Home તાજા સમાચાર gujrati ‘મૈં વાપસ આઉંગા’ : ઇતિહાસની રાખમાં પ્રેમના બાકી રહી ગયેલા તણખાને ફંફોસતી...

‘મૈં વાપસ આઉંગા’ : ઇતિહાસની રાખમાં પ્રેમના બાકી રહી ગયેલા તણખાને ફંફોસતી ફિલ્મ

4
0

Source : BBC NEWS

મેં વાપસ આઉંગાનું પોસ્ટર

ઇમેજ સ્રોત, Applause Entertainment

કોઈ ફિલ્મ માટે તેનું નામ જ તેની નિયતિ બને, એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ, દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ના કિસ્સામાં આ શક્ય બન્યું છે. દર્શકો દ્વારા થઈ રહેલી પ્રશંસા અને હૃદયસ્પર્શી ભલામણોએ આ ફિલ્મને નવજીવન આપ્યું છે, જેની સફર હવે આવક દ્વારા નહીં, બલ્કે લાગણીઓથી મપાઈ રહી છે.

‘મૈં વાપસ આઉંગા’માં એવું તે શું છે, કે જ્યારે ફિલ્મ પૂરી થાય, ત્યારે થિયેટરમાં કોઈ ઘોંઘાટ કે તાળીઓનો અવાજ નથી સંભળાતો? ત્યાં બસ એક સૂનકાર વ્યાપી જાય છે, જાણે કે વાર્તા હજુયે ભીતરથી પ્રગટ થઈ રહી હોય.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મોટા ભાગે તંગદિલી, કડવાશ અને મુકાબલાની સ્થિતિ પ્રવર્તી રહી હોય, અને જ્યારે સિનેમા રાષ્ટ્રવાદના નામે પરસ્પર વિનાશનું આક્રંદ વેચી રહ્યું હોય, એવા સમયે ઇમ્તિયાઝ અલીએ સાવ અલગ જ જોખમ ઉઠાવ્યું છે. તેમની ફિલ્મ વિભાજનની કરૂણાંતિકા જરૂર રજૂ કરે છે, પણ તે નફરત ફેલાવવા માટેનું સાધન નથી બની જતી. આ ફિલ્મ ભાગલાની વેદના સ્વીકારે છે અને ઇતિહાસની રાખમાં બચેલા પ્રેમના તણખા ફંફોસે છે.

રાજકારણ તેની પોતાની દલીલો, ઇતિહાસ અને તેના પોતાના ઘા સાથે આવે છે. તે જખમોને ખોતરવાને બદલે આ ફિલ્મ તેમાં રહેલી માનવતામાં ડોકિયું કરવાનો પ્રયાસ કરે છે.

‘મૈં વાપસ આઉંગા’ ભારતમાં રહેતા એક વૃદ્ધ (નસીરુદ્દીન શાહ)ની વાર્તા છે. તેઓ પાકિસ્તાનમાં આવેલા તેમના પૂર્વજોના ઘરે પરત જઈને તેમના જૂના પ્રેમને છેલ્લી વખત મળવાની મહેચ્છા ધરાવે છે. તેમની યાદોની સાથે-સાથે તેમની યુવાનીની એ પ્રેમકથા પણ ચાલે છે, જે ભાગલાના દિવસો દરમિયાન પાંગરી હતી. તેઓ કદીયે એમ માનવાનું નથી છોડતા કે, સરહદો ચાહે ગમે તેટલી જડબેસલાક હોય, પણ યાદો તે સીમાડા ઓળંગીને તેનાથી પણ દૂર સુધી જઈ શકે છે.

એક લિટરેચર ફેસ્ટિવલમાંથી થઈ ફિલ્મની શરૂઆત

મુંબઈમાં આ ફિલ્મના ટ્રૅલર લૉન્ચ વખતે નસીરુદ્દીન શાહ

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL / AFP via Getty Images

‘મૈં વાપસ આઉંગા’માં નસીરુદ્દીન શાહે કરેલા જાનદાર અભિનયને દર્શકોએ વધાવી લીધો છે, પણ ફિલ્મની સફળતા વિશેની થતી ચર્ચાઓની વચ્ચે એ જાણી લેવું અગત્યનું છે કે, ઍક્શન ફિલ્મોના આ યુગમાં આવા સંવેદનશીલ વિષય પરની ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો?

લંડન ખાતે રહેતાં ‘મૈં વાપસી’ નવલકથાનાં લેખિકા તથા આ ફિલ્મનાં સહ-લેખિકા નયનિકા મેહતાણી ફિલ્મની રસપ્રદ સફર વિશે આપણી સાથે વાત કરે છે. તેમણે કહ્યું હતું, “હું દહેરાદૂન લિટરેચર ફેસ્ટિવલમાં ઇમ્તિયાઝ અને રસ્કિન બૉન્ડ સાથે માસ્ટર સ્ટોરીટેલર્સ સેશનનું સંચાલન કરી રહી હતી. તે સમયે ઇમ્તિયાઝે જણાવ્યું કે, તેઓ ભાગલાના વિષય પર આધારિત એક ફિલ્મ બનાવવા માગે છે. મેં તેમને કહ્યું કે, મેં તાજેતરમાં જ ભાગલા ઉપર આધારિત એક નવલકથા લખી હતી.”

“પરંતુ કોવિડનાં વર્ષોને કારણે હું મારા કામ અને હેતુ વિશે વિચારવા માટે મજબૂર બની હતી. મેં ઇમ્તિયાઝને કહ્યું કે, જો હું ફરી વખત કોઈ પુસ્તક કે સ્ક્રિપ્ટ ન લખું, તો તેનાથી કોઈને શું ફર્ક પડશે? આ સાંભળીને ઇમ્તિયાઝ તેમના સૂફી અંદાજમાં હસ્યા.”

“થોડા સમય પછી ઇમ્તિયાઝે 95 વર્ષની એક વ્યક્તિની વાર્તા જણાવી, જેમની સ્મરણશક્તિ ધીમે-ધીમે ઝાંખી થઈ રહી હતી, પણ તેમના હૃદયમાં ઊંડે-ઊંડે હજુયે એક ઝંખના રહેલી છે, જેને મૃત્યુ પણ તેમનાથી અલગ કરી શકે એમ નથી. તેમણે મને 2030 પાનાંની વાર્તા લખવા જણાવ્યું. મેં લખી. તેમણે વાર્તા વાંચીને મને વળતો પત્ર લખીને કહ્યું કે, આપણામાં સમાન સ્તરની સંવેદનશીલતા પ્રવર્તતી હતી. બસ, ત્યાંથી જ આ સુંદર સફરની શરૂઆત થઈ.”

ફિલ્મનાં સહ-લેખિકા નયનિકા મેહતાણી, ઇમ્તિયાઝ અલી અને રસ્કિન બૉન્ડ સાથે

ઇમેજ સ્રોત, Nayanika Mahtani/Instagram

નયનિકા સમજાવે છે કે, સરગોધા પર આધારિત વાર્તા લખવી એ તેમના માટે ઘરે પરત ફરવા જેવું હતું. તેમનાં દાદા-દાદી અને પિતા ભાગલાનાં શરણાર્થીઓ હતાં. ભાગલાના સમયે તેઓ દિલ્હીમાં હતાં, જ્યારે તેમનો પરિવાર સરગોધામાં જ રહી ગયો હતો. તેમનો જીવ તેમના મુસલમાન પાડોશીઓએ બચાવ્યો હતો. “ઇમ્તિયાઝ સાથે મળીને ફિલ્મ લખતી વખતે ‘ડિમેન્શિયા’ એક શક્તિશાળી માધ્યમ બની ગયું, જેના દ્વારા ભાગલાની વેદનાને એક અલગ, અમુક વખત વિખરાયેલી, અમુક વખત કરૂણ-રમૂજી (પણ અત્યંત માનવીય) અભિગમ સાથે જોઈ શકાય છે.”

ઘણા આલોચકો એવો સવાલ પણ કરે છે કે, ફિલ્મ ભાગલાની જટિલતાઓને અને તેની ઊંડી સામાજિક-રાજકીય અસરોને સીધી રજૂ કરતી નથી. તે વિશે સહ-લેખિકા નયનિકા મેહતાણી કહે છે, “વિભાજન કદી પણ આ વાર્તાનું ‘મુખ્ય પાત્ર’ ન હતું. તે કેવળ એક સાંવેદનિક પૃષ્ઠભૂમિ હતી, જેની સામે આ અંગત સફર આગળ ધપે છે. આખરે તો, આ એક એવા સામાન્ય માણસની વાર્તા છે, જેની મહેચ્છાઓ અને પ્રેમ એક મોટી કરૂણાંતિકાના કાટમાળ તળે ધરબાઈ ગયાં હતાં. કદાચ એટલે જ આ ફિલ્મ 1947ના ભાગલાને વ્યક્તિગતપણે ન જાણનારા લોકોને પણ સ્પર્શી જાય છે. તેની સંવેદના સરહદોથી પર છે.”

નફરતની વાર્તાઓની વચ્ચે ઇતિહાસના સાંવેદનિક અવશેષો વિશેની વાર્તા કહેવાનું સાહસ ખેડનારા ફિલ્મસર્જક એક રીતે તેમના સમયની સામે જઈને ઊભા રહ્યા છે. અને આ ફિલ્મને મળેલો દર્શકોનો સાથ કદાચ આપણે જેને ભૂલી ચૂક્યા છીએ, તે સંભવિતતાની યાદ અપાવે છે.

જ્યાં પ્રેમ મંઝિલ નથી, પણ તલાશ છે…

ફિલ્મ રૉકસ્ટારના એક પ્રમોશનમાં રણબીર કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમ્તિયાઝ અલીની લગભગ દરેક ફિલ્મ પ્રેમકથા જ રહી છે, પણ તેમની ફિલ્મોમાં પ્રેમ કદી સરળ હોતો નથી. તે બસ બે લોકોનું મળવું નથી. તે એક સફર છે, એક અજંપો છે, અધૂરાપણાની એક એવી લાગણી છે, જે વ્યક્તિને સતત બીજે કશેક ખેંચી જાય છે.

‘જબ વી મેટ’, ‘રૉકસ્ટાર’, ‘હાઇવે’, ‘તમાશા’, ‘જબ હેરી મેટ સેજલ’થી લઈને ‘લૈલા મજનૂ’ સુધીની ફિલ્મોમાં તેમનાં પાત્રો હંમેશા કોઈક ખોવાઈ ગયેલી વસ્તુ શોધી રહ્યાં હોય છે. કેટલીક વખત તે ખોવાઈ ગયેલી વસ્તુ પ્રેમ હોય છે, તો કેટલીક વખત તેમની પોતાની ઓળખ હોય છે, તો વળી કેટલીક વખત તે બંને એકબીજામાં ભળી જાય છે.

જો તમે ધ્યાન આપશો, તો તમને જાણવા મળશે કે, ઇમ્તિયાઝના વિશ્વની દરેકે-દરેક વાર્તા ‘પરત ફરવાની’ વાર્તા છે. ‘જબ વી મેટ’નો આદિત્ય તેના જીવનમાં પરત ફરે છે. ‘રૉકસ્ટાર’નો જોર્ડન તેના ખોવાઈ ગયેલા પ્રેમ પાસે પાછો ફરે છે. ‘તમાશા’નો વેદ તેના વાસ્તવિક વ્યક્તિત્વમાં પાછો ફરે છે, ‘જબ હેરી મેટ સેજલ’નો હેરી તેના ગામમાં પાછો ફરે છે અને હવે ‘મૈં વાપસ આઉંગા’નો વૃદ્ધ હીરો પણ વાપસીની આવી જ સફર પર નીકળે છે. 1947માં પાછળ છૂટી ગયેલા ઘર અને સમયમાં તે પાછો જવાની કોશિશ કરી રહ્યો છે.

આ વાપસી ફક્ત ભૌગોલિક નથી, તે યાદોની છે. તે એક એવા સમયમાં પરત ફરવાની ઝંખના છે, જ્યાં કશુંક અધૂરું રહી ગયું હતું, જ્યાં ઇતિહાસે વ્યક્તિગત જીવનમાં હસ્તક્ષેપ કર્યો હતો.

સમયના બે છેડા પર ઊભેલાં પાત્રો

‘લવ આજ કલ’થી લઈને ‘મૈં વાપસ આઉંગા’ સુધી આ ઇમ્તિયાઝનું મનપસંદ ક્ષેત્ર રહ્યું છે – વર્તમાન કાળ અને ભૂતકાળના પ્રેમ વચ્ચે સેતુ ઊભો કરવો. ઇમ્તિયાઝનાં પાત્રો આધુનિક દુનિયામાં જીવે છે, પણ તેમનો આત્મા જૂની વાર્તાઓ સાથે જોડાયેલો રહે છે. મોબાઇલની દુનિયામાં અને શહેરોની વચ્ચે જીવતા હોવા છતાં તેઓ હીર-રાંઝા અને લૈલા-મજનૂનો વારસો આગળ ધપાવે છે.

તેમની વાર્તાઓમાં એક થવા કરતાં છૂટા પડવું વધારે મહત્ત્વનું હોય છે, કારણ કે, એ વિરહ જ છે, જે પ્રેમને વધુ ગહન બનાવે છે અને યાદોને ધબકતી રાખે છે. વિરહમાં જ ઝંખના અને આશા જીવંત રહે છે.

આ પાત્રોમાં પસ્તાવો હંમેશાં મોજૂદ હોય છે. કોઈ ક્ષણ ગુમાવી દીધા પછી કે કોઈ કરૂણાંતિકા સર્જાયા પછી તેઓ જાગે છે. ચાહે તે ‘જબ વી મેટ’નો આદિત્ય હોય કે પછી ‘તમાશા’નો વેદ હોય, આ પસ્તાવો તેમને તોડી નાખે છે અને તેમની અંદર નવી સંભવિતતા જગાડે છે.

‘મૈં વાપસ આઉંગા’માં આ પસ્તાવો અંગત તથા ઐતિહાસિક, બંને પ્રકારનો છેઃ સરહદો ઊભી થતાં વિરહનો અફસોસ અને કદીયે વાસ્તવિકતા ન બની શકનારી મુલાકાતોનો અફસોસ. પરંતુ, ઇમ્તિયાઝની દુનિયામાં પ્રેમ કદીયે નિરાશ નથી કરતો. તેમનાં પાત્રો તૂટી જાય છે અને ખોવાઈ જાય છે, પણ તેઓ કદી પ્રેમ પરનો વિશ્વાસ ખોઈ દેતાં નથી. દરેક વાર્તામાં આશાના કિરણને પ્રવેશવા દેવા માટે એક બારી ખૂલી રહેતી હોય છે. અને કદાચ એથી જ, ‘મૈં વાપસ આઉંગા’ શીર્ષક એક વચન જેવું લાગે છે. એવું વચન, જે સમય અને અંતરની પાર પણ જળવાઈ રહે છે.

શું ઇમ્તિયાઝ ખુદનું પુનરાવર્તન કરી રહ્યા છે?

ડિસેમ્બરમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઇમ્તિયાઝ અલી

ઇમેજ સ્રોત, MONEY SHARMA/AFP via Getty Images

તેમની ફિલ્મો હિટ હોય કે ફ્લોપ હોય, ઇમ્તિયાઝ અલીની શૈલી હંમેશાં આગવી રહે છે. લાંબી મુસાફરી, અધૂરો પ્રેમ, યાદોમાં સરી જતા સંવાદો, ઉદાસીભર્યું સંગીત અને આંતરિક ખાલીપાથી ઝઝૂમતાં પાત્રો તેમની ફિલ્મોનો હિસ્સો હોય છે.

આ તેમની શક્તિ છે અને ‘મૈં વાપસ આઉંગા’ને મળી રહેલી પ્રશંસાની વચ્ચે એવી ટીકા પણ થઈ રહી છે કે, ઇમ્તિયાઝ અલી ફરી વખત તેમના જૂના ઇમોશનલ ગ્રાફ અને વિઝ્યુઅલ સ્ટાઇલનું પુનરાવર્તન કરતા જોવા મળ્યા છે.

તેમની સાથે મળીને ‘મૈં વાપસ આઉંગા’નું સહ-લેખન કરનારાં નયનિકા કહે છે, “હું એ ખાતરીપૂર્વક નથી કહી શકતી કે, તેમની ફિલ્મોમાં ચોક્કસ પ્રકારની થીમનું શા માટે પુનરાવર્તન થતું હોય છે, પણ મને લાગે છે કે, આપણે જે વાર્તાઓ તરફ ફરી-ફરીને પાછા આવતાં હોઈએ છીએ, તે ઘણી વખત એ જ સવાલો ઊભા કરે છે, જેનો જવાબ આપણે હજુ પણ શોધી રહ્યાં હોઈએ છીએ. ઇમ્તિયાઝ જેવી સંવેદનશીલતા ભાગ્યે જ જોવા મળે છે. તેઓ આપણને યાદો, પસ્તાવો, સમય, અંતર અને ઓળખના તાણાવાણામાં ગૂંચવી નાખે છે અને પછી આપણને આપણા આંતરિક ‘ઘર’ સુધી લઈ જાય છે.”

પણ શું સુંદરતા પુનરાવર્તન સાથે તેનો પ્રભાવ ગુમાવી નથી દેતી? શરૂઆતથી જ તેમની ફિલ્મો પાત્રોની સફર પર (‘સોચા ન થા’, ‘જબ વી મેટ’, ‘હાઇવે’, ‘તમાશા’) અને બે ટ્રૅકમાં વાર્તા કહેવાની તેમની શૈલી (‘લવ આજ કલ’, ‘રૉકસ્ટાર’) પર કેન્દ્રિત રહી છે.

શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર સાથેની ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘લવ આજ કલ ૨’ ફ્લોપ ગયા પછી એવું કહેવાતું હતું કે, ઇમ્તિયાઝ પાસે હવે કશું નવું આપવા માટે રહ્યું નથી. તેમની વાર્તાઓ આગળ વધવાને બદલે તેમનાં જૂનાં મૂળ તરફ પરત ફરતી હોય, એમ લાગતું હતું. તેમાં ‘જબ વી મેટ’, ‘રૉકસ્ટાર’ અને ‘તમાશા’ને ખાસ બનાવનારી એક સમયની તાજગીનો અભાવ વર્તાતો હતો. કદાચ ટિકિટ ખરીદનારી ઑડિયન્સની અપેક્ષાઓના ભારણે પણ તેમાં આંશિક ભૂમિકા ભજવી હતી.

થિયેટરના દબાણથી મુક્ત તેમની તે પછીની ફિલ્મ ‘અમરસિંહ ચમકીલા’ (૨૦૨૪) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તેમાં ઇમ્તિયાઝને તેમનો અવાજ પાછો મળ્યો અને તે સાથે તેમના સિનેમામાં પણ બદલાવ આવ્યો.

રૉમેન્ટિક ફિલ્મોમાં રાજકીય અસર

રેખ્તાના એક કાર્યક્રમમાં ઇમ્તિયાઝ અલી

ઇમેજ સ્રોત, Mirza AB Baig

ચમકીલા કેવળ પ્રેમ હાણી નહોતી, પણ તેની સાથે-સાથે તે જે-તે ગાળા દરમિયાન પંજાબના સામાજિક ફલક, તેની જ્ઞાતિની જટિલતાઓ અને સમાજનાં બેવડાં ધોરણોને પણ પ્રતિબિંબિત કરતી હતી. તે સ્પષ્ટ સામાજિક અને રાજકીય અન્ડરટોન ધરાવે છે.

‘મૈં વાપસ આઉંગા’ તે રૂપાંતરણ તરફનું સાહસિક કદમ છે. પ્રેમ અને સ્મૃતિની વાર્તા હોવાની સાથે તે ભાગલા, વિસ્થાપન અને રાષ્ટ્રવાદના વારસાના મુદ્દા પણ ઉખેળે છે. ઇમ્તિયાઝનું સિનેમા હજુયે પ્રેમની ભાષામાં વાત કરે છે, પણ હવે તેમનું ફોકસ વ્યક્તિગતપણાથી આગળ વધી ગયું છે અને તે તેની આસપાસની દુનિયા પર પણ કેન્દ્રિત થયું છે. રસપ્રદ રીતે, તેઓ રાજકારણ વિશે સીધી રાજકીય ભાષામાં વાત નથી કરતા, પણ, તેને બદલે માનવ અનુભવોમાં તેને શોધતા હોય, એમ લાગે છે.

ઇમ્તિયાઝની ફિલ્મો વિશે ઘણી વખત એવું કહેવાય છે કે, તેમની ફિલ્મોને રિલીઝ સમયે એટલો પ્રેમ નથી મળતો, જેટલો વર્ષો બાદ મળે છે. ખુદ ઇમ્તિયાઝે આના વિશે એક રમૂજભર્યો વીડિયો બનાવ્યો છે.

પરંતુ આ વખતે, બૉક્સ ઓફિસ ઉપર ‘મૈં વાપસ આઉંગા’નું પુનરાગમન માત્ર બૉક્સ ઓફિસના આંકડાઓથી માપી શકાય એમ નથી. તેની ખરી કમાણી તે મૂક જોડાણ છે, જે આ યુગની કડવાશને પાછળ છોડી દે છે અને થોડી ક્ષણો માટે પ્રેમને સ્થાન આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS