Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sanjay Das
વાંચવાનો સમય: 3 મિનિટ
મમતા બેનરજી સરકારમાં મંત્રી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા તૃણમૂલ કૉંગ્રેસના નેતા આશિષ બેનરજીનો મૃતદેહ રવિવારે સવારે તેમના નિવાસસ્થાનને અડીને આવેલા પાર્ટી કાર્યાલયમાંથી મળી આવ્યો હતો.
બીબીસી હિંદીના સહયોગી પ્રભાકર મણિ તિવારીએ આ માહિતી આપી છે.
તેઓ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલી રામપુરહાટ બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમનો મૃતદેહ એક રૂમમાં મળ્યો હતો. હાલ તેમના મૃત્યુનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મૃતદેહની પાસે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે, અધિકારીઓએ તેના વિશે કોઈ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
આશિષ બેનરજી વર્ષ 2001થી આ બેઠક પરથી સતત ચૂંટણી જીતતા આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેમને ભાજપના ઉમેદવાર ધ્રુવ સાહા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક લોકોએ સૌપ્રથમ આશિષનો મૃતદેહ ફાંસે લટકતો જોયો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી રામપુરહાટ પોલીસ સ્ટેશનની ટીમે મૃતદેહને કબજે લીધો હતો.
આશિષ બેનરજી મમતા બેનરજી સરકારમાં શિક્ષણ અને કૃષિ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. વર્ષ 2021માં તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બર્દવાન યુનિવર્સિટીમાંથી બંગાળી વિષયમાં ડૉક્ટરેટ પૂર્ણ કર્યા બાદ તેમણે રામપુરહાટ કૉલેજમાં અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયા હતા. તેમને મમતા બેનરજીના નજીકના સહયોગી તરીકે માનવામાં આવતા હતા.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
ઈરાનના સાંસદે કહ્યું કે ટ્રમ્પ હોર્મુઝની ચિંતા છોડે, પોતાની સુરક્ષાની ચિંતા કરે
ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty Images
ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની અંગે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
અઝીઝીએ કહ્યું કે ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની અંગે વારંવાર ધમકીઓ આપવાના બદલે પોતાની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે પોતાની સુરક્ષા માટે ટ્રમ્પને કદાચ ‘ખાવાના ટ્રક’માં છુપાવાની જરૂર પડી શકે છે.
અઝીઝીનું આ નિવેદન ટ્રમ્પના એ જવાબમાં આવ્યું છે, જેમાં તેમણે ગઈ રાત્રે કહ્યું હતું કે તેઓ “હોર્મુઝ સામુદ્રધુનીને અમેરિકાનો વિસ્તાર જાહેર કરશે.”
બાદમાં વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પે આ વાત મજાકમાં કહી હતી. જોકે, તેમના આ નિવેદનની મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ હતી અને ઈરાનના અનેક અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી.
તેલંગાણા મંદિરના મૅનેજર પર સગીરા પર યૌન ઉત્પીડનનો આરોપ, પૉક્સો હેઠળ કેસ નોંધાયો
ઇમેજ સ્રોત, ANI
તેલંગાણાની રાજધાની હૈદરાબાદ નજીક આવેલા એક મંદિરના 66 વર્ષીય મૅનેજરને એક સગીરા સાથે કથિત રીતે યૌન ઉત્પીડન કરવાના આરોપમાં હિરાસતમાં લીધા છે.
પોલીસે રવિવારે આ માહિતી આપી છે.
કહેવાઈ રહ્યું છે કે કેટલાક સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટના અંગે માહિતી આપી હતી, બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
એજન્સીએ પોલીસ અધિકારીના હવાલાથી કહ્યું કે આરોપી સામે રામચંદ્રપુરમ પોલીસ સ્ટેશનમાં પૉક્સોની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ આગળની તપાસ કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




