Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
કારગિલ પર અત્યાર સુધી આપણે ‘એલઓસી કારગિલ’થી લઈને ‘શેરશાહ’ જેવી ઘણી ફિલ્મો જોઈ છે. એ બધી કથાઓ ભૂમિ પર લડાયેલા યુદ્ધની હતી.
પહાડો પર પગપાળા ચઢતા સૈનિકો, બંકરો અને પહાડની ટોચ પર ફરકતો તિરંગો. નૅટફ્લિક્સ પર તાજેતરમાં રજૂ થયેલી વેબ સિરીઝ ‘ઑપરેશન સફેદ સાગર’ પહેલી વાર આ યુદ્ધને વાયુસેનાના દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
આ સિરીઝની ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ કોઈ કથા ઇતિહાસનાં પાનાંમાંથી નીકળીને પડદા પર આવે, ત્યારે અનેક સવાલો પણ ઊભા થાય છે.
તારીખ હતી 21 ફેબ્રુઆરી, 1999ની. ‘ઑપરેશન સફેદ સાગર’ વેબ સિરીઝમાં એક અત્યંત નાટ્યાત્મક અને ઐતિહાસિક દૃશ્યને જીવંત કરવામાં આવ્યું છે.
આ દૃશ્ય મુજબ, લાહોરના ગવર્નર હાઉસમાં ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના આગવા અંદાજમાં પોતાની એક કવિતા સાથે સંબોધન પૂરું કર્યું. ત્યાર પછી વખત થયો પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાતનો.
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ આગળ વધ્યા અને વડા પ્રધાન વાજપેયી સાથે કદમ મિલાવતા તેમને પાકિસ્તાની સેનાના અધિકારીઓનો પરિચય કરાવવા લાગ્યા. સૌથી પહેલાં વાજપેયી સામે આવ્યા પાકિસ્તાની નૌકાદળના વડા ઍડમિરલ ફસીહ બુખારી.
તેમણે ભારતીય વડા પ્રધાનને ઔપચારિક ઢબે સલામ કરી. એ પછી ઍર ચીફ માર્શલ પરવેઝ મેહદી કુરેશીએ પણ વાજપેયીને સલામ કરી.
હવે વારો હતો પાકિસ્તાની ભૂમિસેનાના વડા જનરલ પરવેઝ મુશર્રફનો. વાજપેયી તેમની નજીક પહોંચ્યા કે તરત જ મુશર્રફ એક ક્ષણ માટે અટકી ગયા. એ થોડીક ક્ષણોની ભારેખમ શાંતિ પછી, બાકીના બંને સેનાધ્યક્ષોથી વિપરીત, મુશર્રફે સલામ કરવાને બદલે વાજપેયી તરફ હાથ લંબાવ્યો.
મુશર્રફે હાથ મિલાવવાની આ ચેષ્ટા કર્યા પછીની નવાઝ શરીફની મૂંઝવણ અને વાજપેયીના ચહેરા પર બદલાતા ગંભીર ભાવો વેબ સિરીઝમાં દર્શકો પડદા પર સ્પષ્ટપણે અનુભવી શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
‘ધ પ્રિન્ટ‘માં 2019માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 1999માં વાજપેયી લાહોર પહોંચ્યા ત્યારે વાઘા સરહદ પર તેમનું સંપૂર્ણ પ્રોટોકૉલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. 21 તોપોની સલામી, ગાર્ડ ઑફ ઑનર અને બંને દેશોનાં રાષ્ટ્રગાન — બધું થયું હતું. પરંતુ પાકિસ્તાનના એક પણ સેનાધ્યક્ષ ત્યાં હાજર નહોતા.
લાહોર જનાર ભારતીય પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર પણ સામેલ હતા. એ બસમાં રહેલા 22 લોકો પૈકીના એક તેઓ પણ હતા.
‘ગલ્ફ ન્યૂઝ’માં લખેલા પોતાના લેખમાં તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનું આ મિલન શક્ય ન બન્યું, કારણ કે પાકિસ્તાની લશ્કર તેની વિરુદ્ધ હતું. પાકિસ્તાનના ત્રણે સેનાધ્યક્ષોએ ભારતીય વડા પ્રધાનને સલામ કરવાનો ઇન્કાર કર્યો ત્યારે આ વાત ત્યારે સ્પષ્ટ થઈ ગઈ.
બીબીસીએ પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીર સાથે ફોન પર વાત કરી. તેમને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાની લશ્કરના વડા જનરલ પરવેઝ મુશર્રફે ભારતના વડા પ્રધાન સાથે હાથ મિલાવેલો કે તેમને સલામ કરેલી?
ઇમેજ સ્રોત, Getty Images
જવાબમાં તેમણે કહ્યું, “એ વખતે પાકિસ્તાની વાયુસેનાના વડા અને નૌકાદળના વડાએ ગણવેશ અને ટોપી પહેરી હતી. તેથી તેમણે વાજપેયીજીને સલામ કરી હતી. જનરલ પરવેઝ મુશર્રફે ગણવેશ તો પહેર્યો હતો, પણ ટોપી પહેરી નહોતી. તેથી તેમણે સલામ કરવાને બદલે હાથ મિલાવ્યો હતો.”
બીબીસીએ હામિદ મીરને કુલદીપ નાયરના ‘ગલ્ફ ન્યૂઝ’માં પ્રકાશિત લેખમાં થયેલા હાથ મિલાવવાના કે સલામીના ઉલ્લેખ વિશે પૂછ્યું. તેના જવાબમાં તેમણે બાંગ્લાદેશના ઢાકામાં કુલદીપ નાયર સાથે થયેલી પોતાની એક મુલાકાતનો ઉલ્લેખ કર્યો.
હામિદ મીરે જણાવ્યું, “ઢાકામાં હું નાયરસાહેબ સાથે બેઠો હતો ત્યારે પણ વાજપેયીજી સાથે મુશર્રફે હાથ મિલાવ્યો હોવાની વાત નીકળી હતી. ત્યાં હાજર એક પત્રકારે મારી સાથે બેઠેલા કુલદીપ નાયરસાહેબને જ આ સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં નાયરસાહેબે પોતે જવાબ આપવાને બદલે મને કહ્યું હતું, ‘હામિદજી, તમે જણાવો, એ વખતે શું થયેલું?'”
વાજપેયી સાથે મુશર્રફના હાથ મિલાવવા અંગે ‘ઑપરેશન સફેદ સાગર’ના લેખકે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ આ અંગે ‘ઑપરેશન સફેદ સાગર’ના લેખક સંદીપ જૈન સાથે વાત કરી.
સંદીપ જૈને કહ્યું, “અમે દર્શકોને મુશર્રફનું વ્યક્તિત્વ દેખાડવા માગતા હતા. એ સમયગાળા દરમિયાન મુશર્રફના મનમાં શું ચાલી રહ્યું હતું, તેનો અહેસાસ દર્શકોને કરાવી શકે એવું માધ્યમ કેવળ સ્ક્રીનપ્લે જ હતું.”
સંદીપ જૈનનું માનવું છે, “હકીકતમાં વાજપેયી લાહોર પહોંચ્યા એ પહેલાં જ મુશર્રફ કારગિલ યુદ્ધનું સમગ્ર આયોજન કરી ચૂક્યા હતા. એવા સંજોગોમાં, મુશર્રફ પોતાને ભારતના વડા પ્રધાનથી જરાય ઊતરતા નહોતા માનતા, એ વાત દર્શાવવા માટેનું માધ્યમ સ્ક્રીનપ્લે જ હતું. તેથી એ પાત્રની ગંભીરતા ઊજાગર કરવા માટે એમ બતાવવામાં આવ્યું કે પાકિસ્તાની નૌકાદળ અને વાયુસેનાના વડાઓએ વાજપેયીને સલામ કરી, જ્યારે મુશર્રફે તેમની સાથે હાથ મિલાવ્યો.”
ટીપનિસે મુશર્રફને સલામ કરવાનો ઇન્કાર કરેલો?
ઇમેજ સ્રોત, JOHN MACDOUGALL/AFP via Getty Images
‘ઑપરેશન સફેદ સાગર’ વેબ સિરીઝ રજૂ થયા પછી એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે 2001માં આગ્રા શિખર સંમેલન દરમિયાન તત્કાલીન વાયુસેનાપ્રમુખ એ. વાય. ટીપનિસે મુશર્રફને સલામ નહીં કરીને લાહોરનો ‘બદલો’ લીધો હતો. હકીકતમાં, આ ઘટના આગ્રામાં નહીં, પણ 14 જુલાઈ, 2001ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં બની હતી.
‘ધ ટ્રિબ્યુન’માં 15 જુલાઈ, 2001ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ, ટીપનિસે ગણવેશમાં હોવા છતાં સલામ કરવાને બદલે હાથ મિલાવવાનું પસંદ કર્યું હતું. પ્રોટોકૉલ મુજબ, ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા વડા પાસે આ વિકલ્પ હોય છે. ઉપરાંત, લશ્કરી હોદ્દાની દૃષ્ટિએ મુશર્રફ ટીપનિસ કરતાં જુનિયર હતા.
2013માં ‘ડી.એન.એ.’ અખબારમાં પ્રકાશિત એક લેખમાં ટીપનિસે પોતે કહ્યું હતું કે તેમણે “2001માં મુશર્રફને સલામ એટલા માટે નહોતી કરી કે ભારતીય સૈનિકો પ્રત્યે પાકિસ્તાની સેનાનું વલણ હંમેશાં શત્રુતાપૂર્ણ રહ્યું છે. સલામ કરવી ફરજિયાત નહોતી અને શિષ્ટાચાર ખાતર મેં તેમની સાથે હાથ મિલાવ્યો હતો.”
શું નવાઝ શરીફ કારગિલમાં મુશર્રફના આયોજનથી અજાણ હતા?
ઇમેજ સ્રોત, Getty Images
‘ઑપરેશન સફેદ સાગર’ વેબ સિરીઝમાં બતાવાયું છે કે મુશર્રફે એકલે હાથે સમગ્ર આયોજન કરેલું અને વડા પ્રધાન નવાઝ શરીફને તેની કશી જાણકારી નહોતી. પણ કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ અને પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ પરવેઝ મુશર્રફે આ અંગે અલગ અલગ નિવેદનો આપ્યાં હતાં.
પત્રકાર શેખર ગુપ્તાને 2007માં આપેલી મુલાકાતમાં નવાઝ શરીફે કહ્યું હતું કે “મને અંધારામાં રાખવામાં આવ્યો હતો.”
‘બિઝનેસ પ્લસ’ ચૅનલને જુલાઈ, 2006માં આપેલી મુલાકાતમાં મુશર્રફે તસવીરો બતાવીને દાવો કર્યો હતો કે શરીફને બધી ખબર હતી.
તેમણે ચાર તસવીરો રજૂ કરી હતી. આ તસવીરો 5 ફેબ્રુઆરી, 1999ના રોજ શરીફની કેલ (કાશ્મીર) મુલાકાતની હતી — એટલે કે વાજપેયી 19 ફેબ્રુઆરીએ લાહોર આવ્યા એ પહેલાંની.
બીજી તરફ, કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇ.ના લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝે પોતાના પુસ્તક ‘હાઉ લૉંગ ધિસ સાઇલન્સ’માં લખ્યું હતું કે મુશર્રફે આ ઑપરેશન માત્ર થોડા અધિકારીઓને લઈને પાર પાડ્યું હતું. રાજ ચેંગપ્પાએ 2013માં ‘ધ ટ્રિબ્યુન’માં આનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે સમગ્ર આઇએસઆઇને પણ આ અંગે કશી જાણ નહોતી એવો અઝીઝનો દાવો માનવો મુશ્કેલ છે.
કારગિલ યુદ્ધમાં લશ્કર અને વાયુસેના વચ્ચે તાલમેલનો અભાવ હતો?
ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images
‘ઑપરેશન સફેદ સાગર’ વેબ સિરીઝમાં દર્શાવાયું છે કે સંકટની ઘડીએ ભૂમિદળ અને વાયુસેનાએ તરત જ ભેગા મળીને પાકિસ્તાન સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
પણ ખરેખર એમ બનેલું ખરું? ‘ફોર્સ’ મૅગેઝિનમાં, ઑક્ટોબર 2006માં પ્રકાશિત એક લેખમાં (જે 2024માં ‘ધ વાયર’ પર ફરી પ્રકાશિત કરાયો હતો) તત્કાલીન વાયુસેનાપ્રમુખ એ. વાય. ટીપનિસે લખ્યું હતું કે 10થી 25 મે, 1999 દરમિયાન ભૂમિદળ અને વાયુસેના વચ્ચે ગંભીર મતભેદો હતા. સૌથી મોટી ફરિયાદ એ હતી કે બંને વચ્ચે કોઈ પણ સ્તરે સંયુક્ત આયોજન થયું જ નહોતું.
લશ્કરના ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ચંદ્રશેખરે 14 મેના રોજ વાયુસેના પાસે એમઆઇ-17 હેલિકૉપ્ટરની મદદ માગી હતી. તેમનો તર્ક હતો કે માત્ર લડાયક વિમાનોના ઉપયોગ માટે સરકારની મંજૂરી જરૂરી છે; હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવો કે નહીં એ બંને દળોના મુખ્યાલયનો આંતરિક નિર્ણય છે. ટીપનિસ મદદ આપવાના વિરોધમાં નહોતા. પરંતુ તેઓ બે બાબતો પર અડગ હતા: મંજૂરી સરકાર તરફથી મળવી જોઈએ અને એ ભૂપ્રદેશમાં હેલિકૉપ્ટરને હુમલાખોરની ભૂમિકામાં મોકલવાં એટલે સ્ટિંગર મિસાઇલો સામે તેમને ધરી દેવાં.
આખરે 24 મેના રોજ જનરલ વેદ મલિક સાથે ઉગ્ર ચર્ચા થયા પછી ટીપનિસ સંમત થયા. 25 મેના રોજ વડા પ્રધાન વાજપેયીની મંજૂરી મળ્યા પછી 26 મેથી કાર્યવાહી શરૂ થઈ. 28 મેના રોજ એક એમઆઇ-17ને સ્ટિંગર મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું અને વાયુસેનાના ચાર જવાનો માર્યા ગયા.
ઑક્ટોબર 2006માં ‘ધ ટ્રિબ્યુન’ના એક અહેવાલ મુજબ, ટીપનિસના આ લેખથી વિવાદ ઊભો થયો હતો. ટીપનિસનું કહેવું હતું કે સરકારને ઘૂસણખોરીની ગંભીરતા જણાવતાં લશ્કર ખચકાતું હતું. તેના જવાબમાં જનરલ વી. પી. મલિકે ટીપનિસનો 7 જુલાઈ, 1999નો પત્ર જાહેર કર્યો, જેમાં ટીપનિસે કારગિલમાં લશ્કરના જવાનોની બહાદુરીની દિલ ખોલીને પ્રશંસા કરી હતી. પોતાનો વિગતવાર પક્ષ મલિકે પોતાના પુસ્તક ‘કારગિલ: ફ્રૉમ સરપ્રાઇઝ ટુ વિક્ટરી’માં રજૂ કર્યો છે. એ જ ‘ટ્રિબ્યુન’ના અહેવાલમાં ટીપનિસે એમ પણ કહેલું કે આ મતભેદોની કામગીરી પર કોઈ અસર થઈ નહોતી.
બીબીસી સાથેની વાતચીતમાં સંરક્ષણનિષ્ણાત રાહુલ બેદી જણાવે છે, “કારગિલ યુદ્ધ દરમિયાન ભેગા મળીને કાર્યવાહી કરવામાં ભૂમિદળ અને વાયુસેના વચ્ચે અનેક વખત મુશ્કેલીઓ આવી હતી. અને આ સમસ્યા હજી પણ ચાલુ છે.” તેમણે કારગિલ યુદ્ધને બાતમીની નિષ્ફળતા ગણાવ્યું હતું.
તેમનો દાવો છે, “વાજપેયી લાહોર પહોંચ્યા એ પહેલાં જ પાકિસ્તાની સેનાના દળોએ એલઓસી ઓળંગવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે શિયાળામાં ભારતીય સૈનિકો ઊંચા પહાડો પરથી નીચે ઊતરી આવતા હતા.”
તેમના મત અનુસાર, “કારગિલ એવું યુદ્ધ હતું જેમાં લશ્કરને બાતમીતંત્ર તરફથી આગોતરી માહિતી મળી હોત, તો આ યુદ્ધ ટાળી શકાયું હોત.”
17મી સ્ક્વૉડ્રન ‘ગોલ્ડન ઍરોઝ’નું ખરું કામ શું હતું?
‘ઑપરેશન સફેદ સાગર’માં ‘ગોલ્ડન ઍરોઝ’નો ઉલ્લેખ એ રીતે કરવામાં આવ્યો છે કે આ સ્ક્વૉડ્રને પહાડની ઊંચી ટોચ પર દુશ્મનો ઘૂસણખોરી કરી રહ્યા હોવાનું શોધી કાઢ્યું હતું. ‘ગોલ્ડન ઍરોઝ’ મુખ્યત્વે ટોહી એટલે કે જાસૂસી અને નિરીક્ષણ કરતી સ્ક્વૉડ્રન હતી. કારગિલ યુદ્ધ દરમિયાન વાયુસેનાના ભૂતપૂર્વ વડા બી. એસ. ધનોઆ 17મી સ્ક્વૉડ્રનના કમાન્ડિંગ ઑફિસર હતા. એક મુલાકાતમાં તેઓ જણાવે છે:
“‘ઑપરેશન સફેદ સાગર’નું પહેલું મિશન ‘ગોલ્ડન ઍરોઝ’ દ્વારા કરાયું હતું.
એ વખતે ઍર ચીફ માર્શલ ટીપનિસ વાયુસેનાના વડા હતા. તેમણે સમગ્ર વાયુસેનાને સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો.
અમારી સ્ક્વૉડ્રનની જવાબદારી રિકૉનિસન્સ એટલે કે તસવીરો ખેંચવાની હતી. એ પછી સ્ક્વૉડ્રન લીડર અજય આહુજા અને લેફ્ટનન્ટ કે. નચિકેતાના વિમાનને અકસ્માત થયા બાદ અમે વિનંતી કરી કે અમને બૉમ્બમારો કરવાની જવાબદારી પણ સોંપવામાં આવે. ત્યાર પછી અમારી સ્ક્વૉડ્રનનાં છ વિમાનોને બૉમ્બમારાની જવાબદારી સોંપવામાં આવી. આ જ એ સ્ક્વૉડ્રન છે જે હાલ રાફેલ વિમાનો ઉડાવે છે.”
સ્ક્વૉડ્રન લીડર અજય આહુજાનું મૃત્યુ કેવી રીતે થયું હતું?
ઇમેજ સ્રોત, MUSTAFA TAUSEEF/AFP via Getty Images
કારગિલ યુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ કે. નચિકેતાના વિમાનનું ઍન્જિન બંધ થઈ જતાં તે તૂટી પડ્યું હતું. ત્યાર પછી તૂટી પડેલા વિમાનની શોધમાં નીકળેલા સ્ક્વૉડ્રન લીડર અજય આહુજાના વિમાનને ઊંચા પહાડો પર બેઠેલા પાકિસ્તાની સૈનિકોએ મિસાઇલ વડે નિશાન બનાવ્યું હતું.
ફાઇટર જેટને મિસાઇલ વાગતાં સ્ક્વૉડ્રન લીડર અજય આહુજાનું વિમાન તૂટી પડ્યું. ટીપનીસ લખે છે: “ઇજેક્શન સીટે તેમને બીજી જિંદગી આપી દીધી હતી, પણ દુશ્મનની બર્બરતાથી બચવા માટે ત્રીજી જિંદગીની જરૂર હતી.”
ફાઇટર જેટમાંથી ઇજેક્ટ કર્યા પછી પાકિસ્તાને સ્ક્વૉડ્રન લીડર અજય આહુજાને બંદી બનાવી લીધા હતા. ભારતના સત્તાવાર પોસ્ટમૉર્ટમ અહેવાલ મુજબ, જમીન પર ઊતર્યા પછી પાકિસ્તાની સૈનિકોએ તેમને ગોળીઓ મારી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન બનેલી ઘટનાઓમાં આ સૌથી દર્દનાક હતી.
કોઈ પણ વેબ સિરીઝ પૂર્ણપણે ઇતિહાસનું પુસ્તક બની શકે નહીં. દર્શકોને જકડી રાખવા માટે તેમાં થોડી નાટકીયતા, કેટલીક લાગણીઓ અને સમયના સંદર્ભ પ્રમાણે કેટલુંક તુલનાત્મક સ્વરૂપે દેખાડવું પડે. ‘ઑપરેશન સફેદ સાગર’ વેબ સિરીઝ એવા પાઇલટો, વિમાન અને ઘટનાઓને ફરી ચર્ચામાં લાવી છે, જેની વાત અત્યાર સુધી ફક્ત ફાઇલો કે લશ્કરી જર્નલોમાં જ થતી હતી. સત્ય ભલે અનેક પુસ્તકો, ડાયરીઓ અને નિવેદનોમાં વહેંચાયેલું હોય, પણ 18,000 ફીટની ઊંચાઈએ ભારતીય વાયુસેનાએ જે અદમ્ય સાહસ દાખવ્યું, તે ઇતિહાસમાં નોંધાયેલું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




