Home તાજા સમાચાર gujrati મહિલા હૉકી વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ થયા બાદ ભારત બીજા રાઉન્ડમાં...

મહિલા હૉકી વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ થયા બાદ ભારત બીજા રાઉન્ડમાં પહોંચ્યું – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

હૉકી ટીમ, મહિલા હૉકી વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dean Mouhtaropoulos/Getty

પ્રકાશિત

વાંચવાનો સમય: 9 મિનિટ

નેધરલૅન્ડ્સમાં રમાઈ રહેલા મહિલા હૉકી વર્લ્ડકપમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચ ડ્રૉ થઈ હતી.

પરંતુ ભારત બીજા રાઉન્ડ માટે ક્વૉલિફાય કરવામાં સફળ રહ્યું. બંને ટીમો માટે આ મૅચ “કરો કે મરો” જેવી હતી.

ભારતીય મહિલા ટીમની ચીન સામેની પ્રથમ મૅચ ડ્રૉ રહી હતી, જ્યારે ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી.

પ્રથમ ક્વાર્ટરમાં ભારતને ત્રણ પૅનલ્ટી કૉર્નર મળ્યા હતા, પરંતુ ભારતીય ટીમ તેનો લાભ ઉઠાવી શકી નહોતી અને કોઈ ગોલ થઈ શક્યો નહોતો.

ઇંગ્લૅન્ડને પણ એક પૅનલ્ટી કૉર્નર મળ્યો હતો, પરંતુ તેની ટીમ પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ઇંગ્લૅન્ડનાં સોફી હેમિલ્ટનને રમતની 13મી મિનિટે ગ્રીન કાર્ડ આપવામાં આવ્યો હતો.

બંને ટીમો કોઈપણ ગોલ કરી શકી નહોતી અને મૅચ ડ્રૉ રહ્યો હતો.

પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં ‘મોદી ચાલીસા’નો પાઠ વાયરલ, ક્લબે શું કહ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં કેટલાક લોકો ‘જય-જય મોદી’ અને ‘હર-હર મોદી’ ગાતા જોવા મળી રહ્યા છે.

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

નવી દિલ્હીમાં આવેલા પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાના પરિસરમાં ગુરુવારે યોજાયેલા એક કાર્યક્રમનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં કેટલાક લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સામે આરતી કરતાં અને ‘મોદી ચાલીસા’નું પાઠ કરતાં નજરે પડે છે.

કાર્યક્રમ દરમિયાન આ લોકો ‘જય-જય મોદી’ અને ‘હર-હર મોદી’ના નારા અને ગીતો ગાતા પણ જોવા મળે છે.

આ મામલે પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટીકરણ આપ્યું છે.

ક્લબે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, “પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ નોંધ લીધી છે કે આજે તેના પરિસરમાં યોજાયેલા એક કાર્યક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહ્યા છે.”

આગળ ક્લબે જણાવ્યું કે, “અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ કાર્યક્રમનું આયોજન ક્લબ દ્વારા કરવામાં આવ્યું નહોતું.”

“એક સંસ્થાએ પ્રેસ કૉન્ફરન્સ યોજવા માટે ક્લબનો હોલ ભાડે લીધો હતો. જોકે, હૉલ ભાડે લેતી વખતે નક્કી કરાયેલી શરતોનું ઉલ્લંઘન થતાં ક્લબના અધિકારીઓએ તરત જ હસ્તક્ષેપ કર્યો અને કાર્યક્રમ બંધ કરાવી દીધો.”

વડોદરા : ભાયલીમાં સગીરા સાથે ગૅંગરેપ કેસમાં પૉક્સો કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા

બીબીસી ગુજરાતી વડોદરા : ભાયલીમાં સગીરા સાથે ગૅંગરેપ કેસમાં પૉક્સો કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

વડોદરાના વર્ષ 2024માં બનેલા ચકચારી ભાયલી ગૅંગરેપ કેસમાં સ્પેશિયલ પૉક્સો કોર્ટે તમામ પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ આ મામલે આગામી 25 ઑગસ્ટે આ કેસમાં સજાની જાહેરાત કરશે.

ઘટનાની વિગતો મુજબ, 4 ઑક્ટોબર 2024ના રોજ નવરાત્રી દરમિયાન ભાયલીમાં એક અવાવરું જગ્યાએ 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે હાજર હતાં, ત્યારે પાંચ જણે તેમના મિત્રને બંધક બનાવી મારઝૂડ કરીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ મામલામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા તપાસ હાથ ધરીને 17 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

બીબીસી ગુજરાતીના વડોદરા ખાતેના સહયોગી હાર્દિકે આપેલી માહિતી અનુસાર કેસની સુનાવણી દરમિયાન 45થી વધુ સાક્ષીઓનાં નિવેદનો, ડીએનએ પ્રોફાઇલિંગ, એફએસએલ રિપોર્ટ તેમજ સીસીટીવી ફૂટેજ જેવા મહત્ત્વના ટેકનિકલ પુરાવા રજૂ કરાયા હતા.

સરકાર પક્ષે વિશેષ સરકારી વકીલોની દલીલો અને વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોર્ટે તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવી 25 ઑગસ્ટે સજા સંભળાવવાનો નિર્ણય કર્યો છે.

બચાવ પક્ષના વકીલ રાજેશસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “આ ચુકાદો સ્વીકાર્ય નથી અને અમે તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું.”

રશિયાના મિસાઇલ હુમલામાં યુક્રેનની રાજધાની કિએવ અને આસપાસના વિસ્તારોમાં 13 લોકોનાં મોત

 ગુરુવારે યુક્રેનની રાજધાની કિએવમાં થયેલા હુમલા બાદ આગ લાગી હતી.

ઇમેજ સ્રોત, Reuters

રશિયા તરફથી રાતભર કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં યુક્રેનની રાજધાની કિએવ અને આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મૃત્યુ થયાં છે અને 40 લોકો ઘાયલ થયા છે.

યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસ (ડીએસએનએસ)એ જણાવ્યું કે ગુરુવારે મોટા પાયે કરવામાં આવેલા હુમલામાં ઇમારતો અને ગોડાઉનોને નિશાન બનાવવામાં આવ્યાં.

હુમલા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ક્ષેત્રીય પ્રશાસને રાત્રે જ લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટેની ચેતવણી આપી દીધી હતી. રાતભર ક્ષેત્રીય અધિકારીઓ તરફથી મિસાઇલ હુમલાને લઈને સતત નવાં ઍલર્ટ જારી કરવામાં આવી રહ્યાં હતાં.

દિલ્હીમાં પાકિસ્તાની હાઇકમિશનની બહાર બનેલાં માળખાઓ પર બુલડોઝર ચલાવાયું, કારણ શું?

દિલ્હીમાં પાકિસ્તાની હાઇકમિશનની બહાર બનેલાં માળખાઓ પર બુલડોઝર ચલાવાયું, કારણ શું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

નવી દિલ્હીસ્થિત પાકિસ્તાન હાઇકમિશનની બહાર બનાવવામાં આવેલાં કેટલાંક માળખાંને ગુરુવારે અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ માળખાઓ હાઇકમિશનને મંજૂર કરાયેલી સીમાની બહાર બનાવવામાં આવ્યાં હતાં.

સંબંધિત સરકારી એજન્સીઓએ જેસીપી મશીનની મદદથી આ કાર્યવાહી હાથ ધરી હતી. હાઇકમિશનની બહાર આવેલી લેનમાં બનાવવામાં આવેલાં વિવિધ માળખાઓ અને બૅરિકેડ્સને દૂર કરવામાં આવ્યાં હતાં.

જેમાં વિઝા વિભાગની નજીક લોકોને કતારમાં ગોઠવવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ પણ સામેલ હતી.

કાર્યવાહી બાદ હાઇકમિશનની બહાર કાટમાળ વિખરાયેલો જોવા મળ્યો હતો.

આ દેશમાં સોનાની ખાણમાં ભૂસ્ખલન, 100થી વધુ લોકોનાં મોત

આ દેશમાં સોનાની ખાણમાં ભૂસ્ખલન, 100થી વધુ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Supplied

મધ્ય આફ્રિકી ગણરાજ્ય (સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક – CAR)ના પશ્ચિમ ભાગમાં, કેમરૂનની સરહદ નજીક આવેલી એક સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીએ બીબીસીને આ માહિતી આપી છે.

સામે આવેલા વીડિયોમાં ખાણનો એક ભાગ અચાનક લોકો પર તૂટી પડતો જોવા મળે છે. આ દરમિયાન કેટલાક લોકો જીવ બચાવવા માટે ભાગતા પણ નજરે પડે છે.

કેમરૂનની સરહદ પાસે આવેલા ગરુઆ-બુલાઇ શહેરના મેયર અદમો અબ્દોને બીબીસીને જણાવ્યું કે આ દુર્ઘટના મંગળવારે બપોરે બની હતી.

ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

હાલમાં ભૂસ્ખલન કયા કારણોસર થયું તે સ્પષ્ટ નથી. અદમો અબ્દોને જણાવ્યું કે અત્યાર સુધીમાં 107 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

દુર્ઘટનામાંથી બચી ગયેલા એક ખાણકામ મજૂર સેડ્રિક મબાંગોએ સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું, “જમીન સંપૂર્ણપણે ધસી પડી હતી અને ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા. હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ કેટલાક લોકો હજુ કાટમાળમાં ફસાયેલા છે.”

કેમરૂનના પૂર્વીય પ્રદેશના ગવર્નરના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ઓછામાં ઓછા ત્રણ કેમરૂની નાગરિકો સામેલ છે. તેમના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે કેમરૂન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે સાથે ઘાયલોની સારવાર માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

એએફપીના અહેવાલ મુજબ, ઘાયલો અને બચી ગયેલા લોકોને ખાણથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા CARના બાબુઆ શહેરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઘટનાનાં કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. બાબુઆના સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ખાણની અંદર આવેલી અનેક સુરંગો ધસી પડતાં આ દુર્ઘટના બની હોઈ શકે છે.

આ વિસ્તારમાં નાના પાયે પરંપરાગત રીતથી થતું ખનન હજારો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. જોકે, અહીં કામ કરવાની પરિસ્થિતિઓ અત્યંત નબળી છે અને ખાણકામ મજૂરોને આરોગ્ય તેમજ પર્યાવરણ સંબંધિત અનેક જોખમોનો સામનો કરવો પડે છે.

ખાણો ધસી પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ આ વિસ્તારમાં અસામાન્ય નથી. ઘણી વખત ખાણોના ખાડાઓ યોગ્ય રીતે બંધ કરવામાં આવતા નથી અને ભારે વરસાદના કારણે જમીન નબળી પડી જાય છે, જેના કારણે આવી દુર્ઘટનાઓનું જોખમ વધી જાય છે.

કાશ્મીર અંગે સર્જિયો ગોરના નિવેદન બાદ પાકિસ્તાને અમેરિકન રાજદ્વારી અધિકારીને બોલાવ્યા, શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન સર્જિયો ગોરે બુધવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો. કાશ્મીર અંગે સર્જિયો ગોરના નિવેદન બાદ પાકિસ્તાને અમેરિકન રાજદ્વારી અધિકારીને બોલાવ્યા, શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી અને મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અને તેમના એક નિવેદન બાદ પાકિસ્તાને અમેરિકન રાજદ્વારી અધિકારીને બોલાવ્યા છે.

શ્રીનગરમાં ઓમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના વિશેષ દૂત સર્જિયો ગોરે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરને લઈને કહ્યું હતું કે, “આ ભારતનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.”

સર્જિયો ગોરની મુલાકાત બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં અમેરિકાના ચાર્જ ડી’અફેર્સને બોલાવ્યા હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “આજે ઇસ્લામાબાદમાં અમેરિકન ચાર્જ ડી’અફેર્સને વિદેશ મંત્રાલયમાં તલબ કરવામાં આવ્યા હતા અને ભારતસ્થિત અમેરિકન રાજદૂત દ્વારા જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન ત્યાંની સ્થિતિ અંગે આપવામાં આવેલાં તથ્યાત્મક રીતે ખોટાં નિવેદનો સામે કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે, “પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ‘ભારતનો ભાગ’ ગણાવવાની કડક નિંદા કરી છે અને તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. પાકિસ્તાને ભારપૂર્વક જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય વિવાદિત પ્રદેશ છે, જેનો અંતિમ ઉકેલ સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અને કાશ્મીરી લોકોની ઇચ્છા અનુસાર થવાનો બાકી છે.”

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે લાંબા સમયથી મતભેદ અને તણાવ રહ્યા છે. ભારત જમ્મુ-કાશ્મીરને પોતાનો ‘અભિન્ન ભાગ’ માને છે, જ્યારે પાકિસ્તાન આ મુદ્દામાં સંયુક્તરાષ્ટ્રના ‘હસ્તક્ષેપ’ની તરફેણ કરે છે.

5 ઑગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ કરી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં સર્જિયો ગોરે ભારત ખાતે અમેરિકાના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી તેઓ ભારતનાં અનેક રાજ્યોની મુલાકાત લઈ ચૂક્યા છે.

જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન સર્જિયો ગોરે બુધવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો.

તેમણે લખ્યું, “જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાને મળવાની અને તેમની પ્રાથમિકતાઓ વિશે વધુ જાણવાનો મોકો મળ્યો, તે આનંદની વાત છે. અમે આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવા અને બંને દેશોને લાભ થાય તેવી તકો ઊભી કરવા અંગે ચર્ચા કરી.”

ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, “અહીં આવીને આનંદ થયો છે. જેમ તમે જાણો છો, હું ભારતમાં અમેરિકાનો રાજદૂત છું. આ ભારતનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. હું અહીં પ્રથમ વખત આવ્યો છું.”

સર્જિયો ગોરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

પત્રકાર રાહુલ શિવશંકરએ પણ સર્જિયો ગોરે “અભિન્ન” શબ્દને બદલે “મહત્ત્વપૂર્ણ” શબ્દનો ઉપયોગ કેમ કર્યો તે અંગે ટિપ્પણી કરી હતી.

તેમણે ઍક્સ પર લખ્યું, “રાજદ્વારીઓ પોતાના શબ્દોની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક કરે છે. સર્જિયો ગોર ભારત ખાતે અમેરિકાના દૂત છે, પરંતુ તેઓ એથી પણ વધુ છે. તેઓ દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલાઓ માટે અમેરિકાના દૂત તરીકે પણ કાર્ય કરે છે. તેથી જ્યારે તેઓ ‘મહત્ત્વપૂર્ણ’ શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે તેના અનેક વ્યાપક અર્થ હોઈ શકે છે.”

કૅન્યામાં હેલિકૉપ્ટર ક્રૅશ : ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ, તેમનાં પત્ની સહિત સાત લોકોનાં મોત

અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે

ઇમેજ સ્રોત, EPA

કૅન્યામાં બુધવારે થયેલી એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ અને તેમનાં પત્નીનું મોત થયું છે. આ અકસ્માતમાં પાંચ અમેરિકન નાગરિકો સહિત કુલ સાત લોકોના જીવ ગયા છે.

અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે.

સાત મૃતકોમાં ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ મિશેલ સેન્સી કૉન્ટોગી અને તેમનાં પત્ની સ્ટેફની હોલિહાનનો સમાવેશ થાય છે.

કૅન્યા સિવિલ એવિએશન ઑથૉરિટીના જણાવ્યા અનુસાર, હેલિકૉપ્ટરે લુઇસાબાના એક સંરક્ષિત વન્ય જીવ વિસ્તારમાંથી ઇવાસો ન્યીરો નદી તરફ મુસાફરી માટે ઉડાન ભરી હતી. ઇવાસો ન્યીરો કેન્યાના અનેક વિસ્તારોમાંથી પસાર થતી એક મહત્ત્વપૂર્ણ નદી છે.

ઑથૉરિટીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્યાના પરિવહન મંત્રાલય અને એર ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન વિભાગ આ દુર્ઘટનાની તપાસ કરશે. તપાસ દરમિયાન હેલિકૉપ્ટર દુર્ઘટનાનું કારણ શું હતું અને તે કયા સંજોગોમાં બની હતી, તેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ‘આર્થિક જંગ’ શરૂ કરી, શું જાહેરાત કરી?

ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ 'આર્થિક જંગ' શરૂ કરી, શું જાહેરાત કરી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ એક “અભૂતપૂર્વ અને અત્યંત આકરું આર્થિક અભિયાન” શરૂ કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કરતા લખ્યું કે તેમણે ઈરાનને સમજૂતી માટે સૌથી વધારે તક આપી હતી, પરંતુ ઈરાન તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું.

તેમણે કહ્યું, “આજે હું કોઈપણ દેશ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી આકરી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી રહ્યો છું. આ મોટા પાયે આર્થિક યુદ્ધ અને ઈરાનને અલગ કરવાની ઝુંબેશ હશે.”

અગાઉની માફક તેમણે જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને આર્થિક શક્તિને નબળી પાડવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જે દેશ તેમની આર્થિક સંસ્થાઓ, કારોબાર, ઍરપૉર્ટ કે સરકારી એજન્સીઓ મારફતે ઈરાનને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કરશે, તેને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે.

ટ્રમ્પે ખાસ કરીને ઑઇલની દાણચોરી, તેલના ટૅન્કરોની અદલાબદલી, રોકડ મારફતે નાણાં મોકલવા, મની ઍક્સચેન્જ કંપનીઓના ઉપયોગ અને જહાજોને ખોટી કંપનીઓનાં નામે રજિસ્ટર કરવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો.

પોતાના નિવેદનના અંતમાં ટ્રમ્પે આ અભિયાનની સરખામણી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નોર્મંડી ખાતે અમેરિકન સૈનિકોના ઉતરાણ સાથે કરી હતી. તેમણે અમેરિકાના સહયોગી દેશોને અપીલ કરી હતી કે તેઓ ઈરાનથી ઊભા થઈ રહેલા જોખમને સમાપ્ત કરવા માટે અમેરિકાનો સાથ આપે.

ટ્રમ્પે આ સમગ્ર કાર્યવાહીને “ઐતિહાસિક પગલું” ગણાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS