Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનમાં આવેલા કલાંગ પર્વત પર હુમલો કરી શકે છે.
નતાન્ઝ પરમાણુ સંયંત્ર નજીક આવેલું માઉન્ટ કલાંગ એક મજબૂત સુરક્ષાવાળું ઠેકાણું છે, જેમાં બે બહુ ઊંડી સુરંગ છે.
ટ્રમ્પે સાથે જ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ કોઈ મોટી બાબત નથી.
તેમણે કહ્યું, “ઘણા લોકો તેને યુદ્ધ કહેતા નથી, હું તેને સૈન્ય સંઘર્ષ કહું છું, કારણ કે અમારા માટે તે ખૂબ જ નાનો મુદ્દો છે. આ કોઈ મોટી વાત નથી.”
ટ્રમ્પે વધુમાં કહ્યું, “અમે વેનેઝુએલામાં કાર્યવાહી કરી હતી અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વેનેઝુએલામાં અમને કોઈ જાનહાનિ થઈ નહોતી. ઈરાન સાથેના સંઘર્ષમાં અમે 18 લોકોને ગુમાવ્યા છે. જ્યારે વિયેતનામમાં અમે એક લાખ લોકો ગુમાવ્યા હતા.”
આ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ કહ્યું હતું કે ઈરાનમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અમેરિકી સૈન્ય કાર્યવાહીને યુદ્ધ કહી શકાય નહીં.
તેમણે આ ઘટનાને “સૈન્ય સંઘર્ષ” તરીકે વર્ણવી હતી અને જણાવ્યું હતું કે અમેરિકા માટે આ “ખૂબ જ સામાન્ય અને મર્યાદિત સ્તરની કાર્યવાહી” છે.
ડ્રગ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ ‘થાઇલૅન્ડ-દિલ્હી ફ્લાઇટ’ના પાઇલટને નોકરીમાંથી કાઢી મૂક્યો
ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
ઍર ઇન્ડિયાએ ફૂકેત-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડની સેવા સમાપ્ત કરી દીધી છે. પાઇલટનો ડ્રગ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઍરલાઇન દ્વારા આ જાહેરાત ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)ની ફૂકેત ફ્લાઇટ ઘટનાને લગતા પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયાના થોડા કલાકો બાદ કરવામાં આવી હતી.
રિપોર્ટમાં પાઇલટ દ્વારા નશીલા પદાર્થોના ઉપયોગને ગંભીર ચિંતાનો વિષય ગણાવાયો હતો અને નિયામક ડીજીસીએને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું હતું.
ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું, “ફૂકેત-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનો સાઇકોઍક્ટિવ (નશીલા) પદાર્થ માટેનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.”
“સુરક્ષા અને ફ્લાઇટ માટેની યોગ્યતા સંબંધિત માપદંડોના ઉલ્લંઘન બાબતે ઍર ઇન્ડિયાની ઝીરો-ટૉલરન્સ નીતિ હેઠળ પાઇલટની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.”
બરાબર એક મહિના પહેલાં, 4 ઑગસ્ટે, ફૂકેતથી દિલ્હી આવી રહેલા ઍર ઇન્ડિયાના ઍરબસ A320 વિમાનની ઊંચાઈ અચાનક અંદાજે 91 મીટર (300 ફૂટ) ઘટી ગઈ હતી.
આ ઘટનામાં 13 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. 137 મુસાફરો અને આઠ ક્રૂ સભ્યોને લઈને ઊડી રહેલું આ વિમાન બાદમાં દિલ્હીમાં સુરક્ષિત રીતે ઊતર્યું હતું.
આ જ ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાઇલટે નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




