Source : BBC NEWS

અપડેટેડ એક કલાક પહેલા
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફનું કહેવું છે કે ભારતે લીધેલા નિર્ણયો પર પાકિસ્તાન તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માગતું નથી.
બીબીસી ઉર્દૂ મુજબ એક પાકિસ્તાની ચૅનલ સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે ભારતમાં બનેલી ઘટના નિંદનીય છે અને આતંકવાદને કોઈ પણ સંજોગોમાં ટેકો આપી શકાય નહીં.
સિંધુ જળ સંધિ રદ થવા વિશે સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ભારત લાંબા સમયથી આમાંથી બહાર નીકળવા માગતું હતું.
સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે પાકિસ્તાન કોઈ પણ ભારતીય હુમલાનો 100 ટકા જડબાતોડ જવાબ આપવાની સ્થિતિમાં છે.
તેમણે કહ્યું કે હવાઈ ક્ષેત્રનો ભંગ કરવા બદલ અભિનંદનના સ્વરૂપમાં મળેલા જવાબને ભારત યાદ રાખશે.
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી મુજબ, “બલૂચિસ્તાનમાં ભારતના ટેકાથી આતંકવાદ વધ્યો છે. જાફર ઍક્સપ્રેસની ઘટનામાં શું થયું તે બધા જાણે છે. ભારતે અલગતાવાદીઓને આશરો આપ્યો છે. બલૂચિસ્તાનના અલગતાવાદીઓ સારવાર માટે ભારત જાય છે. તેના ઘણા પુરાવા છે.”
ખ્વાજા આસિફે કહ્યું કે ભારતે પહલગામની ઘટના માટે બીજાને દોષ આપવાના બદલે પોતાને જવાબદાર ગણવું જોઈએ.
તેમણે કહ્યું કે, “શક્ય છે કે પહલગામમાં થયેલો હુમલો ભારત દ્વારા જ કરવામાં આવેલું એક બનાવટી અભિયાન હોઈ શકે છે.”
પહલગામમાં ચરમપંથી હુમલા પછી ખીણથી લઈને દિલ્હી સુધી ચુસ્ત બંદોબસ્ત

ઇમેજ સ્રોત, ANI
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ જમ્મુ- કાશ્મીરના પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયા પછી દિલ્હીમાં સુરક્ષા બંદોબસ્ત સખત બનાવી દેવાયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે અગમચેતી તરીકે આ પગલાં લેવાયાં છે.
કાશ્મીરના પહલગામમાં મંગળવારે પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં 26 લોકોનાં મોત થયાં છે.
હુમલા પછી દિલ્હી પોલીસે આખા શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને પર્યટનસ્થળો અને શહેરની સરહદો પર ખાસ નિગરાણી રાખવામાં આવે છે જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને પકડી શકાય.
કાશ્મીર ખીણમાં સુરક્ષાકર્મીઓ દરેક જગ્યાએ વાહનોની તલાશી લઈ રહ્યા છે અને રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થયાં છે અને કૅન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી છે.
ઋષિ સુનકે કહ્યું, ‘ત્રાસવાદ ક્યારેય નહીં જીતે, અમે ભારતની સાથે’

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલા વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, ‘અમારું દિલ તૂટી ગયું છે.’
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું છે, “પહલગામમાં થયેલા બર્બર હુમલામાં નવવિવાહિતો, બાળકો અને ખુશી શોધી રહેલા પરિવારોનું જીવન છીનવાઈ ગયું છે.”
ઋષિ સુનકે જણાવ્યું કે બ્રિટન પોતાના દુખ અને એકજૂથતામાં આપની સાથે છે. આતંક ક્યારેય નહીં જીતે. અમે ભારતની સાથે છીએ.
મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના પર્યટકો છે.
બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS