Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 6 મિનિટ
નેપાળ હિંદુઓ માટે પવિત્ર ભૂમિ અને આધ્યાત્મિક સ્વર્ગ ગણાય છે. નેપાળ નદીઓ, સરોવરો, ખીણો અને ઊંચાં પર્વતો-શિખરોથી શોભિત કુદરતી સૌંદર્યથી ભરપૂર દેશ છે. પરંતુ તે સમયાંતરે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરતા પ્રદેશ તરીકે પણ ઓળખાય છે.
આવી સ્થિતિમાં, 26 ઑગસ્ટની સવારે નેપાળના રસુઆ જિલ્લામાં કોશી નદીના કિનારે અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાથી ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે વાંચો, નેપાળનું હિન્દુ ધર્મમાં કેમ ખાસ મહત્ત્વ છે અને આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકો, ખાસ કરીને હિંદુઓ, શા માટે નેપાળ જવા ઈચ્છે છે? તેઓ ત્યાં કેવી રીતે પહોંચે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અંદાજે દર વર્ષે લગભગ 900 ભારતીય યાત્રાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરે છે.
હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શિવ કૈલાસ માનસરોવરમાં જ નિવાસ કરે છે. આનો ઉલ્લેખ ઘણા પવિત્ર હિંદુ ગ્રંથોમાં છે. તેમાં સરોવરની પરિક્રમાને ઘણી મહત્ત્વની માનવામાં આવે છે.
સમુદ્રની સપાટીથી 6638 મીટરની ઊંચાઈએ આવેલા કૈલાસ પર્વત અને માનસરોવર સરોવરનું બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ વિશેષ મહત્ત્વ છે.

કૈલાસ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયે નિયમો બનાવ્યા છે. તેના હેઠળ સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવા જોઈએ.
યાત્રાળુ પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા છ મહિનાની વેલિડિટી સાથેનો ભારતીય પાસપૉર્ટ હોવો જોઈએ. ચાલુ વર્ષની પહેલી જાન્યુઆરીએ ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષની ઉંમર હોવી જોઈએ.
યાત્રા કરવા માટે સૌથી જરૂરી ચીજ છે શરીરનો બૉડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઇ. માત્ર 25 કે તેનાથી નીચો બીએમઆઇ ધરાવતી વ્યક્તિ જ આ યાત્રા કરી શકે છે. આ ઉપરાંત આ યાત્રા માટે શારીરિક રીતે વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ અને ચિકિત્સાની દૃષ્ટિએ સજ્જ હોવી જોઈએ.
વિદેશી નાગરિકો કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી કરી શકતા નથી. ઓવરસિઝ સિટીઝન ઑફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઇ કાર્ડ ધરાવતી વ્યક્તિ પણ આ યાત્રા માટે અરજી કરી ન શકે.

કૈલાસ માનસરોવર યાત્રા માટે કમ્પ્યુટરથી ડ્રો કાઢવામાં આવે છે. તેથી અરજી આખેઆખી ભરવામાં આવે તે જરૂરી છે, અરજીમાં અપૂરતી વિગતો હશે તો તેને સ્વીકારવામાં નહીં આવે.
અરજી વખતે તમારી પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા છ મહિનાનો પાસપૉર્ટ હોવો જરૂરી છે. તેના પ્રથમ અને છેલ્લા પાનાની કૉપી જોડવાની રહેશે.
આ ઉપરાંત જે વ્યક્તિ માટે અરજી કરવી હોય તેનો ફોટો જેપીજી ફૉર્મેટમાં હોવો જોઈએ. એક એકાઉન્ટમાંથી માત્ર બે અરજી ભરી શકાશે. ત્યાર પછી પાસપૉર્ટ પરની માહિતી પ્રમાણે ઑનલાઇન અરજી કરવાની રહેશે. નામ, સરનામું કે બીજી કોઈ માહિતીમાં ગરબડ હશે તો યાત્રાએ જવા નહીં મળે.

આ યાત્રા માટે સફળ ઑનલાઇન અરજી પછી વિદેશ મંત્રાલય ડ્રો દ્વારા યાત્રાળુઓની પસંદગી કરી શકે છે.
ડ્રો થવાની સાથે જ યાત્રાળુને તેના રૂટ અને બેચની ફાળવણી કરી દેવાય છે.
વિદેશ મંત્રાલય ડ્રો પછી દરેક અરજકર્તાને તેના રજિસ્ટર્ડ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર પર જાણ કરે છે.
આ ઉપરાંત તમે હેલ્પલાઇન નંબર 011-23088133 પરથી પણ જાણકારી મેળવી શકો છો.
ત્યાર બાદ અરજકર્તાએ મંત્રાલયે ફાળવેલી તારીખથી અગાઉ કુમાઉ મંડલ વિકાસ નિગમ અથવા સિક્કિમ પર્યટન વિકાસ નિગમના નિર્ધારિત બૅન્ક ખાતામાં ‘યાત્રા માટેના ખર્ચની ફી’ તરીકે ચોક્કસ રકમ ભરવાની હોય છે.
યાત્રાનો ખર્ચ જમા કરાવ્યા પછી અરજકર્તાએ દિલ્હી પહોંચતા અગાઉ ઑનલાઇન જ બેચની પુષ્ટિ કરવાની હોય છે. ત્યાર પછી બેચ અલૉટ માનવામાં આવે છે.
બેચ માટે યાત્રા શરૂ કરતા અગાઉ મેડિકલ તપાસ કરવામાં આવે છે.
તેના માટે નિર્ધારિત તારીખે યાત્રાળુએ દિલ્હીના હાર્ટ ઍન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિપોર્ટ કરવાનો હોય છે. આમ કરવામાં ન આવે તો બેચમાંથી નામ કમી કરવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે તમામ યાત્રાળુઓ એક સાથે યાત્રા કરે અને પાછા ફરે તે ફરજિયાત છે. તમામ યાત્રાળુઓની યાત્રા દિલ્હીથી જ શરૂ થશે.
યાત્રા શરૂ કરતાં અગાઉ તમારે મંત્રાલયના નિર્ધારિત અધિકારીઓને વેલિડ પાસપૉર્ટ, પાસપૉર્ટ સાઇઝના છ કલર ફોટો, 100 રૂપિયાના નોટરાઇઝ્ડ બૉન્ડ આપવા પડે છે.
આ ઉપરાંત ઇમરજન્સી સ્થિતિમાં હેલિકૉપ્ટરથી લઈ જવા માટે ઍફિડેવિટ અને ચાઇનીઝ પ્રદેશમાં મૃત્યુ થાય તો મૃતદેહનો ત્યાં જ અંતિમ સંસ્કાર કરવા માટે સંમતિપત્ર આપવું પડે છે.
આમાંથી એક પણ કાગળ નહીં હોય તો યાત્રાની મંજૂરી નહીં મળે.

વિદેશ મંત્રાલય કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બે અલગ-અલગ રૂટ પર કરે છે. તેમાંથી પહેલો રૂટ લિપુલેખ દર્રા (ઉત્તરાખંડ) છે જ્યારે બીજો રૂટ નાથુ લા દર્રા (સિક્કિમ)નો છે.
આ બંને રૂટ માટે યાત્રાળુ દીઠ અલગ-અલગ ખર્ચ આવે છે.
યાત્રાની વેબસાઇટ પ્રમાણે લિપુલેખથી યાત્રા કરવા માટે લગભગ 1.74 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.
આ માર્ગ પર લગભગ 200 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે. આ રૂટથી પાંચ બેચ મોકલાય છે અને યાત્રા પૂરી થવામાં લગભગ 22 દિવસ લાગે છે.
નાથુ લા માર્ગે કોઈ વ્યક્તિ યાત્રા કરે તો તેનો ખર્ચ વધીને લગભગ 2.83 લાખ રૂપિયા સુધી થઈ જાય છે.
આ માર્ગ પર લગભગ 36 કિલોમીટરનું ટ્રેકિંગ કરવાનું હોય છે. આ રૂટ પર 10 બેચ જઈ શકે અને 21 દિવસમાં યાત્રા પૂરી થાય છે.
તિરુવન્નામલાઈના બોલુરના ગોકુલાકૃષ્ણન મહારાજ કહે છે કે નેપાળ એક આધ્યાત્મિક પર્યટનસ્થળ છે, કારણ કે તેને હિન્દુઓના પ્રથમ દેવતા શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. બીબીસી તમિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “નેપાળ એક સ્વર્ગીય ભૂમિ છે, જેમાં કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિકતા બંને છે. હિન્દુઓનું સ્વપ્ન હોય છે કે તેઓ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર આ ભૂમિ પર પગ મૂકે અને કૈલાસ પર્વતનાં દર્શન કરે. તે મુજબ, મને બે વર્ષ પહેલાં ત્યાં જવાની તક મળી હતી.”
ગોકુલાકૃષ્ણન, જેમણે નોંધ્યું હતું કે નેપાળની રાજધાની કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરને કાશી સમાન ગણવામાં આવે છે, તેમણે સમજાવ્યું, “જેમ કાશીમાં એવું માનવામાં આવે છે કે મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે તો તેઓ સ્વર્ગમાં જશે, તેવી જ રીતે નેપાળમાં પણ એવી માન્યતા છે કે જો ત્યાં મૃત્યુ થાય તો સ્વર્ગ નિશ્ચિત છે. કાશીમાં વહેતી ગંગા નદીની જેમ, બાગમતી નદી પણ અહીં આ મંદિર પાસેથી વહે છે.”
ત્યાંની પૂજાપદ્ધતિ સમજાવતાં તેમણે કહ્યું, “અહીં, એક ચોક્કસ સમુદાયની બેથી પાંચ વર્ષની વયની બાળકીને જીવંત દેવી તરીકે પસંદ કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. જીવંત કુમારી, જે ફક્ત તહેવારો દરમિયાન જ દેખાય છે, તેનાં દર્શનાર્થે વિશ્વભરના ઘણા લોકો આવે છે. આ કુમારી, જેમાં દૈવી શક્તિઓ રહેલી છે, તે પુખ્ત વયની થાય ત્યાં સુધી દેવી તરીકે રહે છે.”
તેમના મતે, “એક વાર બાળકી તરુણાવસ્થામાં પહોંચે, ત્યારે બીજી છોકરીને કુમારી તરીકે પસંદ કરવામાં આવે છે. આ વિધિ, જે આજે પણ નેપાળમાં પ્રચલિત છે, તે સ્ત્રીઓને દેવી તરીકે પૂજવાનું પ્રતીક માનવામાં આવે છે. તેવી જ રીતે, મનઃકામના દેવી ભગવતીના મંદિર તરીકે પ્રખ્યાત છે, તે એક મહાન પૂજાસ્થળ છે.”
ગોકુલાકૃષ્ણન મહારાજે એ પણ નોંધ્યું હતું કે કાઠમંડુની નજીક નાગરકોટ, ચંદ્રગિરિ ટેકરી અને સીસાપાની જેવાં ઘણાં સ્થળો હોવા છતાં, સૂર્યોદય જોવા માટે નાગરકોટ શ્રેષ્ઠ સ્થળ છે. તેમણે કહ્યું કે આનું એક કારણ હિન્દુઓમાં રહેલી એવી માન્યતા છે કે હિમાલયમાંથી ઊગતો સૂર્ય પર્વતો અને ખીણોની સુંદરતા વચ્ચે વહેલી સવારના નારંગી પ્રકાશમાં અદ્ભુત દેખાય છે.
તેવી જ રીતે, બુદ્ધનું પવિત્ર જન્મસ્થળ લુમ્બિની, વિષ્ણુ ભગવાનને સમર્પિત વૈષ્ણવ તીર્થ મુક્તિનાથ મંદિર અને જનકપુરનું સીતામંદિર, જ્યાં દેવી સીતાનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે, તે પણ નેપાળમાં હિન્દુઓ માટેનાં લોકપ્રિય સ્થળો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




