Source : BBC NEWS

ઇમેજ સ્રોત, NASA/SDO
અપડેટેડ 41 મિનિટ પહેલા
સૂર્યની સપાટી પર તીવ્ર હલચલ થઈ રહી છે, જેના કારણે આ વર્ષનો સૌથી મોટો સોલર ફ્લેર પેદા થયો. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની ‘સોલર ડાયનેમિક્સ ઑબ્ઝર્વેટરી’એ આ ઘટનાને કૅમેરામાં કરી છે.
વધુ હલચલ દરમિયાન સૂર્યમાંથી નીકળતો ચાર્જ્ડ પાર્ટિકલ્સનો સતત પ્રવાહ ધરતી સાથે ટકરાય છે, જે સોલર વિંડ તરીકે પણ ઓળખાય છે.
આ ઘટનાને સૌરતોફાન કહે છે, જે પૃથ્વી પરની ટેકનૉલૉજીને પ્રભાવિત કરી શકે છે.
આ સિવાય અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓ પર પણ અસર પાડી શકે છે. જોકે, ધરતી પરના માનવીઓ માટે એ નુકસાનકારક નથી.
સોલર ફ્લેર એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
સૂર્યની સપાટી પર સૌરતોફાન પેદા થવું એ સામાન્ય ઘટના છે. આ ત્યારે થાય છે જ્યારે સૂર્ય પર ભારે વિસ્ફોટોથી સોલર ફ્લેર એટલે કે આગના ગોળા અને કોરોનલ માસ ઇન્જેક્શન (સીએમઈઝ) સ્વરૂપે ચાર્જ્ડ કિરણો નીકળે છે.
સીએમઈ ખરેખર તો સૂર્યની બાહ્ય સપાટી કોરોનાથી નીકળતા મોટા મોટા ગોળા હોય છે.
સોલર ફ્લેર ઇલેક્ટ્રોમૅગ્નેટિક રેડિયેશન છે, જે પ્રકાશની ગતિથી નીકળે છે અને માત્ર આઠ મિનિટમાં પૃથ્વી સુધી પહોંચી જાય છે.
સીએમઈઝના વિશાળ વિસ્ફોટથી નીકળેલી ઊર્જા એક કલાકમાં લાખો કિલોમીટરનું અંતર કાપી શકે છે.
પૃથ્વી પર સૌરતોફાન અલગ-અલગ તીવ્રતામાં પહોંચે છે.
આ ઊર્જાના કારણે જ ઘણી વાર પૃથ્વી પરથી આકાશમાં ચમકદાર પ્રકાશ જોવા મળે છે, જેને ઑરોરા લાઇટ્સ કહેવાય છે. તેને નૉર્ધન કે સધર્ન લાઇટ્સના નામથી પણ ઓળખવામાં આવે છે.
પૃથ્વી પર સૌરતોફાનની કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
નાસા અનુસાર, ફ્લેર્સ અને સૌરવિસ્ફોટ, ધરતી પર રેડિયો કૉમ્યુનિકેશન, ઇલેક્ટ્રિસિટી પાવર ગ્રિડ અને નેવિગેશન સિગ્નલને પ્રભાવિત કરી શકે છે.
વર્ષ 2017માં આ જ પ્રકારે સૂર્યની સપાટી પર બે વિશાળ સોલર ફ્લેર્સ પેદા થયા હતા, જેનાથી જીપીએસ નેવિગેશન સિસ્ટમ જેવાં ઉપકરણોની સેવા પર અસર પડી હતી.
આ પહેલાં આવી જ એક ઘટના ફેબ્રુઆરી 2011માં બની હતી, જ્યારે એક શક્તિશાળી સોલર ફ્લેરે આખા ચીનમાં રેડિયો કૉમ્યુનિકેશનને પ્રભાવિત કર્યું હતું.
એની પણ પહેલાં 1989માં એક સોલર ફ્લેરના કારણે કૅનેડાના ક્યૂબેક પ્રાંતમાં નવ કલાક સુધી બ્લૅક આઉટ રહ્યું અને તેની લાખો લોકો પર અસર પડી હતી.
પરંતુ સૂર્યની સપાટી પર થનારી આવી હલચલ આજેય એક ખતરો છે.
લેંકેસ્ટર યુનિવર્સિટીના એક અભ્યાસમાં ચેતવણી આપતાં કહેવાયું છે કે બ્રિટના રેલવે નેટવર્કે આવા તોફાન માટે તૈયાર રહેવું જોઈએ, જે જવલ્લેજ આવતું હોવા છતાં તેના આખા નેટવર્કને અસર કરી શકે છે.
સ્પેસ ડૉટ કૉમ પ્રમાણે, સૌરતોફાનના કારણે માનવજીવનને ખતરો હોવાની આશંકા ખૂબ ઓછી છે. પરંતુ તેના પૃથ્વીની મૅગ્નેટિક ફીલ્ડ સાથે અથડાવાથી હલચલ વધી શકે છે.
સૌરતોફાનની અસર અવકાશની મોસમ પર પણ પડી શકે છે. જ્યાં લગભગ સાત હજાર 800 સેટેલાઇટ્સ છે, જેમાંથી 50 કરતાં વધુ ભારતના છે.
સૌરતોફાન ક્યારે આવે?

ઇમેજ સ્રોત, Getty Images
સૌરતોફાન અંગે જાણીએ એ પહેલાં આપણે સૂર્યની બનાવટને સમજવી પડશે. ખરેખર તો સૂર્ય એ વિદ્યુતીય આવેશિત ગરમ ગૅસનો ગોળો છે અને એ ગૅસ ફરતો રહે છે, જેનાથી એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે.
આ ક્ષેત્ર એક સાઇકલમાંથી પસાર થાય છે, જેને ‘સોલર સાઇકલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જ કારણે સૂર્યની સપાટી પર નિયમિતપણે શાંત અને તોફાની હલચલ ચાલતી રહે છે.
દર 11 વર્ષમાં, એટલે કે સોલર સાઇકલના અંતિમ તબક્કામાં સૂર્યના ઉત્તર અને દક્ષિણ ધ્રુવનાં ચુંબકીય ક્ષેત્ર બદલાય છે.
નાસા અને યુએસ ઓશનિક ઍન્ડ ઍટ્મૉસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ) દ્વારા સહ-પ્રાયોજિત વિશેષજ્ઞોના એક આંતરરાષ્ટ્રીય સમૂહ પ્રમાણે, હાલની સાઇકલ ડિસેમ્બર 2019માં શરૂ થઈ હતી. આને ‘સોલર સાઇકલ 25’ કહેવામાં આવે છે.
સોલર સાઇકલની શરૂઆતમાં સૂર્યની સપાટી પર ખૂબ ઓછી હલચલ થાય છે. આ ચરણને ‘સોલર મિનિમમ’ કહે છે અને આ દરમિયાન સૂર્ય પર સૌથી ઓછા સનસ્પૉટ કે ચમકદાર ડાઘ હોય છે અને એ દરમિયાન જ આ વિશાળ તારાની ગતિવિધિનો અભ્યાસ કરવાની તક મળે છે.
સૂર્યની સપાટી પર જેમજેમ હલચલ વધે છે, સનસ્પૉટ્સની સંખ્યા પણ વધે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સોલર સાઇકલની વચ્ચેના સમયને ‘સોલર મૅક્સિમમ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન સૌથી વધુ સનસ્પૉટ (જેને ડાર્કસ્પૉટ પણ કહેવામાં આવે છે) દેખાય છે અને બાદમાં સૂર્યના ચુંબકીય ધ્રુવ પોતાની જગ્યા બદલે છે.
નાસા અને એનઓઓએ પ્રમાણે સૂર્ય પોતાની ચાલુ સાઇકલમાં ‘સોલર મૅક્સિમમ’ કાળ સુધી ગત વર્ષે જ પહોંચી ગયો હતો.
સનસ્પૉટમાં પ્રકાશ અને ઊર્જાના વિશાળ વિસ્ફોટ થાય છે, જે કાળા ડાઘ જેવા દેખાય છે, કારણ કે એ આસપાસના વાતાવરણ કરતાં ઠંડા હોય છે.
મોટા ભાગના સનસ્પૉટ્સનો આકાર પૃથ્વી કે તેના કરતાં મોટો હોય છે.
પોતાની 11 વર્ષની સાઇકલ દરમિયાન, સોલર મૅક્સિમમના ચરમ પર સૌર વંટોળ પેદા થવાની વધુ આશંકા હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS