Home તાજા સમાચાર gujrati નેપાળમાં ‘ચમત્કાર પર ચમત્કાર’ : વિનાશક પૂરના 11 દિવસ બાદ ચીની નાગરિકને...

નેપાળમાં ‘ચમત્કાર પર ચમત્કાર’ : વિનાશક પૂરના 11 દિવસ બાદ ચીની નાગરિકને સુરંગમાંથી કેવી રીતે બચાવાયા?

4
0

Source : BBC NEWS

નેપાળ પૂર, બીબીસી ગુજરાતી, રાહત બચાવ કાર્ય, ભારત, ગુજરાત, જિંદગી, જીવન, પૂર પીડિત, ન્યૂઝ સમાચાર, પાણી, ભૂસ્ખલન, ચીન, તિબેટ

ઇમેજ સ્રોત, PMO Nepal

નેપાળી સેનાએ જણાવ્યું છે કે શનિવારે અપર ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટની ઑડિટ-4 સુરંગમાંથી એક ચીની કર્મચારીને જીવિત બચાવવામાં આવ્યા છે. આ સુરંગ પણ પૂરથી અસરગ્રસ્ત થઈ હતી.

પૂરના કારણે આ ચીની નાગરિક 11 દિવસથી સુરંગમાં ફસાઈ ગયા હતા. નેપાળ સેનાના જણાવ્યા મુજબ, તે 225 મીટર લાંબી સુરંગની અંદર તેઓ મળી આવ્યા હતા.

નેપાળી સેનાના પ્રવક્તા રાજારામ બસ્નેતે બીબીસીને જણાવ્યું, “હવે તેમને સારવાર માટે હેલિકૉપ્ટર દ્વારા કાઠમંડુ લઈ જવામાં આવી રહ્યા છે.”

આ પહેલાં શુક્રવારે ત્રિશૂલી 3એ હાઇડ્રો પાવર પ્રોજેક્ટની એક સુરંગમાંથી બે લોકોને જીવિત બચાવવામાં આવ્યા હતા.

નેપાળ પૂર, બીબીસી ગુજરાતી, રાહત બચાવ કાર્ય, ભારત, ગુજરાત, જિંદગી, જીવન, પૂર પીડિત, ન્યૂઝ સમાચાર, પાણી, ભૂસ્ખલન, ચીન, તિબેટ

ઇમેજ સ્રોત, Nepalese Prime Minister’s Office

નેપાળમાં એક જળવિદ્યુત પ્રોજેક્ટની સુરંગમાં ચાલી રહેલી બચાવ કામગીરી સાથે જોડાયેલા એક સુરંગ નિષ્ણાતે બીબીસીને જણાવ્યું છે કે તેઓ સુરંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે શોધી અને તેમની સુધી પહોંચી શક્યા.

આર્નોલ્ડ ડિક્સ આ બચાવ કામગીરીમાં સામેલ છે અને તેઓ નેપાળના જળવિદ્યુત સત્તાધિકારીઓને સલાહ આપી રહ્યા છે કે ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર સ્ટેશન તરફ જતી અવરોધાયેલી સુરંગ સુધી પહોંચવા માટે કેવી રીતે ખોદકામ કરવું.

નેપાળ-તિબેટ સરહદ પર ગયા અઠવાડિયે આવેલા વિનાશક અચાનક પૂરમાં અસરગ્રસ્ત બનેલા અનેક પાવર સ્ટેશનોમાં આ પણ એક હતું.

તેમણે જણાવ્યું, “અંદર ફસાયેલા બે લોકોને શુક્રવારે જીવતા શોધી કાઢવામાં આવ્યા, તે ચમત્કાર પર ચમત્કાર જેવી ઘટના છે.”

તેમના કહેવા મુજબ, બચાવ કામગીરી દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો.

પ્રથમ પડકાર સુરંગના પ્રવેશદ્વારને શોધવાનો હતો. પૂર પછી સમગ્ર વિસ્તાર એટલો બદલાઈ ગયો હતો કે ભૂદૃશ્ય લગભગ ઓળખી શકાય તેમ રહ્યું નહોતું. આ વિનાશકારી પૂરમાં અત્યાર સુધી અંદાજે 1,300 લોકોનાં મોત થયાં છે.

ઇન્ટરનૅશનલ ટનલિંગ ઍન્ડ અન્ડરગ્રાઉન્ડ સ્પેસ ઍસોસિયેશનના અધ્યક્ષ આર્નોલ્ડ ડિક્સે કહ્યું, “મેં મારા જીવનમાં એવી બચાવ કામગીરી ક્યારેય જોઈ નથી, જેમાં પહેલાં ટેકરી પર આવેલી સુરંગનો પ્રવેશદ્વાર શોધવો પડે, જે હવે જમીનની અંદર દટાઈ ગયો હોય. તમે હિમસ્ખલન અને કાટમાળના ધસારાની ભયાનકતા કલ્પી શકો છો. તેણે સુરંગના પ્રવેશદ્વારને સંપૂર્ણપણે દાટી દીધો હતો.”

ઇજનેરી તકનીકો, જૂના ભૂ-આકૃતિ નકશા, આપત્તિ બાદનાં ઉપગ્રહ ચિત્રો, હેલિકૉપ્ટરમાંથી લેવાયેલા વીડિયો અને પર્વતની સપાટી પર મળેલી અન્ય માહિતી, વીજળીના થાંભલાનો આધાર લઈને ડિક્સ અને તેમની ટીમે સુરંગના પ્રવેશદ્વારની સંભવિત સ્થિતિ નક્કી કરી હતી.

સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનો પડકાર

નેપાળ પૂર, બીબીસી ગુજરાતી, રાહત બચાવ કાર્ય, ભારત, ગુજરાત, જિંદગી, જીવન, પૂર પીડિત, ન્યૂઝ સમાચાર, પાણી, ભૂસ્ખલન, ચીન, તિબેટ

ઇમેજ સ્રોત, Nepalese Prime Minister’s Office

ત્યાર બાદ તેમણે ત્યાં ખોદકામ શરૂ કર્યું.

અંતે તેઓ સુરંગના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયા, પરંતુ ત્યાર પછીનો મોટો પડકાર અંદર ફસાયેલા લોકોને શોધવાનો હતો.

તેઓ કહે છે, “અમને ખબર હતી કે તેઓ આગળ ક્યાંક ફસાયેલા હશે, પરંતુ તેઓ ચોક્કસ ક્યાં છે તેની જાણ નહોતી. તેથી સાચી દિશામાં ખોદકામ શરૂ કરવું પડ્યું. સાથે જ કોઈનો અવાજ સંભળાય છે કે નહીં તે સાંભળવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો.”

બચાવ ટીમોને એવી સુરંગમાંથી પસાર થવું પડ્યું હતું, જે સંપૂર્ણપણે કાદવ અને ખડકોથી અવરોધાઈ હતી. કેટલાક પથ્થરો તો કાર જેટલા મોટા હતા. રસ્તો સાફ કરવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ડિક્સે જણાવ્યું, “સામાન્ય રીતે અમે આવું ક્યારેય કરતા નથી, કારણ કે સુરંગમાં ફસાયેલા લોકોને અથવા અમને પોતાને નુકસાન થવાનું જોખમ રહે છે.”

તેમણે નેપાળી સેનાનાં વખાણ કરતાં કહ્યું કે તેણે અત્યંત ચોકસાઈથી વિસ્ફોટોનું સંચાલન કર્યું અને સુરંગની સ્થિરતાને કોઈ નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખી.

તે દરમિયાન ટીમને એ પણ જાણવા મળ્યું કે સુરંગ હજુ પણ પાણીથી ભરેલી હતી.

ઍક્સકેવેટર અને પંપિંગ મશીનોની મદદથી નેપાળની બચાવ ટીમોએ સુરંગથી લઈને બહારની નદી સુધી અનેક ખાડીઓ ખોદી, જેથી અંદર ભરાયેલું પાણી બહાર કાઢી શકાય.

અંતે તેમને સુરંગના ઉપરના ભાગમાં ભરાયેલા કાટમાળમાંથી એક સાંકડો માર્ગ બનાવવો પડ્યો.

‘ગભરાશો નહીં, અમે તમને બચાવવા આવ્યા છીએ’

ડિક્સના જણાવ્યા અનુસાર, “તે એક વ્યક્તિ પસાર થઈ શકે એટલી જ નાની સુરંગ હતી.”

તેમણે સમજાવ્યું, “આ સ્થળની ખાસિયત એ હતી કે અમે મૂળ સુરંગની છતનો ઉપયોગ અમારી આ નાની સુરંગની છત તરીકે કરી શકતા હતા. ઉપરાંત, તે પૂરનું જોખમ પણ ઘટાડતું હતું.”

શુક્રવારે વહેલી સવારે બચાવકર્મીઓને અંદરથી કોઈના અવાજો સંભળાયા હોવાનું લાગ્યું.

સ્થાનિક અહેવાલો અનુસાર, બચાવ ટીમે સુરંગની અંદર સંદેશ આપ્યો: “ગભરાશો નહીં, અમે તમને બચાવવા આવ્યા છીએ.”

જવાબમાં અંદરથી ધીમો અવાજ આવ્યો, “બરાબર.”

તેના થોડા જ સમય પછી બચાવકર્મીઓએ સંજય શાહ અને કબીર મહારજનને જીવતા બહાર કાઢ્યા હતા.

જોકે, સુરંગની અંદર હજુ પણ અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી પૂર્ણ થઈ નથી.

બચાવકર્મીઓ ‘ગોલ્ડીલોક્સ ઝોન’ તરફ આગળ વધી રહ્યા છે

નેપાળ પૂર, બીબીસી ગુજરાતી, રાહત બચાવ કાર્ય, ભારત, ગુજરાત, જિંદગી, જીવન, પૂર પીડિત, ન્યૂઝ સમાચાર, પાણી, ભૂસ્ખલન, ચીન, તિબેટ

ઇમેજ સ્રોત, Nepal Army

આર્નોલ્ડ ડિક્સના જણાવ્યા મુજબ, બચાવ ટીમ અત્યાર સુધી સુરંગના પ્રવેશદ્વારથી અંદાજે 60 મીટર સુધી ખોદકામ કરી ચૂકી છે. પર્વતની અંદર આવેલા જળવિદ્યુત કેન્દ્ર સુધી પહોંચવા માટે તેમને હજુ લગભગ 150 મીટર વધુ ખોદકામ કરવું પડશે.

બચાવકર્મીઓ એવી આશા રાખી રહ્યા છે કે પૂરના કારણે થયેલો કાટમાળ જળવિદ્યુત કેન્દ્ર સુધી પહોંચ્યો નહીં હોય, કારણ કે જો કાટમાળ ત્યાં સુધી પહોંચી ગયો હશે તો પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે.

ડિક્સે કહ્યું, “જો કાટમાળ ત્યાં સુધી પહોંચ્યો હશે, તો અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે છે. અંદર રહેલા લોકો પર પથ્થરો અને કાદવ પડ્યા હોઈ શકે છે અથવા આખું સ્થળ પાણીમાં ગરકાવ થયું હોઈ શકે છે.”

જમીન પર કાર્યરત્ ટીમ હજુ પણ અનેક જોખમોનો સામનો કરી રહી છે.

ડિક્સે જણાવ્યું, “આગળ વધીએ તેમ અમને હજુ પણ પાણી મળી શકે છે, જે સુરંગમાં કામ કરી રહેલા લોકોને ડૂબાડી શકે છે. બીજી તરફ બહાર ફરી પૂર આવવાનું જોખમ પણ છે, જેથી પાછળથી પણ પાણી અંદર ઘૂસી શકે છે. એટલે બંને બાજુથી પાણીના જોખમનો સામનો કરવો પડી શકે છે.”

પરંતુ શુક્રવારે થયેલા સફળ બચાવ અભિયાનથી ટીમમાં નવી આશા જાગી છે અને હવે તેમને વધુ લોકો સુધી સમયસર પહોંચવાની આશા છે.

ડિક્સે કહ્યું, “આ અમારા માટે મોટી રાહત છે કે અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ સફળતાએ અમને નવી ઊર્જા આપી છે અને એ વિશ્વાસ પણ આપ્યો છે કે બચાવ કામગીરી અંગેનો અમારો વિચાર અને અભિગમ યોગ્ય છે. અમે અગાઉ ક્યારેય આવું કંઈ કર્યું નથી.”

ડિક્સના જણાવ્યા અનુસાર, હવે ટીમ જે વિસ્તાર તરફ આગળ વધી રહી છે તેને તેઓ ‘ગોલ્ડીલોક્સ ઝોન’ કહે છે, જે જીવન માટે વધુ અનુકૂળ હોવાનું માનવામાં આવે છે.

આ વિસ્તાર જળવિદ્યુત કેન્દ્રના સૌથી ઉપરના ભાગમાં આવેલો છે, જ્યાં થોડો ખુલ્લો વિસ્તાર હોવાથી બચી ગયેલા લોકો ત્યાં આશરો લઈને બેઠા હોવાની શક્યતા છે.

ડિક્સે કહ્યું, “અમે બે લોકોને જીવતા બહાર કાઢ્યા છે. જો આ કોઈ કેસિનોની રમત હોત, તો કેટલાક લોકો કહેત કે હવે રમત છોડવાનો સમય છે, પરંતુ અમે કહીએ છીએ કે રમત હજુ ચાલુ છે, હવે વધુ પડકારોનો સામનો કરવાનો સમય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS