ ગરમી શોષી લે છે.
આ પ્રકારની પરિસ્થિતિ ખાસ કરીને એવાં શહેરોમાં વધુ જોવા મળે છે જ્યાં કૉન્ક્રિટ વિપુલ પ્રમાણમાં છે. આને શહેરના ગરમ ટાપુ પણ કહેવામાં આવે છે.
ઘણીવાર સ્વચ્છતા જાળવવા માટે ઘરની આસપાસ માટીના આંગણને બદલે પથ્થરના પેવિંગ, સિમેન્ટ પેવર્સ અથવા સિમેન્ટ પેવર બ્લૉક્સ લગાવવામાં આવે છે.
તેના બદલે જો માટીનું આંગણું હોય અથવા કાચી ઈંટો અને માટીની ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે તો હવા થોડી ઠંડી રહે છે.
જો ઘરની આસપાસ વહેતું પાણી હોય કે કોઈ પાણીનો સ્ત્રોત હોય તો તે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, બગીચામાં એક ફુવારો.
જોકે, ખાતરી કરો કે આ પાણી એકઠું ન થાય કારણ કે સ્થિર પાણીમાં મચ્છરોના પ્રજનનનું જોખમ રહેલું છે. વધુમાં, આ ઉકેલ પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં લાગુ કરી શકાતો નથી.

વૃક્ષો વાવવાં

ઇમેજ સ્રોત, Getty Images
જો ઘરની આસપાસ અને ધાબા પર લીલુંછમ વાતાવરણ હોય તો ઘરની અંદરનું તાપમાન થોડું ઓછું રહે છે.
દેશી વૃક્ષો સુશોભનમાં ઉપયોગમાં લેવાતાં વૃક્ષો કરતાં તાપમાનનું વધુ સારી રીતે નિયમન કરે છે. શહેરી ઘરોની બારીઓમાં નાનાં વૃક્ષો અથવા લતાઓ વાવવામાં આવે છે.
ઘરની અંદરના છોડ ઘરમાં એકઠા થતા કાર્બન ડાયૉક્સાઇડને શોષી લે છે અને અંદરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે.
પરંતુ ફક્ત વૃક્ષો વાવવાં પૂરતાં નથી. ડૉ. કોથલાક્કર કહે છે, “એક વૃક્ષ કેટલી ગરમી ઘટાડી શકે છે? તેથી, આપણે દરેક સ્તરે પગલાં લેવાની જરૂર છે. કારણ કે, જો આપણે આપણું ઘર કુદરતી રીતે ઠંડું રાખવાના ઉદ્દેશ્યથી બનાવીએ, તો ભવિષ્યમાં તે ઘરને ઠંડુ અને ગરમ રાખવાનો ખર્ચ ખૂબ ઓછો થશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS