Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @PTI_News
વાંચવાનો સમય: 2 મિનિટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિમાં સાત લોકોનાં મોત થયાનાં સમાચાર છે.
લખીસરાયના સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર (એસડિપીઓ) શિવમકુમારે ફોન પર બીબીસીને જણાવ્યું કે સોમવાર સવારે અશોકધામ મંદિરમાં આ દુર્ઘટના બની.
શિવમકુમારે જણાવ્યું કે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયાં છે. ઘટનામાં 5-6 લોકો ઘાયલ થયા છે અને તેમને સદર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા માટે ભેગા થવાના કારણે ઘટના બાદ અફરાતફરી મચી ગઈ.
પ્રશાસનિક અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરી તેમજ ભીડને નિયંત્રિત કરવાની વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી કહ્યું, “અમે લાઇનમાં ઊભાં હતાં ત્યારે લગભગ 10-12 મહિલાઓ ધક્કો મારીને લાઇનમાં ઘૂસી ગઈ અને અમને ધક્કા મારવા લાગી. અમે પડી ગયા અને લગભગ 20-25 મહિલાઓ એકબીજાં ઉપર પડી ગઈ. ભીડ નીચે દબાઈ જવાને કારણે ઘણી મહિલાઓ બેભાન થઈ ગઈ. હું પણ બેભાન થઈ ગઈ હતી. આ બધું ખૂબ વધારે ભીડ હોવાના કારણે થયું.”
રશિયાનો દાવો, યુક્રેને આ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો
ઇમેજ સ્રોત, TATYANA MAKEYEVA / AFP via Getty Images
રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે યુક્રેને રશિયા પર આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન લગભગ 822 ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી 600 ડ્રૉને રાજધાની મૉસ્કો અને તેની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યાં.
મૉસ્કોના પ્રાદેશિક ગવર્નરના જણાવ્યા મુજબ, રાજધાની પર હાલમાં વર્ષોમાં થયેલા આ સૌથી મોટા ડ્રૉન હુમલાઓમાંનો એક છે. હુમલામાં રશિયન ઑનલાઇન રિટેલ કંપની વાઇલ્ડબેરીઝના એક વેરહાઉસને પણ નિશાન બનાવવામાં આવ્યું. ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
આ વેરહાઉસ મૉસ્કોના કેન્દ્રથી લગભગ 25 કિલોમીટર દૂર કોલેદીનો વિસ્તારમાં આવેલું છે. હુમલા બાદ સ્થળ પર આગ લાગી ગઈ અને વેરહાઉસ ઉપર ધુમાડો જોવા મળ્યો.
રશિયાના દક્ષિણ-પશ્ચિમ રોસ્ટોવ વિસ્તારમાં રાતભર થયેલા હુમલાઓમાં પાંચ લોકોનાં મોત થયાં છે. જ્યારે યુક્રેનની સરહદ સાથે જોડાયેલા બેલગોરોડમાં એક બસને નિશાન બનાવ્યા બાદ એક મહિલાનું મૃત્યુ થયું. મૉસ્કોમાં ડ્રૉન હુમલામાં 83 વર્ષીય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું.
જ્યારે, યુક્રેન પર રશિયાના હુમલાઓમાં પણ ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં છે અને 39થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે હુમલાઓ સતત તેજ થઈ રહ્યા છે. રશિયાએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં યુક્રેનના અનેક વિસ્તારો પર મિસાઇલ હુમલાઓ વધાર્યા છે. તેના જવાબમાં યુક્રેન પણ રશિયાના આંતરિક વિસ્તારોમાં ડ્રૉન હુમલાઓ કરી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




