Home તાજા સમાચાર gujrati વડોદરા: ‘તારી છાતી પર ચુડેલ બેઠી છે,’ યુવતીને ડરાવી આપઘાત સુધી દોરી...

વડોદરા: ‘તારી છાતી પર ચુડેલ બેઠી છે,’ યુવતીને ડરાવી આપઘાત સુધી દોરી જવાનો આરોપી તાંત્રિક કઈ રીતે પકડાયો?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prashant/Getty Images

“એક યુવતીએ સાડા સાત મહિના પહેલાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. એ યુવતી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી આરોપી તાંત્રિક પણ એની સેવામાં લાગેલો હતો. પ્રાથમિક દૃષ્ટિએ આપઘાતનો કેસ દેખાતો હતો, પણ યુવતીની આત્મહત્યા પાછળ પોલીસને બીજું કારણ લાગતા અમે એનો ફોન, વિસેરા અને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા ત્યારે ખબર પડી કે એક તાંત્રિક યુવતીને ભૂતનો ડર બતાવી, માનસિક અને શારીરિક ત્રાસ આપી તેની પાસેથી પૈસા પડાવતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હોવાના વૈજ્ઞાનિક પુરાવા મળતાં લોકોનાં દુઃખ દૂર કરવાના નામે દોરા-ધાગા કરતા આ તાંત્રિકની ધરપકડ કરી છે.”

વડોદરા એચ ડિવિઝનના એસીપી જીબી બાંભણિયાના આ શબ્દો છે.

મૃતકના ગુજરી ગયાના સાત માસ બાદ આવેલા એફએસએલ રિપોર્ટ બાદ વડોદરા પોલીસે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી દીકરીને ‘છાતી પર ચુડેલ બેઠી હોવાનું’ કહી, ‘ભૂતપ્રેત અને મેલી વિદ્યાની ધમકી આપી ડરાવનાર’ સ્વઘોષિત ‘તાંત્રિક’ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે 18 ઑગસ્ટના રોજ આ કેસના આરોપી સ્વઘોષિત ‘તાંત્રિક’ ગિરીશની ધરપકડ પણ કરી હતી, જે હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.

આખરે પોલીસને આ કેસમાં આપઘાતથી ‘આપઘાતના દુષ્પ્રેરણ’ના પુરાવા કેવી રીતે એકત્રિત કર્યા, એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

શું હતો મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prashant

કથિતપણે આપઘાતની દુષ્પ્રેરણા બાદ મૃત્યુ પામનારાં 28 વર્ષીય તૃપ્તિ તેમના ઘરથી દસ મિનિટના અંતરે ફતેહગંજ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં મૅનેજરના પદ પર કામ કરતાં તેમજ નાની-મોટી પ્રોડક્ટ માટે મૉડલિંગ પણ કરતાં.

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતાં તૃપ્તિનાં માતા હંસાબહેન ખુમાણ કહે છે, “બે વર્ષ પહેલાં તૃપ્તિની તબિયત ખરાબ રહેવા લાગી. તેને છાતીમાં દુખાવો રહેતો. દવાથી કોઈ ફેર ન પડતાં તેનો સંપર્ક એક પરિચિતે તાંત્રિક ગિરીશ પરમાર સાથે કરાવ્યો. તેણે એ સમયે કોઈ વિધિ કરી, જે બાદ તૃપ્તિને થોડું સારું થયું.”

હંસાબહેન કહે છે કે આ વિધિ બાદ ‘તાંત્રિક’ ગિરીશ તેમના ઘરે આવતો અને પોતે ‘મેલી વિદ્યાનો જાણકાર’ હોવાનો દાવો કરી અમને ડરાવતો હતો.

હંસાબહેનના કહેવા મુજબ, તેમનાં દીકરી તૃપ્તિની તબિયત ગત 27 ડિસેમ્બર બાદથી ખરાબ રહી હતી.

તેઓ કહે છે કે, “29 ડિસેમ્બરના રોજ અમને ગિરીશનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તૃપ્તિને મોટી હૉસ્પિટલે લઈ જવી પડશે. તેથી અમે ગિરીશ સાથે મળીને તેને હૉસ્પિટલે લઈ ગયાં. અમે એસએસજી હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે મેં સાંભળ્યું કે તાંત્રિક ગિરીશ કહેતો હતો કે તૃપ્તિએ ઉંદર મારવાની દવા ખાધી છે. એ સમયે ગિરીશને તૃપ્તિનો ફોન ન આપતાં તે હૉસ્પિટલેથી નારાજ થઈને નીકળી ગયો હતો અને તેણે જતાં જતાં તૃપ્તિને કહ્યું કે, ‘મારું નામ આવશે તો હું તારા ઘરના લોકો પર મેલી વિદ્યા કરીશ.'”

આખરે ગત 6 જાન્યુઆરીના રોજ તૃપ્તિનું અવસાન થઈ ગયું.

તૃપ્તિનાં માતા કહે છે, “એ સમયે અમે પોલીસમાં તૃપ્તિએ ઉંદર મારવાની દવા ખાઈને આપઘાત કર્યો હોવાની ફરિયાદ જ નોંધાવી હતી.”

“બાદમાં અમને તૃપ્તિએ કહ્યું હતું એ મુજબ તાંત્રિક વિધિના પુરાવા મળ્યા. મૃત્યુના સાત મહિના બાદ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ગિરીશ બાપુએ ધાકધમકી આપી હોવાની પુષ્ટિ થતાં મેં મારી દીકરી શ્વેતાની સમજાવટ બાદ સામાજિક બદનામીનો ડર છોડી આપઘાતના દુષ્પ્રેરણની પોલીસ ફરિયાદ કરી છે.”

દીકરીના અવસાનના સાડા સાત મહિના પછી હંસાબહેને લખાવેલી પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ લખાવ્યું છે કે, “મારી દીકરી શ્વેતાને તૃપ્તિએ પોતે મૃત્યુ પામી એ પહેલાં કહ્યું હતું કે ગિરીશ બાપુ એની છાતી પર ચડેલ આવીને બેસતી હોવાની કહી તાંત્રિક વિધિ કરાવતો હતો અને વારંવાર પૈસાની માંગણી કરતો. એટલું જ નહીં, શારીરિક અઘટિત માંગણીઓ પણ કરતો, અને જો તૃપ્તિ એના તાબે નહીં થાય તો મેલી વિદ્યા કરી પરેશાન કરવાની ધમકી આપતો હતો. તૃપ્તિ મૃત્યુ પામી એ પહેલાં એણે કહ્યું હતું એ મુજબ એની પાસેથી મંત્રેલો પથ્થર, અત્તરની શીશી, મધની શીશી, માળા, એક સિક્કો, અને તાંત્રિક વિધિ માટે તૃપ્તિના કાપેલા વાળ પણ ઘરમાંથી મળી આવ્યા હતા.”

તૃપ્તિનાં માતા આગળ વાત કરતાં કહે છે, “ગિરીશ તૃપ્તિ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી ત્યારે પણ વારંવાર પોતાનું નામ પોલીસમાં જાહેર નહિ કરવાની ધમકી આપી ફોન માંગતો હતો, તૃપ્તિના મૃત્યુ સમયે અમે પુરાવા તરીકે તાંત્રિક વિધિમાં વપરાયેલો સામાન, એણે આપઘાત માટે પીધેલી ઉંદર મારવાની દવાની ખાલી પાઇપ અને તૃપ્તિનો ફોન વગેરે પોલીસને આપ્યા હતા. ગિરીશ બાપુએ મારી દીકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપી પૈસા પડાવ્યા હતા, અને એના ત્રાસથી એણે ઉંદર મારવાની દવા પીને આપઘાત કર્યો છે.”

શું કહે છે પોલીસ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Prashant

વડોદરા એચ ડિવિઝનના એસીપી જીબી બાંભણિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારી પાસે પહેલાં આપઘાતની ફરિયાદ આવી હતી, પણ અમે મૃતકના ઘરના લોકો અને પરિચિત સાથે વાત કરતા તેણે કોઈના ત્રાસથી આપઘાત કર્યો હોવાની શંકા ગઈ હતી. એટલે અમે તૃપ્તિના વિસેરા (શરીરના અવયવના નમૂના) અને મોબાઇલ ફોન ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ઍનાલિસિસ માટે આપ્યા હતા , એનું સઘન ઍનાલિસિસ થયા પછી ખબર પડી કે તૃપ્તિ અને ગિરીશ બાપુ વચ્ચે વૉટ્સઍપ ચેટ, વૉટ્સઍપ કૉલિંગ અને વીડિયો કૉલિંગ થતા હતા, આ બધામાં ઘણી જગ્યાએ પૈસાની માંગણી અને ભૂત-પ્રેત, ડાકણનો ડર બતાવ્યો હોવાના વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે, આ ઉપરાંત અમને ફોનના જી-પે થી તૃપ્તિએ ગિરીશને અવારનવાર પૈસા મોકલ્યા હોવાના પુરાવા મળ્યા છે.”

એસીપી બાંભણિયા કહે છે કે, “હાલ, ગિરીશ પરમાર ન્યાયિક કસ્ટડીમાં છે, એનો દાવો છે કે એની પાસે તૃપ્તિ જેવા લોકો વિધિ કરાવવા આવતાં હતાં, અને તૃપ્તિએ એને મદદ કરવા પૈસા આપ્યા છે કોઈ ધાકધમકીથી પૈસા પડાવ્યા નથી, પણ અમારી પાસે આવેલી તૃપ્તિની માતાએ ફરિયાદમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ગિરીશે જ સરકારી હૉસ્પિટલના ડૉક્ટરને કહ્યું હતું કે તૃપ્તિએ ઉંદર મારવાની દવા લીધી છે, અમારી પાસે આ ઉપરાંત પણ કેટલાક પુરાવા છે, પણ એ જાહેર કરવાથી તપાસને અસર થાય એમ હોવાથી એ તમામ પુરાવા અમે કોર્ટમાં રજૂ કરીશું, હાલ ગિરીશ સામે બીએનેસની કલમ 108 અને 354 હેઠળ આપઘાતની દુષ્પ્રેરણાના અને ભૂત-ડાકણ કે ઇશ્વરીય શક્તિના નામે ડરાવી ત્રાસ આપવાનો ગુનો નોંધ્યો છે. બીજી મહિલાઓ પણ ગિરીશ પરમારનો ભોગ બની હોય તો એમની ગુપ્તતા જળવાઈ રહે એની ખાતરી આપી ફરિયાદ કરવા માટે આગ આવવાની અમે અપીલ પણ કરી છે.”

કોણ છે કહેવાતો ‘તાંત્રિક’ ગિરીશ?

તાંત્રિક વિધિનો જાણકાર હોવાનો દાવો કરતો ગિરીશ વડોદરાના છાની જકાત નાકા પાસે આવેલા એકતાનગર વિસ્તારમાં નાના મકાનમાં રહે છે.

આ વિસ્તારના સામાજિક કાર્યકર પરેશ પટેલ કહે છે કે, “ગિરીશ પરમાર પોતાની જાતને ભૂવો ગણાવે છે, તેની પાસે મુખ્યત્વે ગરીબ ઘરના લોકો દોરા-ધાગા માટે આવતા હતા, એ ગાદી પર બેસી પોતાને ભૂવો અને તાંત્રિક ગણાવી દુઃખી લોકો પર વિધિ કરતો હતો, એ પોતે એક રિક્ષા રાખી એમાં ફરતો હતો, પણ એની સામે કોઈ ફરિયાદ થઈ નહોતી, આ પહેલી ફરિયાદ છે. એટલે હવે વધુ લોકો એના ડરથી બહાર નીકળી ફરિયાદ કરશે એવું લાગે છે.”

આ મામલે ગિરીશ પરમાર કે એમના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થતાં ઉમેરો કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS