Home તાજા સમાચાર gujrati ‘કોઈ નિશાની છોડ્યા વિના તેને ખતમ કરી દો’: છત્રીની અણી પર લાગેલું...

‘કોઈ નિશાની છોડ્યા વિના તેને ખતમ કરી દો’: છત્રીની અણી પર લાગેલું ઝેર અને હત્યાની કહાણી

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

7 સપ્ટેમ્બર, 1978ના રોજ લંડનમાં જ્યૉર્જી માર્કોવની છત્રી વડે હત્યા કરાઈ હતી, કેજીબી દ્વારા રાજકીય કારણસર ઝેર આપીને આ હત્યા કરાઈ હોવાની શંકા છે. ચાર દિવસ પછી તેમનું અવસાન થયું.

એ પછીના વર્ષે, માર્કોવનાં પત્ની અને મોટા ભાઈએ બીબીસીના કાર્યક્રમ ‘પેનોરામા’ને જણાવ્યું હતું કે હત્યાના આ કાવતરા વિશે તેમને થોડા મહિના પહેલાં જ એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.

“તેને જાંઘમાં કંઈક ભોંકાયું હોય એમ લાગ્યું હતું. તેણે ફરીને જોયું, તો પાછળ એક માણસ ઊભો હતો, જેણે માફી માગી અને એક છત્રી નીચે પાડી દીધી.” આ શબ્દો ઍનાબેલ માર્કોવના છે, જેમણે પોતાના પતિ જ્યૉર્જી માર્કોવ વિશે વાત કરી રહી હતી. જ્યૉર્જી માર્કોવ બલ્ગેરિયન સરકારના વિરોધી, પત્રકાર અને લેખક હતા.

49 વર્ષના માર્કોવ 7 સપ્ટેમ્બર, 1978ના રોજ મધ્ય લંડનના વૉટરલૂ બ્રિજ પર બસની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમને લાગ્યું કે કોઈએ તેમની જાંઘમાં છત્રીની અણી ભોંકી હતી. ચાર દિવસ પછી હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. શરૂઆતમાં ડૉક્ટરોએ મૃત્યુનું કારણ લોહીમાં ઝેર ફેલાવાનું હોવાનું ગણાવ્યું હતું.

જોકે, ટૂંક સમયમાં જ જાસૂસોને સમજાયું કે આ એક રાજકીય હત્યા હતી, જેમાં અત્યંત આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. આ જ પદ્ધતિથી અન્ય એક દેશનિકાલ પામેલી બલ્ગેરિયન વ્યક્તિને પણ નિશાન બનાવાઈ હતી.

માર્કોવનાં પત્ની અને તેમના મોટા ભાઈએ 1979માં બીબીસીના પેનોરમા કાર્યક્રમને જણાવ્યું હતું. માર્કોવના મૃત્યુના કેટલાક મહિના પહેલાં એક અજાણ્યા માણસે તેમને ચેતવણી આપી હતી કે માર્કોવને ઝેર અપાવાનું હતું.

કેજીબીની હત્યા ટુકડીના વડા રહી ચૂકેલી એક વ્યક્તિ અને બલ્ગેરિયન ગુપ્તચર સેવાના એક ભૂતપૂર્વ કર્નલની મુલાકાત લેવામાં આવી હતી. બંનેએ પહેલી વાર જાહેરમાં જણાવ્યું હતું કે માર્કોવની હત્યામાં બલ્ગેરિયન અને સોવિયેત સરકારોના ઉચ્ચતમ સ્તરના લોકો સંડોવાયેલા હતા.

અસાધારણ હત્યાની યોજનાનો ભોગ બન્યા

માર્કોવના મૃત્યુ પછી, બ્રિટનની આતંકવાદ વિરોધી ટુકડીને એક એવો પુરાવો મળ્યો, જેનાથી તેમને ખાતરી થઈ ગઈ કે માર્કોવ એક અસાધારણ હત્યાની યોજનાનો ભોગ બન્યા હતા.

“સ્કૉટલૅન્ડ યાર્ડની ફૉરેન્સિક પ્રયોગશાળામાં મુખ્ય વૈજ્ઞાનિક અધિકારીએ માર્કોવની જાંઘમાંથી માર્કોવની જાંઘમાંથી મળેલી ધાતુની એક નાનકડી વસ્તુની તપાસ કરી,” એમ પેનોરમાના રિપોર્ટર માઇકલ કોકરેલે જણાવ્યું હતું.

“માઇક્રોસ્કોપ હેઠળ જોતાં સ્પષ્ટ થયું કે એ અસાધારણ રીતે આધુનિક પેલેટ હતી, જે સોયના ટોચકાથી પણ મોટી નહોતી.

તેમાં ચાર ખૂબ જ નાનાં કાણાં હતાં. ફૉરેન્સિક નિષ્ણાતોને ખાતરી હતી કે આ કાણાંમાં અત્યંત ઝેરી અને જીવલેણ ઝેરનો ખૂબ જ નાનો જથ્થો ભરેલો હતો.”

“તેની હત્યા કરવાનો નિર્ણય બલ્ગેરિયાની સરકારના ઉચ્ચતમ રાજકીય સ્તરે લેવામાં આવ્યો હતો.”

પૉર્ટન ડાઉનમાં કામ કરતા વિજ્ઞાનીઓનું માનવું હતું કે માર્કોવનું મૃત્યુ અત્યંત ઘાતક ઝેર રિસિનને કારણે થયું હતું. પૉર્ટન ડાઉન બ્રિટનની અત્યંત ગુપ્ત રાસાયણિક અને સૂક્ષ્મજીવવૈજ્ઞાનિક યુદ્ધ સંશોધન સંસ્થા છે.

પેનોરમા અનુસાર, બ્રિટનમાં હત્યા માટે આ ઝેરનો અગાઉ ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

એમ જાણવા મળ્યું કે માર્કોવ પર છત્રી વડે હુમલો કરવામાં આવ્યો તેના દસ દિવસ અગાઉ બીજી એક દેશનિકાલ પામેલી બલ્ગેરિયન વ્યક્તિ પર પણ આ જ રીતે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. વ્લાદિમીર કોસ્ટોવ પોતાનાં પત્ની સાથે પેરિસ મેટ્રોમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને પીઠમાં અચાનક તીવ્ર દુખાવો થયો હતો. તેમને ત્રણ દિવસ સુધી ખૂબ તાવ રહ્યો, પરંતુ તેઓ સાજા થઈ ગયા.

7 મે, 2019ના રોજ વૉશિંગ્ટન ડીસીમાં નવા ઇન્ટરનેશનલ સ્પાય મ્યુઝિયમના ઉદઘાટન પહેલાં જ્યૉર્જી માર્કોવને મારવા માટે ઉપયોગમાં લેવાયેલી છત્રી જેવી જ એક છત્રી જોવા મળે છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images

માર્કોવના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, કોસ્ટોવે પોતાની પીઠનો ઍક્સ-રે કરાવ્યો. તેમાં ધાતુની એક નાનકડી વસ્તુ જોવા મળી. પેરિસની એક ક્લિનિકમાં સર્જને એક ફ્રૅન્ચ પોલીસ અધિકારીની દેખરેખ હેઠળ તેમના પર શસ્ત્રક્રિયા કરી હતી. પોલીસ અધિકારીએ સર્જિકલ માસ્ક અને ગાઉન પહેર્યાં હતાં.

“સર્જને ખૂબ જ સાવચેતી રાખવી પડી હતી. તેમણે ધાતુની પેલેટને જરાય સ્પર્શ કર્યા વિના બહાર કાઢી હતી,” એમ કોસ્ટોવે બીબીસીને જણાવ્યું.

ત્યાર પછી તે પેલેટ સ્કૉટલૅન્ડ યાર્ડના એક નિરીક્ષકને અપાઈ અને તપાસ માટે ઇંગ્લૅન્ડ લઈ જવામાં આવી.

શક્તિશાળી સ્કૅનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કૉપનો ઉપયોગ કરીને, સ્કૉટલૅન્ડ યાર્ડના ધાતુ નિષ્ણાતોએ કોસ્ટોવની પીઠમાંથી કાઢવામાં આવેલી પેલેટની તપાસ કરી. તેમને જાણવા મળ્યું કે તે માર્કોવની જાંઘમાંથી મળેલી પેલેટ જેવી જ હતી.

કોકરેલે કહ્યું, “બંને પેલેટનું વજન એકદમ સરખું હતું. બંનેમાં કાણાં એક જ જગ્યાએ હતાં અને બંને દુર્લભ ગણાતી પ્લેટિનમ-ઇરિડિયમ મિશ્ર ધાતુની બનેલી હતી, જેને માનવ શરીર સ્વીકારી લે છે.”

પૉર્ટન ડાઉનના ઝેરવિજ્ઞાનના નિષ્ણાતોને કોસ્ટોવના શરીરની પેશીઓમાં રિસિનનાં પ્રતિદ્રવ્યો મળી આવ્યાં. તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે કોસ્ટોવ એટલા માટે બચી ગયા હતા કે પેલેટમાં પૂરતા પ્રમાણમાં ઝેર નહોતું.

ઉપયોગમાં લેવાયેલી આ અત્યંત આધુનિક પદ્ધતિ અને હુમલાઓ વચ્ચેના સંકલનના પુરાવાથી સ્કૉટલૅન્ડ યાર્ડને ખાતરી થઈ કે માર્કોવના મૃત્યુમાં કોઈ સરકારી ગુપ્તચર સંસ્થા સંડોવાયેલી હતી.

માર્કોવ પોતાના વતનમાં જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર હતા અને ત્યાંના ઉચ્ચ સરકારી વર્ગમાં તેમની આવનજાવન હતી. તે સમયના સામ્યવાદી બલ્ગેરિયામાંથી ભાગીને તેઓ 1969માં પશ્ચિમમાં આવી ગયા હતા.

બ્રિટનમાં સ્થાયી થયા પછી તેઓ બલ્ગેરિયન સરકારના ઉગ્ર વિરોધી બની ગયા હતા. તેઓ બીબીસીની વર્લ્ડ સર્વિસ તેમજ અમેરિકન સરકારના ભંડોળથી ચાલતી મીડિયા સંસ્થા રેડિયો ફ્રી યુરોપ (આરએફઈ) માટે કામ કરતા હતા.

ઍનાબેલ માર્કોવે કહ્યું હતું કે તેમને પોતાના પતિની હત્યાના કાવતરાની ચેતવણીઓ મળી હતી. તેમણે બીબીસીને જણાવ્યું કે મે 1978માં એક માણસે જ્યૉર્જીનો સંપર્ક કર્યો હતો.

“તેઓ આખી સાંજ બલ્ગેરિયન ભાષામાં વાત કરતા રહ્યા. વચ્ચે વચ્ચે જ્યૉર્જી મારી તરફ ફરીને અંગ્રેજીમાં કહેતા, ‘આ માણસ જે કહી રહ્યો છે તે અસાધારણ છે.'”

ઍનાબેલના જણાવ્યા અનુસાર, એ અજાણ્યા માણસે કહ્યું હતું કે જ્યૉર્જીને મારી નાખવાનો નિર્ણય બલ્ગેરિયાના ઉચ્ચતમ રાજકીય સ્તરે લેવામાં આવ્યો હતો, કારણ કે આરએફઈ માટે જ્યૉર્જી નિર્ભય પ્રસારણો લખી રહ્યા હતા.

‘કોઈ નિશાની છોડ્યા વિના જ્યૉર્જીને ખતમ કરી દેવાનો નિર્ણય લેવાયો’

માર્કોવના ભાઈ નિકોલાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર, 1977માં તેમની પર એક ફોન આવ્યો હતો.

“એક માણસે મને ફોન કરીને કહ્યું હતું કે કોઈ નિશાની છોડ્યા વિના જ્યૉર્જીને ખતમ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,” એમ તેમણે બીબીસીને જણાવ્યું હતું.

“શરૂઆતમાં મને તેના પર વિશ્વાસ બેઠો નહોતો. એ વાત સાવ વાહિયાત અને અશક્ય લાગી હતી. પરંતુ એ માણસે મને કેટલીક ચોક્કસ વિગતો આપી હતી, જેના કારણે કોઈ શંકા રહી નહોતી. તેણે મને કહ્યું હતું કે “તેણે મને કહ્યું હતું કે પહેલી તક મળતાં જ જ્યૉર્જીને ચોક્કસ ઝેર આપવામાં આવશે. કોઈક પ્રકારનું ઝેર અથવા કોઈ પ્રકારના બૅક્ટેરિયા, જે પહેલેથી જ પશ્ચિમ યુરોપમાં લાવવામાં આવ્યા હતા. તેને ચોક્કસ ખબર નહોતી કે એ કયા હતા.”

‘પ્રગટપણે વિરોધ કરનાર’

બ્રિટનમાં આવ્યા પછી પણ, આરએફઈ પરના તેમના વાર્તાલાપને કારણે માર્કોવ પોતાના દેશમાં જાણીતા રહ્યા હતા. તેઓ દર અઠવાડિયે બલ્ગેરિયન સમાજના ઉચ્ચ વર્ગનું જીવન ખરેખર કેવું હતું તે વિશે કાર્યક્રમો રજૂ કરતા હતા.

તેમના એક કાર્યક્રમનું નામ હતું “પડદા પાછળનું જીવન”. દરેક સરકારી અધિકારીની કાળી મર્સિડિઝ કારની બાજુ અને પાછળ લાગેલા નાના પડદાઓ પરથી આ નામ રાખવામાં આવ્યું હતું.

તેમણે દેશમાં સંપૂર્ણ સત્તાના દુરુપયોગનું એવું ચિત્ર રજૂ કર્યું હતું, જેમાં ઘણી અંદરની વાતો અને ગંભીર ખુલાસા હતા. તેમાં સગાં-સંબંધીઓને ગેરકાયદેસર રીતે લાભ અપાવવો, નાણાકીય ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વિશેની વાતો હતી.

બલ્ગેરિયન સરકારે સત્તાવાર રીતે માર્કોવના કાર્યક્રમોની કોઈ અસર થતી હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ બીબીસીને જાણવા મળ્યું કે બલ્ગેરિયાના પ્રમુખ તોદોર ઝિવકોવ માર્કોવના “તોદોર ઝિવકોવ સાથેની મારી મુલાકાતો” કાર્યક્રમથી ખૂબ નારાજ હતા.

આરએફઈ માટે કામ કરતા બલ્ગેરિયન બ્રૉડકાસ્ટર કિરિલ પાનોવે કહ્યું, “અમને જાણવા મળ્યું હતું કે ઝિવકોવ તેમની સાથેની મુલાકાતો વિશેના માર્કોવના કાર્યક્રમોથી ખૂબ ગુસ્સે હતા. માર્કોવ બલ્ગેરિયાની એવી વાતો વિશે બોલતા હતા, જેના વિશે સરકાર વાત કરવા માગતી ન હતી અને લોકો જાણે એમ પણ ઇચ્છતી ન હતી.”

ઝિવકોવ 1956થી બલ્ગેરિયા પર શાસન કરતા હતા અને સોવિયેત સંઘ સાથે તેમના ખૂબ જ ગાઢ સંબંધો હતા. તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને એક જ શરીરના બે ફેફસાં જેવા ગણાવતા હતા, જે એક જ રક્તપ્રવાહથી ચાલે છે.

નિષ્ણાતોનું માનવું હતું કે માર્કોવની હત્યામાં સોવિયેત સંઘની સંડોવણી હોવી જ જોઈએ.

બલ્ગેરિયન ગુપ્ત પોલીસમાં કર્નલ રહેલા સ્ટેફાન સ્વેરડ્લોવે 1971માં દેશ છોડ્યો હતો. ત્યાર પછી 1979માં તેમણે બીબીસીને જણાવ્યું હતું:

“દરઝાવના સિગુરનોસ્ત (બલ્ગેરિયન ગુપ્તચર સેવા)ના દરેક વિભાગ પર રશિયન કેજીબીના એક સલાહકારનું નિયંત્રણ છે. તેમને ક્યારેક ‘અંકલ’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સીધા મોસ્કોને અહેવાલ આપે છે… રશિયનોને જાણ થયા વિના આવું કરવામાં આવ્યું હોય તે કલ્પના બહારની વાત છે.”

અને કેજીબીની હત્યા ટુકડીના ભૂતપૂર્વ વડાના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિ સોવિયેત સંઘની સંડોવણી તરફ નિર્દેશ કરતી હતી.

નિકોલાઈ ખોખલોવે કહ્યું, આને વધુ સરળ રીતે: “આ પદ્ધતિ ખૂબ જ જટિલ છે. મને લાગે છે કે તેનાથી આ કામનું આયોજન કરનારા અધિકારીઓ ઉપરના કોઈ મોટા અધિકારીને ખુશ કરવા માગતા હતા.”

માર્કોવ પરનો જીવલેણ હુમલો ઝિવકોવના જન્મદિને કરવામાં આવ્યો હતો.

સોવિયેત સંઘના પતન પછી જાણવા મળ્યું કે કેજીબીએ એવી છત્રી વિકસાવી હતી, જે શિકારના શરીરમાં રિસિનની પેલેટ ભોંકી શકે.

અને પછી દેશ છોડીને ગયેલા કેજીબીના બે ભૂતપૂર્વ અધિકારીઓએ કહ્યું હતું કે તેમની સંસ્થાએ હત્યામાં મદદ કરી હતી. જોકે, હત્યા ઇટાલિયન ગુનેગાર દ્વારા કરવામાં આવી હતી, જેને “પિકાડિલી” જેવું સાંકેતિક નામ આપવામાં આવ્યું હતું.

સોવિયેત સંઘને તે એક કરતાં વધુ રીતે ફાયદાકારક બન્યું હોત, એમ કેજીબીના ભૂતપૂર્વ અધિકારી ખોખલોવે 1979માં બીબીસીને જણાવ્યું હતું. માર્કોવને મારી નાખવાથી માત્ર તેમનું મૃત્યુ જ ન થયું હોત, પરંતુ વિદેશમાં રહેતા સરકારના વિરોધીઓ પર પણ તેની મોટી માનસિક અસર થઈ હોત.

તેમણે કહ્યું, “તેમને એ ડર રહે છે કે વિદેશમાં દૂર રહેવા છતાં પોતે સુરક્ષિત નથી. પશ્ચિમની સુરક્ષા વ્યવસ્થાઓથી પણ સુરક્ષિત નથી.”

તેમણે વધુમાં કહ્યું, “આ કાર્યવાહી એવી છે જાણે કોઈ વ્યક્તિની પાછળ જઈને તેના કાનમાં ધીમેથી કહેવામાં આવે: ‘અમે ઇચ્છીએ ત્યારે તને શોધી શકીએ છીએ. અમે તને મારી શકીએ છીએ.'”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS