Source : BBC NEWS

કૉક્રોચ જનતા પાર્ટી, અભિજિત દીપકે, ભારત, દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન, ભારતનું રાજકારણ, બીબીસી ગુજરાતી, સૌરવ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકા, ભારતના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ઇમેજ સ્રોત, X/Cockroachisback

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કૉક્રોચ જનતા પાર્ટીની ચર્ચા ચાલી રહી છે અને પાર્ટીના ત્રણ પ્રવક્તાએ ચાર જૂને તેની પ્રથમ પત્રકારપરિષદ ભરી હતી અને પાર્ટીની આગામી રણનીતિ રજૂ કરી હતી.

પાર્ટીની પ્રથમ પ્રેસ કૉન્ફરન્સને પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકાએ સંબોધિત કરી હતી.

કૉક્રોચ જનતા પાર્ટી અભિજિત દીપકે હાલમાં અમેરિકા છે અને ભારત આવવા રવાના થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે તેઓ છ જૂને ભારત આવશે. તેમણે કહ્યું કે તેઓ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની માગ સાથે દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન કરશે.

જંતરમંતર પર પ્રદર્શનની જાહેરાત બાદ અભિનેતા પ્રકાશ રાજે પણ ‘કૉક્રોચ જનતા પાર્ટી’ને સમર્થન આપવાની વાત કરી છે. તેના માટે તેઓ 6 જૂને દિલ્હીમાં આવવાના પ્રયત્ન કરશે.

તેમણે કહ્યું હતું કે “હું છ તારીખે ત્યાં પહોંચવાના પ્રયત્ન કરી શકું છું, જેથી સૌથી પ્રાસંગિક ‘કૉક્રોચ આંદોલન’ને સમર્થન આપી શકું. હું હાલ એક ફિલ્મના શૂટિંગમાં ઘણો દૂર છું, પરંતુ ત્યાં પહોંચવાના સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો છું.”

તો લદ્દાખના પર્યાવરણ કાર્યકર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે કહ્યું હતું કે જો પાંચ જૂન સુધી શિક્ષણમંત્રી રાજીનામું નહીં આપે તો તેઓ છ જૂને સીજેપીના વિરોધપ્રદર્શનમાં સામેલ થશે.

6 જૂને દિલ્હીના જંતરમંતર પર CJPનું વિરોધપ્રદર્શન

કૉક્રોચ જનતા પાર્ટી, અભિજિત દીપકે, ભારત, દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન, ભારતનું રાજકારણ, બીબીસી ગુજરાતી, સૌરવ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકા, ભારતના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ઇમેજ સ્રોત, ANI/@abhijeet_dipke

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ ગુરુવારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 6 જૂને થનારું પ્રદર્શન શાંતિપૂર્ણ હશે.

તેમણે કહ્યું કે “અમે અને અભિજિત દીપકેએ શરૂઆતથી કહ્યું છે કે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. ક્રૉકોચ જનતા પાર્ટી અને આ આંદોલન કોઈ પ્રકારની હિંસાનું સમર્થન નથી કરતાં.”

તેમણે વધુમાં કહ્યું, “અમે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયામાં અનેક એકાઉન્ટ્સ પર અફવા ફેલાવાઈ રહી છે કે દિલ્હીમાં આ થશે, ત્યાં થશે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ક્રૉકોચ જનતા પાર્ટી શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે.”

તેમણે દિલ્હી પોલીસને કહ્યું છે કે તે આવા વીડિયો જુએ તો તરત કાર્યવાહી કરે.

કૉક્રોચ જનતા પાર્ટીને ફંડ કોણ આપે છે?

કૉક્રોચ જનતા પાર્ટી, અભિજિત દીપકે, ભારત, દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન, ભારતનું રાજકારણ, બીબીસી ગુજરાતી, સૌરવ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકા, ભારતના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ક્રૉકોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે પાર્ટીને મળતા ફંડ સંબંધિત સવાલનો જવાબ આપ્યો હતો.

સીજેપીના પ્રવક્તાઓએ બુધવારે પાર્ટીની પ્રથમ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ કૉન્ફરન્સ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન સંબંધિત હતી.

આ પત્રકારપરિષદમાં સૌરવ દાસને પાર્ટીને મળતા ફંડ સંબંધિત સવાલ કરાયો, તો તેમણે કહ્યું કે “ફન્ડિંગ શેના માટે જોઈએ?”

તેમણે પોતાની પાછળ લાગેલા એક પોસ્ટર તરફ ઇશારો કરીને કહ્યું કે “આ પોસ્ટર 200 રૂપિયાનું છે. અહીં આટલા બધા લોકો ભેગા થઈ ગયા, બધા લોકો એક-એક રૂપિયો આપે તો 200 રૂપિયાનું એક પોસ્ટર ન બની જાય?”

તેમણે કહ્યું કે “જો યુવાઓએ રોડ પર આવવું હશે, જંતરમંતર પર પહોંચવું હશે તો શું રિક્ષા લઈને 100 રૂપિયા આપીને ન પહોંચી શકે? અમે લોકો પહોંચી જઈશું. આના માટે શું ફન્ડિંગ જોઈએ?”

તેમણે વધુમાં કહ્યું કે “આ એક નૅરેટિવ ચલાવાય છે. કોઈ પણ આંદોલન હોય, ઇતિહાસ સાક્ષી પૂરશે કે કોઈ પણ આંદોલન થયું છે, ત્યારે તેની સામે એક કાઉન્ટર નૅરેટિવ ચલાવાય છે. કૉન્સ્પીરસી થિયરી ચલાવાય છે. ફન્ડિંગ લાવવામાં આવે છે, વિદેશી હાથ લાવવામાં આવે છે, અનેક કહાણીઓ ઘડવામાં આવે છે, કેમ કે આ આંદોલન એક યોગ્ય રસ્તે છે.”

તેમણે કહ્યું કે, “અમને એ ખાતરી મળી છે કે આ આંદોલન યોગ્ય રસ્તે છે, માટે આવી કહાણીઓ ઘડવામાં આવી રહી છે.”

સોશિયલ મીડિયામાં અનેક લોકો આરોપ મૂકી રહ્યા છે કે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સાંસદ મનોજ ઝા સ્પૉન્સર કરી રહ્યા છે.

સૌરવ દાસે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે “એ પાયાવિહોણી અફવા છે કે રાજ્યસભાના સાંસદ પ્રોફેસર મનોજ ઝા ક્રૉકચ જનતા પાર્ટીને સ્પૉન્સર કરી રહ્યા છે. પારદર્શિતા માટે હું કહી દઉં કે મારા કહેવા પર તેમણે અમને એક જરૂરી પ્રેસ કૉન્ફરન્સ માટે જગ્યા આપવાની ભલામણ કરી હતી, કેમ કે આવી ભલામણ માત્ર કોઈ સાંસદ જ કરી શકે છે.”

“પ્રોફેસર ઝા એક જાણીતા શિક્ષણવિદ્ છે અને એ યોગ્ય હતું કે હું તેમનો સંપર્ક કરું, એક એવી વ્યક્તિ તરીકે જે મને અને મારા કામને સારી રીતે જાણે છે.”

તેમણે વધુમાં કહ્યું, “પ્રોફેસર ઝા કે કોઈ અન્ય રાજનેતાનો સીજેપીના વિચાર અને નિર્ણય સાથે કોઈ લેવાદેવા નથી. આ રીતે કોઈને પાર્ટી સાથે જોડવું ભ્રામક છે અને તેને નજરઅંદાજ કરવું જોઈએ.”

ભારત આવતાં પહેલાં અભિજિત દીપકે શું કહ્યું?

ભારત આવતાં પહેલાં તેમણે કહ્યું કે “હું મારા દેશ અને પોતાના ઘરે ભારત પાછો આવી રહ્યો છું. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર મંત્રીનું રાજીનામું માગવા. અમે આટલા દિવસોથી સોશિયલ મીડિયા અવાજ ઉઠાવીએ છીએ કે પેપરલીકને કારણે જે બાળકોએ સ્યૂસાઇડ કર્યું અને લાખો વિદ્યાર્થીઓની મહેનત એળે ગઈ તેના માટે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ.”

“આઠ લાખ બાળકોએ અમારી પિટિશન પર સહી કરી છે, કરોડો લોકોએ સોશિયલ મીડિયામાં આ માગનું સમર્થન કર્યું છે. દેશમાં દિલ્હી, લખનૌ અને જયપુર સમેત અનેક જગ્યાએ પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે, તેમ છતાં તેમનો કોઈ ફરક પડતો નથી.”

“નીટના 22 લાખ વિદ્યાર્થી, સીબીએસઇના 17 લાખ વિદ્યાર્થી, સીયુઇટીના 16 લાખ વિદ્યાર્થી અને એસએસસી જીડીના 40 લાખ વિદ્યાર્થી- આવા એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે, જેમની જિંદગી સાથે સિસ્ટમે મજાક કરી છે. આના કારણે વિદ્યાર્થીઓ તેમના ભાવિ અંગે ચિચિંત છે અને તેની જવાબદારી તો કોઈએ લેવી જ પડશે.”

આ સિવાય અભિજિતે કહ્યું કે “મારા પરિવાર અને મિત્રોને ડર છે કે મારી ઍરપૉર્ટ પર ધરપકડ કરી લેશે અને જેલ મોકલી દેશે. મને હજુ પણ આશા છે કે આજે પણ આપણો દેશ લોકતાંત્રિક છે અને અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી મળશે.”

તેમણે કહ્યું, “મેં ધાર્યું હોત તો અહીં અમેરિકામાં એક નોકરી લઈને શાંતિથી રહી શકતો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં મને અનેક નોકરીની ઑફર પણ આવી છે, પરંતુ મેં ભારત આવવાનો નિર્ણય કર્યો છે, કેમ કે હું મારા દેશને પ્રેમ કરું છું. તેમજ મારા દેશ માટે કંઈક કરવા માગું છું. આજે આપણે જે કંઈ પણ છીએ તે આ દેશને કારણે છીએ અને આપણો વારો છે દેશ માટે કંઈક કરવાનો.”

કૉક્રોચ જનતા પાર્ટીની શરૂઆત થઈ?

કૉક્રોચ જનતા પાર્ટી, અભિજિત દીપકે, ભારત, દિલ્હીના જંતરમંતર પર વિરોધપ્રદર્શન, ભારતનું રાજકારણ, બીબીસી ગુજરાતી, સૌરવ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકા, ભારતના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ક્રૉકોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકે મૂળ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના છે. તેઓ કેટલોક સમય આમ આદમી પાર્ટી સાથે તેમની કૉમ્યુનિકેશન ટીમમાં કામ કરી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે યુવાઓ અને ક્રૉકોચ અંગે એક નિવેદન આપ્યું હતું અને બાદમાં સોશિયલ મીડિયા કેમ્પેન ક્રૉકોચ જનતા પાર્ટી ચર્ચામાં આવી હતી.

એ પછી જસ્ટિસ સૂર્યકાંતે તેમની ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરી હતી મીડિયાના એક વર્ગે તેમની વાતોને ખોટી રીતે રજૂ કરી.

જસ્ટિસ સૂર્યકાંતના નિવેદન પછી એક વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા કૅમ્પેન અતિશય ચર્ચામાં આવી ગયું અને ‘કૉક્રોચ જનતા પાર્ટી’ની સ્થાપના થઈ.

ઇન્ટરનેટ પર તેના નામની વેબસાઇટ પણ બની ગઈ છે. બીબીસી ન્યૂઝ મરાઠીએ અભિજિત દીપકે સાથે વિગતવાર વાત કરી હતી. તેમણે આ પ્રકારનું સોશિયલ મીડિયા અભિયાન કેમ શરૂ કર્યું તે સમજાવ્યું હતું.

અભિજિત દીપકે કહે છે, “હું ઍક્સ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનું એક નિવેદન જોઈ રહ્યો હતો જ્યાં તેમણે દેશના યુવાનોની તુલના સિસ્ટમની ટીકા કરવા અને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવા બદલ વંદા (કૉક્રોચ) અને પરજીવીઓ સાથે કરી હતી.”

“મને આ ખૂબ જ હાસ્યાસ્પદ લાગ્યું, કારણ કે મુખ્ય ન્યાયાધીશ દેશના બંધારણના રક્ષક માનવામાં આવે છે. એ બંધારણ કે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, તેના તેઓ સંરક્ષક છે. હવે, આવી વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે કેવી રીતે યુવાનોની તુલના વંદા અને પરોપજીવી સાથે કરી શકે?”

“આનાથી મને ગુસ્સો અને હતાશાનો અનુભવ થયો અને મેં ઍક્સ પર મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. મેં પૂછ્યું કે જો બધા કૉક્રોચ એકીસાથે આવી જાય તો શું થશે. મને જેન-ઝી અને 25 વર્ષ સુધીના યુવાનો તરફથી અદ્ભુત પ્રતિભાવો મળ્યા. તેમણે કહ્યું કે આપણે સાથે આવીને એક પ્લૅટફૉર્મ બનાવવું જોઈએ.”

“આનાથી મને વિચાર આવ્યો કે આપણે કૉક્રોચ જનતા પાર્ટી નામની ઑનલાઇન પૅરોડી પાર્ટી બનાવવી જોઈએ. જો તમે અમને કૉક્રોચ કહી રહ્યા છો, તો ઠીક છે, અમે કૉક્રોચ જનતા પાર્ટી બનાવીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS