Source : BBC NEWS
અચાનક ડુંગળીના ભાવ વધવાનું કારણ શું છે?
પ્રકાશિત
છેલ્લા બે ત્રણ મહિનાથી ખાંડના ભાવો આસમાને છે. હવે આ રેસમાં ડુંગળી પણ જોડાઈ ગઈ છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લસલગાંવમાં આવેલ ઍગ્રિકલચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું યાર્ડ ભારતમાં ડુંગળીનું સૌથી મોટું ગંજબજાર ગણાય છે.
સત્તાવાર આંકડા અનુસાર 3 ઑગસ્ટ, 2026ના રોજ નાસિક એપીએમસીમાં 12.82 લાખ કિલો ડુંગળીની આવક નોંધાઈ હતી અને મૉડાલ પ્રાઇસ એટલે તે દિવસે જે ભાવે સૌથી વધારે જથ્થો વેચાયો હતો તે ભાવ 21.25 રૂપિયા પ્રતિ કિલો હતો.
એક મહિના બાદ 2 સપ્ટેમ્બરના રોજ એ જ યાર્ડમાં ડુંગળીની આવક 6.88 લાખ કિલો અને મૉડાલ પ્રાઇસ 43 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. આમ એક જ મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે.
ડુંગળીના વધી રહેલા ભાવોને નાથવાના પ્રયાસ રૂપે કેન્દ્ર સરકારે 24 ઑગસ્ટથી તેની પાસેના ડુંગળીના સંગ્રહમાંથી છૂટક બજારમાં 35 રૂપિયા પ્રતિ કિલોએ ડુંગળી વેચવાનું ચાલુ કર્યું છે. સરકારી યાદી અનુસાર 2025-26 માં ડુંગળીનું ઉત્પાદન 30.7 અબજ કિલો રહેવાનો અંદાજ છે, જે 2024-25 ના વર્ષ જેટલું જ છે અને તે રીતે દેશમાં ડુંગળીનો પૂરતો પુરવઠો છે.
સરકાર 10 દિવસથી રેલવે અને રોડ મારફતે મોટાં શહેરોમાં ડુંગળી પહોંચાડી નૅશનેલ ઍગ્રિકલચરલ કો-ઑપરેટિવ માર્કેટ ફેડરેશન લિમિટેડ (નાફેડ) અને નૅશનલ કો-ઑપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન લિમિટેડ નામની સંસ્થાઓ મારફત ડુંગળીનું છૂટક વેચાણ કરી રહી છે.
તેમ છતાં ભાવમાં વધારાની ગતિ તીવ્ર બની રહી છે. કેટલાક માર્કેટ ઍક્સપર્ટ જણાવી રહ્યા છે કે ડુંગળીના ભાવ હજુ આવનાર એક-બે મહિના દરમિયાન વધતા રહે તેવી પ્રબળ શક્યતા છે.
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




