Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images/ALPESH DABHI
-
પ્રકાશિત
-
વાંચવાનો સમય: 5 મિનિટ
અત્યાર સુધી દેશી ઝેરી દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થયાં હોવાની ઘટના ઘણી બની છે પરંતુ ઝેરી વિદેશી દારૂ પીવાથી કોઈ મૃત્યુ થયું હોય તેવી ઘટના પ્રકાશમાં નથી આવી. હવે, ભાવનગરમાં આવી જ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. ફરિયાદ અનુસાર, અહીં ‘નકલી વિદેશી દારૂ’ પીવાથી ચાર લોકોનાં મોત થયાં છે અને 22 લોકોની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો છે, પરંતુ રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેચાણના ગુનાઓ નોંધાતા આવ્યા છે.
ભાવનગરની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને રાજ્યની સ્ટેટ મૉનિટરિંગ ટીમના અધિકારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2026માં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં 42 કરોડ રૂપિયાનો દારૂ માત્ર રાજ્યની રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યો છે.
વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસે 10,49,855 IMFLની બૉટલો, જેની કુલ કિંમત 38.89 કરોડ રૂપિયા થાય છે, અને 1,59,265 બિયરની બૉટલો, જેની કિંમત આશરે 3.33 કરોડ રૂપિયા થાય છે, તેટલો દારૂ જાન્યુઆરી 25, 2026 સુધીમાં પકડ્યો હતો.
ઇમેજ સ્રોત, ANI
જોકે, ‘લઠ્ઠાકાંડ’ની બનતી ઘટનાઓ વચ્ચે હવે ગુજરાત પોલીસ સમક્ષ ‘ઝેરી અને નકલી વિદેશી દારૂ’ની સમસ્યા સામે આવી છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ગાંધીનગરની સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમ પણ તપાસ માટે ભાવનગર પહોંચી છે.
બીબીસી સાથે વાત કરતાં, ભાવનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઈજીપી) આર. વી. અસરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 10 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘નકલી દારૂ’ પીનારા ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 22 લોકો સારવાર હેઠળ છે. આ પૈકી બે-ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે અને ભાવનગરની ચાર અલગ-અલગ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અસરીએ એમ પણ જણાવ્યું હતું કે, “મુખ્ય આરોપીઓ પૈકીનો એક ગૌતમ મધ્ય પ્રદેશના પોતાના એક સાથીદારની મદદથી ભાવનગરમાં નકલી દારૂ બનાવી રહ્યો હતો.”
ગુજરાતમાં લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થવાની ઘટનાઓ અગાઉ પણ બની છે. પરંતુ આ કિસ્સામાં નકલી વિદેશી દારૂ કે ઇન્ડિયન મેઇડ ફૉરેન લિકર (આઈએમએફએલ) પીવાથી લોકો મૃત્યુ પામ્યાં હોય કે બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે બને છે નકલી વિદેશી દારૂ?
ઇમેજ સ્રોત, ALPESH DABHI
રાજ્યમાં નકલી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું હોય તેવું આ પહેલી વખત નથી. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક રૅકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ભંગારમાંથી એકત્ર કરવામાં આવેલી બૉટલો અને કેટલાંક રસાયણોની મદદથી ‘નકલી દારૂ’ બનાવતી હતી અને તેને એવી રીતે સીલ કરીને પૅક કરવામાં આવતી હતી.
બીબીસી સાથે વાત કરતાં, ભાવનગર જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજકાલ નકલી દારૂ બનાવવાની આ એક સામાન્ય પદ્ધતિ છે અને નિયમિત તપાસ દરમિયાન આવા ઘણા લોકો આ રીતે ‘નકલી દારૂ’ બનાવતા હોવાનું સામે આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો ભંગારની દુકાનોમાંથી બૉટલો ખરીદે છે, તેના માટે સ્ટિકરો બનાવે છે, સ્વાદ અને રંગ માટે સિરપનો ઉપયોગ કરે છે અને તેમાં થોડા પ્રમાણમાં દારૂ તથા કેટલાંક રસાયણો પણ ભેળવે છે.
જોકે, પોલીસને શંકા છે કે આ ચોક્કસ કિસ્સામાં આ ફૉર્મ્યુલા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે અને તેના કારણે દારૂ ઝેરી બની ગયો હશે, તેથી પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.
આ મામલે બૉટલોની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું આઈજીપી આર. વી. અસરીએ બીબીસીને જણાવ્યું હતું.
પોલીસે એક ચોક્કસ બ્રાન્ડની ઘણી બૉટલો જપ્ત કરી છે અને નકલી દારૂના વેચાણમાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
વૈજ્ઞાનિક તપાસ માટે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની ટીમ પણ તપાસમાં સામેલ છે.
પોલીસે એવા લોકોને પણ ડૉક્ટરની સલાહ લેવાની અપીલ કરી છે, જેમણે આ પ્રકારના નકલી દારૂની બૉટલમાંથી દારૂ પીધો હોય, ભલે તેમને કોઈ પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસર જણાઈ ન હોય.
પોલીસ હવે શું કરી રહી છે?
ઇમેજ સ્રોત, ALPESH DABHI
પાંડેએ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં ખરકડા ગામમાં કેટલાક લોકોએ આઈએમએફએલ બ્રાન્ડની “નકલી” બૉટલમાંથી દારૂ પીધો હતો. ત્યાર બાદ તેમની તબિયત લથડી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ત્યાર બાદ એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે તે સમયે અન્ય છ લોકોને સારવાર માટે ભાવનગરની વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓ વધુમાં કહે છે કે, ખરકડા ગામના રહેવાસી ઉપેન્દ્રસિંહ ગોહિલનું ભાવનગરની સરકારી હૉસ્પિટલ સર ટી હૉસ્પિટલમાં મોત થયું હતું. અન્ય લોકોને પણ સર ટી હૉસ્પિટલ અને શહેરની અન્ય હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં, મૃતક ઉપેન્દ્રસિંહ ગોહિલના એક સંબંધી નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તેમના પિતરાઈ ભાઈએ 16 ઑગસ્ટે દારૂ પીધો હતો અને 17 ઑગસ્ટે આખો દિવસ તેઓ ઊંઘતા રહ્યા હતા. જોકે, 17 ઑગસ્ટની મોડી સાંજે તેમની તબિયત લથડી હતી અને 18 ઑગસ્ટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, “કેટલાક મિત્રો સાથે મળીને તેમણે સ્થાનિક બુટલેગર પાસેથી આઈએમએફએલ ખરીદીને પીધો હતો. આ બુટલેગર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયમિત રીતે દારૂ વેચતો હતો.”
“ઉપેન્દ્ર તેમનાં માતા-પિતાના એકમાત્ર પુત્ર હતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.”
તેમણે ઉમેર્યું કે, “પોલીસે પરિવારના સભ્યોનાં નિવેદનો નોંધ્યાં હતાં, જેમાં વરતેજ વિસ્તારમાં દારૂ વેચનારા લોકોનાં નામ પણ જણાવવામાં આવ્યાં હતાં.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




