Home તાજા સમાચાર gujrati એશિયા કપ : ભારતીય મહિલા બૉલર ક્રાંતિ ગૌડને મૅચ ફીના 10 ટકાનો...

એશિયા કપ : ભારતીય મહિલા બૉલર ક્રાંતિ ગૌડને મૅચ ફીના 10 ટકાનો દંડ થયો – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી એશિયા કપ ભારતીય મહિલા ટીમ ક્રાંતિ ગૌડ પેનલ્ટી આઈસીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે આઈસીસીએ સોમવારે ભારતીય મહિલા ટીમનાં બૉલર ક્રાંતિ ગૌડને તેમની મૅચ ફીના 10 ટકા જેટલી પેનલ્ટી કરી છે.

ક્રાંતિ ગૌડે શ્રીલંકાના ઑપનર ઇમેશા દુલાનીને આઉટ કર્યા પછી તેમને પેવેલિયન તરફ જવા માટે સંકેત કર્યો હતો.

ટી20 એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે આચારસંહિતાનો ભંગ કરવા બદલ આ પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત એક ડિમેરિટ પૉઇન્ટ અપાયો છે.

શ્રીલંકા સામેની મૅચમાં ભારતે 72 રને વિજય મેળવ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ ટ્રૉફી આઠમી વખત જીતી છે. આ મૅચમાં ક્રાંતિ ગૌડે આચારસંહિતાની કલમ 2.5નો ભંગ કર્યો હતો.

આઈસીસીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ગૌડે આઇસીસીની આચારસંહિતાના આર્ટિકલ 2.5નો ભંગ કર્યો હતો જે “આંતરરાષ્ટ્રીય મૅચમાં બૅટસમૅન આઉટ થાય ત્યારે એવી ભાષા, ઍક્શન અથવા હાવભાવનો ઉપયોગ કરવામાં આવે જે અપમાનજનક હોય અથવા આક્રમક પ્રતિક્રિયા ભડકાવી શકે તેમ હોય, તેને સંલગ્ન છે.”

ગૌડે પોતાની ભૂલ માની છે અને રેફરી સુપ્રિયા દાસ દ્વારા અપાયેલી સજા સ્વીકારી છે. લેવલ-1 ઉલ્લંઘન માટે ઓછામાં ઓછી સજા સત્તાવાર ટીકા હોય છે, જ્યારે વધુમાં વધુ સજા તરીકે મૅચ ફીના 50 ટકા જેટલો દંડ અથવા એક કે બે ડિમેરિટ પૉઇન્ટ હોય છે.

2000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર કોઈ બૅન્ક ચાર્જ નહીં લાગેઃ સરકારની સ્પષ્ટતા

બીબીસી ગુજરાતી યુપીઆઈ પેમેન્ટ 2000 રૂપિયા બૅન્ક ચાર્જ

ઇમેજ સ્રોત, Getty Images

સરકારે જાહેરાત કરી છે કે 2000 રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર બૅન્કો કોઈ ચાર્જ વસૂલી નહીં શકે.

સરકારી ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે RuPay સંચાલિત ડેબિટ કાર્ડ્સથી કરવામાં આવતા 2000 રૂપિયા સુધીના પેમેન્ટ્સ પર પણ કોઈ ચાર્જ નહીં લાગે.

નોટિફિકેશનમાં જણાવ્યું છે કે કોઈ બૅન્ક કે સિસ્ટમ પ્રોવાઈડર આ પદ્ધતિથી પેમેન્ટ કરનાર કે સ્વીકારનાર પર સીધો કે આડકતરી રીતે ચાર્જ લગાવી નહીં શકે.

તાજેતરમાં એવી ચર્ચા ચાલતી હતી કે પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ, 2007માં સુધારા થયા પછી યુપીઆઈ યુઝર્સ પર ચાર્જ લાદવામાં આવશે.

ગયા મહિને સરકારે સ્પષ્ટતા કરી હતી કે યુપીઆઈથી પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લગાવાય, પરંતુ ભવિષ્યમાં ચોક્કસ રકમથી મોટા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગી શકે છે.

મોહસિન નકવી પાસેથી ટ્રૉફી ન સ્વીકારવા મામલે બીસીસીઆઈએ શું કહ્યું

બીબીસી ગુજરાતી એશિયા કપ બીસીસીઆઈ ટ્રૉફી પાકિસ્તાન મોહસિન નકવી

ઇમેજ સ્રોત, Francois Nel/Getty Images

મહિલા એશિયા કપ જીત્યા પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રૉફી લેવાનો ઈનકાર કર્યો હતો.

આ મામલે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે ટ્રૉફી નકવી પાસેથી ન લેવાનો નિર્ણય ટીમ અને અધિકારીઓ વચ્ચે અંદરોઅંદર ચર્ચા પછી સામૂહિક રીતે લેવાયો હતો.

રાજીવ શુક્લાએ સોમવારે જણાવ્યું કે “ટ્રૉફીને લઈને અમે અંદરોઅંદર વાત કરી અને નિર્ણય લીધો કે અમે તેમની પાસેથી ટ્રૉફી નહીં લઈએ. તેમાં કોઈ ઝઘડો કે ટકરાવ નથી થયો.”

તેમણે કહ્યું કે “સૈકિયા જી (દેવજિત સૈકિયા)એ જે કહ્યું તે બિલકુલ યોગ્ય છે. તમે કોઈ મૅચમાં હોવ, તો ત્યાં બધા લોકો હાજર હોય છે. બધા દેશોના લોકો એકબીજાને મળે છે. તેથી મને નથી લાગતું કે તેની આટલી બધી આલોચના થવી જોઈએ.”

પાકિસ્તાનના ‘ધ ડૉન’માં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ કહ્યું કે ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કરવો એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.

જિયો ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેનાથી ભારતની “કૂટનીતિક અને સૈન્ય હાર ભૂંસાઈ નહીં જાય”.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS