Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
એક કલાક પહેલા
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ આ મહિને આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું કારણ સમજાવ્યું છે અને એ અંગે તેમણે ખુલાસો આપ્યો છે.
માર્ક કાર્નીનું કહેવું છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આથી જ તેનું G-7ના ટેબલ પર હાજર હોવું મહત્ત્વપૂર્ણ છે.
કૅનેડાના રાજકીય પક્ષ NDP અને વિશ્વ શીખ સંગઠને પીએમ મોદીને આમંત્રણ આપવાના કાર્નીના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
2023માં ખાલિસ્તાન સમર્થક શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો સૌથી ખરાબ સમયગાળામાં છે.
શુક્રવારે આ પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માર્ક કાર્નીએ તેમને G-7 સમિટમાં આમંત્રણ આપ્યું છે અને તેઓ તેમાં હાજરી આપશે.
કાર્નીએ જવાબ આપ્યો હતો કે, “કૅનેડા G-7ના અધ્યક્ષની ભૂમિકામાં છે. અમારા G-7 સાથી દેશો સાથેની ચર્ચામાં એ વાત પર સંમતિ કરવામાં આવી હતી કે ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મહત્ત્વપૂર્ણ ખનિજો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દેશોને આમંત્રણ આપવું જરૂરી છે.”
તેમણે કહ્યું હતું કે, “ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને વૈશ્વિક સપ્લાય ચેઇનનું કેન્દ્ર છે.”
માર્ક કાર્નીએ ભારત અને કૅનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશે પણ કેટલીક વાતો કહી.
તેમણે કહ્યું, “અમે દ્વિપક્ષીય સ્તરે એક સંમતિ સુધી પહોંચ્યા છીએ કે અમે કાયદાના અમલીકરણ પર ચર્ચા કરીશું અને આ દિશામાં વાતચીત થોડી આગળ વધી છે. જવાબદારીના મુદ્દા પર પણ એક કરાર થયો છે. મેં વડા પ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે.”
નિજ્જરની હત્યાના સવાલ અંગે કાર્ની શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
18 જૂન, 2023ના રોજ કૅનેડાના એક ગુરુદ્વારાના પાર્કિંગમાં હુમલાખોરોએ હરદીપસિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
હરદીપસિંહ નિજ્જર જાલંધરના ભારસિંહ પુરા ગામના રહેવાસી હતા. ભારત સરકારના જણાવ્યા અનુસાર, નિજ્જર ખાલિસ્તાન ટાઇગર ફૉર્સના પ્રમુખ હતા અને તેમના સભ્યોનાં સંચાલન, નેટવર્કિંગ, તાલીમ અને નાણાકીય સહાયમાં સક્રિય રીતે સામેલ હતા.
18 સપ્ટેમ્બરના રોજ, તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કૅનેડિયન સંસદમાં નિવેદન આપ્યું હતું કે, “નિજ્જરની હત્યા પાછળ ‘ભારત સરકારની સંડોવણીના આરોપો’ની તપાસ કરવામાં આવી રહી છે. ભારતે આનો સખત વિરોધ કર્યો હતો.
જોકે, આ પછી કૅનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
બાદમાં RCMPના વડા માઈક ડુહેમે દાવો કર્યો હતો કે તેમની પાસે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના નક્કર પુરાવા છે.
હવે માર્ક કાર્નીને એ પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં મોદી સામેલ હતા.
આ અંગે કૅનેડાના વડા પ્રધાને કહ્યું હતું કે, “સૌપ્રથમ એક કાનૂની પ્રક્રિયા હોય છે જે હજુ પણ ચાલી રહી છે. કૅનેડામાં જે મુદ્દે તપાસ થઈ રહી છે એ મુદ્દાઓ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.”
આના પર પત્રકારે ફરીથી તેમને પૂછ્યું કે શું આવી કોઈ શક્યતા છે?
જવાબમાં માર્ક કાર્નીએ કહ્યું, “કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા ચાલુ હોય તો હું આ જ જવાબ આપીશ.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂનના રોજ ઍક્સ પર પોસ્ટ કરી હતી કે તેમને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ G-7 સમિટમાં આમંત્રણ આપ્યું છે.
પીએમ મોદીએ લખ્યું હતું કે, “કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે ફોન પર વાત કરીને આનંદ થયો. તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ તેમને અભિનંદન આપ્યાં હતાં અને આ મહિનાના અંતમાં કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટમાં મને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો.”
પીએમ મોદીએ કહ્યું હતું કે, “ભારત અને કૅનેડા પરસ્પર આદર અને સહિયારાં હિતોના માર્ગદર્શન હેઠળ નવા જોશ સાથે સાથે કામ કરશે.”
પીએમએ લખ્યું, “શિખર સંમેલનમાં અમારી મીટિંગની રાહ જોઈ રહ્યા છીએ.”
આ વર્ષે G-7 સમિટ 15થી 17 જૂન દરમિયાન કૅનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાઈ રહી છે. આ સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઇટાલી, જર્મની અને કૅનેડાના ટોચના નેતાઓ ભાગ લેશે.
સમર્થન અને વિરોધ બંને

ઇમેજ સ્રોત, FB/VIRSA SINGH VALTOHA
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પૉલિવેયરે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાના નિર્ણયને જરૂરી ગણાવ્યો છે.
પિયર પૉલિવેયરે કહ્યું, “ભારત છેલ્લી છથી સાત G-7 સમિટનો ભાગ રહ્યું છે. ભારત એક મોટી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આપણે આપણો કુદરતી ગૅસ અને ટેકનોલૉજી ભારતને વેચવાની જરૂર છે. આપણે ભારત સાથે વેપાર અને સુરક્ષા બાબતો પર પણ કામ કરવાની જરૂર છે. મારું માનવું છે કે ભારતને આમંત્રણ આપવું જરૂરી હતું.”
જોકે, તેમણે એમ પણ કહ્યું કે અમને આશા છે કે જ્યારે ભારતીય પીએમ અને કૅનેડિયન પીએમ વાત કરશે, ત્યારે કાર્ની ચોક્કસપણે દેશની સુરક્ષા પર ચર્ચા કરશે.
વર્લ્ડ શીખ ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ દાનિશસિંહે કહ્યું, “આ કૅનેડામાં રહેતા શીખો સાથે વિશ્વાસઘાત છે. તે માત્ર સમુદાય જ નહીં, પરંતુ કૅનેડાનાં મૂલ્યો સાથે પણ વિશ્વાસઘાત છે.”
“ભારત ભાઈ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં કોઈ પણ ભૂમિકાનો ઇનકાર કરવાનું ચાલુ રાખે છે અને કૅનેડિયન અધિકારીઓને સહયોગ પણ કરતું નથી. આ શરમજનક અને ખતરનાક બંને છે.”
દાનિશસિંહે કહ્યું, “આવા સંજોગોમાં અમે ક્યારેય રશિયા, ચીન કે ઈરાનના નેતાઓનું સ્વાગત કરીશું નહીં. ભારતે આંતરરાષ્ટ્રીય દમનના સંદર્ભમાં ઘણું કર્યું છે, જેમાં વિદેશી હસ્તક્ષેપ અને કૅનેડાની ધરતી પર હત્યાનું કાવતરું ઘડવાની વાતનો પણ સમાવેશ થાય છે. અને હવે તેમનું રેડ કાર્પેટ પર સ્વાગત કરાઈ રહ્યું છે.”
કૅનેડાની ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીએ પણ કહ્યું છે કે તે શીખ સમુદાયને સમર્થન આપે છે.
એનડીપી સાંસદ જેની ક્વાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરી હતી કે, “G7 સમિટમાં મોદીને આમંત્રણ આપવા બદલ પીએમ કાર્નીની નિંદામાં NDP પણ શીખ સમુદાયનું સમર્થન કરે છે.”
જેનીએ કહ્યું, “મોદીનું શાસન હરદીપસિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલું છે. કૅનેડાએ ન્યાય અને માનવ અધિકારોને પ્રાથમિકતા આપવી જોઈએ, જેઓ આપણી સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે તેમની સાથે કૂટનીતિ ન કરવી જોઈએ.”
દરમિયાન, કૅનેડાના ભૂતપૂર્વ સાંસદ ચંદ્રા આર્યે પીએમ મોદીની મુલાકાતને ભારત-કૅનેડા સંબંધો માટે મહત્ત્વપૂર્ણ ગણાવી છે.
તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, “ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૅનેડા મુલાકાત એ કૅનેડા-ભારત સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”
નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું, “આ ભારત અને કૅનેડા વચ્ચે ઉભરતા તણાવને પ્રતિબિંબિત કરતું નથી. આવનારા સમયમાં સંબંધોમાં સારા થવાના સંકેતો છે. પરંતુ છેવટે, પશ્ચિમના ટોચના પાર્ટનર અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાને સમિટથી દૂર રાખવું મુશ્કેલ છે.”
તેમણે કહ્યું, “વૈશ્વિક મંચ પર ભારત મહત્ત્વપૂર્ણ છે. ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થા છે. ભારતને 2019થી G-7 સમિટમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ભારતનું આ સમિટના ટેબલ પર હોવું મહત્ત્વપૂર્ણ છે. દ્વિપક્ષીય સંબંધો માટે ભારતને આમંત્રણ આપવું પણ મહત્ત્વનું હતું, કારણ કે આ બંને દેશો વચ્ચેના સંબંધોને ફરીથી મોકળા બનાવવાનો માર્ગ બની શકે છે.”
વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાની કહે છે કે, “38 દેશોના આંતરરાષ્ટ્રીય સંગઠન, ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન (OECD)ની ચેતવણી પછી કૅનેડાએ ભારતને આમંત્રણ આપ્યું છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “કાર્નીનું આ પગલું OECD દ્વારા ચેતવણી આપ્યા બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કૅનેડાનું અર્થતંત્ર વૈશ્વિક મંદીથી સૌથી વધુ પ્રભાવિત અર્થતંત્રોમાંનું એક હશે.”
“કાર્ની સ્પષ્ટપણે ભારત અને ચીન બંને સાથેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારો કરીને કૅનેડાના સ્થિર અર્થતંત્રને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
બ્રહ્મા ચેલ્લાનીએ લખ્યું, “પરંતુ મોદી શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? કૅનેડા ખાલિસ્તાની ઉગ્રવાદી ચળવળનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે, જે ભારતના મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં ખતરનાક આતંકવાદીઓને આશ્રય આપે છે, પરંતુ ઓટ્ટાવાએ વલણ બદલી નાખ્યું છે. કૅનેડાની ધરતી પર હત્યાનું કાવતરું ઘડવાના મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.”
“જ્યાં સુધી મોદી કૅનેડાની ભારતવિરોધી ઉગ્રવાદીઓને રાજકીય આશરો આપવાની નીતિમાં ફેરફારની સાથેસાથે સારા સંબંધોને ન જોડે, ત્યાં સુધી તેઓ આ સમિટમાં રોકાણ કરવાના પોતાના રેકૉર્ડને મજબૂત બનાવવાનું જોખમ લઈ રહ્યા છે. જે પરિણામો કરતાં વધુ બનાવટી હોય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS