Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Charles McQuillan/Getty Images
વાંચવાનો સમય: 6 મિનિટ
પૂર્વ ભારતીય ક્રિકેટર મનિંદરસિંહે કહ્યું છે કે આયર્લૅન્ડ સામે રમાયેલી બે મૅચોની ટી-20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશીને ન રમાડવા એ ભારતીય ટીમની ભૂલ હતી.
મનિંદર સિંહે કહ્યું કે, “મારી સૌથી મોટી દલીલ એ છે કે વૈભવ સૂર્યવંશી માટે જગ્યા બનાવવી જોઈતી હતી.”
તેમણે કહ્યું કે, જો ઓપનિંગ નહીં તો નંબર 3 અથવા નંબર 4 પર જ, ક્યાંય પણ…પણ તેમને ટીમમાં લેવા જોઈતા હતા. આ જગ્યા છે જ્યાં મને લાગે છે કે આપણા પ્લાનિંગમાં થોડી ભૂલ થઈ.”
ઉલ્લેખનીય છે કે રવિવારે આયર્લૅન્ડે ભારતને બીજી ટી-20 મૅચમાં પણ હરાવી દીધું હતું. આમ ભારત બે ટી-20 મૅચની સિરીઝ હારી ગયું.
2023 બાદ ભારતની આ પ્રથમ ટી-20 સિરીઝ હાર છે.
જર્મનીના સ્ટેડ શહેરમાં ગોળીબારમાં પાંચ લોકોનાં મોત, બેની ધરપકડ
ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર જર્મનીના એક શહેર સ્ટેડમાં આજે ગોળીબારની ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.
પોલીસ વિભાગના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એકને શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે.
જોકે, હજુ એ સામે આવ્યું નથી કે ગોળીબાર કરવાનો હેતુ શું હતો.
પોલીસનું કહેવું છે કે હાલમાં લોકો માટે કોઈ ખતરો નથી. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને કટોકટી સેવાઓના કર્મચારીઓ તહેનાત છે.
વહીવટીતંત્રે સોશિયલ મીડિયા દ્વારા લોકોને સાવચેતીના પગલા તરીકે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે.
સ્ટેડ શહેરની વસ્તી લગભગ 50 હજાર છે. આ શહેર જર્મનીના હૅમ્બર્ગની પશ્ચિમમાં આવેલું છે.
‘ઈરાન-અમેરિકા વચ્ચે હુમલા રોકવા માટે સમજૂતી થઈ’, અમેરિકન અધિકારીએ માહિતી આપી
ઇમેજ સ્રોત, U.S. Navy via Getty Images
એક અમેરિકન અધિકારીએ કહ્યું કે ઈરાન અને અમેરિકાએ એકબીજા પર હુમલો રોકવા અને સમજૂતી પર વાતચીત યથાવત્ રાખવા પર સહમતી વ્યક્ત કરી છે.
બીબીસી પર્શિયન અનુસાર, એક અમેરિકન અધિકારીએ સમાચાર સંસ્થા એએફપીને મોકલેલા એક ઇમેલમાં લખ્યું કે, “સમજૂતીનાં બધાં પાસાં પર તકનીકી ચર્ચા ચાલતી રહેશે. બંને પક્ષો હાલ તણાવ નહીં વધારે અને જહાજોની સ્વતંત્ર અવરજવર ચાલુ રહેશે.”
બે અમેરિકન અધિકારીઓ અને મામલા સાથે જોડાયેલા એક સૂત્રે એક્સિયોસ વેબસાઇટને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે મંગળવારે કતારમાં ફરીથી વાતચીત શરૂ થશે.
સમાચાર ચૅનલ સીએનએનએ પણ એક અધિકારીને ટાંકતા રિપોર્ટ આપ્યો છે કે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિ મંગળવારે દોહામાં વાતચીત ચાલુ રાખવા માટે મળતા રહેશે.
જોકે, ઈરાની અધિકારીઓએ અત્યાર સુધી આ રિપોર્ટની પુષ્ટિ નથી કરી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટના પ્રબંધન મામલે વિવાદ વધી ગયો હતો. આ ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચે સૈન્ય હુમલા પણ થયા. આ ઘટનાઓ બાદ યુદ્ધવિરામ ટકશે કે નહીં એ મામલે ચિંતા વધી ગઈ હતી.
પુતિને કહ્યું, ‘યુક્રેન મુદ્દે રશિયા અમેરિકાની શરતો અંતર્ગત સમજૂતી માટે તૈયાર’
ઇમેજ સ્રોત, Pavel Byrkin / POOL / AFP via Getty Images
રશિયાની સમાચાર સંસ્થા આરટીના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન મુદ્દા પર એન્કરેજમાં અમેરિકા સાથે થયેલી વાતચીતમાં રશિયાએ એ શરતોનો સ્વીકાર કર્યો છે, જેના માટે સમાધાન કરવું પડશે.
આરટીને પુતિનના ઇન્ટર્વ્યૂની એક ક્લીપ શૅર કરી છે. જેમાં પુતિન યુક્રેન મામલે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપી રહ્યા છે.
ક્લિપની ટ્રાન્સસ્ક્રિપ્ટ પ્રમાણે, પુતિન કહે છે, “એન્કરેજમાં કોઈ એગ્રીમેન્ટ નથી થયું, તમે કહ્યું કે યુરોપિયન નેતાઓએ યુક્રેનમાં હાલમાં થઈ રહેલી ઘટનાઓને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિને મનાવી લીધા છે. મને આ મામલે કશી ખબર નથી અને મને એ પણ લાગતું નથી કે આ શક્ય છે. કારણકે અમેરિકાના રાષ્ટ્રપતિ એક પરિપક્વ રાજનેતા છે.”
તેમણે કહ્યું, “એન્કરેજમાં જે વાતચીત થઈ, તે કોઈ દસ્તાવેજમાં નથી. કોઈએ પણ હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ અમે યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવાની સંભાવનાઓ પર ચર્ચા કરી.”
તેમણે કહ્યું કે “અમને સમાધાન કરવાનું કહેવાયું, અમે તેના પર વિચાર કર્યો, તરત જ નહીં. પરંતુ એન્કરેજ પહોંચ્યા બાદ અમે કહ્યું, ‘હાં, અમે સહમત છીએ.’ અમે અમેરિકાના પ્રશાસનનો કોઈ બીજો પક્ષ સાંભળવા નથી મળ્યો.”
ત્યાં રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી તાસ પ્રમાણે, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે યુક્રેન મામલાના સમાધાન માટે રશિયા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા તૈયાર છે.
તાસ પ્રમાણે, પુતિને કહ્યું, “અમે આગળ પણ વાતચીત ચાલુ રાખવા માટે તૈયાર છે. તેના પર ઝીણવટભરી વાતચીત થશે. જો પૂર્ણત: સહમતિ નહીં થાય તો પણ તે મુદ્દા પર ચર્ચા ચાલુ રહેશે. જે પહેલાં એન્કરેજમાં વાતચીત દરમિયાન ઉઠાવવામાં આવ્યા હતા.”
અમેરિકા અને ઈરાન તણાવ ઓછો કરવા પર સંમત થયાં
ઇમેજ સ્રોત, Reuters
મીડિયા રિપોર્ટ્સમાં એક અમેરિકાના અધિકારીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા હુમલા બાદ બંને દેશો તણાવ ઓછો કરવા અને ‘પાછળ હઠવા’ પર સહમત થયા છે.
આ સહમતિ હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસ થયેલા ઘણા હુમલા બાદ બની છે. આ ઘટનાઓ બાદ બંને દેશોએ એક-બીજા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
એક અધિકારીએ બીબીસીના અમેરિકાના પાર્ટનર સીબીએસ ન્યૂઝ સાથે પુષ્ટિ કરતાં કહ્યું કે હવે જહાજ આ સમુદ્રના રસ્તા પર સ્વતંત્ર રીતે અવરજવર કરી શકશે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે નવી વાતચીત પણ ચાલુ રહેશે.
હોર્મુઝ સામુદ્રધુનીમાં હુમલા રોકવા માટેની સહમતિના રિપોર્ટ્સ પર ઈરાને કોઈ ટિપ્પણી કરી નથી.
17 જૂને અમેરિકા અને ઈરાને 14 મુદ્દાઓના એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તમામ મોરચે સૈન્ય અભિયાનને તત્કાલ અને સ્થાયી રીતે સમાપ્ત કરવાનું પણ સામેલ હતું.
અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને લઈને અભિજિત દીપકેએ દિલ્હી પોલીસ પર લગાવ્યો આ આરોપ
ઇમેજ સ્રોત, Kabir Jhangiani/NurPhoto via Getty Images
દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણશાસ્ત્રી અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક અનશન પર બેઠા છે.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજિત દીપકેએ આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડી નથી રહી.
રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટમાં દીપકેએ કહ્યું, “અમે પોલીસને નિવેદન કરીએ છીએ કે સોનમ વાંગચુક જી અનશન પર બેઠા છે અને અહીં જે બે પબ્લિક વૉશરૂમ છે તે ઘણા ગંદા છે. આ લોકો સાફ-સફાઈ પણ નથી કરાવતા, ઉપરથી પાણી પણ રોકી રાખ્યું છે.”
તેમણે સવાલ કર્યો, “સોનમ વાંગચુક જીને એક પૉર્ટેબલ ટૉઇલેટ તો મળી જ શકે ને? પરંતુ તેમાં પણ પોલીસ કહે છે કે પરવાનગી નથી. મોબાઇલ ટૉઇલેટની પરવાનગી કેમ નથી, તે કોના માટે હોય છે?”
આ પહેલાં રવિવારે અભિજિત દીપકેએ ઍક્સ પર એક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર સહયોગ નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો.
કૉક્રોચ જનતા પાર્ટી નીટ-યુડી પેપર લીક મામલે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી રાજીનામાની માગ કરી રહી છે. સોનમ વાંગચુકની ભૂખ હડતાલ પણ આ જ આંદોલનનો ભાગ છે.
સીજેપીનું કહેવું છે કે આ ભૂખ હડતાલ ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે.
પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં ફરી કર્યા હવાઈ હુમલા, બંને દેશોએ શું કહ્યું?

પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તેની સેનાઓએ ગુપ્ત જાણકારીના આધારે રવિવાર-સોમવારની રાત દરમિયાન અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન ચલાવ્યું, જેમાં ’29 આતંકવાદીઓ માર્યા ગયા’.
પાકિસ્તાનના સૂચના તથા પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરાડે સોશિયલ મીડિયા પર તેને લઈને નિવેદન જાહેર કર્યું.
તેમણે દાવો કર્યો કે પાકિસ્તાની સેનાએ ડૂરંડ લાઇનની નજીક ‘સુનિયોજિત જમીની અભિયાન’ ચલાવ્યું. જે બાદ લાઇનની નજીકના વિસ્તારોમાં જમાત-ઉલ-અહરાર અને પાકિસ્તાની તાલિબાન આંદોલન (ટીટીપી)નાં ‘આંતકવાદી ઠેકાણાં તથા કૅમ્પો’ પર ‘ટાર્ગેટેડ હવાઈ હુમલાઓ’ કર્યા.
તરાડે કહ્યું, “ખેબર પખ્તૂનખ્વાના બાજૌરમાં જમીની અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં આતંકવાદી કમાન્ડર ખાન ફ્રૉશ (જબાલ) અને જમાત-ઉલ-અહરારના ત્રણ અન્ય આતંકવાદીઓ માર્યા ગયા, આ સિવાય પણ ઘણા ઘાયલ થયા.”
બીબીસી પશ્તોની સેવાના જણાવ્યા અનુસાર, અફધાનિસ્તાનની તાબિલાન સરકારના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિતે કહ્યું કે આહુમલામાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનો લોકો માર્યાં ગયાં.
તેમણે આ હુમલાની ‘નિંદા કરી અને તેને કાયરતાપૂર્ણ’ ગમાવ્યા.
બીબીસી પશ્તો સેવાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની સેનાના હવાઈ હુમલા અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના પૂર્વ ભાગ તથા દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનના પક્તિયા તથા પક્તિયા પ્રાંતના ચામકાની તથા જ્ઞાન જિલ્લામાં કરવામાં આવ્યા હતા.
તેમાં સૌથી વધુ નુકસાનની સૂચના પક્તિયા પ્રાંતના મંડીખેલ ગામથી મળી છે. તાલિબાન સરકારના સુરક્ષા સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ત્યાં લગભગ 100 લોકો ‘શહીદ અને ઘાયલ’ થયા છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




