Source : BBC NEWS
ઇમેજ સ્રોત, KALPESH KHER
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક નાનકડા ગામમાં એક વ્યક્તિએ પોતાની પાંચ વર્ષીય દીકરીની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ ફ્રીઝમાં રાખીને પોતે પણ જીવ ટૂંકાવ્યો હોવાનો આરોપ છે.
સાવરકુંડલાના હાડિડા ગામે ભાડાના મકાનમાં રહેતા કિશોરભાઈ ધાણક પોતાના મિત્ર સાથે મળીને લેબર કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.
તેમણે લોન લઈને બાંધકામના વ્યવસાયમાં રૂપિયા રોક્યા હતા, પરંતુ આ રૂપિયા ફસાઈ જવાથી તેઓ તણાવમાં હતા. આ દરમિયાન તેમણે પોતાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો આરોપ છે.
પોલીસના કહેવા પ્રમાણે, “દીકરીની હત્યા કરીને કિશોરભાઈ ધાણકે તેની પૂજા કરી હતી, તેના મોઢામાં તુલસીનાં પાન મૂક્યાં હતાં, ચૂંદડી ઓઢાડી હતી અને પછી મૃતદેહ ફ્રીઝમાં મૂક્યો હતો. ત્યાર બાદ તેમણે પણ જીવ ટૂંકાવ્યો હતો.”
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
પિતા-પુત્રીના મોતનો આખો મામલો શું છે?
આ ઘટનાની વિગત પ્રમાણે મૂળ પાલિતાણાના રહેવાસી કિશોરભાઈ ધાણકે સાવરકુંડલા પાસેના દાધિયા ગામમાં રહેતાં મંજુલાબહેન પરમાર સાથે સાત વર્ષ અગાઉ લગ્ન કર્યાં હતાં. મંજુલાબહેનના આ બીજાં લગ્ન હતાં અને તેમને પહેલા લગ્નથી એક દીકરો અને દીકરી હતાં, જે તેમના પૂર્વ પતિ સાથે રહેતાં હતાં.
પ્રથમ પતિ સાથે છૂટાછેડા પછી મંજુલાબહેને કિશોર ધાણક સાથે લગ્ન કર્યાં અને પતિ-પત્ની પાલિતાણામાં રહેતાં હતાં.
કિશોરભાઈ ધાણક સાથે લગ્ન પછી મંજુલાબહેને દીકરીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં તેમનું કન્સ્ટ્રક્શનનું કામ સારી રીતે ચાલતું હતું તેથી તેઓ બંને સાવરકુંડલાના હાડિડા ગામે ભાડાનું મકાન રાખીને રહેવા આવ્યાં હતાં.
ઇમેજ સ્રોત, KALPESH KHER
ગામના સરપંચ ઝકુભાઈ ખુમાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “દોઢ હજારની વસતીવાળા તેમના ગામમાં આ દંપતી ત્રણ વર્ષથી રહેતું હતું. અગાઉ તેઓ રાજકોટ અને થોડો સમય સુરત પણ રહી આવ્યાં હતાં. દંપતી વચ્ચે કોઈ ઝઘડો ન હતો. મંજુલાબહેનના પિતા પોપટભાઈ પરમાર નજીકના દાધિયા ગામે રહે છે.”
“16 સપ્ટેમ્બરે મંજુલાબહેનના ભાઈ ઘનશ્યામ પરમાર ઘરે આવ્યા ત્યારે કિશોરભાઈએ દરવાજો ખોલ્યો ન હતો. તેથી તેઓ પોતાના ગામે પાછા ગયા અને મંજુલાબહેન અને તેમના પિતાને લઈને આવ્યા. ત્યાર બાદ ગામલોકોએ બંધ દરવાજો ખોલ્યો ત્યારે કિશોરભાઈ ધાણકનો મૃતદેહ પંખા પર લટકતો હતો. ગામના લોકો ઘરમાં ન ગયા અને તાત્કાલિક પોલીસ બોલાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જોવા મળ્યું કે રસોડામાં પૂજાનો સામાન હતો અને ઘરમાંથી એક ચિઠ્ઠી નોટ મળી હતી. આ ચિઠ્ઠીમાં લખાયા મુજબ ફ્રીઝમાંથી દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો.”
મૃતકનાં પત્ની મંજુલાબહેને શું કહ્યું?
ઇમેજ સ્રોત, KALPESH KHER
પતિ અને પુત્રી ગુમાવનાર મંજુલાબહેન આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે “14 સપ્ટેમ્બરે મારા ફોઈના ઘરે ધાર્મિક કાર્યક્રમ હોવાથી હું મારા પતિને કહીને બાજુના ગામ બાલપટોળી ગઈ હતી. હું બીજા દિવસે પરત આવવાની હતી. મારા પતિએ દીકરીને ઘરે જ મૂકી જવા કહ્યું હતું.”
તેમણે કહ્યું કે “15 સપ્ટેમ્બરે હું પરત આવી તો ઘર બંધ હતું. મેં મારા પતિને ફોન કર્યો, તો તેમણે કહ્યું કે તેમને આવતા મોડું થશે તેથી હું મારા પિતાના ઘરે પાછી જતી રહું અને બીજા દિવસે તેઓ મને તેડવા આવશે.”
“ત્યાર બાદ 16 સપ્ટેમ્બરે મેં ફોન કર્યો તો તેમણે કહ્યું કે ‘બપોરે તેડવા આવશે.’ ત્યાર પછી અનેક ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યો નહીં. તેથી હું મારા પિતા અને ભાઈ સાથે હાડિડા ગામે ગઈ. ત્યાં ગામ લોકોની હાજરીમાં દરવાજો ખોલ્યો, તો મારા પતિનો મૃતદેહ પંખે લટકતો હતો. ત્યાર પછી મારી દીકરીનો મૃતદેહ ફ્રીઝમાં જોઈ મારું મગજ બહેર મારી ગયું. મારા પતિ અને દીકરીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા ત્યારે પતિની ત્રણ સ્યૂસાઈડ નોટ મળી હતી. તેમાં લખ્યું હતું કે તેમણે કન્સ્ટ્રક્શનના બિઝનેસ માટે 7.20 લાખની લોન લીધી હતી અને રૂપિયા ફસાઈ ગયા હતા.”
તેમણે કહ્યું કે “મારા પતિએ બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તેમના મોત પછી દીકરીને જીવનમાં તકલીફ ન પડે તે માટે તેની હત્યા કરીને મૃતદેહ ફ્રીઝમાં મૂકી દીધો છે. ત્રીજી ચિઠ્ઠીમાં તેમણે દીકરીની હત્યા અને આત્મહત્યા કરવા બદલ બધાની માફી માગી હતી.”
મંજુલાબહેનના પિતા પોપટભાઈ પરમારે બીબીસીને જણાવ્યું કે “બંનેએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હતાં. દંપતી વચ્ચે કલેશ ન હતો. લગ્ન પછી તેઓ રાજકોટ અને સુરતમાં બાંધકામના વ્યવસાયમાં સારા રૂપિયા કમાયા હતા. અહીં પણ કન્સ્ટ્રક્શનનું કામ સારું ચાલતું હતું. તેમના પર દેવું છે એવી ખબર પડી હોત તો સમાજના લોકોએ ભેગા થઈને મદદ કરી હોત અને આવું પગલું કદાચ રોકી શકાયું હોત.”
પોલીસે આ ઘટના વિશે શું કહ્યું?
ઇમેજ સ્રોત, KALPESH KHER
સાવરકુંડલાનાં ઇનચાર્જ ડીવાયએસપી નયના ગોરડિયાએ આ ઘટના વિશે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “16 સપ્ટેમ્બરની રાતે ગામના સરપંચે પોલીસને કિશોરભાઈની આત્મહત્યા વિશે જાણ કરી હતી. પોલીસની એક ટીમ તાત્કાલિક ગામે પહોંચી હતી અને તપાસ કરી હતી. એફએસએલના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે. અમને મળેલી સ્યૂસાઇડ નોટ પ્રમાણે બાંધકામના વ્યવસાયમાં કિશોરભાઈને કેટલાક પરિચિત લોકોએ રૂપિયા નહીં આપતા તેઓ આર્થિક ભીંસમાં આવ્યા હતા.”
“અમે બંને મૃતદેહો પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા છે. સ્યૂસાઇડ નોટમાં કિશોરભાઈના જ અક્ષર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. તેમણે ઉઘરાણીના રૂપિયા નહીં મળવાથી જ આત્મહત્યા કરી છે કે બીજાં કોઈ કારણ છે તેની તપાસ માટે ખાસ ટીમ બનાવાઈ છે.”
સાવરકુંડલા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઘરમાં ઘણા બધા ફુગ્ગા હતા અને ત્યાં પૂજા કરવામાં આવી હતી તેવું દેખાતું હતું. દીકરીના મૃતદેહની પણ પૂજા કરાઈ હતી અને તેને ચૂંદડી ઓઢાડેલી હતી.”
તેમણે વધુમાં કહ્યું, “અમે કિશોરભાઈના ફોનના સીડીઆર તપાસીશું અને તેમણે કોની પાસેથી રૂપિયા લેવાના હતા, સાત લાખ રૂપિયાથી વધારે દેવું કઈ રીતે થયું અને કોણે રૂપિયા ન ચૂકવ્યા તેનાથી તેઓ આર્થિક સંકડામણમાં આવ્યા તેની તપાસ કરીશું. તેમને આત્મહત્યા માટે કોઈએ મજબૂર કર્યા હશે તો તેની સામે કાર્યવાહી કરાશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




