Source : BBC NEWS

આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં છ પેઢીઓનો એક વિશાળ સંયુક્ત પરિવાર રહે છે. આ ઘરમાં એક દિવસની રસોઈ કરવા માટે 50 કિલો ચોખાની જરૂર પડે છે. રવિવારે સ્પેશિયલ ભોજન કરવું હોય તો એક ઘેટું કાપવું પડે. સાંજે ભજિયાં ખાવાં હોય તો 15 કિલો લોટ તૈયાર કરવો પડે. કારણ કે આ પરિવારમાં 21 નહીં, પણ 83 લોકો છે.
બીબીસી ટીમ આ સંયુક્ત પરિવાર સાથે આખો દિવસ ગાળવા માટે કુર્લાપલ્લી પહોંચી હતી. તેમણે જાણ્યું કે આટલા બધા સભ્યો કેવી રીતે સાથે રહે છે અને ભેગા મળીને શું કરે છે.
કુર્લાપલ્લી કલ્યાણદુર્ગથી સાત કિલોમીટર દૂર આવેલું છે.
આ ગામમાં 400 ઘરો છે અને 2,000ની વસતિ છે. ગામમાં પ્રવેશીને જમણી બાજુ વળતાં રસ્તાની સામસામે બે મોટાં મકાન દેખાય છે. આ બંને મકાનોમાં એ સંયુક્ત પરિવાર રહે છે.
રસ્તાની એક બાજુએ આવેલા બે માળના મકાનમાં પ્રવેશતાં સૌ પ્રથમ રસોડું આવે છે. તેની પાછળ બે માળનો વેગન શેડ છે.
આ મકાનની સામે ત્રણ માળનું બીજું એક મકાન છે અને એ જ રસ્તે આગળ જતાં એક વિશાળ ખાલી પ્લૉટ ધરાવતું બીજું મકાન છે.
ત્યાં ટ્રૅક્ટર અને બસોને પાર્ક કરવામાં આવે છે. હવે આ ત્રણ મકાન પૂરતાં નથી અને પરિવાર ચોથું મકાન પણ બનાવી રહ્યો છે.
આવડો મોટો પરિવાર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ઘરના સૌ સભ્યો સાથે મળીને ખેતી કરે છે, ઉપરાંત દૂધાળાં ઢોર અને ઘેટાં પણ પાળે છે.
આટલા મોટા પરિવારના નિર્ણયો વડીલો કેવી રીતે લે છે?

83 સભ્યો ધરાવતા આ સંયુક્ત પરિવારના વડા હનુમન્તરાયુડુ અને મુત્યલપ્પા છે.
દૂધ દોહવાથી માંડીને ખેતી અને વ્યાપારને લગતા બધા નિર્ણયો તેઓ જ લે છે.
પરિવારના વડા હનુમન્તરાયુડુએ જણાવ્યું કે આટલા મોટા પરિવારના દરેક સભ્ય માટે આજીવિકાનું કોઈ સાધન ઊભું કરવું એ તેમની જવાબદારી છે. તેમણે કહ્યું કે તેમના સાળા મુત્યલપ્પા સહિત ઘરમાં કોઈ તેમની વાતનો વિરોધ કરતું નથી અને સૌ તેમનો આદર કરે છે.
“મારા પિતા અને દાદાના મૃત્યુ પછી પરિવારનો બોજ મારા પર આવી પડ્યો. ત્યારથી હું એકલો આ પરિવારની સંભાળ રાખું છું. અમે બાળકોને ભણાવીએ છીએ અને બાકીનાને ખેતીકામ સોંપીએ છીએ.”
તેમણે કહ્યું કે, “અમે દરેકને પોતપોતાનું કામ અને જવાબદારી સોંપીને સાથે રહીએ છીએ. અત્યાર સુધી અમારી વચ્ચે કશી સમસ્યા કે મતભેદ થયા નથી.”
“અમે સૌએ મળીને મહેનત કરી છે. હું જે પણ કહું એ તેઓ કરે છે.”
“મારો સાળો પણ મારી વાત સાંભળે છે. મારા અને મારા સાળાના ઘણા દીકરા હોવા છતાં કોઈ કંઈ કહેતું નથી.”
પરિવારના 83 સભ્યો એક સાથે કેવી રીતે રહે છે?

મુત્યલપ્પાએ જણાવ્યું કે તેમના દાદાના સમયથી તેઓ આ રીતે સાથે રહે છે અને ભવિષ્યમાં પણ આ રીતે જ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
“અમારા ચાર સાળા છે અને અમે બે ભાઈઓ છીએ. અમારા દાદાના સમયથી અમે આ રીતે સાથે છીએ. ભવિષ્યમાં પણ આ રીતે જ રહેવાનો પ્રયાસ કરીએ છીએ. અમે સૌ સવારે ભેગા થઈએ અને દરેકને પોતપોતાનું કામ સોંપી દઈએ છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે, “ખાવા-પીવાથી માંડીને કપડાંલત્તા વગેરે ઘરનું તમામ કામ અમે સંભાળીએ છીએ. કામ કરવા માટે બહારના કેટલાક લોકોને પણ રાખીએ છીએ.”
“અમારા સાળાનાં બાળકોને અમે અમારા ઘરમાં ઉછેરીએ છીએ અને તેમને પોતાનાં બાળકોની જેમ રાખીએ છીએ. આ રીતે બધું ચાલે છે.”
મુત્યલપ્પાએ કહ્યું કે આ એકતાને કારણે જ એક સમયે ગરીબીમાં જીવેલો તેમનો પરિવાર આજે આટલી સારી રીતે જીવી શકે છે.
“શરૂઆતમાં અમે ઘણી ગરીબી જોઈ છે. ઓઢવા માટે ધાબળો પણ નહોતો, ખાવા માટે માત્ર એક ટંકનું ભોજન મળતું. ત્યાંથી આજે અમે આ સ્તરે પહોંચ્યા છીએ. આ માત્ર એટલા માટે શક્ય બન્યું કે અમે સૌ સાથે રહ્યા.”
“જો અલગ થઈ ગયા હોત તો ક્યારેય આ સ્તરે પહોંચી શક્યા ન હોત. અત્યારે અમે જે ઘરમાં રહીએ છીએ એ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું છે.”
“અમે એકલાં હોત તો આ શક્ય બન્યું હોત ખરું? મારા પિતા પાસે 60 એકર જમીન હતી અને તેમના મૃત્યુ પછી અમે સૌએ મળીને 75 એકર જમીન ખરીદી.”
“એટલે જ અમે સૌને કહીએ છીએ, ‘અલગ ન થાવ, આ રીતે સાથે રહીશું તો બધું બરાબર ચાલશે.” તેમણે કહ્યું.
પરિવારના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતા મહેશે જણાવ્યું કે સવારે ચા પીતી વખતે બંને વડા નક્કી કરે છે કે કોણે શું કામ કરવાનું છે.
તેમણે કહ્યું કે, “મારા પિતા હનુમન્તરાયુડુ છે. બધા વડીલો સવારે ચા પીવા બેસે છે અને અડધો કલાક વાતચીત કરે છે. પછી કોને કયું કામ સોંપવું તે નક્કી કરીએ છીએ.”
“મારું કામ વાહનોની જાળવણી કરવાનું અને ઘરમાં જરૂરી ચીજવસ્તુઓ લાવવાનું છે. અમે ઉગાડેલાં ટામેટાં જેવા પાકને મિની ટ્રકમાં ભરીને મારો બીજો ભાઈ બજારમાં વેચવા લઈ જાય છે.”
“આ રીતે અમે ખેતી, ઘેટાંઉછેર અને ગાયોની સારસંભાળ જેવાં પોતપોતાનાં કામ કરીએ છીએ. અત્યાર સુધી અમે કોઈ સમસ્યા વિના જીવી રહ્યાં છીએ.”

પરિવારના વડા હનુમન્તરાયુડુના દાદા ચિમ્મલા નાગપ્પા આ ઘરની પ્રથમ પેઢીના વડા હતા. તેમને બે પત્નીઓ હતી અને તેમણે તેમની પહેલી પત્નીની દીકરીનું લગ્ન યેલ્લપ્પા સાથે કરાવેલું.
ત્યારથી તેઓ હંમેશાં જમાઈ તરીકે રહ્યા છે.
પછી બીજી પત્નીને બે પુત્રો અને વધુ બે પુત્રીઓ થઈ. યેલ્લપ્પાને ચાર પુત્રો અને બે પુત્રીઓ હતાં, જેઓ સાથે રહેતાં હતાં.
યેલ્લપ્પા અને નાગપ્પાના મૃત્યુ પછી હવે તેમના વારસદારો હનુમન્તરાયુડુ અને મુત્યલપ્પા ઘરના વડીલો છે અને નિર્ણયો લે છે.
મુત્યલપ્પા ટપાલી તરીકે કામ કરવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી.

સવારે રોજિંદાં કામકાજ પતાવીને પરિવારના કેટલાક સભ્યો ખેતરે જાય છે. કેટલાક ઢોર પાસે જાય છે.
કેટલાક દૂધ દોહે છે, તો બીજા લોકો ઘેટાંની સંભાળ રાખે છે, છાણ ભેગું કરે છે અને ગમાણ સાફ કરે છે. ઘરની મહિલાઓને રસોઈનું કામ સોંપવામાં આવ્યું છે. તમામ બાળકો સવારે ઘરેથી નીકળીને શાળાએ જાય છે.
હનુમન્તરાયુડુએ જણાવ્યું કે કોઈની વચ્ચે મતભેદ ન થાય એ માટે તેઓ ઘરમાં જ સાથે મળીને લગ્ન પણ કરાવે છે.
હનુમન્તરાયુડુએ કહ્યું કે, “મેં મારા દીકરાઓ અને મારા સાળાના દીકરાઓ—એમ કુલ નવ યુવાનો—નું લગ્ન એક જ દિવસે નવ ધાર્મિક સ્થળોએ કરાવ્યું. મારા દીકરા મહેશનું લગ્ન ત્યાં કરાવવાનું મેં વ્રત લીધું હતું.”
“માત્ર મારા એક દીકરાનું લગ્ન કર્યું હોત તો એમ કહીને મતભેદ થયા હોત કે ‘તેણે માત્ર પોતાના દીકરાનું લગ્ન કરાવ્યું, અને બાકીના બધાને પાછળ રાખી દીધા’. તેથી અમે પરિવારના તમામ નવ યુવાનોને એક જ સમયે ધાર્મિક સ્થળે લઈ ગયા અને તેમનાં લગ્ન કરાવ્યાં.”
કેવી રીતે થાય છે દિવસની શરૂઆત?

83 લોકો માટેની તમામ રસોઈ એક જ રસોડે રંધાય છે. એ પણ લાકડાના ચૂલા પર—આ સંયુક્ત પરિવારની એ વિશેષતા છે.
છ પેઢીઓથી આ ઘરમાં પ્રાચીન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
મહેશ કહે છે કે તેમના પરિવારમાં એક રસોડું અને એક જ પાક છે. એક જ જગ્યાએ ત્રણ મકાનો હોવા છતાં જ્યાં જગ્યા મળે ત્યાં તેઓ સૂઈ જાય, પણ 83 લોકોનું ભોજન એક જ વાસણમાં રાંધવામાં આવે છે.
તેમણે કહ્યું કે, “83 લોકો માટે માત્ર એક જ વાસણ છે. અમે આજે પણ લાકડાનો ચૂલો વાપરીએ છીએ. જે કંઈ બનાવવું હોય તે અમે વેલણથી બનાવીએ છીએ. અમે બધું કુદરતી રીતે કરીએ છીએ.”
“અત્યાર સુધી ગેસ કે ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો નથી. આજે પણ જૂની પદ્ધતિઓને જ અનુસરીએ છીએ.”
મહેશે કહ્યું કે, “છ પેઢીઓથી અમે સાથે રહેતા આવ્યા છીએ, એટલે અમને કોઈ સમસ્યા લાગતી નથી. બધા માટે એક જ ભોજન બને છે.”
“આજે પણ, ગમે તે બનાવવાનું હોય, અમે સૌ માટે એક જ ભોજન બનાવીએ છીએ.”
ઘરનાં વડાં અનુરાધાએ જણાવ્યું કે આ ઘરમાં નાસ્તાની શરૂઆત રાગી સાંગટીના ગોળા બનાવવાથી થાય છે. ખેતરમાં કામ કરવા જતા લોકો એ ગોળા પોતાના ટિફિનમાં ભરીને નીકળી જાય છે.
આ ગોળા બનાવવા માટે બે મહિલાઓ મોટા પથ્થર પર મોટો પથ્થર ફેરવીને રાગીને દળે છે.
તેમણે કહ્યું કે, “અમે સૌ માટે એક જ ભોજન બનાવીએ છીએ. એક જ શાક, ભાત અને ખીચડી બનાવીએ છીએ. હવે ઘરમાં ડાયાબિટીસના દર્દીઓ છે, એટલે તેમના માટે ચપાટી, કોરા ભાત, ખીચડી અને રોટલી બનાવીએ છીએ.”
“અઠવાડિયામાં એક વાર ભજિયાં, વડાં અને મીઠાઈ બનાવવી હોય તો સૌ માટે બનાવીએ છીએ. થોડું-થોડું કરીને બનાવીએ છીએ.”
અનુરાધાએ કહ્યું કે,”અમારા ઘરમાં રોજ 50 કિલો ચોખા આવે છે. બગીચામાં કામ કરવા આવતા મજૂરોને પણ અમે તેમાંથી ભોજન આપીએ છીએ.”
“તમામ લીલી ભાજી અમે ચક્કીમાં દળીએ છીએ. આટલા બધા લોકો માટે ભોજન બનાવવા સારું બે મહિલાઓ દળવાનું કામ કરે છે.”
“બધી રસોઈ એક જ જગ્યાએ થાય છે. અમે અલગ-અલગ રસોઈ બનાવતાં નથી.”
રાજેશ્વરી આટલા મોટા સંયુક્ત પરિવારની સમગ્ર રસોઈ સંભાળે છે.
ખેતરમાં કામ કરવા જતા લોકો માટે અન્ય બે લોકો સાથે વાહનો મોકલવા ઉપરાંત, તેઓ દિવસમાં ત્રણ વખતનું ભોજન બનાવવાની અને તમામ બાળકોની સંભાળ રાખવાની જવાબદારી પણ નિભાવે છે.
રાજેશ્વરી કહે છે કે, “અમે દરરોજ એક પૅકેટ તેલ વાપરી નાખીએ છીએ. ઘરના 80 જણા ઉપરાંત બીજા 20-30 લોકો પણ હોય છે.”
“અમારે તેમના માટે પણ અમારી સાથે જ રસોઈ કરવી પડે છે. અમારે ત્રણ કિલો દાળ રાંધવી પડે છે, ચટણી બનાવવી પડે છે.”
“આવી રીતે ખાંડણીમાં ચટણી દળીએ છીએ. તેને ચૂલા પર રાંધીએ છીએ. સવારે ખીચડી અને બપોરે ભાત બનાવીએ છીએ. કંઈ ટિફિન બનાવવું હોય તો રાત્રે બનાવીએ છીએ. રોટલી અને ભજિયાં બનાવવા માટે અમને 15 કિલો લોટની જરૂર પડે છે.”
‘રવિવારે એક ઘેટું અને 10 કિલો ચિકન’

“મોટા ભાગે અમે સવારે રાગી મુડ્ડા બનાવી દઈએ છીએ. ભાત અને શાક બપોરે બનાવીએ છીએ. કંઈ વિશેષ બનાવવું હોય તો રાત્રે બનાવીએ. સવારે સૌ પોતપોતાના કામે નીકળી જાય. રાત્રે સૌ એક જગ્યાએ ભેગા થઈએ, એટલે કંઈ વિશેષ હોય, સામીષ ભોજન હોય કે ટિફિન, એ રાત્રે બનાવીએ. અમે જે કંઈ ખાઈએ, સૌ માટે એકસરખું જ બનાવીએ છીએ.” મહેશે કહ્યું.
રાજેશ્વરીએ જણાવ્યું કે તહેવારો અને મેળા આવે ત્યારે બે ઘેટાં અને 20 કિલો ચિકન લાવવું પડે છે.
“તહેવાર આવે ત્યારે બે ઘેટાં અને 20 કિલો ચિકન રાંધવું પડે છે. રવિવારે બનાવવું હોય તો એક ઘેટું અને 10 કિલો ચિકન રાંધીએ છીએ. કેટલાક લોકો હજુ હોસ્ટેલમાં હોવાથી આ પૂરતું નથી. અમે બનાવેલું ભોજન નજીકમાં રહેતાં બાળકોને પણ મોકલીએ છીએ. દૂર રહેતા લોકોને અમે મોકલી શકતા નથી.”
સરકારી શાળાઓમાં બાળકોનું શિક્ષણ

આ સંયુક્ત પરિવારનાં સૌ ઘરમાં કન્નડ બોલે છે. આટલા મોટા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી કે ખાનગી નોકરી કરતી નથી.
તેમની સંયુક્ત માલિકીની ચાર પ્રવાસી બસો પણ છે. તેઓ કલ્યાણદુર્ગમથી કર્ણાટક સુધી મુસાફરી કરે છે. મહેશે જણાવ્યું કે તેમણે ઇન્ટરમીડિયેટ અને ડિગ્રી સુધી અભ્યાસ કર્યો હોવા છતાં આટલા મોટા પરિવારની સંભાળ રાખવી વડીલો માટે મુશ્કેલ હોવાથી તેઓ અભ્યાસ અટકાવીને ઘરનાં કામકાજ સંભાળે છે.
તેમણે ઉમેર્યું કે, “અમારા પરિવારમાં ક્યારેય કોઈએ નોકરી કરી નથી. અમે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું નથી. અમે ઇન્ટરમીડિયેટ અને ડિગ્રી સુધી ભણ્યા છીએ. અમે કહ્યું કે ખેતી કરીને આજીવિકા મેળવીશું. અમે સૌએ અભ્યાસ છોડી દીધો અને ખેતી તેમજ ઘરનાં કામકાજ સંભાળીએ છીએ. અમારા વડીલો પણ હવે વૃદ્ધ થઈ રહ્યા છે અને તેમની સંભાળ રાખવી મુશ્કેલ છે, તેથી અમે અભ્યાસ છોડીને અહીં તેમની સંભાળ રાખીએ છીએ.”
તેમણે કહ્યું કે તેઓ તેમના પરિવારનાં તમામ બાળકોને ભણાવે છે અને કોઈને ચડિયાતું કે ઊતરતું ગણ્યા વિના સૌને સરકારી કૉલેજો અને શાળાઓમાં શિક્ષણ અપાવે છે.
“અમે અમારાં બાળકોને સારી રીતે ભણાવીએ છીએ. તેમની સંભાળ રાખવા માટે અમે છીએ, તેથી અમે ઇચ્છીએ છીએ કે તેઓ આગળ વધે.”
મહેશે કહ્યું કે, “32 બાળકો ભણે છે. તેમાં છ ઇન્ટરમીડિયેટમાં છે. કેટલાક ડિગ્રી કરી રહ્યા છે. અમે પહેલા ધોરણથી ડિગ્રી સુધી સૌને સરકારી કૉલેજો અને શાળાઓમાં ભણાવીએ છીએ.”
“અહીં એકને એક અને બીજાને બીજું એવું નથી, અમે સૌને સમાન ગણીએ છીએ. આઠ નાનાં બાળકો આંગણવાડીમાં જાય છે. બાકીના પહેલા ધોરણથી ડિગ્રી સુધી અભ્યાસ કરે છે.”
‘જરૂરિયાત મુજબ અમે ઉગાડીએ છીએ’

આ પરિવાર માટે જરૂરી અનાજ અને શાકભાજી તેઓ પોતે જ ઉગાડે છે. મહેશે જણાવ્યું કે જેટલી જરૂર હોય તેટલું તેઓ રાખે અને બાકીનું બજારમાં મોકલી દે છે.
“અમારી પાસે કુલ 120 એકર જમીન છે. અમે મુખ્યત્વે મરચાં, રીંગણ, ટામેટાં, તરબૂચ, પપૈયાં અને મગફળી ઉગાડીએ છીએ. તેનું વેચાણ પણ અમે જાતે જ કરીએ છીએ.”
“તરબૂચ અને પપૈયાં દિલ્હી મોકલીએ છીએ, ટામેટાં કોલાર અને રીંગણને ચેન્નાઈ મોકલીએ છીએ. અમે એ બધું વચેટિયાઓને સોંપતા નથી. અમે પોતે જ અમારાં વાહનોમાં લાદીને સીધા બજારમાં લઈ જઈએ અને વેચીએ છીએ.”
મહેશ કહે છે કે, “જે આવક મેળવીએ તેના પર અમે જીવીએ છીએ. અમારા ઘર માટે 5 એકરમાં ડાંગર ઉગાડીએ છીએ. અનાજને ઘંટીએ દળાવીએ છીએ અને જરૂર હોય તેટલું ઘરે સંઘરીએ છીએ. બાકીનું બજારમાં મોકલીએ છીએ.”
‘સાસુ-વહુના ઝઘડા નથી’

આ સંયુક્ત પરિવારમાં છ કાકીઓ અને 14 પુત્રવધૂઓ પણ છે. પરંતુ મહેશ કહે છે કે તેમણે પોતાના ઘરની મહિલાઓને ક્યારેય ઝઘડતાં જોઈ નથી.
પરિવારની મહિલાઓમાં સૌથી મોટાં અનુરાધા કહે છે કે, “અમે છ બહેનો અને 14 પુત્રવધૂઓ સૌ ખૂબ સારી રીતે રહીએ છીએ. કેટલીક બગીચામાં કામ કરે છે, અને કેટલીક ઘરમાં કામ કરે છે. કોઈ કશી સમસ્યા ઊભી કરતું નથી.”
“કંઈ થાય તો અમે તરત જ તેને સંભાળી લઈએ છીએ. કેટલાક વધારે વાતો કરે, પણ બીજું કંઈ કરતા નથી.”
“તેમની વચ્ચે કોઈ તકરાર કે દલીલ થાય તો પણ તેઓ ફરી ભેગા થઈ જાય છે. તેઓ ઝઘડાળુ હરગીઝ નથી.”
“તેઓ ખુશીથી હસે છે અને પોતપોતાનું કામ કરે છે.”

રાજેશ્વરીએ જણાવ્યું કે થોડા સમય માટે તકરાર થાય તો પણ સાંજે સૌ ફરી ભેગા થઈને મોજમસ્તી કરે છે.
તેઓ કહે છે કે જે મહિલાઓ આ ઘર છોડીને અન્ય ગામોમાં પુત્રવધૂ બનીને ગઈ છે, તેમનાં સાસરિયાં આ પરિવાર વિશે વાત કરે ત્યારે તેમને ગર્વ થાય છે.
“હું આ ઘરની પાંચમી પેઢી છું. આ ઘરની સૌથી મોટી પૌત્રી છું અને મારા દાદાએ મને બાળપણથી અહીં ભણાવી છે.”
રાજેશ્વરીએ કહ્યું કે, “મારા કાકા અને કાકી પણ ખૂબ ખુશ છે કે તેઓ ત્યાં સંયુક્ત પરિવારમાં રહે છે. સંયુક્ત પરિવારના બાળકને દત્તક લેવાના અમારા નિર્ણય બદલ ગામમાં સૌ અમારો આદર કરે છે.”
“આજના સમયમાં એક કે બે ભાઈ હોય તો તેઓ મિલકત માટે અલગ થઈ જાય છે. પણ અમારા ગામમાં લોકો લોકો એ વાતનું ગૌરવ લે છે કે 83 લોકો આજે પણ સાથે રહે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




