Home તાજા સમાચાર gujrati મક્કા કરાર: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે તો શું તુર્કી...

મક્કા કરાર: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

5
0

Source : BBC NEWS

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

ઇમેજ સ્રોત, SPA

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

શુક્રવારે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.

આ કરાર મુજબ, આમાંથી કોઈપણ એક દેશ પર હુમલો એ ત્રણેય દેશો પરનો હુમલો માનવામાં આવશે.

થિંક ટેન્ક ‘ધ બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન’નાં સિનિયર ફેલો તન્વી મદાન કહે છે કે શીત યુદ્ધ દરમિયાન રચાયેલા લશ્કરી ગઠબંધન ‘સૅન્ટ્રલ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’ અને ‘સાઉથ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન’માં જોડાયાના સાત દશક પછી પાકિસ્તાન એક નવા લશ્કરી ગઠબંધનમાં જોડાઈ રહ્યું છે.

તન્વી મદાન લખે છે: “SETOની કલમ ચારમાં પરસ્પર રક્ષા કરવાની જોગવાઈ હતી. જોકે, અમેરિકાએ કેટલીક શરતો મૂકી હતી; જેમ કે ભારત-પાકિસ્તાન સંઘર્ષની સ્થિતિમાં અમેરિકા દૂર રહે. તે દરમિયાન પાકિસ્તાને વિયેતનામ યુદ્ધમાં યોગદાન આપવાની અમેરિકાની વિનંતીઓને નકારી કાઢી હતી.”

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારત સાથેના સંઘર્ષની સ્થિતિમાં તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

ઇઝરાયલી પોડકાસ્ટર અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પુત્ર યાયર નેતન્યાહૂએ આ કરાર વિશે પૂછ્યું: “તો આવતી વખતે જ્યારે ઈરાન, હુથી અથવા ઇરાકમાં સ્થિત મિલિશિયા સાઉદી અરેબિયા પર હુમલો કરશે, ત્યારે શું તુર્કી અને પાકિસ્તાન ઈરાન, ઇરાક અને યમન પર હુમલો કરશે? જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, ત્યારે શું તુર્કી અને સાઉદી અરેબિયા ભારત પર હુમલો કરશે?”

ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીન અને તુર્કી તરફથી મદદ મળી હતી. પાકિસ્તાને તે યુદ્ધ પોતાની સેના અને અન્ય દેશોના સંરક્ષણ સાધનો પર આધાર રાખીને લડ્યું હતું. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે સાઉદી અરેબિયા અને તુર્કી સાથેના સંરક્ષણ કરારો પાકિસ્તાનની ક્ષમતાઓમાં શું ઉમેરી શકે છે અને શું નહીં.

પાકિસ્તાન ભારત સામે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે અને એવું કહેવાય છે કે તેની પરમાણુ નીતિ ફક્ત ભારત પર જ કેન્દ્રિત છે. મક્કા કરાર આ સમીકરણને બદલતો નથી. આ કરાર એ ટેકો પૂરો પાડે છે જેણે સિંદૂરની પરિસ્થિતિ દરમિયાન પાકિસ્તાનને લશ્કરી સહાય કેવી રીતે મળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સ્થિતિ કેવી રીતે રજૂ કરવામાં આવી તે નક્કી કરવામાં ભૂમિકા ભજવી હતી.

સાઉદી અરેબિયા સાથે ભારતનાં સંબંધો પર અસર?

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

ઇમેજ સ્રોત, SPA

ભારત-પાકિસ્તાન કટોકટીમાં સાઉદી અરેબિયાનું મહત્ત્વ દિલ્હીના પોતાનાં આર્થિક સમીકરણો સાથે જોડાયેલું છે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે 43 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર છે. સાઉદી અરેબિયાએ ભારતમાં ઊર્જા, રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને માળખાગત સુવિધાઓમાં 100 અબજ ડૉલર સુધીનું રોકાણ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.

સાઉદીની અરામકો કંપની ભારતના પશ્ચિમ કિનારા પરના મુખ્ય ડાઉનસ્ટ્રીમ પ્રોજેક્ટ્સમાં પણ હિસ્સો ધરાવે છે. સાઉદી અરેબિયામાં 25 લાખથી વધુ ભારતીયો કામ કરે છે. સાઉદી ક્રૂડ ઑઇલ ભારતની ઊર્જા આયાતનો નોંધપાત્ર ભાગ છે.

વર્ષોથી, ભારત આ આંકડાઓને સાઉદી અરેબિયા સાથેના તેના સંબંધોની ગાઢતાના પુરાવા તરીકે જુએ છે. શું પાકિસ્તાન સાથેનો સંરક્ષણ કરાર આ સંબંધોને અસર કરશે? આ બધા આર્થિક અને રાજદ્વારી સાધનો ધરાવતા સાઉદી અરેબિયાએ હવે 11 મહિનાની અંદર બે વાર સંધિઓ દ્વારા પોતાની સુરક્ષાને પાકિસ્તાનની સુરક્ષા સાથે જોડી દીધી છે.

બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના તુર્કીય પત્રકાર અસલી આયદિનતાબાસ માને છે કે આને હાલ ‘મુસ્લિમ નૅટો’ અથવા ‘સુન્ની નૅટો’ કહેવું ઉતાવળ ગણાશે, પરંતુ તે ચોક્કસપણે સંકેત આપે છે કે પ્રાદેશિક દેશો એક સ્વાયત્ત પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થા વિકસાવવાની ઇચ્છા ધરાવે છે.

આયદિનતાબાસે લખ્યું: “આ કરારનો હેતુ યુદ્ધનો વ્યાપ વધારવાનો નહીં, પરંતુ પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવાનો છે. તુર્કી અને પાકિસ્તાન ઈરાન સામે યુદ્ધ નહીં કરે. બંને દેશો પોતાને સ્થિરતા લાવનારાં રાષ્ટ્રો તરીકે જુએ છે અને આ માટે અનુકૂળ રાજકીય વાતાવરણ બનાવવા માંગે છે.”

તેઓ વધુમાં માને છે: “ઇઝરાયલ અને ઈરાન માટે એ માનવું ભૂલ ભરેલું હશે કે આ કરાર સાથે તેમને કોઈ લેવાદેવા નથી. રાજકીય રીતે આ કરાર એ સંકેત આપે છે કે આ દેશોને અલગ-થલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યાં સુધી તેમની નીતિઓ ઓછી આક્રમક અને પ્રાદેશિક સ્થિરતા પર વધુ કેન્દ્રિત ન બને.”

અમેરિકા આ કરારને કેવી રીતે જોશે? આયદિનતાબાસ કહે છે: “તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા ત્રણેય અમેરિકાના મુખ્ય સાથી દેશો છે. વૉશિંગ્ટનને પોતાના ત્રણ મુખ્ય સાથીઓ વચ્ચેના કોઈપણ પ્રાદેશિક કરાર કે ઉકેલ સામે વાંધો નથી. અમેરિકા આને જવાબદારીની વહેંચણી (બોજ વહેંચણી) તરફનાં પગલાં તરીકે જુએ છે અને તેનું સ્વાગત કરે છે. જોકે, આ કરાર ખાડી ક્ષેત્રમાં મુખ્ય સુરક્ષા પ્રદાતા તરીકેની અમેરિકાની ભૂમિકાને બદલતો નથી.”

તુર્કીએ શું કહ્યું?

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

ઇમેજ સ્રોત, SPA

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને કહ્યું છે કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથેના કરારનો હેતુ કોઈપણ દેશને નિશાન બનાવવાનો નથી.

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી જ સંરક્ષણ કરાર અસ્તિત્વમાં છે, અને તુર્કી હવે આ કરારમાં જોડાયું છે. સાઉદી અરેબિયા પાસે આર્થિક શક્તિ છે, પાકિસ્તાન પાસે પરમાણુ ક્ષમતા, બૅલિસ્ટિક મિસાઇલો અને માનવ સંસાધન છે, જ્યારે તુર્કી પાસે લશ્કરી અનુભવ અને વિકસિત સંરક્ષણ ઉદ્યોગ છે.

કરાર પછી તુર્કીના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે આ કોઈ દેશ વિરુદ્ધનું ગઠબંધન નથી.

તેમણે લખ્યું: “આ કરાર સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 51 અનુસાર છે, જેમાં સ્વ-બચાવનો અધિકાર શામેલ છે. આ કરારનો હેતુ કોઈપણ દેશને નિશાન બનાવવાનો નથી. તેમાં એવા તમામ મિત્ર દેશોનો સમાવેશ થઈ શકે છે જે આપણા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા ઇચ્છે છે.”

“આનાથી આપણને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ વધારવામાં, સંરક્ષણ ઉદ્યોગમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અને આતંકવાદ સામે લડવામાં મદદ મળશે.”

પરંતુ આ લશ્કરી જોડાણ ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે આમાં સામેલ બે દેશો—પાકિસ્તાન અને તુર્કીના ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો નથી. ઘણા વિશ્લેષકો માને છે કે આ કરારથી ઉદ્ભવતી આશંકાઓએ ચોક્કસપણે ભારતની ચિંતાઓમાં વધારો કર્યો છે.

ભારત માટે મોટી ચિંતા?

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

ઇમેજ સ્રોત, EPA/Reuters

વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાની કહે છે: “આ ભવિષ્યના ભારત-પાકિસ્તાન સંઘર્ષો દરમિયાન સંયમ જાળવવાની અને તણાવ વધતો રોકવાની રણનીતિને વધુ જટિલ બનાવી શકે છે.”

ચેલ્લાનીએ ‘X’ પર લખ્યું: “ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને તુર્કી કરતાં ચીન તરફથી ઘણી વધુ લશ્કરી સહાય મળી હોવા છતાં, તુર્કીની સીધી સહાયથી સ્પષ્ટ થયું કે ભારત સાથેના સંઘર્ષની સ્થિતિમાં તુર્કી પાકિસ્તાનને ટેકો આપવા તૈયાર છે.”

“ભવિષ્યમાં, જો ભારત પાકિસ્તાનમાં આતંકી માળખાગત સુવિધાઓ અથવા લશ્કરી ઠેકાણાઓ સામે ઑપરેશન સિંદૂરની જેમ કોઈ દંડાત્મક કાર્યવાહી કરે છે, તો ઇસ્લામાબાદ સૈદ્ધાંતિક રીતે તેને યુદ્ધના કૃત્ય તરીકે દર્શાવી શકે છે અને કરારની સામૂહિક સંરક્ષણ જોગવાઈઓ લાગુ કરવાની માંગ કરી શકે છે.”

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ રાજદૂત ટી. એસ. તિરુમૂર્તિ પણ માને છે કે આ કરાર ભારતના પક્ષમાં નથી.

તિરુમૂર્તિએ લખ્યું: “ઈરાન યુદ્ધ શરૂ થયા પછી તરત જ મેં 10 માર્ચે ‘ધ હિન્દુ’માં લખ્યું હતું: ‘તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનને ફાયદો થશે. આ ક્ષેત્રમાં તેમની મહત્ત્વાકાંક્ષાઓ અને પ્રભાવને વિસ્તૃત કરવા માટે તેમની પાસે વધુ અવકાશ હશે અને આ ભારત માટે સારા સમાચાર નથી.’ હવે એવું લાગે છે કે એ જ વાત સાચી સાબિત થઈ રહી છે.”

ભારતીય થિંક ટેન્ક ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ના મિડલ ઈસ્ટ કાર્યક્રમના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર કબીર તનેજાએ ‘X’ પર લખ્યું: “તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના નવા સંરક્ષણ કરારમાં નૅટોના અનુચ્છેદ 5 જેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે મોટાભાગના લોકો આને મધ્ય પૂર્વના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, ત્યારે તેની અસર અન્ય પ્રદેશો પર પણ પડશે. આને પાકિસ્તાન અને ભારત વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષપૂર્ણ સંબંધોના દૃષ્ટિકોણથી પણ જોવું જોઈએ.”

શું પાકિસ્તાનનું મહત્ત્વ વધી રહ્યું છે?

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

ઇમેજ સ્રોત, Getty Images

થિંક ટેન્ક ‘એટલાન્ટિક કાઉન્સિલ’ના દક્ષિણ એશિયા માટેના સિનિયર ફેલો માઈકલ કુગેલમેન માને છે કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેનો કરાર છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણેય દેશો વચ્ચેના ગાઢ સુરક્ષા સંબંધોનું સ્વાભાવિક પરિણામ છે.

કુગેલમેન કહે છે: “તેનું ફૉકસ સામૂહિક પ્રાદેશિક પ્રતિરોધ પર છે અને ઈરાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ કરારનું અમેરિકામાં સ્વાગત કરવામાં આવશે, કારણ કે અમેરિકા તેના મુખ્ય સાથીઓ પાસેથી પ્રાદેશિક સુરક્ષા માટે વધુ જવાબદારી વહેંચવાની અપેક્ષા રાખે છે.”

આમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું: “આ કરાર મધ્ય પૂર્વની ઊભરતી સુરક્ષા વ્યવસ્થામાં પાકિસ્તાનની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. પાકિસ્તાન તાજેતરમાં મધ્ય પૂર્વના અન્ય પ્રભાવશાળી દેશો જેવા કે ઇજિપ્ત અને જોર્ડન સાથે પણ પોતાના સુરક્ષા સંબંધો મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી મધ્ય પૂર્વમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી રહ્યું છે.”

યુદ્ધ વિશ્લેષક જોન સ્પેન્સર ‘X’ પર આને એક ખરાબ વિચાર ગણાવે છે. તેઓ લખે છે: “આ ખૂબ જ ખરાબ વિચાર છે. પાકિસ્તાન હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘોષિત આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે. તે ન તો જવાબદારી સ્વીકારે છે અને ન તો સરહદ પાર હુમલાઓ કરતા આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરે છે.”

“તે ચીન પર નિર્ભર છે અને તેની સેના ચીની શસ્ત્રોથી સજ્જ છે. વધુમાં, તેની અર્થવ્યવસ્થા અત્યંત નબળી છે. તેને એક નિષ્ફળ અર્થતંત્ર ગણી શકાય, જેને આઈએમએફ (IMF) પાસેથી વારંવાર રાહત પૅકેજની જરૂર પડે છે.”

“પાકિસ્તાન એ છેલ્લો દેશ છે જેની સાથે નૅટોના સભ્ય દેશે કલમ 5 સંરક્ષણ પ્રતિબદ્ધતા કરાર કરવો જોઈએ. જ્યારે ઈરાને સાઉદી અરેબિયા પર હુમલો કર્યો હતો, ત્યારે પાકિસ્તાને તેને મદદ કરવા માટે કંઈ કર્યું ન હતું.”

શું આ એક પેન-ઇસ્લામિક ગઠબંધન છે?

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

કેટલાક વિશ્લેષકો આને એક ઇસ્લામિક ગઠબંધન તરીકે જુએ છે. આમાં તુર્કીની ભૂમિકાનો ઉલ્લેખ કરતા પૂર્વ ભારતીય વિદેશ સચિવ કન્વલ સિબ્બલે ‘X’ પર લખ્યું: “એર્દોઆન જાણે છે કે તેઓ પોતાની પરંપરાગત ભ્રામક રાજદ્વારીમાં વ્યસ્ત છે. જો આ સંરક્ષણ કરાર કોઈની વિરુદ્ધ નથી, તો પછી તેની જરૂર જ શા માટે છે? શું તે એવા ખતરાનો સામનો કરવા માટે છે જે અસ્તિત્વમાં જ નથી?”

“એર્દોઆન લાંબા સમયથી પશ્ચિમ એશિયામાં તુર્કીની પ્રાદેશિક ભૂમિકાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રદેશ પર સદીઓ સુધી ઑટોમન સામ્રાજ્યનું શાસન હતું. એર્દોઆન ઇસ્લામિક વિશ્વનું નેતૃત્વ કરવા માંગે છે. તેમણે ઇસ્લામિક સુધારાવાદી નેતૃત્વ તરીકે સાઉદી અરેબિયાની ભૂમિકાને નબળી પાડવાનો અને પોતાના નેતૃત્વ હેઠળ પાકિસ્તાન તથા મલેશિયા સહિતનું એક રૂઢિચુસ્ત ઇસ્લામિક જૂથ બનાવવાનો પ્રયાસ કર્યો છે.”

“હવે તેઓ સાઉદી અરેબિયાને પોતાની સાથે સમાવીને ‘મુસ્લિમ બ્રધરહુડ’થી પ્રેરિત રાજકીય નેતૃત્વ પ્રોજેક્ટને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

બ્રહ્મા ચેલ્લાની પણ આ વાત સાથે સંમત થાય છે. તેઓ લખે છે: “કરારમાં ‘ઇસ્લામિક એકજૂટતા’નો સ્પષ્ટ ઉલ્લેખ અને મક્કામાં તેના પર થયેલા હસ્તાક્ષર આ નવા સંરક્ષણ ગઠબંધનને એક સ્પષ્ટ પેન-ઇસ્લામિક સ્વરૂપ આપે છે.”

મક્કા સમજૂતી: જો ભારત ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે છે, તો શું તુર્કી અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને ટેકો આપશે?

‘મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ’ના તુર્કી પ્રોગ્રામના ફાઉન્ડર ડાયરેક્ટર ગોનુલ તોલે ‘X’ પર લખ્યું: “સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે આજે મક્કામાં થયેલા સંરક્ષણ કરારને જોઈને હું જાન્યુઆરીની મારી પોસ્ટ ફરીથી શેર કરી રહ્યો છું. મારું મૂલ્યાંકન હજુ પણ આના પર કાયમ છે.”

“આ કરારનું પ્રતીકાત્મક મહત્ત્વ છે. તેના પર શુક્રવારે મુસ્લિમોના પવિત્ર નમાજના દિવસે અને મક્કામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નૅટોના અનુચ્છેદ 5નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ કરાર મુખ્યત્વે હાલની સંરક્ષણ ભાગીદારીને સંસ્થાકીય રૂપ આપે છે.”

“પરંતુ આને ‘મુસ્લિમ નૅટો’ કહેવું હજુ પણ ખૂબ જ ઉતાવળિયું ગણાશે.”

“2025ના સાઉદી અરેબિયા-પાકિસ્તાન સંરક્ષણ કરારમાં પણ સામૂહિક સંરક્ષણની જોગવાઈ હતી. પરંતુ જ્યારે સાઉદી અરેબિયા પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાન તરફથી કોઈ લશ્કરી કાર્યવાહી શરૂ થઈ ન હતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS