Home તાજા સમાચાર gujrati તરુણ તેજપાલને બૉમ્બે હાઈકોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠેરવીને 10 વર્ષની જેલની સજા...

તરુણ તેજપાલને બૉમ્બે હાઈકોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠેરવીને 10 વર્ષની જેલની સજા ફટકારી

6
0

Source : BBC NEWS

તરુણ તેજપાલે વર્ષ 2000માં 'તહલકા' મૅગેઝિનની શરૂઆત કરી હતી

ઇમેજ સ્રોત, Ulf Andersen/Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

બૉમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે ગુરુવારે બળાત્કાર કેસમાં ‘તહેલકા’ મૅગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલને દોષિત ઠેરવી 10 વર્ષની જેલની સજા ફટકારી.

નવેમ્બર 2013માં તરુણ તેજપાલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો હતો. વર્ષ 2021માં સેશન કોર્ટે તેજપાલને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ હવે હાઈકોર્ટે તે ચુકાદો રદ કરી દીધો છે.

લાઇવ લો અનુસાર, જસ્ટિસ ડૉ. નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જામસંદેકરની ડિવિઝન બેન્ચે ગોવા સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ મંજૂર કરીને તેજપાલને દોષિત ઠેરવ્યા.

સજા સંભળાવવામાં આવે તે પહેલાં મીડિયા સાથે વાત કરતાં તરુણ તેજપાલે કહ્યું કે તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

તેમણે કહ્યું કે ‘તહેલકા’ મૅગેઝિનને કારણે તેમની સામે રાજકીય વેરઝેર રાખવામાં આવી રહ્યાં છે.

તેમણે કહ્યું, “અમે ટ્રાયલ કોર્ટમાં સાડાં સાત વર્ષ સુધી કેસ લડીને નિર્દોષ જાહેર થયા હતા. હવે આ લોકો ફરી અમારી પાછળ પડ્યા છે. તેમની સાથે જે લોકો હોય છે તેમને તેઓ નિર્દોષ જાહેર કરે છે અને જેમણે ક્યારેય તેમની વિરુદ્ધ પત્રકારત્વ કર્યું હોય તેમની પાછળ પડી જાય છે.”

ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો હતો ત્યારે તરુણ તેજપાલ કોર્ટમાં હાજર હતા.

આ અપીલ સીઆઈડી દ્વારા દાખલ કરવામાં આવી હતી. કેસમાં રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ગોવાના ઍડ્વોકેટ જનરલ દેવિદાસ પંગમે દલીલો કરી હતી.

બેન્ચે શું કહ્યું?

નવેમ્બર 2013માં તરુણ તેજપાલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો હતો

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બાર ઍન્ડ બેન્ચ અનુસાર, કોર્ટે કહ્યું, “અમે નીચલી કોર્ટનો ચુકાદો અને આદેશ રદ કર્યો છે અને તેજપાલને દોષિત ઠેરવ્યા છે. અમે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(એફ) અને (કે), 354A અને 354B હેઠળ દોષિત ઠેરવ્યા છે.”

કલમ 354A હેઠળ જાતીય સતામણીને ગુનો ગણવામાં આવે છે. તેમાં અનિચ્છનીય શારીરિક સંપર્ક, જાતીય સંબંધ માટે સ્પષ્ટ સંકેત કે જાતીય લાભની માંગનો સમાવેશ થઈ શકે છે.

કલમ 354B હેઠળ કોઈ મહિલાને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી તેના પર હુમલો કરવો અથવા ગુનાહિત મન્સાથી બળનો ઉપયોગ કરવો ગુનો ગણાય છે.

લાઇવ લો અનુસાર, જસ્ટિસ ગોખલેએ કહ્યું, “અમે આજે બપોરે 2.30 વાગ્યે સજાની અવધિ અંગે આદેશ સંભળાવીશું. ત્યાં સુધી તેજપાલને કસ્ટડીમાં લેવામાં નહીં આવે, કારણ કે તેઓ જામીન પર બહાર છે.”

તેજપાલ તરફથી તેમના વકીલે કહ્યું, “પરંતુ મને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો અધિકાર છે. જો ઉચ્ચ અદાલત કહેશે કે મને આત્મસમર્પણ કરવું જોઈએ, તો હું આત્મસમર્પણ કરી દઈશ. જો તે કહેશે કે મને જામીન મળવા જોઈએ, તો હું તે જ કરીશ. મને જેલમાં મોકલીને એ અધિકારને અસર થવી જોઈએ નહીં.”

વકીલે કહ્યું કે તેજપાલ ક્યારેય ફરાર થયા નથી. તેમણે કોર્ટના તમામ આદેશોનું પાલન કર્યું છે. તેમનો પાસપોર્ટ હજુ પણ સરકારી અધિકારીઓ પાસે છે. નિર્દોષ જાહેર થયા બાદ પણ તેમણે પોતાનો પાસપોર્ટ પરત લીધો નથી. તેથી એ બાબત પણ ધ્યાનમાં લેવાય કે ધરપકડ બાદથી તેઓ ક્યારેય વિદેશ ગયા નથી.

શું છે આખો મામલો?

તરુણ તેજપાલે તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા

ઇમેજ સ્રોત, STR/AFP via Getty Images

ગોવા પોલીસે અંદાજે ત્રણ હજાર પાનાંનું આરોપપત્ર દાખલ કર્યું હતું. તેમાં તેજપાલ પર “ખોટી રીતે નિયંત્રણમાં રાખવા, ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના, જાતીય સતામણી, હુમલો અને પદનો દુરુપયોગ કરીને જાતીય શોષણ” જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા.

તરુણ તેજપાલે તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

અભિયોજન પક્ષે 156 સાક્ષીઓની યાદી રજૂ કરી હતી, પરંતુ અંતે લગભગ 70 લોકોની જિરહ કરવામાં આવી હતી.

નવેમ્બર 2013માં ગોવાના એક ફાઇવ સ્ટાર હોટલમાં ‘તહેલકા’ મૅગેઝિનનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન એક યુવા મહિલા સહકર્મીએ (ભારતીય કાયદા મુજબ જેમનું નામ જાહેર કરી શકાતું નથી) તરુણ તેજપાલ પર હોટલની લિફ્ટની અંદર તેમના પર જાતીય હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો.

શરૂઆતમાં તેજપાલે કહ્યું હતું કે તેમની તરફથી “નિર્ણય લેવામાં ભૂલ થઈ” અને “તેમણે પરિસ્થિતિનો ખોટો અર્થ કાઢ્યો”, જેના કારણે “આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની.” પરંતુ મામલો આગળ વધતાં તેમણે એક નિવેદન બહાર પાડીને સત્તાધીશોને સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની વિનંતી કરી હતી, “જેથી સમગ્ર ઘટનાક્રમની સચ્ચાઈ વધુ ચોક્કસ રીતે સામે આવી શકે.”

આ મામલો સામે આવ્યો ત્યારે દિલ્હીની એક મહિલાના સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ ભારતમાં જાતીય હિંસા પ્રત્યેના વલણ અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી.

ટીકાકારોએ લિંગ અસમાનતા અને સ્ત્રીદ્વેષ અંગે વાર્તાઓ પ્રકાશિત કરનાર ‘તહેલકા’ પર પાખંડ અને બમણાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

મહિલા જૂથો તેમજ એબીવીપી અને ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ તરુણ તેજપાલ વિરુદ્ધ રસ્તાઓ પર ઊતરીને વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

તેમની 30 નવેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને સાત મહિના બાદ જુલાઈમાં તેઓ જેલમાંથી મુક્ત થયા હતા.

બાદમાં તેમણે પોતાના વિરુદ્ધના આરોપો રદ કરાવવા માટે ગોવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તે સમયે તેમને સફળતા મળી નહોતી.

તરુણ તેજપાલ કોણ છે?

તરુણ તેજપાલે વર્ષ 2000માં 'તહલકા' મૅગેઝિનની શરૂઆત કરી હતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ભારતના સૌથી જાણીતા પત્રકારોમાંના એક તરુણ તેજપાલે દેશના કેટલાંક જાણીતાં અખબારો અને સામયિકોમાં દાયકાઓ સુધી કામ કર્યા બાદ વર્ષ 2000માં ‘તહેલકા’ મૅગેઝિનની શરૂઆત કરી હતી.

‘તહેલકા’એ ખૂબ જ ઓછા સમયમાં ઉત્કૃષ્ટ તપાસ આધારિત પત્રકારિતા માટે નામના મેળવી હતી અને ભારતીય પત્રકારિતાની કેટલીક સૌથી મોટી સ્ટોરી બહાર પાડી હતી.

સ્ટિંગ ઓપરેશન ‘તહેલકા’ની વિશેષતા હતી. ‘તહેલકા’ના પત્રકારો પોતાની ઓળખ છુપાવીને ગુપ્ત કૅમેરાની મદદથી રોજિંદા જીવનમાં રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા હતા.

‘તહેલકા’ને સૌથી વધુ ઓળખ 2001ના તેના ‘ઑપરેશન વેસ્ટ એન્ડ’ માટે મળી હતી.

આ સ્ટિંગ દરમિયાન પત્રકારોએ પોતાને હથિયાર વેપારીઓ તરીકે રજૂ કર્યા હતા, લાંચ અને વેશ્યાઓની ઓફર આપી હતી અને સેનાના અધિકારીઓ, નોકરશાહો અને અહીં સુધી કે સત્તારૂઢ ભાજપના તત્કાલીન અધ્યક્ષને પણ ખોટી હથિયાર સોદાની વ્યવસ્થા કરવા માટે લાંચ લેતા છુપા કૅમેરામાં કેદ કર્યા હતા.

આ ખુલાસા બાદ ભારતની તત્કાલીન સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી અને તેજપાલની લોકપ્રિયતા વધી હતી.

બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ તેમને “ભારતના સૌથી વધુ સન્માનિત પત્રકાર” ગણાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS