Home તાજા સમાચાર gujrati સદી પહેલાં એક જહાજે ખેડેલી દરિયાઈ સફરથી કેવી રીતે ‘અલ-નીનો’ વિશે જાણવા...

સદી પહેલાં એક જહાજે ખેડેલી દરિયાઈ સફરથી કેવી રીતે ‘અલ-નીનો’ વિશે જાણવા મળ્યું?

5
0

Source : BBC NEWS

વિલિયમ સ્કોર્સબાયના ક્રૂ મૅમ્બર્સ, 1938ની એક તસવીર

ઇમેજ સ્રોત, Central Press/Getty Images

ગત જૂન મહિનામાં જ યુનાઇટેડ નૅશન્સે ચેતવણી આપી હતી કે પ્રશાંત મહાસાગરમાં થોડાં અઠવાડિયાં પછી જ અલ-નીનોનો નવો તબક્કો શરૂ થશે.

હવામાન એજન્સીઓની કેટલીક આગાહીઓ દર્શાવે છે કે તે અત્યાર સુધીનું સૌથી મજબૂત અલ-નીનો સાબિત થઈ શકે છે અને તેનાથી આખી પૃથ્વી પર ખતરનાક હવામાન જોવા મળી શકે છે.

વૈજ્ઞાનિકો પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આનાથી પૃથ્વીના જળવાયુ પરિવર્તન પર કેટલી અસર થશે. હિડન ઇસ્ટ યૉર્કશાયર પોડકાસ્ટ અનુસાર, અલ-નીનોની અસરો એ છેલ્લી એક સદીથી સમજવાની કોશિશ થઈ રહી છે.

યુનિવર્સિટી ઑફ હલમાં માનદ્ રિસર્ચ ફેલો તરીકે ડૉ. રૉબ્બ રોબિન્સન કહે છે, “છેલ્લા કેટલાક સમયથી અલ-નીનો ઉપર અનેક સમાચારો આવી રહ્યા છે. પ્રશાંત મહાસાગરમાં પાણીના ગરમ થવાને કારણે ભૂતકાળમાં શું થયું હતું અને અત્યારે શું થઈ રહ્યું છે એની પણ ચર્ચા થઈ રહી છે.”

તેઓ કહે છે, “ઠંડા પાણીનો કરંટ, વધારાનો કરંટ અને હમ્બોલ્ટ કરંટ એ છેલ્લાં ઘણાં વર્ષોમાં ચર્ચાનો વિષય રહ્યા છે.”

“પ્રશાંત મહાસાગરમાં વર્ષોથી જે કરંટ છે તેને સમજવા માટેનો પાયો એ વિલિયમ સ્કોર્સબાય નામની રિસર્ચ શિપે નાખ્યો હતો. એવું કહી શકાય કે આ પાયો નખાયો તેના કારણે જ આપણી પાસે આજે આટલી માહિતી છે.”

સદી અગાઉ નીકળેલું જહાજ

1937માં લંડનના સેન્ટ કૅથરિક ડૉકથી જ્યારે આ જહાજને વિદાય આપવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Imagno/Getty Images

એક સદી અગાઉ જૂન મહિનામાં જ રૉયલ રિસર્ચ શિપ વિલિયમ સ્કોર્સબાયે હમ્બર ડૉક પરથી સફર ચાલુ કરી હતી. આ શિપ દક્ષિણી મહાસાગરોની સફરે નીકળી હતી.

આ શિપનું મિશન એ ફાલ્કલૅન્ડ આઇલૅન્ડની આજુબાજુના વ્હેલ સ્ટોક્સ પર રિસર્ચ કરવાનું હતું.

રૉબિન્સન કહે છે, “સ્કોર્સબાય એ ખરેખર અદ્ભુત જહાજ હતું. તેને એ રીતે બનાવવામાં આવ્યું હતું કે તે ઍન્ટાર્કટિકની નજીક ભ્રમણ કરી શકે અને સમુદ્રના પેટાળ વિશે સંશોધન કરી શકે.”

હલ નદીમાં તેને તરતું મૂકવામાં આવ્યું એ પહેલાં તેને કૂક, વેલ્ટન અને જેમેલ શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું હતું. તેને પ્રખ્યાત વૈજ્ઞાનિક વ્હિટબાય વ્હેલરનું નામ આપવામાં આવ્યું હતું.

ઍન્ટાર્કટિકાનું ખેડાણ કરવા માટે જ્યારે રોબર્ટ ફાલ્કન સ્કોટ અને અર્નેસ્ટ શૅકલ્ટને ‘ડિસ્કવરી’ થકી સફર ખેડી એ સમયગાળામાં આ સ્કોર્સબાયે સફર ખેડી હતી.

સ્કોર્સબાયે ખેડેલી સફરમાં તેણે મહાસાગરોની ગતિવિધિઓ પર સંશોધનો કર્યાં હતાં.

રોબિન્સન કહે છે, “ઘણાં બધાં સેમ્પલ લેવામાં આવ્યાં, પ્રયોગો કરવામાં આવ્યા અને તેમાં ઘણા વૈજ્ઞાનિકો સામેલ હતા. તેનાથી મરીન બાયોલોજી અને ઓશનોગ્રાફીનો જાણે કે પાયો સ્થાપિત થયો હતો.”

1930ના દાયકામાં આ સફરો થકી આ શિપ જ્યારે બ્રિટનથી 19 વર્ષ દૂર રહી હતી ત્યારે તેના ક્રૂ-મૅમ્બર્સે હમ્બોલ્ટ અને અલ-નીનો કરન્ટનું સંશોધન કર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, “આ માહિતીને કારણે આ કરંટ અને તેમની પેસિફિક મહાસાગર તથા વિશ્વમાં થતી અસર વિશે પણ આપણી સમજણને વધારી છે.”

જહાજનાં સંશોધનથી શું ફાયદો થયો?

પરંતુ આ સ્કોર્યબાયે કરેલા ઍડવેન્ચર્સનો અંત નહોતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શિપ ઑપરેશન ટેબરિનમાં લાગેલું હતું અને રૉબિન્સન અનુસાર, ‘ક્લૉક ઍન્ડ ડેગર’ નામનું એક ઑપરેશન દક્ષિણ ઍટલાન્ટિકમાં પણ ચાલતું હતું.

આ જહાજ ઑપરેશનમાં ભાગ લેતું હોય એવો એ સમયગાળાનો પોસ્ટેજ સ્ટૅમ્પ પણ છે.

આ જહાજ સ્કોર્સબાય 1950 સુધી સેવામાં હતું અને પછી તેને ભાંગી નાખવામાં આવ્યું હતું. જોકે, રૉબિન્સનનું કહેવું છે કે તેણે પોતાની અપ્રતિમ છાપ છોડી છે.

“મરીન બાયોલોજી વિશેની આપણી સમજણ, ઓશનોગ્રાફી વિશેનું જ્ઞાન એ સ્કોર્સબાયે કરેલા કામ પણ ઘણું આધારિત છે.”

“તેમાંથી જે મળ્યું તેનાથી આપણે કરંટની ગતિવિધિ સમજી શક્યા, એ ક્યાં જાય છે એ પણ સમજી શક્યા અને હવામાનની સિસ્ટમને એ કેવી રીતે પ્રભાવિત કરે છે એ પણ જાણવા મળ્યું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS